અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `ઉશનસ્' નટવરલાલ પંડ્યા/આ રસ્તાઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આ રસ્તાઓ

`ઉશનસ્' નટવરલાલ પંડ્યા

મને આ રસ્તાઓ જરીય ઠરવા દે ન, ઘરમાં
ઘૂસી આવે ક્યાંથી ઘર વગરના, ચોર; પકડી
લિયે હૈયું, મારા કર પકડીને જાય ઘસડી,
ન પૂરું સૂવા દે; સ્વપન મહીં આવે નજરમાં.

વીંટાયા છે કેવા પૃથિવી ફરતા લેઈ ભરડા!
નવા અક્ષાંશોની ઉપર નવ રેખાંશ-ગૂંથણી!
અરે, આ કૈં વાંકા ગલ જલધિનીરે જઈ પડ્યા!
હલાવું આ બીજા તરુવિટપ શા, તો મધપૂડા
ઊડે વસ્તી કેરા ટીશી ટીશી રહે શી બણબણી!
મને આ પૃથ્વીની પ્રીત પણ અરે, એવી જ મળી :
રહે ના દીવાલો ભીતર ગૃહિણી શી ઘર કરી;
છતાં, હાવાં તો એ રખડુ-શું હૈયું એવું હળ્યું કે
હું સ્વર્ગેથીયે આ પૃથિવી પર પાછો ફરીશ, હા;
— હજી કૈં કૈં રસ્તા મુજ પદની મુદ્રા વણ રહ્યા.

(સમસ્ત કવિતા, પૃ. ૩૩૭)