અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `ઉશનસ્' નટવરલાલ પંડ્યા/હું જાણું —

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હું જાણું —

`ઉશનસ્' નટવરલાલ પંડ્યા

હું જાણું: જન્મ્યા કે મરણ સમું કૈં નક્કી ન બીજું,
મનુષ્યે વ્હાલાંના મરણ થકી ટેવાવું જ રહ્યું;
બને તો મૃત્યુને શિવ – વર – કહી ગાવુંય રહ્યું:
પરંતુ પૃથ્વીને મરણ હજી કોઠે નથી પડ્યું!
નવું ના, મૃત્યુ મેં વળી વળી દીઠું છે અહીં થકી
જતું ધોરી રસ્તે જીવન તણી ખાંધે ચડી ચડી.
— (અને જોવા જેવી બીજી ચીજ અહીં છેય કઈ તે?)
બધી વેળા થોડો વધુ વધુ રહ્યો ફિલ્સૂફ બની.

પરંતુ મૃત્યુ રે સ્વજનનું, શિચચ્છત્ર સરખા
સદા જોયા વ્યાપ્યા નભનું — અમ ગેહે જ? વસમું.
છયે કોઠે જીતી ફિલસૂફી અહીં સપ્તમ ગઢે
જતી હારી; હાવાં અવ સુદૂરથી પત્ર લખતાં
મને વીંધે શય્યા સ્મૃતિ શરની – દેશો ન ઠપકો,
નિરાંતે ઓ મારાં નયન, અહીં એકાંત – ટપકો.




આસ્વાદ: હું જાણું વિશે — જગદીશ જોષી

હું જાણું… આપણે સૌ જાણીએ જ છીએ. છતાં, જાણવું એક વાત છે, અનુભવવું એ બીજી જ વાત છે. નદીકાંઠે ઊભા રહી જળને તાગવું એક વાત, પણ તેમાં ઝંપલાવવું એ બીજી જ વાત. નવજીવનનો આનંદ અને મરણનું ક્રન્દન આમ તો અડખેપડખે છે: જીવન જો નિશ્ચિત છે તો મૃત્યુ સુનિશ્ચિત જ છે. The only thing certain in life is death.

પણ ભાઈ, જળનું દૃશ્ય ને જળનો સ્પર્શ બે વાત જ જુદી! જન્મ અને મરણની બે દૃશ્યમાન ઘટનાની વચ્ચે જે અદૃશ્ય પ્રેમની સૃષ્ટિ રચાય છે તેના ઉપર તો મરણ વીજળીની જેમ ત્રાટકે છે! મૃત્યુનો પરિચય તો જુદા જુદા સ્વાંગમાં થયો જ હોય છે — છાપાંની ‘મૃત્યુનોંધ’માં ‘અશુભ’ના મથાળા સાથે આવી પડેલા ‘મેલા’માં; હૉસ્પિટલમાં એનાં દબાતાં મીંદડી-પગલાં સાંભળ્યાં છે, સ્મશાનમાં એની જોહુકમી સહી છે, બીમાર જનના ઓશીકે બેસી તેનો તાપ વેંઢાર્યો છે…

પરંતુ સ્વજનના મૃત્યુના આ ‘સપ્તમ ગઢ’ની કાંગરીએ કાંગરીએ ફિલસૂફી રાળ રાળ થઈ જાય છે. મૃત્યુમાંથી માંગલ્ય તારવવાની વૃત્તિ તો થાય છે પણ ધબકતી આ પૃથ્વીને મરણ સદે નહીં, કોઠે ન પડે તે સ્વાભાવિક નથી? જીવનના રાજમાર્ગ પરથી જીવનની જ કાંધે ચડી, પસાર થતી મૃત્યુની વિજય-સવારીને આપણે હાથ જોડી નમન કરી લઈએ; અરે, ઘડીભર તો જીવન-ટ્રાફિક થંભી જાય; ‘જાયું તે તો જવાનું’, ‘નામ તેનો નાશ’ એવી ફિલસૂફીભરી કહેવતની કાખઘોડીનો સહારો પણ ક્ષણભર લઈ લઈએ; પરંતુ સ્વજનનું મૃત્યુ, માથે આકાશની જેમ વ્યાપેલા શિરચ્છત્રનું ચાલ્યા જવું, થાય છે ત્યારે આપણું બધું જ જ્ઞાન અનુભવના (કા)દવમાં, કર્ણનાં આયુધોની પેઠે, નમાયું થઈ જાય છે!

કવિતામાં ‘પિતા’ જોડે ‘ચિતા’નો પ્રાસ બેસતો હશે, પણ જીવનમાં તે કેમ બેસતો નહીં હોય? માથે કોઈ છત્ર છે, દૂરદૂરથી પણ કાગળ લખવા પૂરતોય સધિયારો છે એ ભાન જ જીવનને કેવું આસાન બનાવે છે!

પરંતુ વ્યક્તિના ગયા પછી વંધ્યા સ્મૃતિ આપણને વીંધ્યા કરે છે. સ્મૃતિની શરશય્યા પર માણસની લાગણી પેલા ભીષ્મની જેમ શ્વસ્યા કરે છે. વ્યક્તિને પ્રેમ કરવા જેટલો જો માણસને મૂળભૂત અધિકાર હોય તો તેના જતાં મોકળે મને રડી લેવાનો પણ તેનો અધિકાર હેમખેમ હોવો જોઈએ, છતાં છાતીફાટ પ્રેમ અને છાતીફાટ રુદનને જાણનારાં કેટલાંક? આંસુ પોતે જ જીવન અને મરણની વચ્ચે એક એકાંતનો પુલ રચી આપે છે અને એટલે જ આ સૉનેટની છેલ્લી પંક્તિ કહે છે,

નિરાંતે ઓ મારાં નયન, અહીં એકાંત – ટપકો.

‘હું જાણું છું’, ‘બને તો’, ‘નવું ના’ની સામે ‘પરંતુ…’નું અસ્ત્ર જ્યારે છૂટે છે ત્યારે માનવ કેવો લાચાર બની જાય છે! સર કરેલી ફિલસૂફી સાર વિનાની થઈ જાય છે, ઠપકો આપો તોય શું, ન આપો તોય શું?

મૃત્યુ જેમ જીવિતમાત્રની પ્રકૃતિ છે એમ આંસુમાં જ એની સ્વીકૃતિની સહાય છે. મરણ જેટલું અનિવાર્ય છે એટલું જ અનિવાર્ય છે — મરણ પછીનું જીવન, અને મરણ પછીના જીવન માટે એકમાત્ર સહારો છે — સ્મરણ. શું કરીએ…? ‘ટેવાવું જ રહ્યું!’ (‘એકાંતની સભા'માંથી)