આંગણે ટહુકે કોયલ/ઉગમણે રથડા જૂત્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૭૧. ઉગમણે રથડા જૂત્યા

ઉગમણે રથડા જૂત્યા, આવી આંગણીએ છૂટ્યા, મોહનરાયનું ઝૂમખડું રે.
મેં જાણ્યું જે બેનડી આવી, આવી સુહાગણ નણદી, મોહનરાયનું ઝૂમખડું રે.
હસતાં રમતાં ઝાંપા ઉઘાડ્યા, નણદી દેખી મશ ઢળી, મોહનરાયનું ઝૂમખડું રે.
નણદીએ આવી નેવલાં ઝાલ્યાં, ક્યાં ગ્યો, ભાભી! મારો વીરો, મોહનરાયનું ઝૂમખડું રે.
મારે જે નણદી ભૂખ જ જાણે, નત નત ગોકળીએ જાય રે, મોહનરાયનું ઝૂમખડું રે.
ચંદર ઊગ્યો ને દન આથમિયો, આવે ગાયુંનો ગોવાળ, મોહનરાયનું ઝૂમખડું રે.
વનમાં વાંસલડી વાગંતી આવે, આવે કાનુડો વીરો, મોહનરાયનું ઝૂમખડું રે.
સાંકડી શેરીમાં વીરાજી મળિયા, બેની ધ્રૂસકડે રોયાં, મોહનરાયનું ઝૂમખડું રે.
કાં રે બેનીજી, ધ્રૂસકે રુઓ! કોણે ન દીધાં માન, મોહનરાયનું ઝૂમખડું રે.
કાકે ને મામે માન જ દીધાં, ભાભીએ મોં મચકોડ્યાં, મોહનરાયનું ઝૂમખડું રે.
તારી ભાભીને પિયર વળાવું, તમે જનમારો રિયો, મોહનરાયનું ઝૂમખડું રે.
ના રે, વીરાજી, એવું ન કરીએ, બેની સાસરીએ સારાં, મોહનરાયનું ઝૂમખડું રે.
કાળી તે લાયનો કમખો સિવડાવ્યો, સોળ તે ગજની સાડી, મોહનરાયનું ઝૂમખડું રે.
સાત સાત સાડલા વીરાજીએ લીધા, સૈયરું વોળાવવા ચાલી, મોહનરાયનું ઝૂમખડું રે.
કળશી કટંબ વોળાવવા આવ્યું, ના’વી મચકાળી ભાભી, મોહનરાયનું ઝૂમખડું રે.
ધોળુડા ધોરી ને ઝગમગતી ઝૂલ્યું બેનને વળાવવા જાય રે, મોહનરાયનું ઝૂમખડું રે.
નણદીએ ત્યાં આશખ દીધી, ઘણું જીવો મારો વીરો, મોહનરાયનું ઝૂમખડું રે.
મારા વીરાને આશખ દઉં છું, બાર બેટાનો બાપ, મોહનરાયનું ઝૂમખડું રે.
ઘણું જીવો, મારી રખમાઈ ભાભી! સાત શોક્યુંના સાલ, મોહનરાયનું ઝૂમખડું રે.

કોઈ એક વ્યક્તિની પોતિકી વેદના, ખુશી, અવહેલના, પ્રશંસા જયારે સહિયારી, સમષ્ટિની બની જાય ત્યારે એ લોકગીત કે લોકસાહિત્ય બની જાય છે. લોકપ્રતિનિધિના જીવનમાં ઘટેલી ઘટનાને એ જયારે છડેચોક ઉજાગર કરે ત્યારે દરેકને એમ થાય કે આ તો મારી જ વાત છે. આપણી માતાઓ, બહેનોમાંથી કેટલીય લોકપ્રતિનિધિ હતી કેમકે તેમણે પોતાનાં સુખ-દુ:ખ જાહેરમાં એવી રીતે ગાયાં કે એ વ્યક્તિગત ન રહ્યાં. ‘લોક’નું એક લક્ષણ એ પણ છે કે એ ઘણું બધું સહન કરીને પછી પોતાના જેવા જનસામાન્ય સમક્ષ વહેતું મુકે છે જેથી પોતાનું મન હળવું થાય અને એના જેવા અન્ય પીડિતને સધિયારો મળે. ‘ઉગમણે રથડા જૂત્યા...’ ગીતમાં એવી નણંદની હૈયાવરાળ છે જે હરખભેર ભાઈના ઘેર ગઈ પણ ભાભીએ મોઢું બગાડી ને અણગમો વ્યક્ત કર્યો. સાંજે ભાઈ ઘરે આવ્યો પણ બેન તો પોતાને સાસરે જવા નીકળી ને ભાઈ શેરીમાં સામો મળ્યો. એણે પૃચ્છા કરી તો ભાભીએ કરેલા અપમાન વિશે કહી દીધું. કયો ભાઈ બેનનું અપમાન સહન કરી શકે? એણે કહ્યું કે તું ઘેર ચાલ, તારી ભાભીને પિયર વળાવી દઈશ પણ જગતની કોઈ બેન એવી ન હોય કે ભાઈનું ઘર ભંગાવવામાં નિમિત્ત બને! વીરાએ બેનને સાડલા સહિતની વસ્તુ લઇ દીધી ને સન્માનભેર સાસરે વળાવી ત્યારે બેને ભાઈને આશીર્વાદ દીધા અને ભાભીને ‘શોક્ય’ એટલે કે સૌતનનો ત્રાસ સહન કરવો પડશે એવો અભિશાપ આપ્યો! આ આખી વાત ક્યા કુટુંબની છે? લોકગીતના છેલ્લા અંતરામાં ‘રખમાઈ ભાભી’ જેવો ઉલ્લેખ છે એટલે કે રુક્ષ્મણીની વાત છે તો ભગવાન શ્રીકૃષ્ણની બેને જ પોતાની અવમાનનાની અહિ વાત કરી એવો અર્થ થાય. વાસ્તવમાં લોકના જીવનની રોજીંદી નાની-મોટી વાતોને પૂજ્યપાત્રોની બનાવીને રજૂ કરવાથી એ ઝડપથી સ્વીકાર્ય બને એવી પરંપરા હતી...સેલિબ્રિટી સાથે જોડાયેલી ઘટનાઓની તરત જ અને ગંભીર નોંધ લેવાય છે...! આ લોકગીતનો સાર એટલો જ કે અનેકાનેક ભાભીઓને નણંદ મહેમાન બનીને આવે તે નથી ગમતું. એ જમાનામાં આ વાત જેટલી પ્રસ્તુત હતી એટલી જ આજે પણ છે! બેન તો ભાઈને મળવા આવે છે પણ ભાભીનું મોઢું ઉતરી જાય એવું આજેય કેટલીય બહેનો અનુભવતી હશે પણ શું કરે? ભાઈનું મોઢું મુકાતું ન હોય અને ભાભીનું જોવાતું ન હોય!