ઇવાન દિનીશવીચના જીવનનો એક દિવસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



Evn Dinishvich Book Cover.png


ઇવાન દિનીશવીચના જીવનનો એક દિવસ
લેખક : એલેક્ઝાંદ્ર સોલ્ઝનિત્સિન
અંગ્રેજી અનુવાદ : એચ. ટી. વિલેટ્સ
ગુજરાતી અનુવાદ : નિસર્ગી મ્હેડ


પ્રારંભિક

અનુક્રમણિકા

લેખક પરિચય

Author Evan.png

મૂળ રૂસી ભાષામાં લખાયેલી આ નવલકથાના લેખક, અલેક્ઝાંદ્ર સોલ્ઝનિત્સિન (૧૯૧૮-૨૦૦૮) એક લેખકની સાથે સાથે, એક ચિંતક, ઇતિહાસકાર અને રાજકીય કેદી પણ હતા. એ જીવનમાં ઘણી મુશ્કેલીઓ સામે ઝઝૂમીને આગળ વધ્યા હતા. એમના જન્મ પહેલાં એમના પિતા એક અકસ્માતનો ભોગ બનેલા, અને એમની માતાએ એમને એકલા હાથે ઉછેરેલા. નાનપણથી જ એમને લેખક બનવાની ઈચ્છા હતી અને સાહિત્ય અને ફિલસૂફીમાં આગળ અભ્યાસ કરવો હતો. પરંતુ આર્થિક પરિસ્થિતિ અનુકૂળ ન હોવાથી ગામમાં ગણિતશાસ્ત્ર અને ભૌતિકવિજ્ઞાનના અભ્યાસક્રમમાં જોડાયા. સાથે સાથે મૉસ્કો વિશ્વવિદ્યાલયના ફિલસૂફી, સાહિત્ય અને ઇતિહાસના ડિસ્ટન્સ લર્નિંગ કોર્સમાં જોડાયા. અભ્યાસ પૂરો થયો અને બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. એ પણ યુદ્ધમાં જોડાયા. ૧૯૪૪-૪૫માં એમણે એમના એક મિત્રને લખેલા પત્રમાં સ્ટેલીનની ટીકા કરેલી, જેને લીધે ફેબ્રુઆરી ૧૯૪૫માં એમની ધરપકડ થઈ. એમને આઠ વરસની સજા થઈ. સજા પૂરી થઈ અને એમને ઘેર મોકલવાને બદલે દક્ષિણી કઝાકસ્તાનમાં કાયમનો દેશવટો મળ્યો. ત્યાં એ ગ્રામીણ શાળાઓમાં શિક્ષકની નોકરી કરવા માંડ્યા અને સાથે સાથે ગુપ્ત રીતે લખવાનું શરૂ કર્યું. જુવાનીમાં થોડું પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરેલો પણ કશું છપાવી શક્યા નહતા. છાવણીમાં પણ એ કવિતાઓ રચતા અને એને કંઠસ્થ કરી લેતા. એટલે આમ તો એમનું લખવાનું ચાલુજ હતું. પણ હવે એમણે છાવણીનું જીવન દર્શાવતી આ નવલકથા લખવાનું ચાલુ કર્યું. મનમાં તો લગભગ ખાતરી જ હતી કે એ જે લખે છે એ ક્યારેય છપાશે નહીં, અને ક્યારેય કોઈ એને વાંચશે નહીં. આ વાત એમણે નોબેલ પુરસ્કાર સ્વીકારતી વખતે પણ કરી છે, “during all the years until 1961, not only was I convinced I should never see a single line of mine in print in my lifetime, but, also, I scarcely dared allow any of my close acquaintances to read anything I had written because I feared this would become known.” ૧૯૬૧ આવતા-આવતા રૂસના સત્તાધીશોનું વલણ થોડું બદલાયું, એમને એ છાપવાની પરવાનગી મળી, અને ૧૯૬૨માં એ ‘નુવે મીર’ નામનાં સામયિકમાં પ્રગટ થઈ.

રૂસમાં સોલ્ઝનિત્સિનનીમાત્ર ત્રણ લઘુવાર્તાઓ અને આ નવલકથાનું જ પ્રકાશન થઈ શક્યું હતું. ૧૯૬૦ના દાયકામાં જ્યારે ખુલ્લેઆમ તે ‘કૅન્સર વૉર્ડ’ લખી રહ્યા હતા, ત્યારે ગુપ્ત રીતે તે ‘ધ ગુલાગ અર્કીપેલાગો’ પણ લખી રહ્યા હતા. પણ ૧૯૬૪માં કૃશ્ચેવનું વલણ કડક થયું અને સોલ્ઝનિત્સિનને કોઈ પણ પ્રકાશન કરવા ઉપર રોક આવી ગઈ. એમની બીજી નવલકથા, ‘ધ ફર્સ્ટ સર્કલ’, એમણે છાનીમાની બહાર મોકલી અને એ વિદેશમાં છપાઈ. ‘કૅન્સર વૉર્ડ’, ‘ઑગસ્ટ ૧૯૧૪’, અને ‘ધ ગુલાગ અર્કીપેલાગો’ પણ એજ રીતે વિદેશમાં પ્રકાશિત થઈ. આનાં લીધે વિદેશમાં એમને ઘણું માન મળવા લાગ્યું. ફેબ્રુઆરી ૧૯૭૪માં એમની ધરપકડ થઈ અને એમણે રૂસી નાગરિકતા ગુમાવી. ૧૯૭૬માં એ અમેરિકા ગયા અને એમના પરિવાર સાથે એ ત્યાં અઢાર વરસ રહ્યા. ૧૯૯૦માં એમની રૂસી નાગરિકતા પાછી અપાઈ અને એ ૧૯૯૪માં વતન પાછા ફર્યા. ૨૦૦૮માં મૉસ્કોમાં એમનું નિધન થયું.

એમના લખાણ થકી સ્ટેલીન યુગની રૂસી સરકારની forced labour campsની માહિતી પશ્ચિમી દેશો સુધી પહોંચી હતી, ૧૯૭૦માં એમને નોબેલ પુરસ્કારથી પણ સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત એમને તેમ્પલટેન પ્રાઇઝ (૧૯૮૩), લમનોસવ ગોલ્ડ મેડલ (૧૯૯૮), સ્ટેટ પ્રાઇઝ ઓફ ધ રશિયન ફેડરેશન (૨૦૦૭) અને ઇન્ટરનેશનલ બોટવ પ્રાઇઝ (૨૦૦૮) જેવા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. એમના વૈવિધ્યપૂર્ણ લખાણોમાં તમને બધુજ મળે, નવલકથાથી માંડીને ટૂંકીવાર્તા, નિબંધો, નાટકો, કવિતાઓ, વ્યાખાનો બધુંજ.

અંગ્રેજી અનુવાદક વિષે

આ અનુવાદ એચ. ટી. વિલ્લેટ્સના અંગ્રેજી અનુવાદ પર આધારિત છે. ૧૯૨૨માં ઇંગ્લૅન્ડમાં જન્મેલા હેરી વિલ્લેટ્સે ધ કવીન્સ કૉલેજ ઑક્સફર્ડમાં અભ્યાસ કરેલો અને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંજ રશિયન ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા. એમણે રૂસી ભાષામાંથી એંગ્રેજીમાં ઘણા અનુવાદો કર્યા છે. આ નવલકથાનો પણ લગભગ પાંચ લેખકોએ અનુવાદ કર્યો છે, પણ સોલ્ઝનિત્સિને પોતે, વિલ્લેટ્સના આ અનુવાદને પ્રમાણિત કર્યો છે.

પુસ્તક પરિચય

ગમે તે સાલ, ગમે તે મહિના, ગમે તે દિવસ લો, કેદીનો દિવસ, અને એ પણ રૂસની forced labour campના કેદીનો, એકસરખો જાય; તે બદલાય નહિ, વાર-તહેવારે પણ નહિ. એવા એક દિવસની વાત આ નવલકથામાં કરવામાં આવી છે. વાત એક દિવસની છે, પણ એ એક દિવસના વિવરણમાં આવી છાવણીઓમાં રહેતા લાખો કેદીઓનું જીવન આપણી નજર સામે આવી જાય છે. આ નવલકથાને લીધે સોલ્ઝનિત્સિન અને ગુલગ, બંને તરફ દુનિયાનું ધ્યાન ગયુ.

આ નવલકથામાં એ કેદીઓનાં જીવનનાં ઝીણવટભર્યાં વર્ણનો છે, જે એમની યાતનાઓને જીવંત કરે છે, અને એજ પાત્રો એમના વર્તનથી, એમનાં કાર્યોથી, એમની જિજીવિષા કાયમ રાખે છે અને આ નવલકથાને આશાવાદી બનાવે છે. વાંચવામાં કઠોર લાગતી આ નવલકથા અંતે તો આપણા મન ઉપર એક હકારાત્મક છાપ જ છોડે છે.

શરૂઆતની આવૃત્તિઓ સેન્સરશિપનો ભોગ બનેલી અને થોડી ટૂંકી હતી. એમાં અમુક પ્રસંગો પુસ્તકમાંથી બાકાત રખાયા હતા. આ અનુવાદ, પછીથી છપાયેલી પૂર્ણ આવૃત્તિનો છે. એકહથ્થુ અને ઉગ્ર સર્વાધિકારી દમન સામે માથું ઊંચકતી આ નવલકથા માનસપટ પર ઊંડી છાપ છોડે છે.