એકોત્તરશતી/૩૧. ગાન્ધારીર આવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગાંધારીનું આવેદન (ગાન્ધારીર આવેદન)


દુર્યોધન: હે તાત, આપને ચરણે પ્રણામ કરું છું. ધૃતરાષ્ટ્રઃ અરે દુરાશય, તારું અભીષ્ટ સિદ્ધ થયું કે? દુર્યોધનઃ હું જય પામ્યો છું. ધૃતરાષ્ટ્ર: હવે સુખી થયો ને? દુર્યોધન: હું વિજયી થયો છું. ધૃતરાષ્ટ્રઃ હે દુર્મતિ, અખંડ રાજ્ય જીત્યા છતાં પણ તને સુખ ક્યાં છે? દુર્યોધન: મહારાજ, મેં સુખ ઈચ્છ્યું નહોતું, જય, જય ઇચ્છ્યો હતો. અને આજે હું જયી થયો છું. ક્ષુદ્ર સુખથી ક્ષત્રિયની ક્ષુધા શમતી નથી, હે કુરુપતિ, ઈર્ષ્યાસિંધુના મંથનમાંથી નીપજેલી દીપ્તજ્વાલ અગ્નિમયી સુધા સમા જયરસનું મેં હમણાં જ પાન કર્યું છે. હે તાત, આજે હું સુખી નથી, જયી છું. પિતા, સુખી તો હું ત્યારે હતો જ્યારે અમે પાંડવો અને કૌરવો કર્મહીન, ગર્વહીન, દીપ્તિહીન સુખમાં એક સાથે બંધાયેલા હતા- જાણે ચંદ્રને હૈયે કલંક. સુખમાં તો હું ત્યારે હતો, જ્યારે પાંડવના ગાંડીવટંકારથી શંકાકુલ શત્રુદળ આંગણે આવવાની હિંમત કરતું નહોતું. સુખમાં તો હું ત્યારે હતો જ્યારે જયદપ્ત પાંડવો પોતાને હાથે ધરિત્રીનું દોહન કરીને ભ્રાતૃપ્રેમને વશ થઈને અમને તેમાંથી ભાગ આપતા હતા, અને અમે નિશ્ચિંત ચિત્તે અનંત કૌતુકપૂર્વક નિત્ય નવા ભોગોનું સુખ માણતા હતા. સુખમાં તે હું ત્યારે હતો જ્યારે પાંડવોના જયધ્વનિના પડઘા કૌરવોને કાને અથડાતા હતા, જ્યારે પાંડવોના યશોબિંબનું પ્રતિબિંબ આવીને ઉજ્જવળ અંગુલિ વડે મલિન કૌરવભવનને અજવાળી જતું હતું. સુખમાં તો અમે ત્યારે હતા જ્યારે પોતાનું સર્વ તેજ બુઝાવી નાખીને પાંડવોના ગૌરવની છાયામાં સ્નિગ્ધ શાંત ભાવે હેમંતના દેડકાની જેમ અમે જડત્વના કૂપમાં પડ્યા હતા. આજે પાંડુના પુત્રોને પરાભવ વનમાં વહી જાય છે, આજે હું સુખી નથી, આજે હું જયી છું. ધૃતરાષ્ટ્ર : ધિક્કાર છે તારા ભાતૃદ્રોહને. પાંડવોના અને કૌરવોના પિતામહ એક છે તે શું તું ભૂલી ગયો? દુર્યોધનઃ તે હું ભૂલી શકતો જ નથી. પિતામહ એક છે, તેમ છતાં ધનમાં, માનમાં, તેજમાં અમે એક નથી. જો એઓ દૂરના પરાયા હોત તો કંઈ દુ:ખ નહોતું. શર્વરીનો શશધર મધ્યાહ્ન સૂર્યનો દ્વેષ નથી કરતો, પરંતુ પ્રભાતે એક પૂર્વ-ઉદયશિખર ઉપર એ ભ્રાતૃસૂર્ય કેમે કર્યા સમાતા નથી. આજે દ્વંદ્વ મટી ગયું છે. આજે હું જયી છું. આજે હું એકલો છું. ધૃતરાષ્ટ્ર : ક્ષુદ્ર ઈર્ષ્યા તો ઝેરી નાગણ છે. દુર્યોધન : ક્ષુદ્ર નથી, ઇર્ષ્યા તો સુમહાન છે. ઈર્ષ્યા તો મોટાંનો ધર્મ છે. બે વૃક્ષરાજ વચમાં અંતર રાખે છે, પણ લાખ લાખ ઘાસનાં તરણાં ભેગાં થઈને એકબીજાની છાતીએ બાઝીને રહે છે. અસંખ્ય નક્ષત્રો સૌભાગ્યના બંધનમાં બંધાઈને રહે છે, પણ સૂર્ય એક હોય છે, ચંદ્ર એક હોય છે. દૂરના વનની અંતરાળમાં મલિન કિરણવાળી પાંડુચંદ્રલેખા આજે અસ્ત થઈ, આજે કુરુસૂર્ય એકલો છે, આજે હું જયી છું. ધૃતરાષ્ટ્ર : આજે ધર્મનો પરાજય થયો, દુર્યોધન : લોકધર્મ અને રાજધર્મ એક નથી, પિતા. લોકસમાજમાં બરોબરિયો માણસ સહાયરૂપ, સુહૃદરૂપ, આધારરૂપ થઈ પડે છે. પરંતુ રાજા એકેશ્વર હોય છે. બરોબરિયો તો તેને મહા શત્રુ, ચિરવિઘ્ન, ચિંતાનું કારણ, આગળની આડખીલી, પાછળનો ભય, રાતદિવસ યશ, શક્તિ અને ગૌરવનો ક્ષય કરનાર અને ઐશ્વર્યમાં ભાગ પડાવનાર થઈ પડે છે. ક્ષુદ્ર માણસો બાંધવોની સાથે બળનો ભાગ વહેંચીને બળવાન રહે છે, પણ રાજદંડના તો જેટલા ખંડ થાય તેટલો તે દુર્બલ થાય, તેટલો તે ક્ષય પામે. રાજા જો એકલો પોતાનું મસ્તક સૌમાં ઊંચુ ન રાખે, જો બહુ માણસો બહુ દૂરથી તેનું ઊંચું શિર હમેશાં સ્થિર અવ્યાહત ન જોવા પામે, તો બહુ દૂર સુધી બહુ માણસો ઉપર તેની શાસનદૃષ્ટિ શી રીતે કાયમ રહે? રાજધર્મમાં ભ્રાતૃધર્મ કે બંધુધર્મ નથી હોતો, કેવળ જયધર્મ જ હોય છે. એટલે મહારાજ, આજે હું ચરિતાર્થ થયો છું. કારણ આજે હું જયી છું. પંચચૂડામય પાંડવ–ગૌરવ–ગિરિરૂપી જે વ્યવધાન મારી સામે હતું તે આજે નમી ગયું છે. ધૃતરાષ્ટ્ર : કપટ દ્યૂતથી જીતીને તું તેને જય કહે છે, લજ્જાહીન અહંકારી? દુર્યોધન : પિતા, જે જે બળ તે તેનું અસ્ત્ર, યુદ્ધમાં તે તેનો આધાર. નખ અને દાંતની બાબતમાં પોતે વાઘની બરોબરી કરી શકે એમ નથી એટલે ધનુષબાણથી તેના પ્રાણ લેવામાં કયો માણસ લજ્જા અનુભવે છે? મૂઢની પેઠે મૃત્યુ–મુખમાં ઝંપલાવીને પોતાની જાત જતી કરવી એ કંઈ યુદ્ધ નથી. યુદ્ધનું તો એકમાત્ર લક્ષ્ય જયલાભ હોય છે. પિતા, આજે હું જયી થયો છું એટલે મને અહંકાર છે. ધૃતરાષ્ટ્ર : આજે તું જયી થયો છે; એટલે તારી નિંદાના ધ્વનિ અત્યંત ધિક્કારથી આકાશ અને અવનીને ભરી રહ્યો છે. દુર્યોધન : નિંદાથી હવે હું ડરતો નથી. નિંદાને ગળે ટૂંપો દઈને મારી નાખીશ. મુખર નગરીની ઉદ્ધત જીભ દૃઢ બળથી મારી પાદપીઠ તળે દબાવી દઈને તેને નિસ્તબ્ધ બનાવી દઈશ. “દુર્યોધન પાપી છે,” “દુર્યોધન ક્રૂર છે,” “ દુર્યોધન હીન છે,” એવું એવું આટલા દિવસ મૂંગે મોઢે બહુ સાંભળ્યું. રાજદંડને સ્પર્શ કરીને હે મહારાજ, હું કહું છું કે આજે બધા લોકો પાસે હું કહેવડાવીશ કે “દુર્યોધન રાજા છે, દુર્યોધન રાજનિંદાભરી ટીકા નહિ સહન કરે, દુર્યોધન પોતાને હાથે પોતાનો કીર્તિધ્વજ ઉઠાવે છે.”

ધૃતરાષ્ટ્ર : અરે વત્સ, સાંભળ, નિંદાને જીભ ઉપરથી દેશવટો દેતાં તે નીચે મોઢે અંતરના ગૂઢ અંધકારમાં દૂર દૂર સુધી ઊંડાં જટિલ મૂળ ફેલાવે છે અને ચિત્તતલને સદા ઝેરથી કડવું બનાવી મૂકે છે. જીભ ઉપર નૃત્ય કરીને ચપલ ચંચળ નિંદા થાકી જાય છે, તેને ગુપ્ત હૃદયદુર્ગમાં મૂગાં મૂગાં પોતાની શક્તિ વધારવા દઈશ નહિ, નિંદારૂપી સર્પદલને પ્રીતિના મંત્રબળથી શાંત પાડ અને હસતે મોઢે વાંસળીના સૂરથી તેને કેદ કરી લે. દુર્યોધન : અવ્યક્ત નિંદા રાજમર્યાદાને કશી ક્ષતિ કરતી નથી, તેના તરફ હું નજરે નાખતો નથી. પ્રેમ ન મળે તેનું મને દુ:ખ નથી, પણ મહારાજ, મારે ઉદ્ધતાઈ નથી જોઈતી. પ્રેમદાન સ્વેચ્છાધીન છે, પ્રેમભિક્ષા તો દીનતમ દાન પણ આપે છે. એ પ્રેમ તેઓ ભલે પાળેલી બિલાડીને, આંગણાના કૂતરાને અને પાંડવ ભાઈઓને વહેંચી આપતા. મારે તેનું કામ નથી. હું તો ભય માગું છું, એ જ મારો રાજભાગ છે. હું તો દર્પિતોના દર્પના નાશ કરીને જય માગું છું. હે પિતૃદેવ, મારું નિવેદન સાંભળો. આજ સુધી તમારા સિંહાસનને મારા નિંદકો સદા વીંટળાઈ રહેતા હતા, કાંટાળા થોરની પેઠે નિષ્ઠુર વાડ રચીને તમારી અને મારી વચ્ચે તેમણે અંતર પાડ્યું હતું. તેમણે તમને સદા પાંડવોનાં ગુણગાન અને અમારી નિંદા સંભળાવ્યા કરી છે. એ રીતે હે પિતાજી, અમે પિતૃસ્નેહથી સદા વંચિત રહ્યા છીએ. એ રીતે, પિતા, અમે બાળપણથી હીનબલ રહ્યા છીએ. પિતૃસ્નેહના ઝરણાના મુખ ઉપર પાષાણની શિલા પડવાને લીધે અમે પરિક્ષીણ શીર્ણ નદ સમા નષ્ટપ્રાણ, ગતિશક્તિહીન થઈ પડ્યા છીએ, ડગલે ને પગલે પ્રતિહત થયા છીએ, જ્યારે પાંડવો ઊભરાતા નદના જેવા અખંડ અને અબાધગતિ છે. આજથી હે પિતા, સિંહાસનની પાસેથી તે નિંદકોના દળને —સંજય, વિદુર, ભીષ્મપિતામહને—દૂર નહિ કાઢો, જો તેઓ ડાહ્યા ડમરા બનીને હિતકથા, ધર્મકથા, સદુપદેશ, નિંદા, ધિક્કાર, તર્ક, વગેરેથી ક્ષણે ક્ષણે રાજ્યકર્મના સૂત્રને તોડી નાખ્યા કરવાના હોય, મારા રાજદંડને ભારે બનાવી મૂકવાના હોય, રાજશક્તિમાં ડગલે ને પગલે દ્વિધા જગાડવાના હોય, અપમાનથી અને લજ્જાથી મુકુટને મલિન કરવાના હોય, તો પિતૃદેવ, મને માફ કરજો, મારે એ સિંહાસનરૂપી કાંટાની પથારી નથી જોઈતી. હે મહારાજ, હું પાંડવોને રાજ્ય આપીને બદલામાં વનવાસ લઈ લઈશ અને દેશવટે ચાલ્યો જઈશ. ધૃતરાષ્ટ્ર : હાય, અભિમાની વત્સ, મિત્રોનાં સુકઠોર નિંદા-વચનો સાંભળીને મારો પિતૃસ્નેહ લગારે ઓછો થતો હોત તો તો કલ્યાણ થાત. મારામાં એટલો બધો સ્નેહ છે કે મેં અધર્મમાં સાથ આપ્યો છે, હું જ્ઞાન ખોઈ બેઠો છું, તારો સર્વનાશ કરવા બેઠો છું. મારામાં એટલો સ્નેહ છે કે પુરાતન કુરુવંશરૂપી મહારણ્યમાં ઘોર કાલાગ્નિ સળગાવવા બેઠો છું. છતાં હે પુત્ર, તું મને સ્નેહ નથી એમ કહીને દોષ દે છે? મણિના લોભથી તેં કાળા નાગની કામના કરી તો મેં અંધે પોતાને હાથે તેની ફેણ પકડીને તને આપ્યો, અંતરથી અને બહારથી અંધ બનેલો એવો હું સદા તારે ખાતર પ્રલયઅંધકારમાં ચાલ્યો છું. મિત્રો હાહાકાર કરીને નિષેધ કરે છે, નિશાચર ગીધડાં અશુભ ચીત્કાર કરે છે, પદે પદે માર્ગ સાંકડો થતો જાય છે, ઝઝૂમતી વિપત્તિથી શરીરે રોમાંચ થાય છે, તો પણ દૃઢ હાથે ભયંકર સ્નેહથી તને છાતી સરસો બાંધી લઈને વાયુના જેટલા બળથી અને અંધવેગથી મૂઢ મત્ત અટ્ટહાસ્ય કરતો કરતો ઉલ્કાના પ્રકાશમાં વિનાશના મોંમાં દોડી રહ્યો છું. કેવળ તું અને હું, અને બીજો સાથી વજ્રહસ્ત દીપ્ત અંતર્યામી. આગળની દૃષ્ટિ નથી, પાછળનું નિવારણ નથી, માત્ર નિદારુણ વિનાશનું ઘોર આકર્ષણ નીચે ખેંચી રહ્યું છે. એકાએક કોઈ વાર પલકમાં ભાન આવશે, વિધાતાની ગદા ક્ષણમાં માથા ઉપર પડશે, એવોય સમય આવશે, ત્યાં સુધી પિતૃસ્નેહ વિશે શંકા આણીશ નહિ, આલિંગન શિથિલ કરીશ નહિ, ત્યાં સુધીમાં ઉતાવળે હાથે સર્વ સ્વાર્થધન લૂંટી લે, જયી થા, સુખી થા, એકેશ્વર રાજા થા. અરે, તમે જયડંકા બજાવો, આકાશમાં જયધ્વજા ફરકાવો. આજે વિજયોત્સવમાં ન્યાય, ધર્મ, બંધુ, ભ્રાતા કોઈ નહિ રહે, વિદુર કે ભીષ્મ નહિ રહે, સંજય પણ નહિ રહે, લોકનિંદા કે લોકલજ્જાનો ભય નહિ રહે, કુરુવંશની રાજલક્ષ્મી પણ હવે નહિ રહે, માત્ર અંધ પિતા અને અંધ પુત્ર તથા કાલાન્તક યમ રહેશે, માત્ર પિતૃસ્નેહ અને વિધાતાનો શાપ રહેશે, બીજું કોઈ નહિ હોય.

[ચરનો પ્રવેશ]

ચર : હે મહારાજ, વિપ્રગણ, અગ્નિહોત્ર, અને દેવ-ઉપાસનાનો ત્યાગ કરીને, સંધ્યાર્ચના છોડીને પાંડવોની પ્રતીક્ષા કરતા ચૌટે આવીને ઊભા છે. નગરજનો કોઈ ઘરમાં નથી, દુકાનો બધી બંધ છે. સંધ્યા થઈ છે તોયે હે પ્રભુ, ભૈરવના મંદિરમાં નથી વાગતાં શંખ-ઘંટા કે નથી વાગતી સંધ્યાભેરી, કે નથી પેટતા દીપ. શોકાતુર નરનારીઓનાં ટોળેટોળાં દીન વેશે અને સજળ નયને નગરના દરવાજા તરફ ચાલ્યાં જાય છે. દુર્યોધન : તેમને ખબર નથી કે દુર્યોધન જાગ્યો છે. ઓ મૂઢ અભાગીઓ, આજે તમારો કાળ ઘેરાયો છે. આજે રાજા અને પ્રજા વચ્ચે ઘનિષ્ઠ પરિચય થશે. જોઉં તો ખરો કે પ્રજાની આ પરમ ઉદ્ધતાઈ — નિર્વિષ સર્પના વ્યર્થ ફૂંફાડા—નિરસ્ત્ર દર્પના હુંકાર કેટલા દિવસ રહે છે?

(પ્રતિહારીનો પ્રવેશ)

પ્રતિહારી : મહારાજ, મહારાણી ગાંધારી આપને ચરણે દર્શનની પ્રાર્થના કરે છે. ધૃતરાષ્ટ્ર : હું તેમની જ રાહ જોઉં છું. દુર્યોધન : પિતાજી, હું જાઉં ત્યારે.                                                                                                                                                                            [ જાય છે. ] ધૃતરાષ્ટ્ર : ભાગ અરે આ પુણ્યભીત, સાધ્વી જનનીની ઉગામેલા વજ્ર સમી દૃષ્ટિ તું શી રીતે સહન કરવાનો હતો! મારી તને શરમ નથી.                                                                                                             [ગાંધારીનો પ્રવેશ ] ગાંધારી : આપના શ્રીચરણમાં મારે નિવેદન કરવાનું છે. આટલી વિનંતી રાખો, નાથ. ધૃતરાષ્ટ્ર : પ્રિયાની પ્રાર્થના કદી અપૂર્ણ રહે ખરી? ગાંધારી : અબઘડી ત્યાગ કરો. ધૃતરાષ્ટ્ર : મહારાણી, કોનો? ગાંધારી : જેના પાપના સંઘર્ષથી ધર્મની તલવારને ભીષણ ધાર દેવાઈ રહી છે, તે મૂઢનો. ધૃતરાષ્ટ્ર : કોણ છે એ, ક્યાં છે એ, ફક્ત એનું નામ કહો એટલે થયું. ગાંધારી : પુત્ર દુર્યોધન. ધૃતરાષ્ટ્ર : તેનો હું ત્યાગ કરું? ગાંધારી : એ જ મારી આપને ચરણે વિનંતી છે. ધૃતરાષ્ટ્ર : હે ગાંધારી, હે રાજમાતા, આ પ્રાર્થના દારુણ છે. ગાંધારી: હે કૌરવ, એ પ્રાર્થના શું મારી એકલીની છે? હે નરનાથ, કુરુકુલના પિતૃપિતામહો સ્વર્ગમાંથી અહોનિશ એ પ્રાર્થના કર્યા કરે છે. ત્યાગ કરો, જેના અત્યાચારથી અશ્રુમુખી કૌરવ–કલ્યાણ-લક્ષ્મી રાતદિવસ વિદાયની ક્ષણની રાહ જોઈ રહી છે તેનો ત્યાગ કરો. ધૃતરાષ્ટ્ર : ધર્મનું લંઘન કરનારને ધર્મ સજા કરશે, હું પિતા છું. ગાંધારી : ગર્ભભાર–જર્જરિતા હું માતા નથી? મેં તેને જાગ્રત હૃત્પિંડ તળે વહ્યો નથી શું? તેનું તે અકલંક બાલમુખ જોઈને મારું સ્નેહવિગલિત ચિત્ત શુભ્ર દુગ્ધધારારૂપે બંને સ્તનોમાંથી ઊભરાઈ આવ્યું નહોતું કે? શાખાને ફળ વળગી રહે છે તેવી રીતે બહુ વર્ષો સુધી મારા હાસ્યમાંથી હાસ્ય, વાણીમાંથી વાણી, પ્રાણમાંથી પ્રાણ ખેંચતો એ નાના નાના બાહુરૂપી દીંટાંઓ વડે તે મને વળગી રહ્યો નહોતો કે?—તો પણ હે મહારાજ, હું કહું છું કે તે પુત્ર દુર્યોધનનો આજે ત્યાગ કરો. ધૃતરાષ્ટ્ર : તેનો ત્યાગ કરું તો પછી રાખું શું? ગાંધારી : તમારો ધર્મ. ધૃતરાષ્ટ્ર : ધર્મ તને શું આપવાનો છે? ગાંધારી: નવાં નવાં દુ:ખ. અધર્મથી મૂલવેલાં પુત્રસુખને અને રાજસુખને બબ્બે કાંટાની પેઠે છાતીએ દાબીને મારે શી રીતે સદા ઉપાડ્યા કરવાં? ધૃતરાષ્ટ્ર : હાય પ્રિયે, ધર્મને વશ થઈને દ્યૂતમાં બંધાયેલા પાંડવોનું લૂંટાઈ ગયેલું રાજ્ય મેં એક વાર પાછું આપ્યું હતું. પણ બીજી જ ક્ષણે પિતૃસ્નેહ મારા કાનમાં સો સો વાર ગુંજન કરવા લાગ્યો, “અરે આ શું કર્યું? એકી વખતે ધર્મ અને અધર્મની બે હોડી ઉપર પગ રાખીને કોઈ બચતું નથી. કુરુપુત્રો જ્યારે એક વાર પાપના પ્રવાહમાં ઊતર્યા જ છે ત્યારે ધર્મની સાથે સંધિ કરવી મિથ્યા છે, પાપને બારણે પાપ મદદ માગી રહ્યું છે. હું હતભાગી, વૃદ્ધ, હતબુદ્ધિ, દુર્બળ દ્વિધામાં પડીને તેં આ શું કર્યું? રાજ્ય પાછું આપવાથી પણ પાંડવોના મનનો અપમાનનો ઘા રુઝાવાનો નથી, એ તો માત્ર અગ્નિમાં નવાં કાષ્ઠ હોમ્યા બરાબર છે. અપમાનિતના હાથમાં સત્તાનાં શસ્ત્ર સોંપવાં તે મરવા માટે. શક્તિશાળીને થોડુ દુ:ખ આપીને છોડી ન દેતો, દળી જ નાખજે. પાપની સાથે રમત કરીશ નહિ. જો તેને બોલાવી લાવે તો પછી તેને પૂરેપૂરું વધાવી જ લેજે.” એ પ્રમાણે પાપબુદ્ધિ પિતૃસ્નેહરૂપે મારા કાનમાં ગૂપચૂપ કેટલીય વાતો તીક્ષ્ણ સોયની પેઠે ભેાંકવા લાગી. પાંડવોને મેં પાછા બોલાવ્યા. દ્યૂતની છલનાથી મેં તેમને લાંબા વનવાસે મોકલ્યા. હાય ધર્મ, હાય રે સ્વભાવ–બળ, સંસારનો મર્મ કોણ સમજે એમ છે? ગાંધારી : મહારાજ, ધર્મ કંઈ સંપદનો હેતુ નથી, એ કંઈ સુખનો ક્ષુદ્ર સેતુ નથી, ધર્મમાં જ ધર્મનો અંત છે. હું મૂઢ નારી સ્વામી, આપને ધર્મની વાત શું સમજાવવાની હતી? બધું આપ સમજો છો. પાંડવો વનમાં જશે. પાછા વાળ્યા વળશે નહિ. તેઓ પ્રતિજ્ઞાથી બંધાયેલા છે. હવે આ રાજ્ય હે મહીપતિ, તમારું એકલાનું છે. આ ઘડીએ તમારા પુત્રનો ત્યાગ કરો. નિષ્પાપને દુઃખ દઈને પોતે પૂર્ણ સુખ ભોગવશો નહિ. ન્યાયધર્મને પૌરવ-પ્રાસાદેથી વિમુખ ન કાઢશો. હે ધર્મરાજ, આજથી દુઃસહ દુઃખ ઉપાડી લો અને મારે માથે ચડાવો. ધૃતરાષ્ટ્ર : હાય મહારાણી, તમારો ઉપદેશ સાચો છે, તમારી વાણી તીવ્ર છે. ગાંધારી : અધર્મનું મધચોપડ્યું વિષફળ ઉપાડી લઈને પુત્ર આનંદથી નાચે છે; સ્નેહના મોહમાં ભૂલીને તેને તે ફળ ખાવા ન દેશો, છીનવી લો, ફેંકી દો, રડવા દો તેને. છલલબ્ધ, પાપસ્ફીત રાજ્યને, ધનને અને જનને પડ્યાં મૂકી તે પણ ભલે દેશવટે ચાલ્યો જતો, ભલે વંચિત પાંડવોનો સમદુ:ખભાર વહેતો. ધૃતરાષ્ટ્ર : ધર્મનું વિધાન વિધાતાના હાથમાં છે, તેઓ જાગ્રત છે, તેમનો ધર્મદંડ સદા ઉદ્યત હોય છે. હે મનસ્વિની, તેમના રાજ્યમાં તેમનું કાર્ય તેઓ કરશે. હું પિતા છું. ગાંધારી : તમે રાજા છો, હે રાજ-અધિરાજ, વિધાતાનો વામ હસ્ત છો. ધર્મરક્ષાનું કામ તમને સોંપાયેલું છે. હું તમને પૂછું છું, જો તમારો કોઈ પ્રજાજન સતી અબળાને પારકા ઘરમાંથી ઘસડી લાવીને તેનું વિના દોષે અપમાન કરે તો તેને શી સજા કરશો? ધૃતરાષ્ટ્ર : દેશવટાની. ગાંધારી : તો આજે બધી સ્ત્રીઓ વતી આંખમાં આંસુ સાથે હું રાજાને ચરણે ન્યાયની માગણી કરું છું. હે પ્રભુ, પુત્ર દુર્યોધન અપરાધી છે. હે રાજન, આપ પોતે એના સાક્ષી છો. પુરુષો પુરુષો વચ્ચે સ્વાર્થને કારણે રાતદિવસ ઝઘડા મચ્યા જ કરે છે. એના સારા-ખોટા–પણાની મને સમજ નથી. દંડનીતિ, ભેદનીતિ, કૂટનીતિ, એવી કંઈ સેંકડો પુરુષોની રીતિ પુરુષો જ જાણે છે. બળની સામે બળ, છળની સામે કંઈ જાતજાતનાં છળ, કૌશલની સામે કૌશલ ભટકાય છે. અમે તો દૂર રહીએ છીએ, અમારાં ઘરમાં, શાંત અંતઃપુરમાં. જે બહારના ઝઘડામાંથી ત્યાં અગ્નિ તાણી લાવે છે, પુરુષોને છોડીને અંતઃપુરમાં પ્રવેશીને ગૃહધર્મચારિણી નિરુપાય નારીના પવિત્ર દેહ ઉપર કલુષપુરુષ સ્પર્શથી અસન્માનપૂર્વક જે હસ્તક્ષેપ કરે છે; પતિની સાથે વિરોધ જગાડી જે પુરુષ પત્નીને આઘાત કરીને તેનો બદલો લે છે, તે કેવળ પાખંડી નથી, તે તો કાયર છે. મહારાજ, તેને શી સજા હોય? નિષ્કલંક પુરુવંશમાં પાપ જન્મે તો તે પણ સહન થાય, પરંતુ હે પ્રભુ, માતૃગર્વને જોરે મેં તો માન્યું હતું કે મારા ગર્ભમાં વીરપુત્રો જન્મ્યા છે. હાય નાથ, તે દિવસે જ્યારે અનાથ પાંચાલીના આર્ત કંઠસ્વરે લજ્જા, ઘૃણા અને કરુણાના તાપથી પ્રાસાદની ભીંતોને પિગાળી નાખી, ત્યારે મેં બારીએ દોડી જઈને જોયું, તો તેનાં વસ્ત્ર ખેંચીને સભામાં ગાંધારીના પુત્ર-પિશાચો ખડખડ હસતા હતા. ધર્મ જાણે છે કે તે દિવસે માતા તરીકેના મારા છેલ્લા ગર્વના જન્મભરને માટે ચૂરા થઈ ગયા. હે કુરુરાજગણ, ભારતને છોડીને પૌરુષ ક્યાં ચાલ્યું ગયું? તમે, હે મહારથી, જડમૂર્તિની પેઠે એકબીજાના મોં સામે જોઈને બેસી રહ્યા, કોઈ હસ્યા, કોઈએ કૌતુકથી કાન કરડ્યા. વજ્રખૂટી લુપ્ત વીજળીની પેઠે નિશ્ચલ તલવારો મ્યાનમાં ઊંઘતી હતી. મહારાજ, મહારાજ, સાંભળો આટલી વિનંતી. જનનીની લાજ દૂર કરો, વીરધર્મનો ઉદ્ધાર કરો. પદાહત સતીત્વનું ક્રંદન થંભાવો, અવનત ન્યાયધર્મનું સન્માન કરો, દુર્યોધનનો ત્યાગ કરો. ધૃતરાષ્ટ્ર : હે મહારાણી, તમે પરિતાપના દાહથી જર્જર હૃદય ઉપર કેવળ નિષ્ફળ આઘાત કરો છો. ગાંધારી : સો ગણી વેદના, હે નાથ, શું મને નથી થતી? પ્રભુ, જેને દંડ દેવાતો હોય તેની સાથે દંડ દેનાર સમાન આઘાતથી રડતો હોય તે સર્વશ્રેષ્ઠ ન્યાય છે. જેને માટે પ્રાણને કશી વ્યથા થતી નથી તેવાને દંડ દેવો એ પ્રબળનો અત્યાચાર છે. જે દંડવેદના પુત્રને દઈ શકતા નથી તે કોઈને પણ દેશો નહિ. જે તમારો પુત્ર નથી તેને પણ પિતા છે, હે ન્યાયાધીશ, તેની આગળ તમે મહા અપરાધી ઠરશો. મેં સાંભળ્યુ છે કે આપણે બધાં જ વિશ્વવિધાતાનાં સંતાન છીએ, તે નારાયણ સદા પોતાને હાથે પુત્રોના ન્યાય તોળે છે, વ્યથા આપે છે, સાથે વ્યથા પામે છે, નહિ તો ન્યાય તોળવાનો તેમને અધિકાર જ ન રહે. હું તો મૂઢ નારી છું. મને તો મારા અંતરમાં આ શાસ્ત્ર મળેલું છે. હે મહારાજ, તમે પાપી પુત્રને અવિચારીપણે ક્ષમા કરશો તો આજ સુધી જે અસંખ્ય અપરાધી માણસોને તમે પાર વગરની સજા કરી છે તે બધી સજા, કરનાર રાજા ઉપર આવીને ઊતરશે, તમારા ન્યાયના ફેંસલા નિર્દયતારૂપે પાપ બનીને તમને કલંકિત કરશે. પાપી દુર્યોધનનો ત્યાગ કરો. ધૃતરાષ્ટ્ર : પ્રિયે, સંહરી લો, સંહરી લો તમારી વાણી. મોહપાશને હું તોડી શકતો નથી, ધર્મની વાતો, માત્ર આવી આવીને વ્યર્થ સુકઠોર વ્યથા જન્માવે છે. પાપી પુત્ર વિધાતાને ત્યાજ્ય છે, એટલે હું તેને નહિં ત્યજી શકું, હું જ એક એનો છું. જે પુત્રે ઉન્મત્ત તરંગોમાં ઝંપલાવ્યું છે તેને છોડી જતાં મારો જીવ કેમ ચાલે? તેના ઉદ્ધારની આશા છોડી દઉં તોયે તેને પ્રાણપણે છાતી સરસો દાબી રાખું, તેની સાથે એક પાપમાં ઝંપલાવીને પડું, એક જ વિનાશને તળિયે ડૂબીને બેધડક મરું, તેની દુર્ગતિમાં ભાગ પડાવું, તેની દુર્ગતિનાં અર્ધાં ફળ ભોગવું, એ જ મારુ સાંત્વન છે. હવે કંઈ ન્યાય તોળવાનો વખત નથી, નથી કશો ઉપાય, નથી કશો માર્ગ, બનવાનું હતું તે બની ગયું, જે પરિણામ આવવાનું હશે તે આવશે.                                                                                                                                                                            [જાય છે] ગાંધારી : ઓ મારા અશાંત હૃદય, તું શાંત થા. વિધિના વિધાનની નતમસ્તકે ધીરજપૂર્વક પ્રતીક્ષા કર્યા કર. સુદીર્ઘ રાત્રિ પછી જે દિવસે કાળ એકાએક જાગી ઊઠે છે, પોતાની ભૂલો સુધારે છે, તે દિવસ દારુણ દુ:ખનો હોય છે. જેમ દુઃસહ ઉત્તાપથી ઊંઘમાં પડેલો વાયુ સ્થિર ગતિહીન બની જાય છે, અને એકાએક વાવાઝોડારૂપે જાગી ઊઠે છે, પોતાની જાત ઉપર આક્રમણ કરે છે, અંધ વીંછીની પેઠે ભયંકર પૂંછડી વતી પોતાને જ માથે અવિરત દીપ્ત વજ્ર જેવો ડંખ મારે છે, તેમ કાલ જ્યારે જાગે છે ત્યારે ભયથી બધા તેને અકાલ કહે છે. હે રમણી, તારું માથું ઝુકાવી દે, ઝુકાવી દે, અને તે મહાકાલને પ્રણામ કર, તેના રથચક્રનો ધ્વનિ દૂર રુદ્રલોકમાંથી વજ્ર જેવા ઘર્ઘરનાદ કરતો સંભળાય છે. તારું આર્ત જર્જર હૃદય તેની તળે બિછાવી રાખ. મૂંગે મોઢે નિમેષહીન નયને છિન્ન સિક્ત હત્પિંડના રક્ત શતદલની અંજલી રચીને જાગતી બેસી રહે. ત્યાર પછી જ્યારે ગગનમાં ધૂળ ઊડશે, ધરણી કંપી ઊઠશે, આકાશમાં એકાએક ક્રન્દનધ્વનિ જાગશે, ત્યારે હે રમણી, હે અનાથા, હે વીરવધૂ, હે વીરમાતા, એ હાહાકાર વચ્ચે તું ધીરજપૂર્વક અવનત શિરે આંખો મીંચીને ધૂળમાં લોટી પડજે. ત્યાર પછી નમો નમઃ સુનિશ્રિત પરિણામ. નિર્વાક, નિર્મમ, દારુણ કરુણ શાંતિને નમસ્કાર હજો. નમસ્કાર હજો કલ્યાણ કઠોર કાંત સ્વરૂપને, સ્નિગ્ધતમ ક્ષમાને. વિદ્વેષના ભીષણ નિર્વાણને નમસ્કાર હજો. સ્મશાનની ભસ્મ લેપેલી પરમ મુક્તિને નમસ્કાર હજો.

[દુર્યોધનની મહારાણી ભાનુમતીને પ્રવેશ ]

ભાનુમતી : (દાસીઓ પ્રત્યે) ઇન્દુમુખી, પરભૃતે, માલ્યવસ્ત્ર અલંકાર માથે ઉપાડી લો. ગાંધારી: બેટા, ધીરી, ધીરી. પૌરવભવનમાં આજે શાનો મહોત્સવ છે? નવાં વસ્ત્રો અને અલંકારો સજીને ક્યાં જાય છે વહુ? ભાનુમતી : શત્રુ-પરાભવની મંગળ ઘડી આવી પહોંચી છે. ગાંધારી : પોતાનાં આત્મીય સ્વજન જેનાં શત્રુ હોય છે તેને તેનો આત્મા નિત્ય શત્રુ હોય છે, ધર્મ તેનો શત્રુ હોય છે, તેનો શત્રુ અજેય હોય છે. નવા અલકાર ક્યાંથી આણ્યા કલ્યાણી? ભાનુમતી : પોતાના ભુજબળથી વસુમતીને જીતીને પાંચાલીના પાંચ પતિઓએ તેને જે બધાં રત્નો અને અલંકાર આપ્યાં હતાં, યજ્ઞને દિવસે જે પહેરીને દ્રૌપદીના અંગમાંથી રત્નોનાં કિરણોની સેંકડો સોય વાટે સૌભાગ્ય-અહંકાર ઝગારતો હતો, અને જે કુરુકુલકામિનીને હૈયે ભોંકાતો હતો, તે રત્નોનાં આભૂષણોથી મને શણગારીને તેને વનમાં જવું પડ્યું. ગાંધારી: અરે મૂઢ, તોયે તને શિખામણ ન લાગી? તે રત્નો લઈને તું આટલો અહંકાર કરે છે? આ તે કેવી ભયંકર કાંતિ, પ્રલયનો શણગાર! યુગાન્તની ઉલ્કાની પેઠે આ રત્નનાં ઝાંઝર તને આજે દઝાડતાં નથી? આ રત્નલલાટિકા તારા સૌભાગ્યની વજ્રાનલ- શિખા છે. તને જોઈને મારે અંગે ત્રાસનાં સ્પંદન સંચાર પામે છે, મારા ચિત્તમાં ક્રંદન જાગે છે, તારા અલંકારો મારા શંકિત કાનોમાં ઉન્માદિની શંકરીના તાંડવઝંકાર જગાવે છે. ભાનુમતી : માતા, આપણે ક્ષત્રિય સ્ત્રીઓ છીએ, દુર્ભાગ્યથી કદી ડરીએ નહિ. કદી જય, કદી પરાજય, ક્ષત્રિય મહિમાનો સૂર્ય તો કદી મધ્યાહ્ન ગગનમાં ચડે છે તો કદી અસ્તાચળે ઊતરે છે. હે માડી, આપણે ક્ષત્રવીરાંગના એ સંભારીને શંકાના પેટમાં રહેવા છતાં ક્ષણભર પણ સંકટથી ડરતી નથી. કોઈ વાર પડતા દહાડા આવ્યા, કોઈ આફત ઊતરી આવી, તો તે વખતે વિમુખ ભાગ્યનો ઉપહાસ કરતાં કરતાં કેવી રીતે મરવું તે પણ મને આવડે છે, અને જીવવું કેમ તે પણ આપના શ્રીચરણની સેવા કરીને મેં શીખી લીધું છે. ગાંધારી : બેટા, અમંગળ તારી એકલીનું નથી. તે જ્યારે પોતાના લાવલશ્કર સાથે ભૂખ શમાવે છે ત્યારે હાહાકાર ઊઠે છે, કેટલાય વીરોના રક્તના પ્રવાહમાં વિધવાની અશ્રુધારા આવી આવીને પડે છે, વધૂના હાથ પરથી સેંકડો અલંકારો ખરી પડે છે—ઝંઝાવાતથી આમ્રકુંજવનમાં જાણે મંજરી. વત્સે, બાંધેલો સેતુ તોડીશ નહિ. રમતને બહાને ઘરમાં વિપ્લવનો કેતુ ખડો કરીશ નહિ. આજે આનંદનો દિવસ નથી, સ્વજનના દુર્ભાગ્ય ઉપર અંગે અંગે શણગાર સજીને ગર્વ કરીશ નહિ, મા. આજથી સુસંયત થઈને શુદ્ધ ચિત્તે ઉપવાસવ્રતનું આચરણ કર, વેણી ખોલી નાખીને શાંત મને દેવતાની અર્ચના કર. બેટા, આ પાપ-સૌભાગ્યને દિવસે ગર્વ અને અહંકારથી વિધાતાને ક્ષણે ક્ષણે લજ્જા દઈશ નહિ. કાઢી નાખ આ અલંકારો અને નવું રક્તાંબર, થંભાવી દે ઉત્સવનાં વાજાં અને રાજઆડંબર. પુત્રી, અગ્નિગૃહમાં જા, પુરોહિતને બોલાવ, શુદ્ધસત્ત્વચિત્તે કાળની પ્રતીક્ષા કર.                                                                                                                                                                            [ ભાનુમતી જાય છે. ]

[દ્રૌપદી સાથે પાંચ પાંડવોનો પ્રવેશ ]

યુધિષ્ઠિર : વિદાય વેળાએ આશીર્વાદ માગવાને આવ્યાં છીએ, માતા. ગાંધારી : હે વત્સગણ, સૌભાગ્યનો દિનમણિ દુઃખરાત્રિનું અવસાન થતાં બમણો ઉજ્જ્વળ થઈને ઊગશે. હે મારા દુ:ખવ્રતી પુત્રો, તમે વાયુમાંથી બળ, સૂર્યમાંથી તેજ, પૃથ્વીમાંથી ધૈર્ય અને ક્ષમા પામજો. દૈન્યમાં લક્ષ્મી દીન છૂપે રૂપે નિરંતર ગુપ્ત રીતે તમારી પાછળ ફરતી રહો, અને તમારે માટે દુ:ખમાંથી અક્ષય સંપત્તિનો સંચય કરો, તમારો દેશવટો સદા નિર્ભય હો, વગર પાપે આવી પડેલા આ દુઃખભોગ તમારા અંતરમાં વહ્નિશિખાથી તપેલા દીપ્ત સુવર્ણ સમું જ્વલંત તેજ પેદા કરો. એ મહાદુ:ખ જ તમને મહાન સહાયરૂપ થઈ પડશે. ઓ દુ:ખના તો ધર્મરાજ વિધાતા તમારા ઋણી થઈને રહેશે, અને તેઓ જ્યારે પોતાને હાથે આત્મઋણ ફેડશે ત્યારે જગતમાં દેવ કે માનવમાંથી કોણ તમારા માર્ગમાં આડું ઊભું રહે એમ છે? પુત્રથીયે વધુ એવા હે પુત્રો, મારા પુત્રે જે કંઈ અપરાધ કર્યા છે તે બધા મારા આશીર્વાદથી ફોક થઈ જાઓ. અન્યાય પીડન ગભીર કલ્યાણ–સિંધુનું મંથન કરો.

[દ્રૌપદીને આલિંગન કરીને ]

ધૂળમાં રોળાયલી સુવર્ણલતા, ઓ મારી દીકરી, ઓ મારી રાહુગ્રસ્ત ચંદ્રલેખા, એક વાર માથું ઊંચું કર, મારા બોલ સાંભળ. જેણે તારી અવમાનના કરી છે તેનું અપમાન જગતમાં કાયમ રહેશે, તેનું કલંક અક્ષય બનશે. કાયરતાને હાથે થયેલી સતીની લાંછનારૂપી તારા અપમાનનો રાશિ જગતની બધી કુલાંગનાઓએ વહેંચી લીધો છે. જા બેટા, પતિ સાથે અમલિન મુખે રહી અરણ્યને સ્વર્ગ બનાવજે, દુ:ખને સુખમાં પલટી નાખજે. વહુબેટા, પતિના દુઃખની સુદુઃસહ વ્યથા હૈયે ધારણ કરીને સતીત્વની સાર્થકતાને પામજે. રાજમહેલમાં તો રાતદિવસ હજારો સુખની સામગ્રી હોય છે, વનમાં તું એકલી જ સર્વ સુખ, સર્વ સંગ, સર્વ ઐશ્વર્યરૂપ, સર્વ સાંત્વના અને સર્વ આશ્રયરૂપ, કલાંતિમાં આરામ અને શાંતિ, વ્યાધિમાં શુશ્રૂષા, દુર્દિનમાં શુભ લક્ષ્મી, તમોમયી રાત્રિના આભૂષણરૂપ મૂર્તિમતી ઉષા બની રહેશે, તું એકલી સર્વપ્રીતિ અને સર્વસેવારૂપ, જનની, ગૃહિણી, બનીને સતીત્વના શ્વેતપદ્મ સમી સંપૂર્ણ સૌરભથી શત પાંખડીએ પ્રકુલ્લીને ગૌરવપૂર્વક જાગતી રહેશે. માર્ચ, ૧૯૦૦ ‘કાહિની’

(અનુ. નગીનદાસ પારેખ)