એકોત્તરશતી/૩૮. પ્રતિજ્ઞા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રતિજ્ઞા

હું તાપસ નહિ થાઉં, નહિ થાઉં, નહિ થાઉં', જેને જે કહેવું હોય તે કહે. જો તપસ્વિની ન મળે તો હું જરૂર તાપસ નહિ થાઉં. મેં કઠિન પ્રતિજ્ઞા કરી છે કે જો બકુલ વન ન મળે, જો મન જેવું મન જીતવા ન પામું, તો હું તાપસ નહિ થાઉં, નહિ થાઉં, જો તે તપસ્વિની ન મળે તો. હું ઘર છોડીને બહાર નહિ જાઉં, હું ઘર નહિ છોડું, ઉદાસીન સંન્યાસી થઈને બહાર નહિ જાઉ. જો ઘરની બહાર કોઈ જ વિશ્વને લોભાવનારું હાસ્ય ન હસે. મધુર વાયુથી અત્યંત ચંચલ એવું નીલાંચલ જો ન ઊડે, કંકણ અને નૂપુર જો રુમઝુમ ન વાગે, જો તપસ્વિની ન મળે તો હું તપસ્વી નહિ થાઉં, નહિ થાઉં, તારા સમ, હું તાપસ નહિ થાઉં. જો તે તપને જોરે નવીન હૃદયમાં જો હું નવું વિશ્વ રચી ન શકું, જો હું વીણાના તાર ઝંકારીને કોઈના મર્મનાં દ્વાર તોડીને, કોઈ નવીન આંખને ઇશારો ન સમજી લઉં, જો તપસ્વિની ન મળે તો હું તાપસ નહિ થાઉં, નહિ થાઉં. જુલાઈ, ૧૯૦૦ ‘ક્ષણિકા’

(અનુ. નગીનદાસ પારેખ)