કળા, સાહિત્ય અને વિવેચન/સાહિત્યિક ઇતિહાસ સ્વરૂપ અને લેખન
સાહિત્યને વિષય કરીને હાથ ધરાતાં વિદ્યાકીય કોટિનાં લખાણોને તેનાં સ્વરૂપ, પ્રયોજન અને પદ્ધતિને ધ્યાનમાં લેતાં નીચેની મુખ્ય શાખાઓમાં વહેંચી શકાય : ૧. સાહિત્યનો સિદ્ધાંતવિચાર(theory of literature), ૨. સાહિત્યકૃતિનું પ્રત્યક્ષ વિવેચન(practical criticism), ૩. સાહિત્યિક સંશોધન(literary research), અને ૪. સાહિત્યિક ઇતિહાસ (literary history). આ વિદ્યાશાખાઓ પરસ્પર ગાઢ રીતે સંકળાયેલી છે, અને ઓછેવત્તે અંશે પરસ્પરને ઉપયોગી પણ છે. એક અલગ અને સ્વતંત્ર વિદ્યાશાખા લેખે સાહિત્યિક ઇતિહાસ, વિવેચન અને સંશોધનનાં લખાણોથી મૂળભૂત પ્રયોજનમાં જુદો પડે છે, એટલે એનું સ્વરૂપ અને એની લેખન પદ્ધતિય મૂળથી જુદાં પડે છે. સાહિત્યિક વારસામાંની મુખ્યગૌણ કૃતિઓને લગતા સ્વતંત્ર અને છૂટક વિવેચનલેખોનો સંચય માત્ર સાહિત્યિક ઇતિહાસ નથી; તેમ નાનામોટા સાહિત્યકારોનાં ચરિત્રનો અને તેમની દરેકની લેખનપ્રવૃત્તિનો સમયના ક્રમમાં પરિચય આપવાથીય એવા સંકલનને સાહિત્યિક ઇતિહાસ લેખે ભાગ્યે જ કશું મહત્ત્વ પ્રાપ્ત થાય છે. સાહિત્યનો ઇતિહાસકાર તો દૂર ભૂતકાળથી વર્તમાન સુધી ખેડાતા રહેલા વિશાળ વૈવિધ્યભર્યા સાહિત્યમાં અંતર્હિત રહેલી કોઈક પાયાની વ્યવસ્થા(order)ની તપાસ કરવા ચાહે છેઃ સાહિત્યના ભિન્ન ભિન્ન તબક્કાઓમાં અને ભિન્ન ભિન્ન સ્તરોએથી નાનાંમોટાં તંત્રો(system)ની ઓળખ કરી તેમાંથી શક્ય તેટલા વ્યાપક તંત્રની સ્થાપના કરવાનો તેનો મુખ્ય હેતુ છે. ખરેખર તો સમગ્ર સાહિત્યને ‘સાતત્ય’ (continuity) અને ‘પરિવર્તન’(change)ની અતિ સંકુલ ઐતિહાસિક ઘટના રૂપે તે જુએ છે અને સ્વીકારે છે. સાહિત્યક્ષેત્રમાં ‘વિકાસ’, ‘પ્રગતિ’ કે ‘ઉત્ક્રાંતિ’ની પ્રક્રિયાને સમજવા ચાહે છે. સમયેસમયે સાહિત્યિક પ્રવૃત્તિમાં જે કંઈ નવપ્રસ્થાનો થયાં છે, પરિવર્તનો આવ્યાં છે, વિવિધ દિશાઓમાં સંચલનો થયાં છે, અને વિકાસવિસ્તાર સધાતો રહ્યો છે તેની પાછળના મૂળભૂત આશયોને અને સમગ્ર પરિવર્તનપ્રક્રિયામાં પ્રગટ થતા વ્યાપક નિયમોને તે જાણવા ચાહે છે. એવા નિયમોનું જ્ઞાન સ્વયં સાહિત્યવિશ્વમાં અંતર્હિત રહેલા કોઈ વ્યાપક તંત્ર તરફ દોરી જશે એવી પાયાની આસ્થા તે ધરાવે છે. એવી આસ્થા લઈને તે નવું જ્ઞાનવિશ્વ રચવા ચાહે છે. સાહિત્યક્ષેત્રમાં પરિવર્તનની પ્રક્રિયા જુદાંજુદાં સ્તરોએથી સંભવે છે. સમયેસમયે રાજકીય અને સામાજિક જીવનમાં નાનામોટા પલટાઓ આવતા રહે છે. ધર્મ, સંસ્કૃતિ અને સાહિત્યકળાઓનાં ક્ષેત્રોને પ્રેરતી અને અસર કરતી નવી વિચારધારાઓ જન્મે છે, નવા આદર્શો અને નવાં મૂલ્યોની સ્થાપના થાય છે. જ્ઞાનવિજ્ઞાનનાં ક્ષેત્રોમાં નવાં સત્યો અને નવી અંતર્દૃષ્ટિઓ પ્રગટ થાય છે. આમ સમાજજીવનની મૂળભૂત પરિસ્થિતિ કોઈક રીતે બદલાવા માંડે છે, અને તે સાથે સાહિત્યજગતમાં નવા જ અનુભવો, નવા જ સંઘર્ષો અને નવા જ વર્ણ્યવિષયો(themes) રજૂ થવા ઝંખે છે. નવી સાહિત્યસામગ્રીને પર્યાપ્ત રૂપ આપવાના પ્રયત્નોમાં પ્રચલિત સાહિત્યસ્વરૂપો, આકારો, શૈલીઓ અને રચનાગત પ્રયુક્તિઓ, પ્રણાલીઓમાં ઓછોવત્તો ફેરફાર આવે છે. અભિવ્યક્તિનાં સાધનો લેખે પરંપરાપ્રાપ્ત પ્રતીકોના વિનિયોગમાંય પરિવર્તન આવે છે અને બદલાતાં જ્ઞાનવિજ્ઞાનના પ્રકાશમાં પુરાણકથાઓને નવું અર્થઘટન અને નવું સ્થાન મળે છે. પણ એ સાથે સમયે સમયે સાહિત્યકળા અને સૌંદર્યની બદલાતી વિભાવના પણ સમગ્ર સર્જનપ્રવૃત્તિને કે તેના કોઈ એક પ્રવાહને સીધી અસર કરે છે. સાહિત્યપ્રવૃત્તિ, આમ પણ, રમણીયતા સાધવાને કશાક નૂતનની, કશાક મૌલિકની અને કશાક અપૂર્વની ઝંખના કરે છે. એટલે કશાક અપૂર્વ નિર્માણની દિશામાં તે ગતિ કરવા પ્રવૃત્ત થાય એ સહજ છે. એટલે જુદાજુદા તબક્કામાં જે રીતે જૂનાં સર્જકવલણો વિરમે છે, અને નવાં જન્મ લે છે, જે રીતે જૂની સાહિત્યિક પરંપરા લુપ્ત પામે છે, નવસંસ્કરણ પામીને ટકી રહે છે કે તેના અમુક પ્રાણવાન અંશો નવી આકાર લેતી પરંપરામાં આત્મસાત્ થાય છે, અને નવી પરંપરાય જે રીતે વિકાસની અમુક સીમાએ પહોંચીને સ્થગિત થવા માંડે છે અને વિઘટન પામવા માંડે છે – એ સર્વ સાહિત્યિક ઘટનાઓમાં ‘સાતત્ય’ અને ‘પરિવર્તન’ પર ઇતિહાસકારની દૃષ્ટિ મંડાય છે. જે કંઈ ‘સત્ત્વ’ પ્રાણવાન સત્ત્વશીલ અને ગતિશીલ હોઈ મૂળ રૂપમાં કે નવસંસ્કાર પામીને ટકી રહે છે તેમાંય તેને ઊંડો રસ રહ્યો છે, તો યુગેયુગે, પેઢીએપેઢીએ જે કંઈ નવપરિવર્તન આરંભાય છે તેમાંય એટલો જ ઊંડો રસ તે ધરાવે છે. સાહિત્યક્ષેત્રમાં જે રીતે નવપ્રસ્થાનો આરંભાય છે, જે રીતે પરિવર્તનો આરંભાય છે કે નવો પ્રવાહ શરૂ થાય છે તેમાં સર્જકપ્રતિભા અમુક ભાગ ભજવે છે તે હકીકત સ્વીકારીએ તોપણ સાહિત્યના પ્રવાહો અને પરંપરાઓમાં આવતાં પરિવર્તન એ કેવળ વૈયક્તિક ઇચ્છા કે રુચિની બાબત પણ નથી. સર્જકપ્રતિભા શૂન્યાવકાશમાં કામ કરતી નથી. તેના યુગના સામાજિક, સાંસ્કૃતિક સંયોગો, વિચારધારાઓ, સાંસ્કૃતિક આંદોલનો આદિ અનેક પરિબળો તેની ચેતનાને પ્રગટપણે કે પ્રચ્છન્નપણે અસર કરે છે. સાહિત્યનો ઇતિહાસકાર કૃતિ, સર્જકમાનસ અને યુગનાં સર્વ વિચારવલણો વચ્ચેનો આંતરસંબંધ સ્થાપવા ચાહે છે. એ વિશે જે કંઈ હકીકતો, સત્યો અને વિવેચનો, મૂલ્યાંકનો ઉપલબ્ધ થાય છે તેમને કાર્યકારણના સંબંધોથી સાંકળવામાં અને જે પરિવર્તનો અને રૂપાંતરો સધાયાં હોય તેની પાછળ કામ કરતા નિયમો રચવામાં તેને વિશેષ રસ છે. સાહિત્યના બદલાતા પ્રવાહોને અને તેમાં આવતાં પરિવર્તનોને પ્રજાજીવનના ફેરફારો સાથે અમુક સંબંધો હોવાનું સમજાય છે, છતાં સાહિત્યિક ગતિવિધિઓમાં આવતા નાનામોટા બદલાવોને સર્વસામાન્ય પ્રજાજીવનની બદલાતી ગતિવિધિઓ સાથે સાદ્યંત કાર્યકારણભાવે સાંકળવાની મુશ્કેલીઓ પણ છે. સાહિત્યપ્રવૃત્તિ પ્રજાજીવનનાં વહેણોથી સ્વતંત્ર અને સ્વાયત્તપણે ચાલે છે અને એના વિકાસ, પરિવર્તનના આગવા નિયમો સંભવે છે – એમ માનનારો વર્ગ સાહિત્યિક ઇતિહાસની રચના પરત્વે સંશય પ્રગટ કરે છે. એટલે, સાહિત્યિક ઇતિહાસની અલગ વિદ્યાશાખાનો જેઓ સ્વીકાર કરે છે તેઓ સાહિત્યપ્રવૃત્તિને સામાજિક, સાંસ્કૃતિક પ્રવાહો સાથે માર્મિક સંબંધનો સ્વીકાર કરીને ચાલે છે. પણ, બીજી બાજુ, સાહિત્યિક ઇતિહાસનું મૂળભૂત રીતે એક અને અખંડ તંત્ર રચી શકાય નહિ, એમ નવ્ય ઇતિહાસવાદીઓ કહેવા માંગે છે. એવી પરિસ્થિતિમાં, સાહિત્યિક ઇતિહાસના સમર્થકો એમ પ્રતિપાદિત કરે છે કે એવું એક અખંડ તંત્ર રચવાનું ભલે મુશ્કેલ હો, સાહિત્યનો ઇતિહાસકાર સર્જનવિવેચનની પ્રવૃત્તિમાં દરેક તબક્કે દરેક નાનાંમોટાં ખંડકો-(segments)માં પ્રગટપણે તંત્ર નિર્માણ કરવાની દિશામાં મૂળભૂત વૃત્તિવિશેષ કામ કરી રહ્યો હોવાનું સમજાશે. ઇતિહાસકારે સાહિત્યના ઇતિહાસના લેખન અર્થે શક્ય તેટલાં નાનાંમોટાં તંત્રો નિર્માણ કરતા પ્રવૃત્ત થવું જોઈએ. સાહિત્યના ઇતિહાસની રચના અર્થે ઉપલબ્ધ સામગ્રી ઘણું કરીને નીચેનાં ક્ષેત્રોમાં તંત્રરૂપે પ્રમાણમાં સરળતાથી યોજી શકાય છે : ૧. દરેક સાહિત્યકારનું સાહિત્યવિશ્વ : દરેક સર્જકની પ્રતિભા નિરાળી હોય, તેનું વિશ્વદર્શન આગવું હોય, તેનું સંવેદનતંત્ર યુગનાં વિશિષ્ટ વિચારવલણોથી પ્રભાવિત હોય અને સાહિત્યકળા અને સૌંદર્યનિર્માણ વિશે આગવી સૂઝસમજ તેણે કેળવી હોય તો તેની સમગ્ર સાહિત્યસૃષ્ટિમાં ક્યાંક મૂળની સજીવ એકતા અને અખિલાઈ પ્રાપ્ત થાય છે. એમાં કોઈ તબક્કે નાનું કે મોટું પરિવર્તન આવ્યું હોય તો તેની પાછળનું ચોક્કસ તર્કસૂત્ર પણ મળી આવવા સંભવ છે. પોતાનું લેખન તે ચોક્કસ સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરાઓ વચ્ચે આરંભે છે, ત્યારે એ પરંપરાઓનો ઓછોવત્તો સ્વીકાર કરે છે અને તેનું નવસંસ્કરણ કરે છે, એ ઘટના પણ ઘણે અંશે સમજાય છે. એ રીતે કોઈ એક સાહિત્યકારના વિશ્વમાં તંત્રની ઓળખ એટલી મુશ્કેલ નથી. ૨. સાહિત્યિક યુગની રચના : સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સમયે સમયે આવતાં મોટાં પરિવર્તનો કે મોટા વળાંકોને લક્ષમાં રાખી ચોક્કસ સાહિત્યિક યુગની રચના કરી શકાય. પ્રજાના ઇતિહાસમાં આવતા પલટાઓ સાથે સાહિત્યિક યુગ તંતોતંત બંધ બેસે એમ હંમેશા બનતું નથી. એ ખરું કે રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ બદલાતાં સાહિત્યક્ષેત્રમાંય તેનો અમુક પ્રભાવ વરતાવા લાગે છે, પણ સાહિત્યિક યુગના આરંભ અને અંતની સમયરેખા વિશિષ્ટ સાહિત્યિક પ્રવાહોના આરંભઅંત સાથે સાંકળવામાં આવે છે. જે સમયખંડમાં સાહિત્યકળા અને સૌંદર્ય વિશે કોઈ સર્વથા નવી વિચારણા આંદોલિત થાય છે, સાહિત્યક્ષેત્રમાં નવા વિષયો, નવા આકારપ્રકારો અને નવી શૈલીઓ ખેડાય છે અને કૃતિવિવેચનનાં નવાં મૂલ્યો અને નવાં ધોરણો પ્રચારમાં આવે છે ત્યારે એ સમયખંડ અલગ સાહિત્યિક યુગ રચે છે. આમ તો દરેક સાહિત્યિક યુગમાં આગલા યુગના પ્રવાહોનુંય અમુક સાતત્ય જળવાઈ રહે છે અને અનુગામી યુગમાં એના નવા પ્રવાહો વિસ્તરે છે. છતાં દરેક સાહિત્યિક યુગ એનો કેટલાંક અપૂર્વ વિચારવલણો અને એના વિશેષ મૂલ્યતંત્રથી નોખો ઊપસી આવે છે. સાહિત્યિક યુગની રચનામાં સમયની diachronic રેખા પરની ગતિવિધિઓનો તેમ synchronic રેખાની ગતિવિધિઓનોય વિચાર કરવાનો રહે છે. એક જ સમયખંડમાં ઊપસેલાં વર્ણ્યવિષયો, સાહિત્યસ્વરૂપો, આકારો અને શૈલીઓ આદિ પરસ્પરને કેવી રીતે પ્રેરે છે કે પ્રભાવિત કરે છે તેય લક્ષમાં લેવાનું રહે. ૩. સાહિત્યસ્વરૂપનો ઉદ્ભવવિકાસ : દરેક સાહિત્યના ઇતિહાસમાં મુખ્યગૌણ અનેક સાહિત્યસ્વરૂપો ખેડાતાં રહ્યાં છે. એ દરેક સ્વરૂપ વિશિષ્ટ સામાજિક સાંસ્કૃતિક અને સાહિત્યિક સંયોગો વચ્ચે ઉદ્ભવ્યું હોય, અનુકૂળ સંયોગોમાં ‘વિકાસ’ પામીને અમુક પરાકાષ્ઠાએ પહોંચ્યું હોય, એમાં આંતરિક પરિવર્તનો, રૂપાંતરો સધાયાં હોય, સમય જતાં સ્થગિત થઈને લોપ પામ્યું હોય કે તેનું ગૌણ સ્વરૂપોમાં વિઘટન થવા પામ્યું હોય – એ આખો ક્રમ લક્ષમાં લઈ તેનું આગવું તંત્ર રચી શકાય છે. જોકે દરેક યુગમાં મુખ્યગૌણ સ્વરૂપોની સહોપસ્થિતિ સ્વયં એક ગતિશીલ સંરચના સંભવે છે. દરેક સ્વરૂપ પ્રવર્તમાન અન્ય સ્વરૂપો સાથે ક્રિયાપ્રતિક્રિયાથી સંકળાય છે અને સાહિત્યિક યુગ બદલાતાં એ સંરચનાગત માળખું બદલાતું રહે છે અને સ્વરૂપો વચ્ચે નવેસરથી ઉચ્ચાવચ ક્રમ રચાય છે. સાહિત્યિક સામગ્રી યોજવામાં સ્વરૂપગત તંત્ર ઘણું મોકળાશ આપે છે, પણ એ કોઈ એક જ સર્જકપ્રતિભા કે યુગ પૂરતું સીમિત રહેતું નથી. ૪. સાહિત્યનિર્માણમાં પ્રેરક બનતી વિચારધારાઓ, વાદો અને હિલચાલોનેય એનું આગવું તર્કસૂત્ર સંભવે છે. વર્ણ્યવસ્તુ લેખે સ્વીકારાતી પૌરાણિક, ઐતિહાસિક કે લોકકથારૂપ સામગ્રીઓ, પરંપરાપ્રાપ્ત પ્રતીકો, આર્કિટાઈપ્સ અને લોકસાહિત્યનાં મોટિફો, કથનરીતિઓ, શૈલીઓ, અભિવ્યક્તિના ઢાંચાઓ – એ સર્વ વિષયોનેય ચોક્કસ તંત્રમાં ઢાળવાનું એટલું મુશ્કેલ નથી. ૫. સાહિત્યસર્જન સાથે ગાઢ સંબંધ રાખતું કાવ્યશાસ્ત્ર અને કૃતિવિવેચનની નાનીમોટી પરંપરાઓનેય આગવું તર્કસૂત્ર હોય છે. એ જ રીતે શિષ્ટ સાહિત્યકૃતિઓ વિશે દરેક પેઢીના ભાવકો, વિવેચકોએ વિવેચનમૂલ્યાંકન રૂપે જે કંઈ પ્રતિભાવો દર્શાવ્યા હોય અને અનુગામી પેઢીના ભાવકો, વિવેચકો પર એ પ્રતિભાવોના જે સંસ્કાર પડ્યા હોય કે રસરુચિના વિકાસમાં એનો જે પ્રભાવ હોય કે આગલી પેઢીના વિવેચન સામે પ્રતિવાદરૂપે નવી પેઢીના વિવેચકોએ જે પુનર્વિવેચન કર્યું હોય તે સર્વ વિવેચનસાહિત્ય પણ આગવાં વલણો દાખવે છે અને તેમાંય કળાત્મક રુચિદૃષ્ટિ પાછળનું આંતરસૂત્ર પકડી શકાય. સાહિત્યિક ઇતિહાસના લેખન અર્થે આવાં નાનાંમોટાં તંત્રો રચવાની દિશામાં ઇતિહાસકાર પ્રવૃત્ત થાય છે, ત્યારે તેની સામે સૌથી મોટી મુશ્કેલી એ છે કે આવું દરેક તંત્ર પરસ્પરથી અલગ બની, સ્વાયત્ત અને સ્વકેન્દ્રી બનવાનું વલણ ધરાવે છે. એ કારણે સાહિત્યના પ્રવાહોમાં પરિવર્તન- પ્રક્રિયાઓ પ્રચ્છન્ન બની રહે એવો ભય છે અને છેવટે પડકારરૂપ પ્રશ્ન તો આવાં નાનાંમોટાં તંત્રો નીચે કોઈ વ્યાપક તંત્ર શોધવાનો છે. ઇતિહાસકારે એ માટે કૃતિ, કર્તા અને તેની સાથે સંબંધિત જેટલી જેટલી સંગીન અને શ્રદ્ધેય માહિતી એકત્ર કરી હોય, અને તેને લગતું જે કંઈ વિવેચન, મૂલ્યાંકન ઉપલબ્ધ થયું હોય તેમાં સાતત્ય અને પરિવર્તનની વ્યાપક પ્રક્રિયાને અનુરૂપ વિગતોનું સ્થાન નક્કી કરવાનું રહે. આગલા યુગના સાહિત્યની પ્રેરણા અને પ્રભાવ પણ સૂક્ષ્મ વિવેકદૃષ્ટિથી નિર્ણીત કરવાનો રહે, તો પૂર્વાપર ઘટનાઓ વચ્ચે કાર્યકારણનો કોઈ અનિવાર્ય સંબંધ છે કે કેમ તેનોય વ્યાપક ભૂમિકાએથી વિવેક કરવાનો રહે, વળી એક જ સમયખંડમાં સર્જનવિવેચનના ક્ષેત્રે પરસ્પરવિરોધી કે વિસંવાદી વલણો સક્રિય હોય તેનુંય સ્પષ્ટીકરણ કરવાનું રહે, અને આગળપાછળના સાહિત્યમાં જે દ્વન્દ્વાત્મક પ્રક્રિયા ચાલે છે તેનેય તાર્કિક રીતે સમજાવવાની રહે, સાહિત્યજગતમાં જુદેજુદે તબક્કે પ્રાચીન પરંપરાઓ તરફ પાછા વળવાનું કે તેનો નવેસરથી વિનિયોગ કરવાનું વલણ દેખા દે છે. આ સર્વ ઘટનાઓને યથાર્થ રૂપે ગોઠવવા માટે ઇતિહાસકાર પાસે સૌથી વિશાળ પરિપ્રેક્ષ્ય જોઈએ.