કાવ્યાસ્વાદ/૧૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૭

એડવર્ડ કોચબેક નામના કવિની એક કવિતા એક વાર વાંચવામાં આવી હતી. આજની આપણી પરિસ્થિતિમાં મને એનું ફરી વાર સ્મરણ થયું. કવિતા વાંચતાં હું ખૂબ વિક્ષુબ્ધ થઈ ગયો હતો એ યાદ આવ્યું. કવિતા છે તો પોપટો વિશે. કવિ પોતાની આસપાસની દુનિયાને જોઈને કહે છે : અમારા પ્રાન્ત પર ઊધઈએ હુમલો કર્યો. પુલ ખવાઈ ગયા, પૂતળાં ખવાઈ ગયાં, ટેબલ ભૂકો થઈને ખરી પડ્યાં, પથારી રજરજ થઈને ધૂળમાં ભળી ગઈ. પ્રયોગશાળામાં રોગનાં જન્તુઓ ઘૂસી ગયાં અને શુદ્ધ કરેલાં ઓજારો પર જઈને બેઠાં. બધા નિષ્ણાતોને તો એમના અસ્તિત્વની ખબર સુધ્ધાં પડી નહીં, એઓ છેતરાઈ ગયા. આ બધું નિઃશબ્દપણે બન્યું ને તેથી વધારે ભયંકર લાગ્યું. પછી તો અમારા પર પોપટોએ હુમલો કર્યો : લીલા પોપટ અને પીળા પોપટ. અમારા ઘરમાં, રસોડામાં આ પોપટોએ ચીસાચીસ કરી મૂકી. આ પોપટો ભારે લોભી હતા, ખૂબ ગંદા અને હીણા હતા. આખરે ક્યાંય તસુભાર જગ્યા ખાલી રહી નહીં ત્યારે તેઓ માણસોની અંદર ઊતરીને વસવા લાગ્યા. આ બધું એટલા બધા ઘોંઘાટથી થયું કે, ખૂબ ભયંકર લાગ્યું. હવે તો અમે નથી બોલી શકતા સાચું કે નથી બોલી શકતા જૂઠું. કોઈ અજાણી પ્રજાની જ ભાષા અમે બોલીએ છીએ, અમે એકબીજાને શાપ આપીએ છીએ, એકબીજા સામે ઘૂરકિયાં કરીએ છીએ અને ગર્જના કરીએ છીએ. અમે અમારા હોઠ અંદર ખેંચી લઈએ છીએ, અમારી આંખો બહાર નીકળી આવી છે. રાજાના દરબારનો વિદૂષક સુધ્ધાં ગાંડો થઈ ગયો છે અને બીજા બધાની જેમ ચીસાચીસ કરે છે. છતાં, હજી ક્યાંક કોઈ ચૌટામાં કે ચકલે થોડાંક માણસો આ બધા ઘોંઘાટના કેન્દ્રમાં રહેલી નીરવતાને નિઃશબ્દપણે તાકીને જોઈ રહે છે. હાલ્યાચાલ્યા વિના એઓ કલ્યાણમયી શાન્તિ ભોગવતા માત્ર ઊભા રહે છે. શાંતિના આ જમાનાજૂના બોજાનો ભાર ઉપાડવાને કારણે એમના ખભા પહોળા ને પહોળા થતા જાય છે. એ લોકો જે ઘડીએ અમારી પીઠ કરશે તે ઘડીએ અમારામાં વસતા પોપટો મરી પરવારશે. આજના આપણા સન્દર્ભમાં કવિની વાત સાચી લાગતી નથી? આપણા પર પહેલો હુમલો થયો ઊધઈનો, પણ એ તો કશા અવાજ વિના થયો. આપણી બધી સંસ્થાઓ, આપણે પોતે અંદરથી ખવાઈ ગયા. બહારથી તો બધું એમ ને એમ લાગે, પણ સહેજ અડતાંની સાથે બધું ખરી પડે. આપણી બધી જ સામાજિક, રાજકીય, ધા*િ&@r__મક સંસ્થાઓમાં ખાઉધરી ઊધઈ જેવા અંદર રહીને બધું કોરી ખાનારા લોકો પેઠા છે. ધર્મ નિસ્તેજ બની ગયો છે. સમાજ પાસે થોડાં વહેમનાં માળખાં જ રહ્યાં છે. સરકારો ઊથલી પડે છે. પછી વધારે ખતરનાક હુમલો થયો રોગનાં કીટાણુઓનો. આપણે તો હંમેશાં સદાચારનું, નીતિનું સ્તોત્ર લલકારનારા. આપણે તો હમેશાં ગોખતાં આવેલા કે આપણું બધું જ શુદ્ધ છે. આપણે આ ભોળપણનો ભોગ બન્યા અને જીવલેણ આત્મવિનાશક જન્તુઓ બધે વ્યાપી ગયાં. આની સુધ્ધાં આપણને ખબર પડી નહીં. પછી તો આપણે એવા પોલા થઈ ગયા કે આપણી બખોલમાં પોપટો વસવા લાગ્યા. સભાસ્થાનોમાં, સરઘસોમાં, શિક્ષણસંસ્થાઓમાં, સંસદોમાં ને વિધાનસભાઓમાં કેવા ઘોંઘાટિયા, ગંદા અને હીણા પોપટોનો અવાજ આપણે સાંભળીએ છીએ! હવે આપણી ભાષાયે આપણી રહી નથી, એ કોઈ અજાણી પ્રજાની ભાષા બની ગઈ છે. આપણે હવે સત્ય કે અસત્યને ઓળખતા નથી. જેને કેવળ સૂત્રો રટવાં હોય, નારા ગજાવવા હોય, શુકપાઠ કરવો હોય તેને સત્ય અસત્યના વિવેકનું કામ શું? આપણી ભાષામાં પારદર્શકતા નથી, ખંધાઈ છે; એમાં મૌલિકતા નથી, એકવિધતા છે. આમ છતાં આપણી વચ્ચે હજી ક્યાંક થોડાં એવાં માણસો છે, જે આ બધા ઘોંઘાટ વચ્ચે નીરવ છે, આ ઘોંઘાટના કેન્દ્રમાં રહેલી શાંતિને પોતાના ખભા પર ઝીલી રહ્યા છે. આથી તો એમના ખભા પહોળા ને પહોળા થતા જાય છે. જો એ લોકો પીઠ ફેરવી દેશે તો આ પોપટો મરી પરવારશે, પછી નક્ષત્ર ગ્રહોમાં જેવી નિઃશબ્દતા હોય છે તેવી નિઃશબ્દતા અહીં છવાઈ જશે.