કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૩. હવે આવો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૩. હવે આવો

ઉશનસ્

અરે જે જે ચ્હેરા ભવપથ જતાં સંમુખ મળ્યા
અમે ચાહી બેઠાં તરત, મીણની જેમ પીગળ્યાં,
કહી બેઠાંઃ ‘ઓ રે સ્વજન મુજ!’ સ્નેહાશ્રુ તલક્યાં,
ગહેકી ઊઠ્યા રે ગીતમયૂર — ને છંદ છલક્યા;

હજી તો આંખોમાં અઁસવન સુકાયાંય ન હતાં,
હજી તો પ્રાણોમાં પુલક પ્રીતનીયે શમી ન’તી
અને એ ચ્હેરાઓ સમયક્રમમાં ખીલી ફૂલ શા
— પ્રવાસી — આવીને મુજ નયન, રસ્તે પડી ગયા;

હવે ક્રંદે છંદો, ગમગીન ગીતોના લય રડે,
પડ્યા ખાલીપાની ભીતર શબદાકાશ ખખડે,
અરેરે કોને હું સ્વજન કહી બેઠી’તી પગલી?
ઊઠ્યા’તા તો કોને અરથ પછી આ છંદય છલી?

હવે આવો, આવો, સ્વજન મુજ સાચ્ચા! સ્ફુટ થઈ
—ને દરસ દ્યો
ઝૂરંતા છંદોને લય હકનું સિંહાસન લઈ
કૈં અરથ દ્યો.

૧૮-૭-૭૧

(સમસ્ત કવિતા, પૃ. ૪૧૧)