કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૫૦. વિદાય વેળાએ વિસર્જન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫૦. વિદાય વેળાએ વિસર્જન

ઉશનસ્

વિદા લેવાની યે પળ પણ પૂગી આવી; જવું છે
અજાણ્યા આઘેના પરિચય વિનાના મુલકમાં;
ઉલ્લંઘાશે રેખા સરહદી અહીંની પલકમાં,
વિસર્જી આંહીનું વજન અહીં, ખાલી જ થવું છે;

ઘણો લાંબો — જાણું છું હું પથ અને એકલ જવું;
ઉતારીને બોજો શિર, પીઠ અને કાંધ પરથી:
ચઢાણો યે હોંશે ગિરિસમ સીધાં કૈં શિખરથી,
ઉશેટી ઇચ્છાઓ, સ્મૃતિ પણ, થવું સાવ હળવું;

વિસર્જું, લ્યો, જાઓ ગગન મુજ, આદિ ગગનમાં,
મહારી પૃથ્વી તે પૃથુલ પૃથિવીમાં ભળી જજો;
મહારા પાંચે યે ભૂત, અસલ પંચત્વ ભળજો,
રહેજો ના બાકી કંઈ જ હુતશેષે જગનમાં;

પરંતુ કેમે ના છૂટત હિય, જ્યાં પ્રીત ઉછરી;
જઉં કોને આપી સમજ ન પડે;
અનહદ! તને લે, દઈ દઉં છું બ્રહ્માર્પણ કરી.

(શબ્દ મેં પ્રેમ ભણી વાળ્યો છ,ે પૃ. ૧૦૦)