કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૨૯. દાંડીને

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૯. દાંડીને

નથી તવ તટે મહા ઘૂઘવતા સમુદ્રો પડ્યા,
નથી તવ તટે કદીય જગ-જ્હાજ તો લાંગર્યાં;
અપાર નવ એ ઊંડાણ જગના મહાસિન્ધુ શાં;
કવું ક્યમ સ્તુતિ કહે હું તવ? — તું સમુદ્રેય ના.
નથી અમર આંસુડે ઝળકતી દીવાદાંડીએ;
તૂટેલ પથરા પડ્યા, રખડતા-રડે પાદરે.
ભર્યાં કદમ ભૂમિમાં નવજવાન શા ડોસલે,
સુવર્ણ ધૂળની શી ! ધન્ય પગલે—અડી પારસે.
તપ્યો તપ અગમ્ય કોઈ વીરલે, ફળે—પાંગરે,
સમુદ્ર થકી એ અપાર નવ નાવડાં લાંગરે;
કણે-વિચિગણે વસે અમરતા-લસે ધન્યતા;
સુવર્ણ ઇતિહાસનાં પ્રથમ ગાન તારા તીરે !
આળોટે જ્યાં રૂદન કરતા દાંડી પાષાણખંડ !
ત્યાં રોપાયો અમર સ્મૃતિ શો રાષ્ટ્રનો માનદંડ !

૨૮-૪-’૩૦
(કોડિયાં, પૃ. ૧૪૬)