કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૨૩. અમને જળની ઝળહળ માયા...

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૨૩. અમને જળની ઝળહળ માયા...

અમને જળની ઝળહળ માયા
ધરતી ઉપર નદી સરોવર
દળવાદળની છાયા.
લીલાં લીલાં વૃક્ષ
     નદીમાં ન્હાય નિરાંતે,
અકળવિકળનું ગીત લઈને
     સદીઓની સંગાથે
ચકળવિકળ આ લોચન નીરખે
પળપળના પડછાયા…
વસંતનું આ ગીત લઈને
     કયો ઉમળકો છલકે
સુખની ભીની સોડમ લઈને
     મનમોજીલું વલખે
અલકમલકનાં રૂપઅરૂપ કંઈ
પાંપણમાં પથરાયાં…


(વિદેશિની, પૃ. ૩૧૨)