કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૨૨. મિલકત પરાઈ છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૨. મિલકત પરાઈ છે


મુકદ્દરની કનડગત છે, સમયની બેવફાઈ છે;
જીવનની લાજ ખુદ એના જ ઘરનાંથી લુંટાઈ છે.

દિલે પોતે જ પરખાવા ન દીધું પોત દુનિયાનું;
સુમન ઓથે જ કંટકની બધી લીલા રમાઈ છે.

તરંગોના બળે સાતે ગગનને આવરી લેશું,
હવાઈ મંઝિલો કાજે તુરંગો પણ હવાઈ છે.

અમર પંખી! પરમ સદ્ભાગ્ય! કે પિંજર મળ્યું નશ્વર!
ખુશીથી દર્દ માણી લે, ઘડીભરની જુદાઈ છે.

દયા ખાજો બળી શકતા નથી એવા પતંગોની,
દીપકની આગમાં તો વેદનામુક્તિ લપાઈ છે.

જીવન અર્પણ કરી દીધું કોઈને એટલા માટે,
મરણ આવે તો એને કહી શકું, ‘મિલકત પરાઈ છે!’

અમસ્તી હોય ના ભરતી કદી ઊર્મિના સાગરમાં,
એ કોની પ્રેરણાથી શૂન્યની ગઝલો લખાઈ છે?

(શૂન્યનો વૈભવ, પૃ. ૨૬૧)