કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૨૮. રસ્તો નથી જડતો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૮. રસ્તો નથી જડતો


કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો;
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.

તમારા મનને જીતી લો તો હું માનું, ‘સિકંદર છો’;
નહીંતર દિગ્વિજય ઉચ્ચારવામાં શ્રમ નથી પડતો.

સદા સંસારીઓ પર શાપ છે સંતાપ સહેવાનો;
ધરાથી દૂર ઊડનારાને પડછાયો નથી અડતો.

બનાવીને સુરાલયનો ખુદા એને કરું સજદા!
બતાવો એક પણ એવો, નશો જેને નથી ચડતો!

નજર હો તો બતાવે છે બધું શ્રદ્ધા જ ઘર બેઠાં;
ફરે છે બાવરો થઈ શૂન્ય કાં જંગલમાં આથડતો?

(શૂન્યનો વૈભવ, પૃ. ૩૦૨)