ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search



કૃતિ-પરિચય

‘ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે’

‘ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે’ (૨૦૧૩) રમણ સોનીનો નવમો વિવેચનસંગ્રહ છે. પુસ્તકમાં ૧૫ લેખો સાહિત્યવિચાર અને સાહિત્યપ્રવાહો સંબંધિત છે જ્યારે ૧૧ ગ્રંથસમીક્ષાઓ છે. આ ગ્રંથમાં મહત્ત્વના વિવેચનાત્મક અને સર્જનાત્મક ગ્રંથો વિશેના વિશ્લેષણમૂલક અભ્યાસલેખો પ્રાપ્ત થાય છે. ‘સ્વૈર આસ્વાદ-આલેખો’ કે ‘અહેવાલિયા ઉપરછલ્લા સારસંક્ષેપી પરિચયો’ નહીં પરંતુ જે તે કૃતિનું તાત્ત્વિક ભૂમિકાએ પરામર્શન કરીને, અહીં એની મુદ્દાસર છણાવટ કરીને વિશદ અને રસપ્રદ રીતે માણી-પ્રમાણી છે. લેખક પોતે એક સજ્જ સૂચિકાર, કોશકાર, સંદર્ભવિદ્ અને એક પ્રતિષ્ઠિત સામયિકના સંપાદક હોવાથી તે અંગેના લેખોમાં તેમના મૌલિક દૃષ્ટિકોણનો લાભ ‘૧૯મી સદીનાં સામયિકો : સાંસ્કૃતિક-સાહિત્યિક પ્રવાહો’, ‘સહાયક જ્ઞાનસાધનો અને એનું પદ્ધતિશાસ્ત્ર’, ‘કોશરચના-વિજ્ઞાનની નવી દિશાઓ’, ‘સાહિત્યસામયિકની ધરી : સંપાદકલેખકવાચક-સંબંધ’ જેવા લેખોને મળ્યો છે. ‘નર્મદનું નિબંધલેખન : પદ્ધતિવિશેષ અને ભાષાવિશેષ’, ‘સાહિત્યમાં ઇતિહાસલક્ષી વાસ્તવિકતા : ગાંધીયુગીન કવિતા’, ‘સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા : અછાંદસનો રચનાબંધ’ વગેરે તેમના વિવેચનસામર્થ્યના નિર્દેશક લેખો છે. સઘન અભ્યાસશીલતા, મૌલિક વિચારશક્તિ, અભિનિવેશ વગરનાં અવલોકનો, સમતોલ દૃષ્ટિબિંદુ, વિષયની સૂક્ષ્મ તપાસ, રસજ્ઞ એવી સાહિત્યદૃષ્ટિ જેવા ગુણોને કારણે આ ગ્રંથ અનોખો બની રહે છે.

— અનંત રાઠોડ