ગુજરાતી એકાંકીસંપદા/મામુનીનાં શ્યામગુલાબ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મામુનીનાં શ્યામગુલાબ
વિભૂત શાહ
(પોલીસચોકી: ઇન્સ્પેક્ટર અને સબઇન્સ્પેક્ટર)
સબઇન્સ્પેક્ટરઃ સાહેબ, એ સાથે જ એક બહુ મહત્ત્વનો બનાવ બન્યો… બન્યું એવું કે–
ઇન્સ્પેક્ટરઃ એક મિનિટ… પહેલાં મને ફક્ત હકીકત જ કહો. કેસની વિગતો હું બરાબર સમજી લઉં.
સબઇન્સ્પેક્ટરઃ યસ સર.
ઇન્સ્પેક્ટરઃ બરાબર કેટલા વાગે બનાવ બન્યો?
સબઇન્સ્પેક્ટરઃ બરાબર સાંજે ૮ ને ૩૫ મિનિટે.
ઇન્સ્પેક્ટરઃ તારીખ?
સબઇન્સ્પેક્ટરઃ નવમી ફેબ્રુઆરી… એ દિવસે શહેરમાં પણ થોડી અશાંતિ થઈ હતી ને એમના ફ્લૅટમાં–
ઇન્સ્પેક્ટરઃ પ્લીઝ, જરા રેકૉર્ડ્ઝ જોઈને મને એ તો કહો કે આપણને, આઈ મીન પોલીસમાં સૌથી પહેલાં આ ખબર કોણે આપી?
સબઇન્સ્પેક્ટરઃ યસ સહ… હં…હં આ જગજિત નામના ૨૬ વર્ષના યુવાને.
ઇન્સ્પેક્ટરઃ મરનાર શખ્સનો એ કંઈ સગો થાય?
સબઇન્સ્પેક્ટરઃ આમ સગો નહિ, છતાં ય સગો ખરો.
ઇન્સ્પેક્ટરઃ એટલે?
સબઇન્સ્પેક્ટરઃ સાહેબ, તપાસમાં એવું જાણવા મળ્યું છે કે મરનાર યોગેન્દ્રના વિવાહ, આઈ મીન ઓરલ ઍગેંજમેન્ટ મામુની નામની છોકરી સાથે થયાં હતાં. જગજિત એ છોકરીનો, મામુનીનો ભાઈ થાય અને સાહેબ–
ઇન્સ્પેક્ટરઃ વેરી બેડ, વેરી બેડ સેડ ઍન્ડ ટ્રૅજિક ઇન્ડીડ… અચ્છા જગજિતે પોલીસમાં આવી સૌથી પહેલાં શું કહ્યું?
સબઇન્સ્પેક્ટરઃ કે યગેન્દ્ર દવે એમના ફ્લૅટમાં જમવા બેઠા હતા ત્યાં જ ઓચિંતા ઢળી પડ્યા, બેભાન થઈ ગયા ને… ને થોડી જ વારમાં મરી ગયા.
ઇન્સ્પેક્ટરઃ એ વખતે ત્યાં કોણ કોણ હાજર હતું?
સબઇન્સ્પેક્ટરઃ જગજિતના કહેવા પ્રમાણે એ પોતે ને એનો મિત્ર કિશન શેઠ.
ઇન્સ્પેક્ટરઃ યોગેન્દ્ર દવે એમના ફ્લૅટમાં તદ્દન એકલા જ રહેતા હતા?
સબઇન્સ્પેક્ટરઃ જી હા, એમની સાથે ફક્ત એમનો રસોયો હતો. પણ આ કમનસીબ બનાવ બન્યો ત્યારે રાંધીને એ એની માસીને મળવા ગયો હતો.
ઇન્સ્પેક્ટરઃ યોગેન્દ્ર દવે શું કરતા હતા? આઈ મીન સર્વિસ કે બિઝનેસ?
સબઇન્સ્પેક્ટરઃ સેન્ટ્રલ ડ્રગ લૅબોરેટરીમાં રિસર્ચ ઑફિસર હતા.
ઇન્સ્પેક્ટરઃ એમનાં ક્વૉલિફિકેશન્સ? એમનો અભ્યાસ?
સબઇન્સ્પેક્ટરઃ એમ.એસસી.
ઇન્સ્પેક્ટરઃ આ બહુ નોંધવા જેવી ને વિચાર કરવા જેવી વાત છે. અચ્છા એ તો કહો કે આપણી પોલીસચોકીથી ફ્લૅટ કેટલો દૂર છે?
સબઇન્સ્પેક્ટરઃ લગભગ બે-ત્રણ માઈલ.
ઇન્સ્પેક્ટરઃ ને દસ મિનિટમાં એ પોલીસચોકીએ આવી ગયો?
સબઇન્સ્પેક્ટરઃ જગજિત પાસે મોટરસાઇકલ છે.
ઇન્સ્પેક્ટરઃ આઈ સી… બાય ધી વે, જગજિત કરે છે શું?
સબઇન્સ્પેક્ટરઃ ઑટોમોબાઇલ્સનું ગૅરેજ છે. એની પાસે મિકેનિકલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા છે.
ઇન્સ્પેક્ટરઃ જગજિતે એના સ્ટેટમેન્ટમાં, નિવેદનમાં શું કહ્યું છે?
સબઇન્સ્પેક્ટરઃ એ જ કે જેવા યોગેન્દ્ર દવે ઢળી પડ્યા કે તરત જ એ બન્નેએ, એટલે કે જગજિત અને કિશન શેઠે યોગેન્દ્રને પલંગ પર સુવાડ્યા ને જગમાંથી પાણી છાંટ્યું, પછી તરત જ ફ્લૅટ્સના ચેરમૅનને બોલાવ્યા ને કિશન શેઠને ડૉક્ટર બોલાવવા મોકલ્યો.
ઇન્સ્પેક્ટરઃ કિશન શેઠને?
સબઇન્સ્પેક્ટરઃ હા કિશન શેઠને. એ તરત ડૉક્ટરને બોલાવી લાવ્યો. ડૉક્ટર આવ્યા ત્યાં સુધીમાં તો યોગેન્દ્રની સ્થિતિ ગંભીર થઈ ગઈ હતી. એના બંધ પડી જતા હૃદયને ચાલુ રાખવા ડૉક્ટરે કોરામીનનું ઇંજેક્શન આપ્યું, પણ એ અસરકારક નીવડ્યું નહિ ને એકાદ કલાકમાં તો યોગેન્દ્ર મરી ગયા.
ઇન્સ્પેક્ટઃ પણ જગજિતને એ વખતે એમ કેમ પૂછ્યું નહિ કે એ અરસામાં યોગેન્દ્રનાં સગાંવહાલાંને એણે કેમ ખબર આપી નહિ?
સબઇન્સ્પેક્ટરઃ પૂછ્યું હતું સાહેબ, એણે કહ્યું કે યોગેન્દ્રનું કુટુંબ એટલે કે એનાં માતા-પિતા વડોદરા રહેતાં હતાં, એટલે ત્યાં તો છેવટે મરણના જ ખબર આપવાના રહ્યા હતા ને શહેરમાં એનાં કાકા-કાકી ને બેન રહે છે, પણ એમનું સરનામું જગજિતને ખબર નહોતી.
ઇન્સ્પેક્ટરઃ ને જગજિતની બેન… યોગેન્દ્રની વિવાહિતા… શું એનું નામ?
સબઇન્સ્પેક્ટરઃ મામુની.
ઇન્સ્પેક્ટરઃ હા મામુની… તો એ એની બેનને કેમ છેવટે મરતી વખતે યોગેન્દ્રનું મોં જોવા તાત્કાલિક બોલાવી નહિ?
સબઇન્સ્પેક્ટરઃ હા સાહેબ, એ બાબતમાં પણ મેં એને પૂછ્યું હતું. એણે એવો ખુલાસો કર્યો હતો કે એની બેન મામુની અને યોગેન્દ્ર એકબીજાંને ખૂબ જ પ્રેમ કરતાં હતાં અને એની બેન મામુની ખૂબ જ નાજુક અને કોમળ હૃદયની હોવાથી તે મરેલા યોગેન્દ્રનું મોં જોવાના આઘાતને સહન જ ના કરી શકે અને એના મન પર ઘણી માઠી અસર થાય… પણ સાહેબ, આ બાબતમાં મારે આપને બીજું ઘણું કહેવા જેવું છે, પણ આપ પહેલાં જે કાંઈ જાણવા માગતા હો એ પૂરું થઈ જાય પછી આપને કહું.
ઇન્સ્પેક્ટરઃ હા, એ બરાબર છે મિ. વસાવડા. મારે ખાસ તો એ જાણવું છે કે યોગેન્દ્ર આ રીતે એકદમ ઓચિંતા મરી ગયા તો એ વખતે જગજિતે કશી શંકા ઊભી કરી હતી ખરી?
સબઇન્સ્પેક્ટરઃ સાહેબ, જગજિતે એ વખતે એના સ્ટેટમેન્ટમાં એવું લખાવ્યું છે ખરું કે યોગેન્દ્રને અફીણ તથા બીજાં કેફી દ્રવ્યો, ‘નારકોટિક ડ્રગ્સ’ લેવાની ટેવ પડી ગઈ હતી; એટલે એનું હૃદય નબળું પડી જ ગયું હતું.
ઇન્સ્પેક્ટરઃ ખરેખર કમનસીબ બનાવ છે… પણ હા વસાવડા, તમે શું કહેવા માગતા હતા?
સબઇન્સ્પેક્ટરઃ એ જ કે સાહેબ, શરૂઆતમાં આ કેસ અમને ખૂબ સામાન્ય લાગ્યો, નૉર્મલ લાગ્યો કે યોગેન્દ્ર દવેનું કુદરતી જ મોત થયું છે, પણ સાહેબ બીજે દિવસે સવારે એક ખૂબ જ વિચિત્ર બનાવ બન્યો.
ઇન્સ્પેક્ટરઃ શો બનાવ બન્યો?
સબઇન્સ્પેક્ટરઃ પણ સાહેબ, એ પહેલાં કૉફી મંગાવું?
ઇન્સ્પેક્ટરઃ મંગાવો.
સબઇન્સ્પેક્ટરઃ (બીજા રૂમના બારણા પાસે જઈ) રા…મ લાલ, સાહેબ માટે કૉફી લાવો… (ઇન્સ્પેક્ટર પાસે જઈ) હા તો સાહેબ –
ઇન્સ્પેક્ટરઃ એ પહેલાં પ્લીઝ, એક મિનિટ… એના મિત્ર કિશન શેઠનું સ્ટેટમેન્ટ તો લીધું છે ને? એ શું કહે છે?
સબઇન્સ્પેક્ટરઃ હા સાહેબ, એનું સ્ટેટમેન્ટ પણ બરાબર જગજિતના સ્ટેટમેન્ટ જેવું જ છે.
ઇન્સ્પેક્ટરઃ હા, તો પેલા વિચિત્ર બનાવની વાત કરો.
સબઇન્સ્પેક્ટરઃ બીજે દિવસે સવારે યોગેન્દ્રનાં બા-બાપુજી આવી ગયાં. એ બંને તો ખૂબ જ શાંત લાગ્યાં. એમણે પણ એમના દીકરાનું મોત કુદરતી જ થયું છે એમ માની લીધું, પણ સાહેબ, જ્યારે અમે સવારે યોગેન્દ્રની લાશને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપી ત્યારે જ એક બહુ વિચિત્ર બનાવ બન્યો.
ઇન્સ્પેક્ટરઃ જગજિતે પણ પોસ્ટમૉર્ટમ માટે ના પાડી? લાંચની ઑફર કરી?
સબઇન્સ્પેક્ટરઃ ના સાહેબ, એવું તો નહિ પણ પોસ્ટમૉર્ટમ વખતે સિવિલ સર્જન પાસે એક સ્ત્રીએ આવીને વિચિત્ર માગણી કરી.
ઇન્સ્પેક્ટરઃ સ્ત્રીએ?
સબઇન્સ્પેક્ટરઃ હા સ્ત્રીએ… તે બીજી કોઈ નહિ પણ જગજિતે એના સ્ટેટમેન્ટમાં જેનો ઉલ્લેખ કર્યો છે તે યોગેન્દ્રની બેન શ્રીમતી નંદિની ભટ્ટ.
ઇન્સ્પેક્ટરઃ આઈ સી… શી માગણી કરી?
સબઇન્સ્પેક્ટરઃ સિવિલ સર્જનને એણે એવી મતલબનું કહ્યું કે પોતે મરનાર યોગેન્દ્રની તદ્દન નજદીકની સગી છે અને ઑટોપ્સી થાય એ પહેલાં એ પોતાના ડૉક્ટર પાસે લાશની તપાસ કરાવવા માગે છે ને પોસ્ટમૉર્ટમ વખતે પોતાના ડૉક્ટરને હાજર રાખવા પણ માગે છે.
ઇન્સ્પેક્ટરઃ તે સાવ એકલી જ હતી?
સબઇન્સ્પેક્ટરઃ હાજી… સિવિલ સર્જને પહેલાં તો ના પાડી, પણ નંદિની ભટ્ટે એવું કહ્યું કે એના ભાઈના મૃત્યુ પાછળ કોઈની મેલી મુરાદ છે. ને જરૂર પડશે તો ઑટોપ્સી માટે એ કોર્ટનો ઑર્ડર પણ લાવશે.
ઇન્સ્પેક્ટરઃ વેરી ઇન્ટ્રેસ્ટિંગ, ધેન વૉટ હેપન્ડ?
સબઇન્સ્પેક્ટરઃ સિવિલ સર્જને કાયદાની દૃષ્ટિએ નહિ તો માનવતાની દૃષ્ટિએ એની વિનંતી માન્ય રાખી.
ઇન્સ્પેક્ટરઃ નંદિની ભટ્ટની ઉંમર કેટલી હશે? એના વિશે તમને કેવી છાપ પડી?
સબઇન્સ્પેક્ટરઃ આશરે ત્રીસેક વર્ષની જુવાન સ્ત્રી છે. ખૂબ જ ચપળ અને બુદ્ધિશાળી બાઈ છે. એલ.એલ.બી. થઈ છે – જોકે પ્રેક્ટિસ નથી કરતી.
ઇન્સ્પેક્ટરઃ એટલે જ સિવિલ સર્જનને કોર્ટનો ઑર્ડર લાવવાની વાત કરતી હશે.
સબઇન્સ્પેક્ટરઃ સાહેબ, એટલું જ નહિ, પણ એણે એક પત્ર ડી.એસ.પી.સાહેબને પણ લખ્યો છે.
ઇન્સ્પેક્ટરઃ ડી.એસ.પી.સાહેબને! શું લખ્યું છે પત્રમાં?
સબઇન્સ્પેક્ટરઃ પત્ર જ વાંચું?
ઇન્સ્પેક્ટરઃ એ વાત પછી, પણ મને માંકડસાહેબે કહ્યું જ નહિ કે આ વાત ડી.એસ.પી.સાહેબ સુધી પહોંચી છે. સારું ચાલો મને એ કહો કે પોસ્ટમૉર્ટમમાં શું આવ્યું? ને બીજું એ કે ‘વીસેરા લૅબોરેટરી’માં પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યો છે કે નહિ? ને એનો શો રિપૉર્ટ આવ્યો.
સબઇન્સ્પેક્ટરઃ આ રહ્યા મારી ફાઇલમાં. બંને રિપૉર્ટ્સમાં તેઓ એક મત પર આવ્યા છે કે યોગેન્દ્રનું મોત પેટમાં ઝેર જવાથી થયું છે.
ઇન્સ્પેક્ટરઃ લાવો, એ પેપર્સ મારી પાસે.
સબઇન્સ્પેક્ટરઃ સાહેબ, આ રિપૉર્ટ પરથી યોગેન્દ્ર દવેની ક્રૂર હત્યા થઈ છે એમાં કોઈ શંકા જ નથી.
ઇન્સ્પેક્ટરઃ હા, એ તો દીવા જેવું સ્પષ્ટ છે, પણ હવે કેમિકલ ઍક્ઝામિનર્સનો રિપૉર્ટ જોઈએ, ક્યાં છે એ… આ તો…
સબઇન્સ્પેક્ટરઃ પેલો સાહેબ, લાલ ટૅગ બાંધી છે એ –
ઇન્સ્પેક્ટરઃ આ રહ્યો… ૫.૬ ગ્રામ પોટાશિયમ સાઇનેડ.
સબઇન્સ્પેક્ટરઃ ૫.૬ ગ્રામ પોટાશિયમ સાઇનેડ હોય તો માણસ તરત જ રામશરણ થઈ જાય ને?
ઇન્સ્પેક્ટરઃ હવે તો આપણે એ જ શોધી કાઢવાનું છે કે આ પોટાશિયમ સાઇનેડ આપ્યું કોણ?
સબઇન્સ્પેક્ટરઃ (ખૂબ જ ધીમેથી – કોઈ અત્યંત ગંભીર રહસ્ય કહેવાની શરૂઆત કરતો હોય એ રીત) સાહેબ, હવે આપ કહેતા હો તો આપને પેલી છોકરીની વાત કહું.
ઇન્સ્પેક્ટરઃ કઈ છોકરીની?
સબઇન્સ્પેસ્ટરઃ મામુનીની.
ઇન્સ્પેક્ટરઃ મામુની! હા, હા જલ્દી કહો. આ કેસની એ ઘણી અગત્યની વ્યક્તિ મને લાગે છે.
સબઇન્સ્પેક્ટરઃ હા, સાહેબ, એવું જ છે. ગઈકાલે એ આવી હતી.
ઇન્સ્પેક્ટરઃ ક્યાં?
સબઇન્સ્પેક્ટરઃ અહીં પોલીસચોકીએ.
ઇન્સ્પેક્ટરઃ પોલીસચોકીએ!
સબઇન્સ્પેક્ટરઃ હા, અહીં પોલીસચોકીએ, એ વખતે હું હાજર હતો… ને સાહેબ ઘણું મહત્ત્વનું સ્ટેટમેન્ટ એણે સામે ચાલીને આપ્યું.
ઇન્સ્પેક્ટરઃ કશી નવી અગત્યની માહિતી આપી છે?
સબઇન્સ્પેક્ટરઃ હા સાહેબ, એણે સ્ટેટમેન્ટ આપ્યું છે કે જગજિત પહેલેથી જ યોગેન્દ્રનો કટ્ટર વિરોધી હતો. પોતાની અને યોગેન્દ્રની વચ્ચે પ્રેમસંબંધ ઊભો થયો હતો એ તોડી પડાવા એણે અસંખ્ય પ્રયત્નો કર્યા હતા. એની બેનને જાત-જાતની ધમકીઓ પણ આપી હતી ને છેવટે યોગેન્દ્રને મારી નાખવાની પણ ધમકી આપી હતી ને યોગેન્દ્ર એને સમજાવવા ઠેઠ સુધી પ્રયત્ન કરતો હતો, અને આ કમનસીબ બનાવ બન્યો એ જ દિવસે જગજિતે એનું વલણ ઓચિંતું બદલ્યું હતું ને પોતાને કશો વાંધો નથી એવો ઢોંગ-પ્રપંચ કર્યો હતો.
ઇન્સ્પેક્ટરઃ તો તો આ કેસ ઘણો સરળ બની જાય છે.
સબઇન્સ્પેક્ટરઃ પણ સાહેબ, જગજિત સામે ચાલીને પોલીસચોકીએ આવ્યો એ કાંઈ સમજાતું નથી.
ઇન્સ્પેક્ટરઃ એ પણ એનો એક પ્રપંચ હશે.
સબઇન્સ્પેક્ટરઃ વૉટ એ ડેવિલ! પોતાની બેનનું દુઃખ છીનવી લીધું! બિચારી છોકરી બહુ દુઃખી થઈ ગઈ છે.
ઇન્સ્પેક્ટરઃ ઈર્ષા અને વેરઝેરનાં પરિણામ હંમેશા આવાં આવે છે. છોકરી સાવ કુમળી કળી જેવી હશે, નહિ?
સબઇન્સ્પેક્ટરઃ હા, ઘણી જ નાજુક અને લાગણીશીલ છોકરી છે, વાતવાતમાં રડી પડતી હતી ને છે ય બહુ રૂપાળી.
ઇન્સ્પેક્ટરઃ ક્યાં સુધી ભણી છે?
સબઇન્સ્પેક્ટરઃ હમણાં જ બી.એ. પાસ થઈ.
ઇન્સ્પેક્ટરઃ ક્યાં છે એનું સ્ટેટમેન્ટ?
સબઇન્સ્પેક્ટરઃ આ રહ્યું સાહેબ, છેલ્લું… ઉપર લીલી પેન્સિલથી સાઇન કરી છે. (એકદમ ધીમેથી) સાહેબ, જગજિત ને કિશન શેઠની ધરપકડ કરી દઈશું?
ઇન્સ્પેક્ટરઃ વસાવડા, મને ય એમના પર પાકો વહેમ છે. યોગેન્દ્રની હત્યા કરવા માટે, એનો હેતુ, મોટિવ પણ સામે પડ્યો છે, સાબિત કરી શકાય એમ છે; પણ એ સિવાય બીજો આધાર શો છે? કોર્ટમાં કેવા પુરાવા રજૂ કરશો? ઝેર ક્યાંથી લાવ્યો, ક્યારે લાવ્યો? શેમાં આપ્યું? કોણે જોયું?
સબઇન્સ્પેક્ટરઃ સાહેબ, એનો વિચાર પણ મેં કરી જોયો છે. કિશન શેઠ બહુ નબળા મનનો માણસ છે. એક વાર ધરપકડ કરીશું ને સહેજ લાલ આંખ દેખાડીશું એટલે ગભરાઈ જશે ને ગુનો કબૂલ કરી દેશે. છેવટે થોડી લાલચ આપીશું તો તાજનો સાક્ષી ‘એપ્રુવર’ પણ બની જશે. મને એની સોએ સો ટકા ખાતરી છે સાહેબ… એક વાર બંનેની ધરપકડ કરી લેવા દો… સર ગિવ મી યૉર ઑડર્સ.
ઇન્સ્પેક્ટરઃ ઑલરાઇટ વસાવડા, કરી લો ધરપકડ… ઍરેસ્ટ જગજિત ઍન્ડ કિશન શેઠ ઍન્ડ પ્રોસિડ ફરધર… ઍન્ડ રિપૉર્ટ ટૂ મી… વિશ યૂ બેસ્ટ, લક!

(સ્થળઃ કોર્ટ રૂમ)

સરકારી વકીલશ્રી ખારોડઃ યૉર ઑનર! હું તો પહેલેથી જ કહેતો આવ્યો છું કે અમારો કેસ તો સાવ સીધોસાદો ને સ્પષ્ટ જ છે. યોગેન્દ્રનું મોત ય પોટાશિયમ સાઇનેડ ઝેરથી થયું છે એ કેમિકલ એનેલાઇઝર અને ઍક્ઝામિનરના રિપૉર્ટ પરથી સાબિત થાય છે, ને યોગેન્દ્ર અને મામુનીનો સંબંધ – પ્રેમસંબંધ તહોમતદાર જગજિતથી સહન થતો નહોતો. એ સંબંધ તોડાવવા એણે આકાશપાતાળ એક કરવાના પ્રયત્નો કર્યા હતા, છેવટે એની બેન મામુની અને યોગેન્દ્રને ધમકીઓ પણ આપી હતી ને છતાંય એની ઇચ્છા વિરુદ્ધ બંનેનાં ઍંગેજમેન્ટ માટે એનાં માતા-પિતાએ ત્રીજી ફેબ્રુઆરીએ સંમતિ આપી ને ત્યારથી તે ઉશ્કેરાયેલો રહેતો હતો ને યોગેન્દ્રનો કાંટો જડમૂળથી કાઢી નાખવાનું કિશન શેઠની સહાય લઈને કાવતરું કર્યું. આ રીતે એનો હેતુ, એનો મોટિવ દીવા જેવો સ્પષ્ટ છે ને એ માટે અમારા તાજના સાક્ષી કિશન શેઠના કહેવા પ્રમાણે બંનેએ ભેગા મળી ડૉ. ગોસલિયા મારફત રાજકોટના એક મેડિકલ સ્ટોર્સમાંથી તા. ૭મી એ પોટાશિયમ સાઇનેડ મેળવ્યું અને એ પ્રમાણે
ધારાશાસ્ત્રીશ્રી તન્નાઃ યૉર ઑનર! માફ કરશો, વચ્ચે બોલું છું પણ, મારા વિદ્વાન મિત્ર પબ્લિક પ્રૉસિક્યૂટર શ્રી ખારોડસાહેબ આ લાંબી વાત વધારે લંબાણથી પહેલાં પણ કહી ચૂક્યા છે અને તહોમતદાર નં. ૧ જગજિતની ચાર્જશીટમાં પણ વિગતે વાત લખવામાં આવી છે. એ રીતે મને એમ લાગે છે કે આ આખો કેસ તેઓ એક જ દૃષ્ટિએ જુએ છે કે કોઈ અગમ્ય જ્ઞાનથી એમને ખબર પડી ગઈ છે કે યોગેન્દ્રની હત્યા જગજિતે જ કરી છે ને પછી એ સાબિત કરવા એ બધા જ પ્રયત્નો કરે છે. તેઓ બધો જ ભાર જગજિત પર મૂકે છે. એની જ આજુબાજુ બધું જાળું ગૂંથે છે, એ એક જ શક્યતા તેઓ જુએ છે.
ખારોડઃ તો આ કેસમાં બીજી કઈ શક્યતા મારા વિદ્વાન મિત્રને દેખાય છે?
તન્નાઃ યૉર ઑનર! એક કરતાં અનેક શક્યતાઓનો અમારી પાસે આધાર છે. એ માટે નામદાર કોર્ટ રજા આપે ને મારા વિદ્વાન મિત્ર શ્રી ખારોડસાહેબને વાંધો ના હોય તો હું ત્રણ વ્યક્તિઓને તપાસવા માગું છું – એક તો શ્રીમતી નંદિની ભટ્ટ, બીજા ફોટોગ્રાફરશ્રી હેમેન મહેતા ને ત્રીજા શ્રી યોગેન્દ્ર દવેના કાકા શ્રી હરિહરપ્રસાદ દવે.
ન્યાયમૂર્તિશ્રીઃ મિ. ખારોડ, આ તબક્કે આ નામ આપ્યાં છે એ ત્રણ વ્યક્તિઓને તપાસાય એમાં તમને કશો વાંધો છે?
ખારોડઃ નામદાર કોર્ટને વાંધો ના હોય તો મને શો વાંધો હોય!
ન્યાયમૂર્તિશ્રીઃ મિ. તન્ના, તમે ત્રણ વ્યક્તિને એમનાં નામ બોલ્યા એ ક્રમમાં બોલાવી શકો છો અને તપાસી શકો છો.
તન્નાઃ થૅંક્સ, યૉર ઑનર!
ન્યાયમૂર્તિશ્રીઃ એક મિનિટ મિ. તન્ના. મિ. ખારોડ, તમે કહો છો એમ તહોમતદાર જગજિત અને કિશન શેઠે ડૉ. ગોસલિયા મારફત રાજકોટના મેડિકલ સ્ટોર્સમાંથી પોટાશિયમ સાઇનેડ મેળવ્યું છે. એનો તમે પુરાવો રજૂ કર્યો છે?
ખારોડઃ યસ, યૉર ઑનર! એ મેડિકલ સ્ટોર્સનો ડૉ. ગોસલિયાની સહીવાળો ડુપ્લિકેટ કૅશમેમો રજૂ કર્યો છે – એગ્ઝિબિટ નં. ૧૩.
ન્યાયમૂર્તિશ્રીઃ થૅંક્સ મિ. ખારોડ.
તન્નાઃ શ્રીમતી નંદિની ભટ્ટ, સામાન્ય રીતે સ્ત્રીને એની ઉંમર ન પૂછવી જોઈએ; એટલે તમારી ઉંમર નથી પૂછતો, પણ મન એ કહેશો કે તમારી ને યોગેન્દ્રની વચ્ચે ઉંમરનો કેટલો તફાવત હતો?
નંદિની ભટ્ટઃ લગભગ ચાર વર્ષનો.
તન્નાઃ તમે મોટાં કે યોગેન્દ્ર?
નંદિની ભટ્ટઃ હું.
તન્નાઃ તમને બન્નેને અરસપરસ એકબીજાં પ્રત્યે ખૂબ જ લાગણીનું ખેંચાણ હતું ખરું ને?
નંદિની ભટ્ટઃ હા, ખૂબ જ.
તન્નાઃ એટલે સુધી કે તમારાં લગ્ન નહોતાં થયાં ત્યાં સુધી તમને એકબીજાં વગર ચાલતું નહોતું. ભાઈબેન કરતાં એકબીજાંનાં ભેરુ હતાં, એકબીજાંનાં દુઃખથી દુઃખી ને સુખથી સુખી.
ન્યાયમૂર્તિશ્રીઃ મિ. તન્ના, આ પ્રકારના પ્રશ્નોથી શ્રીમતી નંદિનીને એમના ભાઈના મૃત્યુનો આઘાત તાજો થશે. આવા નાજુક પ્રશ્નો એકદમ ઉપયોગી હોય તો જ પૂછવા.
તન્નાઃ યૉર ઑનર! શ્રીમતી નંદિનીનું દુઃખ તાજું થાય એવું હું પણ નથી ઇચ્છતો, વિના કારણ આવા પ્રશ્નો હું નહિ જ પૂછું… અચ્છા શ્રીમતી નંદિની, તમારાં લગ્ન ક્યારે થયાં?
નંદિનીઃ આજથી પાંચ વર્ષ પહેલાં.
તન્નાઃ કોની સાથે?
નંદિનીઃ હર્ષદ ભટ્ટ.
તન્નાઃ તમારા પતિ શું કરે છે?
નંદિનીઃ ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ છે.
તન્નાઃ તમે બી.એ., એલ.એલ.બી. છો ને?
નંદિનીઃ હા.
તન્નાઃ તમે અભ્યાસ કરતાં હતાં એ દરમિયાન સંગીત, નૃત્ય વગેરેમાં ભાગ લેતાં હતાં?
નંદિનીઃ હા.
તન્નાઃ અત્યારે તમારું લગ્નજીવન સુખી છે?
ખારોડઃ યૉર ઑનર! આપની સૂચના હોવા છતાંય મિ. તન્ના આવા નાજુક અંગત પ્રશ્નોમાં સરી પડે છે. મને એ નથી સમજાતું કે શ્રીમતી નંદિનીના લગ્નજીવનને અને યોગેન્દ્ર દવેના કેસને શું સંબંધ છે?
તન્નાઃ યૉર ઑનર! સંબંધ છે. થોડાક જ સમયમાં આપ જોઈ શકશો કે બંને વચ્ચે કેટલો સંબંધ છે.
નંદિનીઃ નામદાર ન્યાયમૂર્તિશ્રી, મને કોઈ પણ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે એનો મને બિલકુલ વાંધો નથી.
તન્નાઃ તમે ફોટોગ્રાફર શ્રી હેમેન મહેતાને ઓળખો છો?
નંદિનીઃ હા.
તન્નાઃ એમને અને તમારે સ્વતંત્ર જ સંબંધ છે ને?
નંદિનીઃ હા.
તન્નાઃ કેવા પ્રકારનો?
નંદિનીઃ તે મારા મિત્ર છે.
તન્નાઃ તમે એવું નથી માનતાં કે એક પરણેલી સ્ત્રી માટે આ પ્રકારનો સંબંધ અનૈતિક, અસામાજિક કે ગેરવાજબી કહેવાય?
નંદિનીઃ પરણેલી સ્ત્રીને એના પતિ તરફથી પ્રેમ કે માન ના મળે તો આ પ્રકારના મૈત્રી-સંબંધમાં કશું ખોટું કહેવાય એમ હું માનતી નથી. કોઈ પણ વ્યક્તિના હૃદય પર કયા અને કેવા ઘા પડ્યા છે એની સમાજને ભાગ્યે જ જાણ હોય છે.
તન્નાઃ હેમેન મહેતા સાથે તમારે પરિચય કઈ રીતે થયો?
નંદિનીઃ એમના સ્ટુડિયોમાં મારી બેબીનો ફોટોગ્રાફ પડાવવા ગઈ હતી, ત્યારે અમારો પરિચય થયો ને પછી અમારો એ સંબંધ વિકસ્યો.
તન્નાઃ તમારા આ સંબંધની તમારા પતિને જાણ છે?
નંદિનીઃ હા, પણ તેઓ એના પ્રત્યે ઉદાસીન છે.
તન્નાઃ તમારા આ સંબંધની યોગેન્દ્રને ખબર હતી?
નંદિનીઃ હા.
તન્નાઃ એ વાત સાચી કે તમારું લગ્નજીવન સુખી નહોતું અને તને લીધે તમારે હેમેન મહેતા સાથે સંબંધ હતો એ યોગેન્દ્રને ગમતું નહોતું? ને એને લીધે ખૂબ જ દુઃખી થતો હતો?
નંદિનીઃ હા.
તન્નાઃ તમે એનો અણગમો દૂર કરવા કે દુઃખ દૂર કરવા કશો પ્રયત્ન કર્યો હતો?
નંદિનીઃ હું એને મારી અસહાયતા સમજાવતી હતી.
તન્નાઃ પણ તે તમારી સાથે સંમત થતો નહોતો.
નંદિનીઃ હા, એવું પણ ખરું.
તન્નાઃ તમને એ પણ ખબર હશે કે તમારા દુઃખથી દુઃખી થઈ એ ઑપિયમ ને બીજા નારકોટિક ડ્રગ્ઝ લેતો હતો?
ખારોડઃ યૉર ઑનર! મિ. તન્ના એવું સાબિત કરવાનો નબળો પ્રયત્ન કરી રહ્યા છે કે યોગેન્દ્રનો કેસ આપઘાતનો હોય.
તન્નાઃ નો નો યૉર ઑનર! આ આપઘાતનો કેસ છે એવું હું બિલકુલ માનતો નથી. યોગેન્દ્ર દવેની હત્યા જ થઈ છે, પણ થોડી ધીરજ રાખવામાં આવે તો મારે જે બતાવવું છે એ હું બતાવી શકું.
ન્યાયમૂર્તિશ્રીઃ મિ. તન્ના, મને પણ એવું લાગે છે કે તમે નંદિની ભટ્ટને ખોટી મૂંઝવણમાં મૂકી રહ્યા છો છતાં ય કેસને મદદ થતી હોય તો તમે પ્રશ્ન પૂછો એમાં મને વાંધો નથી. પ્લીઝ, પ્રોસીડ.
તન્નાઃ હા, તો શ્રીમતી નંદિની ભટ્ટ, તમને એ ખબર હતી ને કે યોગેન્દ્ર ડ્રગ્ઝ લેતો હતો?
નંદિનીઃ હા.
તન્નાઃ ને એના એ દુઃખથી તમે દુઃખી થતાં હતાં?
નંદિનીઃ હા, સ્વાભાવિક જ છે.
તન્નાઃ તમારા દુઃખથી યોગેન્દ્ર દુઃખી થાય છે ને એના દુઃખથી તમે દુઃખી થાવ છો એ હેમેન મહેતાને ખબર હતી?
નંદિનીઃ હા, ખબર હતી.
તન્નાઃ એટલું જ નહિ, પણ તમે જ્યારે મળતાં ત્યારે આ પ્રશ્ન પર અવારનવાર ચર્ચા પણ કરતાં હતાં ને તમે આ વિશે યોગેન્દ્રને એક લાંબો પત્ર પણ લખ્યો હતો?
નંદિનીઃ હા, સાચું છે.
તન્નાઃ આ બાબતમાં હેમેન મહેતાનું વલણ કેવું હતું?
નંદિનીઃ એ જ કે યોગેન્દ્રને સમજાવવો.
તન્નાઃ એમણે એ કામ માથે લીધું હતું?
નંદિનીઃ હા.
તન્નાઃ અચ્છા, હવે તમે મને એ કહો કે તમને મામુની ગમતી હતી?
નંદિનીઃ હા, બહુ સારી છોકરી છે.
તન્નાઃ જગજિત યોગેન્દ્રનો કટ્ટર વિરોધી હતો એ પણ તમને ખબર હતી ને?
નંદિનીઃ હા.
તન્નાઃ તો છેવટે જગજિતે વલણ બદલ્યું ને યોગેન્દ્રને સામેથી ૯મી તારીખે સાંજે મળવા આવવાનો હતો એની તમને ખબર હતી?
નંદિનીઃ હા.
તન્નાઃ ચોક્કસ કહો છો?
નંદિનીઃ હા.
તન્નાઃ કઈ રીતે?
નંદિનીઃ યોગેન્દ્ર આનંદમાં આવી ગયો હતો ને મને ફોન કર્યો હતો.
તન્નાઃ કઈ તારીખે?
નંદિનીઃ સાતમી તારીખ હતી.
તન્નાઃ બરાબર કહો, સાતમી હતી?
નંદિનીઃ હા, સાતમી તારીખે.
તન્નાઃ યોગેન્દ્રએ જગજિતના આવવાનો સમય કહ્યો હતો?
નંદિનીઃ હા, સાંજના સાતેક વાગે.
તન્નાઃ તમે પણ ખુશીમાં આવી જઈ આ સમાચાર હેમેન મહેતાને કહ્યા હતા?
નંદિનીઃ હા.
તન્નાઃ ને એટલે જ યોગેન્દ્રની એ ખુશીના ‘મૂડ’નો લાભ લઈ એ ખુશીમાં વધારે ઉમેરો કરવા હેમેન મહેતાએ પણ એ જ દિવસે સાંજે ૬-૩૦થી ૭-૦૦ વચ્ચે યોગેન્દ્ર સાથે મુલાકાત નક્કી કરી હતી એની તમને ખબર છે?
નંદિનીઃ હા.
તન્નાઃ એ પ્રમાણે બન્ને મળ્યા હતા?
નંદિનીઃ હા.
તન્નાઃ યોગેન્દ્રને ત્યા જગજિત આવ્યો ને હેમેન મહેતા ગયા, બરાબર?
નંદિનીઃ હા. એ પ્રમાણે એમણે મને કહ્યું હતું.
તન્નાઃ એ બે વચ્ચે શું વાતચીત થઈ હતી?
નંદિનીઃ ખાસ વાતચીત કરવાનો મોકો મળ્યો નહોતો – જગજિત આવ્યા એટલે તે આવતા રહ્યા.
તન્નાઃ યૉર ઑનર! અહીં આ જ વાત નોંધવા જેવી છે. શ્રી હેમેન મહેતા, યોગેન્દ્ર દવેને પહેલી જ વાર મળે છે. ૯મી તારીખે સાંજે જગજિત આવવાનો છે એ જાણવા છતાંય એમાંથી સમય મેળવી લઈ તેઓ મળે છે છતાં ય બન્ને વચ્ચે શી વાતચીત થઈ તે આપણને જાણવા મળતું નથી. શ્રીમતી નંદિની ભટ્ટ બધું જ સાચું બોલ્યાં છે, પણ અહીં શી ખબર શાથી તેઓ સત્ય બોલતાં નથી ને યૉર ઑનર! વધુ નવાઈની વાત તો એ છે કે શ્રી હેમેન મહેતા ૯મી તારીખે સાંજ ૬-૩૦થી ૭-૦૦ વચ્ચે જગજિતના આવતાં પહેલાં યોગેન્દ્રને મળ્યા હતા એ પોલીસ રેકૉર્ડમાં કે પબ્લિક પ્રૉસિક્યૂટરના કેસમાં ક્યાંય જણાવ્યું નથી. કેવી પોલીસ તપાસ થઈ છે એનો આ પુરાવો છે.
ન્યાયમૂર્તિશ્રીઃ હું પણ એ જ દિશામાં વિચારું છું.
નંદિનીઃ નામદાર ન્યાયમૂર્તિશ્રી, હું સાચું જ બોલું છું. હેમેન મહેતાએ મને એવું જ કહ્યું હતું કે એમની વચ્ચે ખાસ વાતચીત થઈ નહોતી.
ન્યાયમૂર્તિશ્રીઃ તમારી વાત હું સ્વીકારું છું.
તન્નાઃ અચ્છા શ્રીમતી નંદિની ભટ્ટ, બીજા દિવસે સવારે યોગેન્દ્રની લાશનું પોસ્ટમૉર્ટમ કરતી વખતે તમે સિવિલ સર્જન પાસે ગયાં હતાં ને તમારા ડૉક્ટરને હાજર રાખવાની માગણી કરી હતી એ તમારો પોતાનો નિર્ણય હતો કે પછી કોઈની સલાહથી?
નંદિનીઃ (સહેજ ઉગ્રતાથી) એમાં બીજા કોની સલાહ હોય! મેં પોતે જ નિર્ણય કર્યો હતો કારણ કે મને તરત જ જગજિત પર શંકા ગઈ હતી.
તન્નાઃ તો તમે ઠેઠ સાડા દસે કેમ ગયાં? તમને યોગેન્દ્રના મૃત્યુની ખબર તો વહેલી સવારે પડી ગઈ હતી.
નંદિનીઃ હું દિગ્મૂઢ થઈ ગઈ હતી.
તન્નાઃ અચ્છા, તમને વ્યક્તિગત રીતે ફોટોગ્રાફર હેમેન મહેતામાં જ રસ છે કે ફોટોગ્રાફીમાં રસ ખરો?
નંદિનીઃ સારા સારા ફોટોગ્રાફ્સ જોવાની રુચિ ખરી.
તન્નાઃ ફોટોગ્રાફીની ટૅક્નિકમાં, એની ટૅક્નિકલ કામગીરીમાં રસ ખરો?
નંદિનીઃ ના, ખાસ રસ નહિ.
તન્નાઃ તો તો તમને કદાચ એ પણ ખબર નહિ હોય કે ફોટોગ્રાફીનું કામ કરનાર પાસે પોટાશિયમ સાઇનેડ પણ હોય ને તમારા ભાઈ યોગેન્દ્રનું મોત પણ –
નંદિનીઃ (એકદમ ઉશ્કેરાઈને) ઓહ ગૉડ! વૉટ પૉઇઝનસ વર્ડ્ઝ યૂ હેવ અટર્ડ… ડૉન્ટ બી સો ક્રૂઅલ ઍન્ડ બ્રેટલ… ન્યાયમૂર્તિસાહેબ, એમના એકએક શબ્દમાં ઝેરી નાગ ફૂંફાડા મારી રહ્યો છે ને મારા અણુએ અણુમાં ડંખે છે. હવે હું કશું વધારે સહન નહિ કરી શકું.
તન્નાઃ યૉર ઑનર! વિથ રિગ્રેટ્સ, બટ ધીસ ઇઝ જસ્ટ એ પૉસિબિલિટી… જસ્ટ એ પૉસિબિલિટી.

(સ્થળઃ એનો એ જ કોર્ટ-રૂમ પણ નંદિની ભટ્ટને બદલે હવે શ્રી હેમેન મહેતા)

તન્નાઃ અચ્છા મિ. હેમેન મહેતા, તમે યોગેન્દ્ર દવેને ઓળખતા હતા?
હેમેન મહેતાઃ હા, શ્રીમતી નંદિની ભટ્ટના ભાઈ તરીકે.
તન્નાઃ શ્રીમતી નંદિની ભટ્ટને કેટલા વખતથી ઓળખો છો?
હેમેનઃ છેલ્લાં બે વર્ષથી.
તન્નાઃ તમારે ત્યાં એમની બેબીનો ફોટોગ્રાફ પડાવવા આવ્યાં ત્યારથી તમારે પરિચય થયો, સાચી વાત?
હેમેનઃ હા.
તન્નાઃ અત્યારે તમારે એમની સાથે કેવા પ્રકારનો સંબંધ છે?
હેમેનઃ તે મારાં મિત્ર છે.
તન્નાઃ તમે ‘પર્મિસિવ સોસાયટી’માં માનો છો?
હેમેનઃ ‘પર્મિસિવ સોસાયટી’નો અર્થ હું સમજતો નથી.
તન્નાઃ ‘પર્મિસિવ સોસાયટી’ એટલે જ્યાં કોઈ પણ સ્ત્રી-પુરુષનો મુક્ત જાતીય સંબંધ કોઈ પણ પ્રકારના બંધન વગર આચરવામાં આવતો હોય – ટૂંકમાં દરેક પ્રકારની છૂટ.
હેમેનઃ મેં આ વિષય પર વિચાર નથી કર્યો, એટલે અભિપ્રાય આપી શકતો નથી.
તન્નાઃ અચ્છા મિ. હેમેન મહેતા તમારે ને યોગેન્દ્રને સ્વતંત્ર મૈત્રીસંબંધ હતો?
હેમેનઃ ના.
તન્નાઃ તમે ક્યારેય એમનો ફોટોગ્રાફ લીધો હતો?
હેમેનઃ ના.
તન્નાઃ તમે અવારનવાર મળતા હતા?
હેમેનઃ ના.
તન્નાઃ બસ છેલ્લે દિવસે ૯મી ફેબ્રુઆરીએ મળ્યા એ જ?
હેમેનઃ હા.
તન્નાઃ એમને મળવા પાછળ તમારો હેતુ યોગેન્દ્રનો વિરોધ શાંત કરવાનો અને દૂર કરવાનો હતો ને?
હેમેનઃ હા.
તન્નાઃ પણ એ માટે તમે જ્યારે જગજિત પણ એને મળવાનો હતો એ સમય જ કેમ પસંદ કર્યો?
હેમેનઃ મને એમ કે એ દિવસે યોગેન્દ્ર હસીખુશીના ‘મૂડ’માં હોય તો કદાચ સારું પરિણામ આવશે.
તન્નાઃ સારું પરિણામ આવ્યું?
હેમેનઃ એ શક્ય ના બન્યું.
તન્નાઃ તમે યોગેન્દ્રને શું સમજાવવા માગતા હતા?
હેમેનઃ એ હું યોગેન્દ્રને જ કહેવા માગતો હતો.
તન્નાઃ કદાચ આ કોર્ટમાં કહેવું પસંદ નહીં કરતા હો?
હેમેનઃ જી હા, એનો કશો અર્થ નથી.
તન્નાઃ અચ્છા, બીજી એક વાત. મામુનીના કહેવા પ્રમાણે યોગેન્દ્રએ આવેશમાં આવી તમને એક પત્ર લખ્યો હતો. એ વાત સાચી?
હેમેનઃ હા, લખ્યો હતો.
તન્નાઃ એમાં એણે તમારી પાસે એવો પ્રશ્ન ઊભો કર્યો હતો કે તમે એની બેન નંદિની ભટ્ટમાં શા માટે રસ લો છો?
હેમેનઃ તમે કહ્યું એમ આવેશમાં આવી એણે ઘણું બધું લખ્યું હતું.
તન્નાઃ અચ્છા, એ પ્રશ્ન પૂછવા માટે હવે તો યોગેન્દ્ર નથી; પણ એ પ્રશ્ન હું તમને આ ભરી અદાલતમાં પૂછવા માગું છું. બોલો, તમને નંદિની ભટ્ટમાં શો રસ છે?
હેમેનઃ મૈત્રીમાં જે પ્રકારનો રસ હોય છે એ.
તન્નાઃ તમારી મૈત્રી એમની માનસિક ભૂમિકાને લીધે છે કે પછી એ એક આકર્ષક સ્ત્રી છે એટલે? બોલો શું છે એમનામાં?
હેમેનઃ એમનામાં શું છે તે તો એનો મિત્ર હોય એને જ ખબર પડે, એ જ અનુભવી શકે, એટલે તમને…
તન્નાઃ હા હા, એટલે તમને પૂછું છું… બોલો, તે એક સ્ત્રી હોવાને લીધે અને તમે પુરુષ હોવાને લીધે એમની પાસેથી તમે ખાસ કોઈ વિશિષ્ટ અપેક્ષા નથી રાખતા?
હેમેનઃ હા રાખું છું, પણ મારી જગ્યાએ કોઈ પણ પુરુષ હોય ને સ્ત્રી પાસેથી જે અપેક્ષા રાખે એટલી જ અપેક્ષા રાખું છું.
તન્નાઃ ઑલરાઇટ, ઑલરાઇટ, મિ. હેમેન મહેતા, હવે છેવટે મને એટલું જ કહો કે તમે ફક્ત બેબીના જ ફોટા લીધેલા કે શ્રીમતી નંદિની ભટ્ટના ફોટોગ્રાફ્સ પણ લીધેલા?
હેમેનઃ ઍડ્વોકેટ સાહેબ, મારો સ્ટુડિયો ફક્ત બાળકો માટે નથી.
તન્નાઃ નાઉ યૉર ઑનર! મારા પ્રશ્નનો જવાબ મિ. હેમેન મહેતા વ્યંગ કે મશ્કરીથી આપે છે. મૃત્યુની ગંભીરતા સમજી જવાબ ગંભીરતાથી આપે કે અસત્ય બોલે, પણ હવે હું આપની સમક્ષ મારી ફાઇલમાંથી એક નગ્ન સત્ય રજૂ કરવા ઇચ્છું છું – તે છે શ્રીમતી નંદિની ભટ્ટનો આ ફોટોગ્રાફ… શ્રી હેમેન મહેતાએ લીધેલો. જે સભ્ય સમાજમાં બતાવી શકાય એમ નથી… આ સિવાય શ્રીમતી નંદિની ભટ્ટના બીજા પણ ત્રણ ફોટોગ્રાફ્સ છે… જે આના કરતાં પણ વધારે આઘાત આપે એવા છે. મહામુશ્કેલીએ મેં ફોટોગ્રાફ્સ મેળવ્યા છે. યૉર ઑનર! આમ તો આવા ફોટોગ્રાફ્સ આપવા અને લેવા એ બે પુખ્ત વ્યક્તિઓનો અંગત પ્રશ્ન છે. પણ આ ફોટોગ્રાફ કોર્ટમાં રજૂ કરી હું એ બતાવવા માંગું છું કે ધરતીના પેટાળમાં રહેલા લાવારસ જેવી એમની વાસનાને બહેલાવવા માટે તે શ્રીમતી નંદિની ભટ્ટને એક સુંદર અને રોમાંચક જીવતું જાગતું રમકડું જ સમજતા હતા; પરંતુ યૉર ઑનર! શ્રીમતી નંદિની ભટ્ટના મન પર યોગેન્દ્રની આણ હતી, એમની વચ્ચે એ દુઃખી યોગેન્દ્રનો, એ વિરોધ કરતા યોગેન્દ્રનો ઓછાયો વચ્ચે આવતો હતો ને યૉર ઑનર! એ ઓછાયો શ્રી હેમેન મહેતાને પણ મુક્ત, નિર્બંધ ને ચકચૂર આનંદ માટે વચ્ચે આવતો હતો. એમની જેમ શ્રીમતી નંદિની એમના કેફમાં પૂરેપૂરાં ચકચૂર થઈ શકતાં નહોતાં; એટલે એ ઓછાયાને દૂર કરવા જગજિત આવવાનો હતો એ જ દિવસે એમણે યોગેન્દ્ર સાથે સિફતથી મુલાકાત ગોઠવી જેથી બધો વહેમ જગજિતને માથે જાય ને જે કરવું હતું તે કરી દીધું… એક તડપતા ઓછાયાને, પડછાયાને કાયમને માટે શાંત કરી દીધો. યૉર ઑનર! ને બીજા દિવસે સવારે શ્રી હેમેન મહેતાની જ સલાહથી, શ્રીમતી નંદિની ભટ્ટ પોસ્ટમૉર્ટમ વખતે હાજર રહ્યાં હશે ને પોતાના ડૉક્ટરનો આગ્રહ રાખ્યો હશે, જેથી એમના હાથ નિર્દોષ દેખાય ને શ્રી હેમેન મહેતાની સલાહથી જ શ્રીમતી નંદિની ભટ્ટે પોલીસમાં પત્ર લખ્યો હોવો જોઈએ જેમાં જગજિતનો અને કિશન શેઠનો એમણે ખુલ્લો ઉલ્લેખ કર્યો છે. શ્રી હેમેન મહેતા ધીમે ધીમે પોતાની આગળ જગજિતને ગોઠવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ધેટ્સ ઑલ, યૉર ઑનર!
ન્યાયમૂર્તિશ્રીઃ શ્રી હેમેન મહેતા, આના જવાબમાં તમારે કશું કહેવું છે?
હેમેનઃ નામદારસાહેબ, ઍડ્વોકેટ સાહેબને બોલતા સાંભળીને મને એમ જ થયું કે હું કશું ના બોલું તે જ સારું ને આપને જે યોગ્ય લાગે તે ન્યાય કરો; પરંતુ મારા કરતાં બીજી વ્યક્તિ પર એમણે ગંદા છાંટા ઉડાડ્યા છે. મને એવું લાગે છે કે ગુનેગારોના કેસ લડતાં લડતાં એમના ધારાશાસ્ત્રીઓનું માનસ પણ ગુનાહિત બની જાય છે. યૉર ઑનર! મારે તો એક-બે વાત જ કહેવી છે. શ્રીમતી નંદિની ભટ્ટ અત્યંત દુઃખી અને કમનસીબ સ્ત્રી છે. આજે આ કોર્ટમાં એમના વિશે જે રીતે બોલાયું એ સાંભળી મારી માન્યતા વધુ દ્રઢ બની છે અને દિવસે દિવસે એમના દુઃખમાં વધારો જ થઈ રહ્યો છે. એમને કોઈની હૂંફની સખત જરૂર હતી ને મેં મારો મૈત્રીભર્યો હાથ લંબાવ્યો – કમનસીબ એ છે કે એમાં પણ એમને સુખ પ્રાપ્ત થયું નહિ. એમના ફોટોગ્રાફ્સ મેં ફોટોગ્રાફીની દૃષ્ટિએ જ લીધા છે. એમાં કોઈ અશ્લીલતા નથી. અમારી વચ્ચે જે કાંઈ મૈત્રી-સંબંધ ઊભો થયો છે એ અમે ક્યારેય છુપાવ્યો નથી. અમારી આજુબાજુ નહિ, સમાજમાં નહિ ને આ કોર્ટમાં પણ નહીં. એમાં કોઈને કશું પાપ લાગ્યું હોય તો અમને માફ કરશો, પણ તે દિવસે ૯મી ફેબ્રુઆરીએ યોગેન્દ્રને હું એ જ સમજાવવા ગયો હતો કે તું જેને પાપ માને છે એ કદાચ કોઈના જીવનનો આધાર પણ હોય… આનાથી વિશેષ કશું મારે કહેવું નથી, યૉર ઑનર!

(સ્થળઃ એનો એ જ કોર્ટ-રૂમઃ પણ હેમેન મહેતાને બદલે હવે શ્રી હરિપ્રસાદ દવે)

તન્નાઃ તમે યોગેન્દ્રના સગા કાકા થાવ?
હરિપ્રસાદઃ હા, જી.
તન્નાઃ તમે શું કરો છો?
હરિપ્રસાદઃ હું કેમિસ્ટ છું, મારો મેડિકલ સ્ટોર્સ છે.
તન્નાઃ સ્ટોર્સ કોના નામે છે.
હરિપ્રસાદઃ મારા નામે – હરિપ્રસાદ દવેના નામે.
તન્નાઃ મામુનીના કહેવા પ્રમાણે યોગેન્દ્ર નાનો હતો ત્યારથી તમારી પાસે જ ઊછર્યો હતો?
હરિપ્રસાદઃ હા જી, એ વર્ષનો હતો ત્યારથી જ અમારે ત્યાં રહી મોટો થયો હતો.
તન્નાઃ તમારે પોતાને પુત્ર છે?
હરિપ્રસાદઃ હા જી, અત્યારે ૧૮ વર્ષનો છે.
તન્નાઃ યોગેન્દ્રને તમારે ત્યાં રાખ્યા પછી તમારે પણ પુત્ર થયો હશે?
હરિપ્રસાદઃ હા, એમ જ બન્યું હતું; પરંતુ અમારે પુત્ર નહોતો એટલે એને રાખ્યો હતો ને પુત્ર થયો એટલે પછી એને નહોતો રાખ્યો એવું નહોતું. પહેલેથી જ યોગેન્દ્ર અમને વહાલો હતો.
તન્નાઃ મામુની એ પણ કહેતી હતી કે તે દરેક અગત્યની વાતમાં તમારી જ સલાહ લેતો હતો ને તમારી ઘણી આમન્યા રાખતો હતો.
હરિપ્રસાદઃ હા, એવું ખરું.
તન્નાઃ એના બાપુજીને ખાસ કશું પૂછતો નહિ હોય?
હરિપ્રસાદઃ એના બાપુજી અને મારા મોટાભાઈ માયાશંકર બહુ જ ધાર્મિક વૃત્તિના છે. સંસારની વાતોમાં તેઓ ઓછો રસ લે છે.
તન્નાઃ યોગેન્દ્રએ જુદો સ્વતંત્ર ફ્લૅટ ક્યારે રાખ્યો?
હરિપ્રસાદઃ ભણીને એને સર્વિસ મળી ત્યારથી એણે જુદો ફ્લૅટ રાખ્યો હતો ને મામુની સાથે એ લગ્ન કરવા ઇચ્છતો હતો એ દૃષ્ટિએ પણ મને લાગ્યું કે એ જુદો ફ્લૅટ એ જ વધારે સારું છે, કેમ કે એનાં કાકી જૂના વિચારનાં છે.
તન્નાઃ એ તો ઘણું સારું કહેવાય. અચ્છા મુરબ્બી એ વાત સાચી કે યોગેન્દ્ર મરી ગયો એ દિવસે એટલે કે ૯મી ફેબ્રુઆરીએ તમે પણ એને મળ્યા હતા?
હરિપ્રસદાઃ હા જી, એણે જ મને એની ઑફિસમાંથી ફોન કરી મળવા બોલાવ્યો હતો.
તન્નાઃ ક્યાં અને કેટલા વાગે?
હરિપ્રસાદઃ એના ફ્લૅટ પર, ઑફિસમાંથી છૂટીને, સાંજે લગભગ પોણા છ વાગ્યે.
તન્નાઃ સામાન્ય રીતે એ પોતે જ તમને મળવા આવતો હશે?
હરિપ્રસાદઃ પણ જગજિત એને સામે ચાલીને મળવા આવવાનો હતો એટલે એ બાબતમાં મારી સલાહ લેવા ઇચ્છતો હશે.
તન્નાઃ એ પ્રમાણે તમે ગયા હશો. પછી ત્યાં શું બન્યું?
હરિપ્રસાદઃ યોગેન્દ્ર ખૂબ જ ખુશખુશાલ હતો. જગજિતે વલણ બદલ્યું એટલે તે માનુની સાથે જેમ બને તેમ જલ્દી લગ્ન કરવા ઇચ્છતો હતો; એટલે તેણે લગ્નની વ્યવસ્થા કરવાની વાત કરી હતી. એ ઉપરાંત તે એવું પણ ઇચ્છતો હતો કે જગજિત આવે ત્યારે હું હાજર રહું તો સારું, પણ એ બે એકલા જ મળે એવી કમનસીબ સલાહ મેં જ એને આપી.
તન્નાઃ તમે લગભગ કેટલા વાગે ફ્લૅટ પરથી ગયા?
હરિપ્રસાદઃ લગભગ સાડા છ વાગે. ફોટોગ્રાફર હેમેન મહેતા પણ એ જ વખતે એમને મળવા આવ્યા એટલે હું ત્યાંથી ઊઠી ગયો.
તન્નાઃ તમને એવું ના લાગ્યું કે હેમેન મહેતા વધુ રોકાશે તો યોગેન્દ્ર અને જગજિતની મુલાકાત બગડી જશે? ને એ ખ્યાલથી તમે રોકાયા હોત તો વધુ સારું થાત?
હરિપ્રસાદઃ યોગેન્દ્રનો જે મૂડ હતો એ જોતાં મને ખાતરી જ હતી કે હેમેન મહેતાને તે વધારે સમય નહિ આપે.
તન્નાઃ અચ્છા હરિપ્રસાદભાઈ, મને એક બીજી ચોંકાવનારી અને માની ન શકાય એવી માહિતી મળી છે. નક્કી નથી કરી શકતો કે કેવી રીતે કહું.
હરિપ્રસાદઃ મારા વિશે ગમે તે સાંભળ્યું હોય તે તમે કહી શકો છો. સંકોચ ના રાખશો.
તન્નાઃ યોગેન્દ્રનું અવસાન થયું એટલે એનો વીમો હતો કે નહિ એ જાણવા માટે મેં જીવનવીમા કૉર્પોરેશનમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે યોગેન્દ્રનો વીમો હતો, તે પણ એક લાખ રૂપિયા જેટલી મોટી રકમનો; એટલું જ નહિ પણ એની પૉલિસીમાં નોમિની તરીકે તમારું નામ છે.
હરિપ્રસાદઃ હા, એ સાચું છે; પણ એમાં ચોંકાવનારું કે ના માનવા જેવું શું છે વકીલસાહેબ.
તન્નાઃ મને નવાઈ એટલા માટે લાગી કે યોગેન્દ્રના અવસાનને આટલા બધા દિવસો થઈ ગયા ને કોર્ટમાં આખો કેસ ચાલે છે છતાંય આ અગત્યની માહિતી તમે કોઈને આપી નથી.
હરિપ્રસાદઃ યોગેન્દ્રની જે રીતે હત્યા થઈ છે એ શોધી કાઢવામાં આ વીમાની માહિતીને શો સંબંધ એ મને સમજાતું નથી, એટલે જ મેં આ માહિતી પોલીસમાં કે કોર્ટમાં સામે ચાલીને કહી નથી.
તન્નાઃ ચાલો એમ હશે, પણ એ વાત સાચી કે યોગેન્દ્રનો આ વીમો તમે જ ઉતરાવ્યો છે ને એની પ્રિમિયમની મોટી મોટી રકમ પણ તમે જ ભરતા હતા?
હરિપ્રસાદઃ હા પહેલેથી જ મેં યોગેન્દ્ર માટે અમુક રકમ બચાવી રાખી હતી. એ રકમ લેવાની તે ના પાડતો હતો; એટલે મને એનો વીમા ઉતરાવવો ઠીક લાગ્યો.
તન્નાઃ પણ તે આટલી મોટી રકમનો?
હરિપ્રસાદઃ સાહેબ, તમારે જે માનવું હો તે માનો, પણ અત્યારના સમયમાં લાખ રૂપિયાની રકમ બહુ ના કહેવાય.
તન્નાઃ ને નોમિની તરીકે તમારું નામ રાખવા માટે યોગેન્દ્રએ જ આગ્રહ કર્યો હશે?
હરિપ્રસાદઃ હા, એણે જ બળજબરીથી મારું નામ રખાવ્યું ને આમે ય લગ્ન તો થયાં નહોતાં.
તન્નાઃ તો તમે વીમો ઉતરાવવાની ઉતાવળ શા માટે કરી? એનાં લગ્ન પછી જ ઉતરાવ્યો હોત તો?
હરિપ્રસાદઃ અમુક પૈસા પડી રહ્યા હોય તો એનો ઉપયોગ કરવાની ઉતાવળ આપણે કરતા જ હોઈએ છીએ.
તન્નાઃ તો તો એની પૉલિસી પણ તમારી પાસે હશે.
હરિપ્રસાદઃ હા, મારી પાસે છે.
તન્નાઃ હવે તમને લાગે છે કે આ બધી હકીકતો ઘણી ચોંકાવનારી છે?
હરિપ્રસાદઃ કેવી રીતે સાહેબ?
તન્નાઃ યોગેન્દ્રની હત્યા માટે આનાથી જોરદાર શક ઊભો થાય છે. તમને તો એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે યોગેન્દ્રના જીવનની કે મૃત્યુની કિંમત એક લાખ રૂપિયા ફક્ત તમને જ મળે અને તમારે તો પોતાનો જ મેડિકલ સ્ટોર્સ છે, પોટાશિયમ સાઇનાઇડ તમારી પાસે હોય જ… બીજે લેવા જવાની જરૂર ના પડે.
હરિપ્રસાદઃ અરે રામ રામ! આ તમે શું બોલો છો! મેં મારા જીવનમાં ક્યારેય કશું ખોટું નથી કર્યું, કશું પાપ નથી કર્યું, મારા ઈષ્ટદેવના સોગંદ ખાઈને કહું છું કે મેં આવો કોઈ અધર્મ કર્યો હોય તો અહીં જ ફાટી પડું. બાકી સાહેબ, આવા શબ્દો ઉચ્ચારી તમે તો ઘોર પાતક કર્યું છે, લો પકડી લો મને, ચડાવી દો ફાંસીએ…
તન્નાઃ યૉર ઑનર! હરિપ્રસાદ ઉશ્કેરાઈ ગયા છે, પણ હું તો એક જોરદાર શક્યતા તરફ આંગળી ચીંધું છું… હવે એવું કહી શકાશે ખરું કે યોગન્દ્રની હત્યા માટે જગજિત અને ફક્ત જગજિત જ જવાબદાર છે?
ખારોડઃ યૉર ઑનર! મારા વિદ્વાન મિત્રે ફક્ત અનુમાનો પર કોઈનો પગ ખેંચવાનો ને જગજિતના માથા પર તોળાઈ રહેલો ભય ખસેડવાનો પ્રયત્ન કર્યો છે, પણ ખાલી શક્યતાઓમાંથી બહાર આવી અમારી પાસે પડેલા પુરાવા જોશે ને કિશન શેઠ તથા મામુની પણ આ કોર્ટમાં જે કાંઈ કહેશે એ થોડુંઘણું પણ સાંભળશે તો એમના પ્રશ્નનો જવાબ મળી રહેશે કે યોગેન્દ્રની હત્યા માટે ફક્ત જગજિત જ જવાબદાર છે.

(સ્થળઃ એનો એ જ કોર્ટ-રૂમ, પણ વકીલશ્રી તન્નાને બદલે સરકારી વકીલશ્રી ખારોડ અને સામે હરિપ્રસાદને બદલે કિશન શેઠ.)

ખારોડઃ કિશન શેઠ, યાદ કરીને કહો, તમે જગજિતને કેટલા સમયથી ઓળખો છો?
કિશન શેઠઃ લગભગ દસ વર્ષથી.
ખારોડઃ તમે એકબીજાના ખાસ જિગરજાન દોસ્ત છો ને?
કિશનઃ હા જી.
ખારોડઃ એકબીજાનાં દિલની બધી જ વાતો કરતા હતા?
કિશનઃ હા, જી.
ખારોડઃ તો જરા એ કહેશો કે મામુની અને યોગેન્દ્રનાં લગ્ન થાય એની સામે જગજિતને કેમ સખત વાંધો હતો?
કિશનઃ સાહેબ, એનાં બે-ત્રણ કારણો હતાં. એક તો જગજિત એવું માનતો હતો કે યોગેન્દ્ર, મામુની અને તે પોતે, બધાં નાનપણથી સાથે જ ઊછર્યાં હતાં, રમ્યાં હતાં; એટલે યોગેન્દ્ર અને મામુનીનો સંબંધ ભાઈ-બેનનો હોવો જોઈએ. મોટાં થઈ એ બન્ને લગન તો કરી જ ના શકે અને યોગેન્દ્રએ આ જબરજસ્ત વિશ્વાઘાત કર્યો છે એમ તે માનતો હતો.
ખારોડઃ તમે પણ એવું માનો છો?
કિશનઃ ના, જી.
ખારોડઃ તો તમે જગજિતને સમજાવતા કેમ નહોતા?
કિશનઃ મેં તો એને ઘણો સમજાવ્યો હતો, પણ અમુક બાબતોમાં એનો સ્વભાવ ઘણો જિદ્દી અને ઝનૂની છે.
ખારોડઃ આ સિવાય બીજાં કારણો?
કિશનઃ બીજું કારણ એ કે બન્નેની જ્ઞાતિ જુદી હતી અને ત્રીજું કારણ એ કે યોગેન્દ્ર પૈસાદાર નહોતો. જગજિત એવું માનતો હતો કે એની બેન કોઈ પૈસાદાર કુટુંબમાં જ જવી જોઈએ.
ખારોડઃ આ માટે તે બળજબરી કરતો હતો?
કિશનઃ હા. મામુની અને યોગેન્દ્રને આ સંબંધ બંધ કરી દેવાની અનેક વખત ધમકીઓ આપી હતી.
ખારોડઃ છતાં ય એની ઇચ્છા વિરુદ્ધ મામુની અને યોગેન્દ્ર સંબંધ રાખતાં હતાં એની સામે એનું કેવું વલણ હતું?
કિશનઃ બસ એ જ કે ગમે તેમ કરીને બન્નેને છૂટાં પાડવાં.
ખારોડઃ અચ્છા, છતાં ય એના વાંધાને ગણકાર્યા વિના એનાં માતા-પિતાએ યોગેન્દ્ર અને મામુનીના સંબંધને સંમતિ આપી અને ૩જી ફેબ્રુઆરીએ ઍન્ગેજમેન્ટ કર્યાં એ દિવસે એના મન પર કેવી અસર થઈ હતી?
કિશનઃ ખૂબ જ ખરાબ. આખો દિવસ ખૂબ જ ઉશ્કેરાયેલો રહ્યો હતો ને સાહેબ –
ખારોડઃ શું?
કિશનઃ ગુસ્સામાં ને ગુસ્સામાં બબડતો હતો પણ ખરો કે “સાલાને હવે જીવતો નહિ છોડું.”
ખારોડઃ પછી એણે શું કર્યું?
કિશનઃ બીજે દિવસે સવારે જ મારી પાસે આવ્યો ને મને પોટાશિયમ સાઇનેડ લાવી આપવાનું કહ્યું, પણ મેં એને આટલું બધું જલદ પગલું ભરવાની ના પાડી ને તે ગુસ્સામાં જતો રહ્યો, ને પાછો સાંજે આવ્યો અને મને ખૂબ જ કાકલૂદી કરીને કહ્યું કે “હું મારું વેર નહિ લઉં તો પછી હું જીવતો નહિ રહી શકું, આ ઉપરાંત એણે મને મારી બેનને પરણાવવામાં પણ મને મદદ કરી હતી; એટલે છેવટે ના ઉપાયે મેં મદદ કરવાની હા પાડી.”
ખારોડઃ આ બધી વાત કઈ તારીખે થઈ?
કિશનઃ ચોથી તારીખે.
ખારોડઃ પછી તમે બન્નેએ શું કર્યું?
કિશનઃ અમે તા. પાંચમીએ રાજકોટ ગયા. ત્યાં મારા ઓળખીતા ડૉક્ટર ગોસલિયાને મળ્યા. જગજિતની ઓળખાણ મેં ફોટોગ્રાફર તરીકે આપી ને ફોટોગ્રાફી માટે પોટાશિયમ સાઇનેડ જઈએ છે એમ કહ્યું. જગજિતે તરત જ એમને રૂ. પાંચસો આપ્યા ને ત્યાંથી અમે બધા સાથે મેડિકલ સ્ટોર્સમાં ગયા.
ખારોડઃ મેડિકલ સ્ટોર્સવાળો ડૉ. ગોસલિયાનો ઓળખીતો હતો?
કિશનઃ હા જી. ડૉ. ગોસલિયાએ બીજી દવાઓ પણ ખરીદીને એ લિસ્ટમાં પોટાશિયમ સાઇનેડ પણ લખ્યું હતું.
ખારોડઃ મેડિકલ સ્ટોર્સવાળાએ આનાકાની ના કરી?
કિશનઃ ના, પણ એણે દવાઓ માટે અને પોટાશિયમ સાઇનેડ માટે એમ બે જુદાં જુદાં બિલના કૅશ-મેમો બનાવ્યા ને પોટાશિયમ સાઇનેડના કૅશ-મેમો પર ડૉ. ગોસલિયાની સહી લીધી.
ન્યાયમૂર્તિશ્રીઃ વેલ મિ. ખારોડ, તમે ડૉ. ગોસલિયાને વિટનેસ તરીકે કેમ લીધા નથી?
ખારોડઃ યૉર ઑનર! કમનસીબે આ બનાવ બન્યો એના ત્રીજા જ દિવસે હાર્ટ ઍટેકથી એમનું ઓચિંતું અવસાન થયું.
ન્યાયમૂર્તિશ્રીઃ ઓહ આઈ સી… વેરી અનર્ફોચ્યુનેટ!
ખારોડઃ યૉર ઑનર!
ન્યાયમૂર્તિશ્રીઃ ઑલરાઇટ, યૂ મે પ્રોસીડ ફર્ધર.
ખારોડઃ યૉર ઑનર! ડૉ. ગોસલિયાની સહીવાળી ડુપ્લિકેટ કૅશ-મેમોની બુક એગ્ઝિબિટ નં. ૧૩ તરીકે રજૂ કરી છે.
ન્યાયમૂર્તિશ્રીઃ યસ, આઈ નો.
ખારોડઃ અચ્છા કિશન, હવે છેલ્લે દિવસે, એટલે કે નવમી ફેબ્રુઆરીએ ફ્લૅટ પર એ પોટાશિયમ સાઇનેડનો ઉપયોગ કેવી રીતે કર્યો એ કહો.
કિશનઃ યોગેન્દ્રે અમારા માટે ખાસ નાસ્તો તથા કોલ્ડ-ડ્રિંક્સ મંગાવ્યાં હતાં. યોગેન્દ્ર ખૂબ જ ખુશીમાં હતો. નાસ્તો કરીને એ ઓચિંતો બાથરૂમમાં ગયો, એ અરસામાં એના કોલ્ડ-ડ્રિંક્સમાં જગજિતે પોટાશિયમ સાઇનેડ ભેળવી દીધું ને પાછા આવીને યોગેન્દ્ર એ પીવા લાગ્યો.
ન્યાયમૂર્તિશ્રીઃ વેલ મિ. ખારોડ, એક મિનિટ મિ. કિશન, પણ તમે એમ કેમ માની લીધું કે યોગેન્દ્ર બાથરૂમમાં જશે? એ ના ગયો હોત તો જગજિત શું કરત?
કિશનઃ નામદારસાહેબ! એ પણ જગજિતે વિચારી લીધું હતું. એણે મને એવી સૂચના આપી હતી કે જેવો નાસ્તો પૂરો થાય કે તરત જ મારે બાથરૂમ ક્યાં છે એ પૂછવું; એટલે યોગેન્દ્ર મને બાથરૂમ બતાવવા બીજા રૂમમાં જાય, એટલે જગજિત એનું કામ પતાવી દે; પણ શી ખબર દેવયોગે યોગેન્દ્ર પોતે જ ઊભો થયો.
ન્યાયમૂર્તિશ્રીઃ વેલ મિ. ખારોડ, હવે બીજા પ્રશ્નો પૂછી શકો છો.
ખારોડઃ પછી યોગેન્દ્રએ કોલ્ડ-ડ્રિંક્સ પીધું?
કિશનઃ હા, ને પાંચ જ મિનિટમાં એ ઢળી પડ્યો ને બેભાન થઈ ગયો.
ખારોડઃ પછી?
કિશનઃ પછી જગજિતે યોગેન્દ્રની આંગળીમાંથી મામુનીએ આપેલી ‘ઍન્ગેજમેન્ટ રિંગ’ ‘વિવાહની વીંટી’ કાઢી લીધી ને બોલ્યો, “મેં મારી પ્રતિજ્ઞા પૂરી કરી” ને પછી “લે લહેર કર” એમ કહી એ વીંટી મને આપી દીધી, જે મેં પોલીસમાં પાછી સોંપી દીધી છે.
ખારોડઃ યૉર ઑનર! એ વીંટી એગ્ઝિબિટ નં. ૧૭ તરીકે રજૂ કરી છે અને યૉર ઑનર! કિશનને જે કહેવું હતું તે કહી દીધું છે. હવે મારા વિદ્વાન મિત્ર મિ. તન્ના એને જે પૂછવું હોય તે પૂછી શકે છે.
તન્નાઃ યૉર ઑનર! કિશન શેઠને તાજનો સાક્ષી બનાવ્યો છે; એટલે સંભવ છે કે એને કશી લાલચ કે ધમકી મળી હોય, એટલે મારે એને કશું પૂછવું નથી, પણ એની જુબાની કેટલી આધાર વગરની છે ને ખોટી છે એ હું બીજી રીત સાબિત કરી બતાવીશ. એમણે એક મોટો પણ તદ્દન ખોટો પુરાવો ઉપજાવી કાઢ્યો છે. એ ચોંકાવનારી વિગત છે યૉર ઑનર! એગ્ઝિબિટ નં. ૧૩, પોટાશિયમ સાઇનેડની નોંધવાળો અને ડૉ. ગોસલિયાની સહીવાળો ડુપ્લિકેટ કૅશ-મેમો… એની હું વાત કરું છું, એ કૅશ-મેમો નકલી છે. આ બુક આપ તપાસશો ને એમાંથી કોઈ પણ ડુપ્લિકેટ બિલનો કૅશ-મેમો લઈ આમ પ્રકાશમાં ઊંચો ધરશો તો આપ જોઈ શકશો કે એના કાગળના વણાટમાં એનો વૉટર-માર્ક દેખાશે ને યૉર ઑનર! કૅશ-મેમો, એગ્ઝિબિટ નં. ૧૩નો વૉટરમાર્ક જુદો છે ને બિલ-બુકનો વૉટરમાર્ક જુદો છે. એકેએક ડુપ્લિકેટ કૅશ-મેમો આપ જોઈ શકો છો, પણ યૉર ઑનર! આખી બુક દોરાથી સીવેલી છે; એટલે દોરાની સિલાઈ ઉકેલી મૂળ મેમો કાઢી આ નકલી મેમો મૂકી ફરીથી કોઈને ખબર ના પડે એમ સીવી શકાય છે ને યૉર ઑનર! હું આપને અરજ કરું છું કે મારી વાત આપ ના માની શકતા હો તો કોઈ પણ સારા પેપર-એક્સપર્ટને બોલાવો ને હું જે કાંઈ કહું છું એની ચકાસણી કરાવી શકો છો. આમાં કોઈના જીવન-મરણનો પ્રશ્ન છે, ને યૉર ઑનર! એ સાબિત થાય કે આ કૅશ-મેમો ખોટો છે તો કિશન શેઠની જુબાનીનો મહત્ત્વનો ભાગ ખોટો પડે છે. એ રીતે એણે જે કાંઈ ચિત્ર આપણી સામે રજૂ કર્યું એની ખરાખોટી માટે જબરજસ્ત શંકા ઊભી થાય છે. યૉર ઑનર! મેં શરૂઆતમાં જ કહ્યું એમ પહેલેથી જ એમ નક્કી કરી લેવાયું છે કે જગજિતે હત્યા કરી છે ને એ સાબિત કરવા આવા ખોટા પુરાવા પણ ઊભા કરતા ખચકાતા નથી. યૉર ઑનર! એવું પણ ના બન્યું હોય કે યોગેન્દ્રના ફ્લૅટમાંથી એ વીંટી મળી આવી હોય ને કેસ મજબૂત કરવા એમણે જ કિશન પાસે એ રજૂ કરાવી હોય?… વેલ, યોર ઑનર! આ તો મારું અનુમાન છે સત્ય–અસત્ય તો આપ નક્કી કરો એ. ઘેટ્સ ઑલ, યૉર ઑનર!
ખારોડઃ યૉર ઑનર! મારા વિદ્વાન મિત્ર તન્ના, ગમે તેટલી શક્યતાઓ બતાવે પણ એ હકીકત છે કે તા. ૯ મી ફેબ્રુઆરીએ એક અત્યંત તેજસ્વી યુવાન યોગેન્દ્ર દવેની દુઃખદ હત્યા થઈ ને એના સાચા ગુનેગારોને શોધવા આપણે આ ખટલો ચલાવી રહ્યા છીએ. એમાં ઘણું સારું-નરસું બોલાયું, સત્ય બોલાયું, અસત્ય બોલાયું, કોઈએ કુનેહ વાપરી હશે તો કોઈએ ભૂલ કરી હશે; પરંતુ યૉર ઑનર! આપણા બધાનો એકસમાન, એકસરખો હેતુ છે, લક્ષ છે, તે છે ન્યાય… આપની સામે આ મામુની ઊભી છે. એને અન્યાય થયો છે, એને આપણે ન્યાય આપવાનો છે. એના ચહેરા પર જોશો તો ત્યાં નરી નિર્દોષતા તરવરી રહી છે. એ જેટલી સુંદર છે એટલી જ સૌમ્ય છે. યૉર ઑનર! હવે છેવટે અમારા છેલ્લા સાક્ષી તરીકે હું એને રજૂ કરું છું. એના બોલવામાં આપને સત્ય લાગે તો આપ એના પર વિચાર કરી સાચો ગુનેગાર નક્કી કરશો ને ન્યાય આપશો એવી મારી શ્રદ્ધા છે.

(એનો એ જ કોર્ટ-રૂમઃ પણ કિશન શેઠને બદલે ખારોડની સામે સૌમ્ય, સુંદર મામુની)

ખારોડઃ તમે ને યોગેન્દ્ર પાડોશીઓ હતાં ને બાળપણથી સાથે જ ઊછર્યાં હતાં ને? મોટાં થયાં હતાં ને?
મામુનીઃ હા જી.
ખારોડઃ તમે બન્ને જુવાન થયાં, આઈ મીન, મોટાં થયાં ત્યારે તમને અરસપરસ એકબીજાં પ્રત્યે પ્રેમ થયો ને તમે લગ્ન કરવા માગતાં હતાં, ખરું ને?
મામુનીઃ હા જી.
ખારોડઃ એ પણ સાચું ને કે તમારો પ્રેમ પવિત્ર છે ને આ જગતની કોઈ પણ તાકાત તમને જુદાં નહિ કરી શકે એવી મતલબનો પત્ર લખી તમે બંનેએ તમારા લોહીથી એના પર સહી કરી હતી?
મામુનીઃ હા જી.
ખારોડઃ તમે અને યોગેન્દ્ર છેલ્લા ક્યારે મળ્યાં હતાં?
મામુનીઃ ૮મી તારીખે – ૮મી ફેબ્રુઆરીએ.
ખારોડઃ ક્યાં?
મામુનીઃ હોટેલમાં.
ખારોડઃ તમારી વચ્ચે શી વાતચીત થઈ?
મામુનીઃ બસ, અમારાં લગ્નની.
ખારોડઃ એ સિવાય બીજી કોઈ મહત્ત્વની વાત થઈ હતી?
મામુનીઃ ના, ખાસ કોઈ વાત થઈ હોય એવું મને યાદ નથી આવતું.
ખારોડઃ અચ્છા, અત્યારે તમે ક્યાં રહો છો?
મામુનીઃ યોગેન્દ્રનાં બા-બાપુજી સાથે – વડોદરા.
ખારોડઃ ક્યારથી રહેવા ગયાં?
મામુનીઃ એમના અવસાન પછી.
ખારોડઃ તમારું ઘર છોડવાનું કંઈ કારણ?
મામુનીઃ મેં મારું ઘર છોડ્યું નથી, પરંતુ મારા મનમાં, મારા ઘરમાં ને મારી આજુબાજુ ઘણી બધી અશાંતિ હતી. મને એમ થયું કે યોગેન્દ્રનાં બા-બાપુજી સાથે વડોદરા રહીશ તો મને શાંતિ મળશે ને સાથે સાથે એમને પણ શાંતિ મળશે.
ખારોડઃ સાથે સાથે જગજિતના કારણે પણ વડોદરા રહેવા ગયાં એવું ના કહી શકાય?
મામુનીઃ ના, એવું કઈ રીતે કહી શકું?
ખારોડઃ કેમ જગજિત સામે તમારે વિરોધ નહોતો?
મામુનીઃ વિરોધ તો હવે મારે કોઈની સામે નથી રહ્યો સાહેબ.
ખારોડઃ તમે આમ કેમ બોલો છો? તમારાં ને યોગેન્દ્રનાં લગ્ન થાય એની સામે એનો કટ્ટર વિરોધ નહોતો?
મામુનીઃ ના.
ખારોડઃ શું એ પણ સાચું નથી કે યોગેન્દ્ર પ્રત્યે એનો દુશ્મનાવટભર્યો વ્યવહાર હતો ને યોગેન્દ્રને મારી નાખવાની જગજિતે તમને ધમકીઓ પણ આપી હતી?
મામુનીઃ ના.
ખારોડઃ મામુની, શું તમે એવું નથી માનતાં કે તમારી સાથે પોતાના લોહીથી સહી કરનાર, તમારા પવિત્ર પ્રેમ ખાતર પોતાના કીમતી પ્રાણની આહુતિ આપી દેનાર યોગેન્દ્રની હત્યા જગજિતે કરી છે? … બોલો મામુની, જવાબ આપો.
મામુનીઃ ના.
ખારોડઃ મામુની, તમે પોતે જ પોલીસમાં એવું સ્ટેટમેન્ટ કર્યું છે કે યોગેન્દ્રની હત્યા માટે તમને તમારા ભાઈ જગજિત પર શક છે.
મામુનીઃ એ લોકોએ એવું સૂચન કર્યું હશે ને કદાચ મેં એવું કહ્યું હશે.
ખારોડઃ ના ના મામુની, એવું નથી. તમે પોતે સામે ચાલીને ૧૩મી તારીખે સાંજે ચારેક વાગે પોલીસચોકીએ ગયાં હતાં ને પોલીસ સબઇન્સ્પેક્ટર વસાવડાને તમે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે–
મામુનીઃ સાહેબ, એ વખતે મૃત્યુના આઘાતથી મારા મનની હાલત સ્વસ્થ નહોતી. મને યાદ નથી. હું ગમે તેમ કશુંક બોલી હોઈશ.
ખારોડઃ મામુની, અત્યારે તમે હોશમાં નથી. તમે શું કરી રહ્યાં છો ને શું બોલી રહ્યાં છો એનું તમને ભાન નથી.
મામુનીઃ સાહેબ, હું પૂરેપૂરી ભાનમાં છું. હું શું બોલું છું એનો મને ખ્યાલ છે.
ખારોડઃ તો…તો તમે શું માનો છો? યોગેન્દ્રની હત્યા કોણે કરી હશે?
મામુનીઃ સાહેબ, હવે મારે એ જાણવું નથી; એટલે એ વિશે વિચાર કરવાનું મેં છોડી દીધું છે. કોણ હોઈ શકે એ જાણીને આપણે શું કરીશું!
ખારોડઃ યૉર ઑનર! મને કહેતાં દુઃખ થાય છે કે અમારા સાક્ષી તરીકે મામુની સાવ ફરી ગઈ છે – હૉસ્ટાઇલ થઈ ગઈ છે. સ્ત્રીના મનનું રહસ્ય પામી શકાતું નથી. યૉર ઑનર! એ કેટલું સાચું છે ને છતાંય આઘાતજનક છે કે પ્રેમસગાઈ કરતાં લોહીની સગાઈ કેટલી વધારે મજબૂત છે…! પોતે જેને પ્રેમ કરતી હતી, પતિ માનતી હતી એને એ મેળવી ના શકી, બચાવી ના શકી એટલે હવે તે એના ભાઈને બચાવી લેવા માગે છે… પરંતુ યૉર ઑનર! મનોવૈજ્ઞાનિક રીતે જોઈશું તો મારી દૃષ્ટિએ આ આખી પરિસ્થિતિની વધુ વિચિત્રતા તો એ છે કે યોગેન્દ્રની હત્યા જગજિતે જ કરી છે એનો આ એક વધુ પુરાવો છે ને છેવટે તો આપ નામદાર જે ચુકાદો આપો તે… બસ, હવે મારે કશું વધુ કહેવું નથી.
ન્યાયમૂર્તિશ્રીઃ આખા આ કેસની કાર્યવાહીમાં એટલું તો ચોક્કસ સાબિત થાય છે કે શ્રી યોગેન્દ્ર દવેની પોટાશિયમ સાઇનેડથી કરુણ હત્યા થઈ છે. એ માટે ત્રણ વ્યક્તિઓ, શ્રી જગજિત, શ્રી હરિપ્રસાદ દવે અને શ્રી હેમેન મહેતા પર વહેમ ઊભો કરવામાં આવ્યો છે ને એ માટે એમના પર એ હત્યા કરવા માટે હેતુઓનું, ઇરાદાઓનું આરોપણ કરવામાં આવ્યું છે; પરંતુ કોર્ટમાં જે પુરાવા રજૂ કરવામાં આવ્યા છે, જે સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા છે એ પરથી ગુનેગાર નક્કી થઈ શકે એમ નથી. કોઈ પણ વ્યક્તિ ગમે તે અનુમાન કરી શકે… શાંતિથી થોડો વિચાર કરીએ, તર્ક કરીએ તો કોણ ગુનેગાર છે એ મનોમન નક્કી થઈ શકે; પરંતુ કોર્ટમાં એમ કરી શકાય નહિ. જગજિત, આરોપી નં. ૧ તહોમતનામું મુકાયું છે; પરંતુ રજૂ થયેલો ડુપ્લિકેટ કૅશ-મેમો એગ્ઝિબિટ નં. ૧૩ નકલી સાબિત થતાં કેસ નબળો પડી જાય છે. ગમે તેટલો પાકો શક હોય તો પણ ખોટા પુરાવા ઊભા કરવાથી બીજા પુરાવાની સચ્ચાઈ વિશે પણ શંકા ઊભી થાય છે. પરિણામે ન્યાયની ભાવના અને એના અમલ માટે વિપરીત અસર થાય છે. આ કેસમાં જગજિત સોએ સો ટકા યોગેન્દ્રની હત્યા કરવા માટે જવાબદાર છે એવું માનવા મને પૂરતો આધાર મળતો નથી એટલે હું જગજિતને આથી નિર્દોષ જાહેર કરું છું.

(શ્રીમતી નંદિની ભટ્ટનો ડ્રૉઇંગ-રૂમઃ રેર્ડ-પ્લેયર પર મીરાંના ભજનની રેકૉર્ડ ‘એરિ મૈં તો પ્રેમ દીવાની… મેરા દર્દ ન જાને કોઈ’ વાગે છે અને એના સ્વરો નંદિની ભટ્ટની આજુબાજુ ઘૂમરાઈ રહ્યા છે. મામુની એમની સામે ઊભી છે.)

મામુનીઃ નંદિનીબેન! …નં…દિની…બે…ન
નંદિનીઃ અરે મામુની તું! ક્યારની અહીં આવીને ઊભી છે?
મામુનીઃ બસ હમણાં જ આવી. મને એમ કે તમને ખલેલ ના પહોંચાડું.
નંદિનીઃ (રકૉર્ડ-પ્લેયર બંધ કરી) આવ અહીં બેસ. સીધી વડોદરાથી આવી?
મામુનીઃ ના ઘેરથી. પહેલાં ત્યાં ગઈ હતી.
નંદિનીઃ એ સારું કર્યું. બધાં મજામાં છે? બા-બાપુજી?
મામુનીઃ હા.
નંદિનીઃ મામુની, મારી કેટલી બધી ઇચ્છા હતી કે તું મારે ઘેર આવે… આવી રીતે ક્યારેક બેસીએ… પણ મામુની, તને પણ મારા પર અણગમો તો નથી થતો ને?
મામુનીઃ ના ના, નંદિનીબેન, એવું ના બોલશો. તમને હું સમજી શકું છું. તે દિવસે હેમેનભાઈએ કોર્ટમાં કેટલું સાચું કહ્યું હતું કે કોઈક જેને પાપ માનતું હોય એ કદાચ કોઈના જીવનનો આધાર પણ હોય… યોગેન્દ્રને એ વાત કહી શક્યા હોત તો કેટલું સારું થાત!
નંદિનીઃ મામુની, મને ખબર છે કે યોગેન્દ્ર મારે લીધે બહુ બેચેન રહેતો હતો; પરંતુ એક વાત હું એને નથી કહી શકી.
મામુનીઃ કઈ વાત?
નંદિનીઃ એ વાત હું કોઈને કહી શકી નથી; પરંતુ શી ખબર શાથી આજે તને કહેવાનું મન થઈ આવ્યું છે… સંયમ નથી રાખી શકતી.
મામુનીઃ કહો નંદિનીબેન, સંકોચ ના રાખશો. મને તમારા મનની વાત કરો… મારા મનની પણ કેટલાક વાતો હવે હું તમને જ કહી શકું એમ છું.
નંદિનીઃ આજે લાગણીની ફરી પાછી કોઈ એવી ક્ષણ આવી છે કે જ્યારે મન નિર્બંધ થઈ વહી જવા માગે છે. મામુની, લગ્ન કરી હું આ ઘેર આવી પછી મને ખબર પડી કે મારા પતિ હર્ષદ ભટ્ટ એક બીજી સ્ત્રીને ચાહે છે – માયા ભાર્ગવને. એના વગર તે રહી શકે એમ નથી… એ પોતે ગમે તેટલો પ્રયત્ન કરે એ છતાં ય… ને મામુની, આ વાત એમણે પોતે મને કહી… મારી સાથે લગ્ન શા માટે કર્યું એ પ્રશ્ન પણ હું એમને પૂછી ના શકી.
મામુનીઃ કોઈના પણ પ્રેમ વગર જીવવું એ તો કેટલું મુશ્કેલ છે!
નંદિનીઃ હા મામુની ને એટલે જ શૂન્યમના અભાગી એવી હું કોઈની જરાક જેટલી હૂંફ શોધતી હતી ને મેં હેમેન તરફ મૈત્રીનો હાથ લંબાવ્યો – કદાચ પાપ કહો તો પાપ.
મામુનીઃ એ આપણી અસહાયતા છે. આપણને એ પ્રેમ ક્યાંક ખેંચી જાય છે, આપણા માટે એ પ્રેમ વિવશતા છે.
નંદિનીઃ પણ મારા માટે એ પ્રેમ દૂષિત થઈને આવ્યો – લાંછન સ્વરૂપમાં મારે પ્રેમને સ્વીકારવો પડ્યો. આ વાત કેમે ય કરી હું યોગેન્દ્રને કહી શકતી નહોતી.
મામુનીઃ તમે આ વાત કહો છો ત્યારે મને મનમાં એ જ થાય છે કે આ વાત તમે યોગેન્દ્રને કહી હોત તો એના હૃદયનો ભાર કેટલો હળવો થાત.
નંદિનીઃ જીવનમાં આમે ય હું ઘણી વાર મોડી પડી છું. આવી રીતે ઘણી વાર એકલી બેસું છું, સંગીતની રેકૉર્ડ્સ સાંભળું છું. મારી અંદર જે કશુંક ચાલી રહ્યું છે એની શોધ કરું છું… ઘણી વાર મને એવું લાગે છે કે મારું જીવન તો ઘણું આગળ વહી ગયું છે ને હું પોતે પાછળ રહી ગઈ છું… ચાલ જવા દે, મેં તો મારી જ વાત કરવા માંડી, પણ મામુની, મને એટલું તો કહે કે યોગેન્દ્રને મારા તરફ અણગમો તો નહોતો થઈ ગયો ને?
મામુનીઃ ના ઊલટાનું એ તો તમને સુખી જોવા ઇચ્છતો હતો.
નંદિનીઃ એમ કોઈની સુખી જોવાની ઇચ્છાથી સુખી થઈ શકાતું હોત તો કેવું સારું! મામુની, સાચું માનીશ! છેલ્લા કેટલા ય સમયથી હું તારા સુખની નિરંતર પ્રાર્થના કરતી હતી પરંતુ મારી પ્રાર્થના પણ ના ફળી.
મામુનીઃ નંદિનીબેન, હું કોર્ટમાં જે કાંઈ બોલી, જે કાંઈ વર્તી એને લીધે તમને મારા તરફ રોષ તો નથી થયો ને?
નંદિનીઃ ના ના, તારા અંતરાત્માના અવાજને વશ થઈ તેં જે કાંઈ કર્યું છે એ બરાબર છે.
મામુનીઃ ને આમેય જીવનમાં ક્યારેક દુઃખની એવી સીમા પર, એના એવા પ્રદેશમાં આવીને ઊભા રહીએ છીએ કે જ્યારે કોઈના પર પણ રોષ નથી રહેતો. ના, દુઃખ ઊભું કરનાર તરફ પણ નહિ. મનમાં જાણે કશું ખાલીપણું ઊભું થાય છે.
નંદિનીઃ હા, મામુની, એવી ક્ષણ કે જ્યારે દરેક માણસ તરફ આપણને ફક્ત અનુકંપા જ થાય છે.
મામુનીઃ નંદિનીબેન!
નંદિનીઃ આવ, મામુની, મારી વધારે પાસે આવ.
મામુનીઃ કદાચ તમે પોતે અશાંત હશો; પરંતુ તમારી પાસે, તમારી આજુબાજુ મને ઘણી શાંતિ લાગે છે. નંદિનીબેન, મારું દુઃખ મારા માટે અસહ્ય બની ગયું હતું.
નંદિનીઃ જાણું છું મામુની, તું તારા વિશે ખાસ કશું બોલતી નથી, પરંતુ તારી વેદના, મૌનની વેદના છે.
મામુનીઃ પરંતુ આજે શી ખબર શાથી તમારા ખભા પર માથું મૂકી થોડું રડી લેવાનું મન થાય છે. મારા આંખના ખૂણે થીજી ગયેલાં મારાં બેચાર આંસુઓની વાત તમને કહેવાનું મન થઈ આવ્યું છે.
નંદિનીઃ મામુની, વહી જવા દે એ આંસુઓને.
મામુનીઃ નંદિનીબેન, કેટલાક સમય પહેલાં હું રોજ એક સપનું જોયા કરતી હતી, એમાં રૂના પોલ જેવો સફેદ ને સૂર્યના તડકામાં ચાંદીની જેમ ચમકતો બરફીલો પ્રદેશ જોતી, એમાં ઊંચાં ઊંચાં, ચારેબાજુ ફેલાયેલાં ઘટાદાર દેવદારનાં વૃક્ષો જોતી, એની છાયામાં કૂણું કૂણું લીલું લીલું ઘાસ ઊગ્યું હોય એવી આછાપાતળા વળાંકવાળી, કવિતાના લય જેવી નાજુક આછા સરકતા ઢોળાવવાળી ધરતી જોતી, એના એક ખૂણામાં લાલ નળિયાવાળું નાનકડું રમકડા જેવું – ‘હટ’ જેવું, મારું ઘર જોતી… ને ચારેબાજુ શ્યામગુલાબનાં ફૂલો ઊગ્યાં હોય ને એ ફૂલોની વચ્ચે હું કોઈકની રાહ જોતી હોઉં… પરંતુ નંદિનીબેન, મારા એ શ્યામગુલાબનાં ફૂલો કરમાઈ ગયાં.
નંદિનીઃ આ સપનાનું ખેંચાણ જ એવું હોય છે… જેટલા બળથી ખેંચે છે એટલા જ બળથી આપણને પાછા ધકેલી દે છે.
મામુનીઃ પણ એની પછડાટ કેટલી બધી કારમી હોય છે?
નંદિનીઃ એમાં આપણને એકબીજાની હૂંફ ના હોય તો આપણે કદાચ જીવી જ ના શકીએ.
મામુનીઃ આ જીવન જીવવાની મથામણ, આ ખાલીપણું ને આ એકલતા આપણને કેવા કોરી ખાય છે! આપણને ભાન થાય છે કે આપણે કેટલા અસહાય છીએ ને આ એકાકીપણામાં જ આપણને લાગે છે કે આ વિશાળ માનવજીવનના આપણે તો માત્ર એક અંશ છીએ.
નંદિનીઃ એટલે જ આપણે એકબીજાનું અવલંબન તો જોઈએ જ છે.
મામુનીઃ નંદિનીબેન, એટલે જ હું મારા મનની એક વાત તમને કહેવા માગું છું.
નંદિનીઃ કહે, તારા મનમાં જે કાંઈ ચાલતું હોય તે બધું જ મન કહે.
મામુનીઃ તમને આ વાત કઈ રીતે કહું એની મૂંઝવણ થાય છે. એ વાત સાંભળીને કદાચ તમને આઘાત લાગશે. ખબર નથી કે મારા વિશે તમે કેવો અભિપ્રાય બાંધશો.
નંદિનીઃ કહે મામુની, મને કહેવામાં કશો સંકોચ ના રાખીશ.
મામુનીઃ હું વડોદરા બા-બાપુજી પાસે હતી ને…
નંદિનીઃ હા હા, ત્યારે શું બન્યું?
મામુનીઃ એ કે… એ કે… મારે તમારા ને યોગેન્દ્રના ભાઈ સુરેન્દ્ર સાથે હવે લગ્ન કરી લેવાં.
નંદિનીઃ તેં… તેં શું કહ્યું?
મામુનીઃ મેં… મેં… હા પાડી.
નંદિનીઃ સાચે જ! ખરેખર! આ એટલા બધા સારા સમાચાર છે કે હું જે કાંઈ સાંભળી રહી છું એ સાચું જ સાંભળી રહી છું ને?
મામુનીઃ નંદિનીબેન, મને ખબર છે કે મારા આ નિર્ણયથી જાતજાતની ચર્ચા – આશંકા થશે, થોડાક જ સમયમાં મેં મારું મન બદલ્યું એથી–
નંદિનીઃ ના ના, મામુની, એવું ના વિચારીશ. મેં તને હમણાં જ ના કહ્યું કે અળગા પડી ગયેલા જમીનના ટાપુની જેમ આપણે સાવ એકાકી રહી શકતા નથી. કારમામાં કારમી આપત્તિમાં આપણે કોઈની હૂંફ જોઈએ છીએ. દુઃખનો ભાર હળવો કરવા માટે પણ આપણને કશોક આધાર, કોઈનું અવલંબન જોઈએ છે. તેં જ ના કહ્યું કે આ વિશાળ માનવજીવનના આપણે તો માત્ર એક નાનકડા અંશ જ છીએ?
મામુનીઃ છતાં ય નંદિનીબેન, મેં આ જે કાંઈ વિચાર્યું એનાથી સહુ કોઈને આશ્ચર્ય થવાનું. મારો આ નિર્ણય બધા સહેલાઈથી નહિ સ્વીકારી લે. નંદિનીબેન મારી સાથે સંકળાયેલી, લાગણીના સંબંધ – અનુબંધથી સંકળાયેલી તમામ વ્યક્તિઓના મનમાં મારે માટે દુઃખ છે… એ તમામ વ્યક્તિઓના હૃદયમાં હું એ દુઃખને બદલે સુખ જોવા ઇચ્છું છું. તમે મારો આ સંબંધ સ્વીકાર્યો એથી મારું મન હળવું થયું. તમે મને આશીર્વાદ આપો.
નંદિનીઃ મામુની, આવ મારા ખભા પર તારું માથું ઢાળી દે. એક માની જેમ મારે તારા મુલાયમ વાળ પંપાળવા છે… મને શાંતિ મળે છે… મામુની, આ પાપી સ્ત્રીને જો આશીર્વાદ આપવાનો અધિકાર હોય તો હું તને આશીર્વાદ આપું છે કે કોઈ બરફીલા પ્રદેશની લીલીછમ ધરતીના ઢોળાવના કોઈ ખૂણે તારું ‘હટ’, તારું ઘર થશે ને એના આંગણામાં, તારી આજુબાજુ શ્યામગુલાબનાં અસંખ્ય ફૂલો ખીલશે ને એ ફૂલોની વચ્ચે કોઈકના માટે તું કશુંક ગૂંથતી હોઈશ ને દેવદારનાં ઊંચાં ઊંચાં વૃક્ષોની ટોચે તારી દૃષ્ટિ માંડી કોઈકની રાહ જોતી હોઈશ.

(મામુનીનાં શ્યામગુલાબ)