ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉત્તમવિજય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉત્તમવિજય-૧ [જ.ઈ.૧૭૦૪ - અવ. ઈ.૧૭૭૧/સં. ૧૮૨૭, મહા સુદ ૮] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં જિનવિજયના શિષ્ય. પૂર્વાશ્રમનું નામ પૂંજાશા. જન્મ અમદાવાદમાં. માતા માણેક. પિતા લાલચંદ. ઈ.૧૭૨૨માં ખરતરગચ્છના દેવચંદ્ર પાસે ધાર્મિક તત્ત્વગ્રંથોનો અભ્યાસ. ઈ.૧૭૪૦માં જિનવિજય પાસે દીક્ષા. અવસાન અમદાવાદમાં. ૩ ઢાળ અને ૫૧ કડીનું, સ્વોપજ્ઞ ગદ્યટીકા સાથેનું ‘સંયમશ્રેણી-ગર્ભિતમહાવીર-સ્તવન’ (૨. ઈ.૧૭૪૩/સં. ૧૭૯૯, વૈશાખ સુદ ૩ મુ.), ૩ ઢાળનું ‘અલ્પબહુત્વવિચારગર્ભિત-મહાવીરજિન-સ્તવન’ (૨. ઈ.૧૭૫૩/સં. ૧૮૦૯, આસો સુદ ૨; મુ.); ઈ.૧૭૪૩માં નિર્વાણ પામેલા જિનવિજયનું સમગ્ર ચરિત્ર વર્ણવતો, દુહા-દેશીબદ્ધ ૧૬ ઢાળનો ‘જિનવિજયનિર્વાણ-રાસ’ (મુ.);૩૧ કડીનું ‘જિનઆગમ-બહુમાન-સ્તવન’ (૨. ઈ.૧૭૫૩); ‘અષ્ટપ્રકારી-પૂજા’ (૨. ઈ.૧૭૫૭;મુ.), ‘ચોવીસી’ (૫ સ્તવન મુ.) અને કેટલાંક સ્તવનો-સઝાયો (મુ.)ના કર્તા. કૃતિ : ૧. સંયમશ્રેણીગર્ભિત મહાવીર સ્તવન સ્વોપજ્ઞ ગદ્યટીકા સાથે, સં. માનવિજય, ઈ.૧૯૨૨ (+સં.);  ૨. જૈઐરાસમાળા : ૧ (+સં.); ૩. જૈગૂસારરત્નો : (+સં.); ૪. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; પ. પૂજાસંગ્રહ, પ્ર. મોહનલાલ બાકરભાઈ, ઈ.૧૮૮૪; ૬. પ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]