ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જનીબાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જનીબાઈ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : શાક્ત સંપ્રદાયના મીઠુમહારાજ [જ.ઈ.૧૭૩૮-અવ. ઈ.૧૭૯૧)નાં શિષ્યા. ‘જની’ નામ છે કે તખલ્લુસ તે નક્કી થઈ શકતું નથી. ઈ.૧૮૦૧માં ગુરુનું પુર્નદર્શન, ઈ.૧૮૦૨માં ‘નવનાયિકાવર્ણન’ની રચના, ઈ.૧૮૦૪માં યુગલસ્વરૂપનાં તથા ઈ.૧૮૧૨માં બાળાદેવીનાં દર્શન અને ઈ.૧૮૧૨/સં. ૧૮૬૮, પોષ વદ ૧૩, રવિવારે દેહવિલય - એમની કૃતિઓમાં જણાવાયેલી આ માહિતીને આધારે જનીબાઈનો સમય ઈ.૧૮મી સદીના ઉત્તરાર્ધ અને ઈ.૧૯મીના પૂર્વાર્ધ વચ્ચેનો ગણી શકાય. કવયિત્રીએ પોતે આપેલ પોતાના દેહવિલયનો સમય કેટલો અધિકૃત ગણવો તે પ્રશ્ન છે. મીઠુ ભક્તની ચરિત્રાત્મક વીગતો ધરાવતું ગુરુમહિમાનું પદબંધ કાવ્ય ‘નાથજીપ્રાગટ્ય’, ‘નવનાયિકાવર્ણન’, શાક્તસિદ્ધાન્ત અનુસારના તત્ત્વજ્ઞાનનાં અને અધ્યાત્મબોધનાં કેટલાંક રૂપકાત્મક અને સુગમ-સરલ ગુજરાતી-હિંદી પદો અને ગરબીઓ - એમની જણાવાયેલી આ કૃતિઓમાંથી કોઈની હસ્તપ્રત આજે પ્રાપ્ય નથી, પણ ‘નાથજીપ્રાગટ્ય’માંનાં તથા અન્ય કેટલાંક છૂટક પદો મુદ્રિત થયેલાં છે. કૃતિ : ૧. ગુસાપઅહેવાલ:૬ - ‘જનીબાઈ’, ડાહ્યાભાઈ પી. દેરાસરી (કેટલાંક પદો મુ.);  ૨. સમાલોચક, જાન્યુ. ૧૯૨૧ - ‘જનીબાઈ’, ડાહ્યાભાઈ પી. દેરાસરી (કેટલાંક પદો મુ.)  ૨. સમાલોચક, જાન્યુ. ૧૯૨૧ - ‘જનીબાઈ’, ડાહ્યાભાઈ પી. દેરાસરી (કેટલાંક પદો મુ.). [ર.સો.]