ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જસસોમ-યશ-સોમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જસસોમ/યશ:સોમ [ઈ.૧૬૨૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. આનંદવિમલસૂરિની પરંપરામાં હર્ષસોમના શિષ્ય. ‘ચોવીસી’ (ર. ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, શ્રાવણ સુદ ૩, સોમવાર), ૬ કડીનું ‘(સાચોરમંડન) શીતલનાથ-સ્તવન’, ભૂલથી પ્રમોદમાણિક્યશિષ્ય જયસોમને નામે નોંધાયેલ ૪ કડીનું ‘ગુરુ-ગીત’ તથા ભૂલથી યશ:સોમશિષ્ય જયસોમને નામે નોંધાયેલ ‘વિજયદેવસૂરિ-સઝાય’ એ એમની કૃતિઓ છે. ‘કર્મગ્રંથ-બાલાવબોધ’ (મુ.) કે એના કેટલાક વિભાગો યશ:સોમને નામે મળે છે પરંતુ છયે કર્મગ્રંથોના બાલાવબોધ એમના શિષ્ય યશ:સોમની રચના હોવાનું સામાન્ય રીતે મનાયું છે. આ બાલાવબોધમાં યશ:સોમનું નામ ગુરુ તરીકે ગૂંથાતું હોય એવો સંભવ છે. ‘બંધસ્વામિત્વકર્મગ્રંથ-બાલાવબોધ’ની ૧ પ્રતમાં યશ:સોમ પાસેથી સાંભળીને જયસોમે ટબો લખ્યો એવો ઉલ્લેખ મળે છે તે ટબાના વાસ્તવિક કર્તૃત્વને સંદિગ્ધ બનાવી દે છે. કૃતિ : કર્મગ્રંથ,-. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]