ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/‘જંબૂસ્વામી-ફાગ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘જંબૂસ્વામી-ફાગ’ [ર.ઈ.૧૩૭૪] : આંતરપ્રાસવાળા ૬૦ દુહામાં રચાયેલી આ કૃતિ(મુ.)ના કર્તા “વિજયવંત તે છાજઈ, રાજઈ તિલક સમાન” એવી પંક્તિને કારણે ઈ.૧૪૭૦ - ઈ.૧૪૭૩માં હયાત પૂર્ણિમાગચ્છના રાજતિલક તથા કોઈ તિલકવિજય કે વિજયતિલક હોવાની સંભાવના કરવામાં આવી છે, પરંતુ ઉક્ત રાજતિલક આ કૃતિના કર્તા હોવાનું સમયદૃષ્ટિએ સ્વીકારી શકાય તેમ નથી તેમ જ અન્ય કર્તાનામો પણ, કોઈ પ્રમાણને અભાવે, તર્કની કોટિનાં જ રહે છે. જન્મથી વિરક્ત પણ માતાના આગ્રહથી ૮ કન્યાઓને પરણી સમગ્ર પરિવાર અને પ્રભવ ચોર તથા એના સાથીઓ સાથે દીક્ષા લેનાર જંબૂકુમારનું પ્રસિદ્ધ વૃત્તાંત વર્ણવતા આ કાવ્યમાં જંબૂકુમાર લગ્ન પૂર્વે પરિવાર સાથે વૈભારગિરિ પર વસંતક્રીડા કરવા જાય છે તે નિમિત્તે વસંતવર્ણનને તથા ૮ કન્યાઓને નિમિત્તે સૌન્દર્યવર્ણનને અવકાશ મળ્યો છે, પણ નાયકની વિરક્તતાને કારણે શૃંગારરસના આલેખનને સ્વાભાવિક રીતે જ અવકાશ મળ્યો નથી. અહીં જંબૂકુમારના શણગારનું પણ વર્ણન થયેલું છે એ ધ્યાન ખેંચે એવી બાબત છે. કવિનાં વર્ણનો પ્રાસાદિક, છટાદાર ને પરંપરાગત અલંકારોથી શોભીતાં છે. એમાં ‘વસંતવિલાસ’ સાથેનું સામ્ય પણ કેટલેક સ્થાને દેખાય છે.[જ.કો.]