ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તાપીદાસ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તાપીદાસ-૧ [ઈ.૧૬૫૦માં હયાત] : આખ્યાનકાર. નર્મદાતટે ભૃગુક્ષેત્રમાં હરિયાદ (હાલનું રહિયાદ?)ના વતની. બંધારા જ્ઞાતિ. મહાભારતના દ્રોણપર્વમાંની કોઈ પંડિત પાસેથી સાંભળેલી અભિમન્યુકથાના આધારે રચાયેલા ૨૨ કડવાંના તેમના ‘અભિમન્યુ-આખ્યાન’ (ર.ઈ.૧૬૫૦/સં.૧૭૦૮, આસો સુદ ૨, શુક્રવાર; મુ.)માં વર્ણનાત્મકતા ઓછી છે ને પાત્રસંભાષણોની વિપુલતા છે, જેમાં વ્યવહારબોધનાં ઘણાં સામાન્ય કથનો પણ આવે છે. પ્રસંગોચિત અલંકારોનો વિનિયોગ કરતી આ કૃતિ ઉત્તરાના સ્વપ્નદર્શન જેવા કોઈ પ્રસંગોમાં રસાત્મકતા દાખવે છે. આ કવિને નામે ર.સં.૧૭૬૮ (ઈ.૧૭૧૨)નું ‘બભ્રુવાહન-આખ્યાન’ નોંધાયું છે અને તેની ર.સં.૧૭૦૮ (ઈ.૧૬૫૨) હોવાનો તર્ક થયો છે પરંતુ આ સઘળી હકીકત માટે વિશેષ પ્રમાણની જરૂર રહે છે. કૃતિ : ૧. (મહાકવિ પ્રેમાનંદના પુરોગામી કવિ તાપીદાસ કૃત) અભિમન્યુ-આખ્યાન તથા અભિમન્યુનું લોકસાહિત્ય, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૨૫ (+સં.);  ૨. પ્રાકાસુધા : ૧ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧,૨;  ૨. ગૂહાયાદી; ૩. જૈગૂકવિઓ : ૩(૨).[ચ.શે.]