ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવચંદ્ર ગણિ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દેવચંદ્ર(ગણિ)-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ - અવ. ઈ.૧૬૪૨/સં. ૧૬૯૮, વૈશાખ સુદ ૮] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિ-સકલચંદ્ર-ઉપાધ્યાયની પરંપરામાં ઉપાધ્યાય ભાનુચંદ્રના શિષ્ય. અહિમ્મ-નગરમાં ઓસવાલ પરિવારમાં જન્મ. જન્મનામ ગોપાલ. પિતા રીંડો શાહ. માતા વરબાઈ.૯ વર્ષની વયે પિતાનું અવસાન. વિજયસેનસૂરિના ઉપદેશથી વૈરાગ્ય અને પંડિત રંગચંદ્ર પાસે દીક્ષા. ઉપાધ્યાય ભાનુચંદ્ર પાસે અધ્યયન ને એમનું શિષ્યત્વ. ઈ.૧૬૦૯માં પંડિતપદ. જીવનપર્યંત એકાશન જેવાં વ્રતનિયમો પાળનાર ને ગુજરાત-રાજસ્થાનમાં વ્યાપક વિહાર કરનાર આ કવિ સં. ૧૬૯૭માં સરોતરામાં ચાતુર્માસ કર્યા પછી ત્રેપન વર્ષની વયે અનશનપૂર્વક અવસાન પામ્યા. એમની ૭ ઢાળ અને ૧૧૮ કડીની ‘શત્રુંજયતીર્થ-પરિપાટી’(મુ.)માં સં.૧૬૯૫ (ઈ.૧૬૩૯)માં ઇડરમાં ચાતુર્માસ કર્યા પછી કરેલી શત્રુંજયયાત્રાનું વર્ણન છે. એમાં કવિએ ભાવપૂર્વક ગાયેલ શત્રુંજયયાત્રાનો મહિમા ધ્યાન ખેંચે છે. કવિની અન્ય કૃતિઓમાં ૧૭૪ કડીની ‘પૃથ્વીચંદકુમાર-રાસ’ (ર. ઈ. ૧૬૪૦/સં. ૧૬૯૬, ફાગણ સુદ ૧૧), ૨૦૮ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈ/રાસ’ (* મુ.), ૮૯ કડીની ‘મહાવીરસત્તાવીસ ભવ-સ્તવન’, ૬૧ કડીની ‘(પોસીનાપુરમંડન) પાર્શ્વનાથ-સ્તવન’, દિવાળીના દિવસોમાં થતાં પાપકર્મો વર્ણવતી ૨૫ કડીની ‘દિવાળીની સઝાય’ (મુ.) તથા અન્ય તીર્થ-તીર્થંકરાદિવિષયક સ્તવનો, સઝાયો વગેરેનો સમાવેશ થાય છે. કવિએ સંસ્કૃતમાં ‘શોભન-સ્તુતિ’ પર ટીકા તથા ‘સૌભાગ્યપંચમી-સ્તુતિ’ રચેલ છે. એમને નામે નોંધાયેલ ‘જિનશતક’ તથા ‘વિચાર-ષટ્ત્રિંશિકા’ પણ સંસ્કૃત કૃતિઓ હોવાનું સમજાય છે. કૃતિ : ૧ જૈરસંગ્રહ; ૨. પ્રાતીસંગ્રહ : ૧ ( સં.); ૩. સજઝાય માળા (પં.) સંદર્ભ : ૧. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ; ૨, હીરાલાલ ૨. કાપડિયા, ઈ.૧૯૬૮;  ૨. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૩૭-‘દો ઐતિહાસિક રાસોંકા સાર’, અગરચંદ નાહટા;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫ હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.)