ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવા સાહેબ દેવાજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દેવા(સાહેબ)/દેવાજી [ઈ.૧૮મી સદી] : સંતકવિ. હમલા (કચ્છ)ના જાડેજા રજપૂત. તેમના શિષ્યો બિહારીદાસ (જ. ઈ.૧૭૪૮) તથા જેઠીરામ (ઈ.૧૭૬૧માં હયાત)ના સમયને કારણે કવિને ઈ.૧૮મી સદીમાં થયેલા ગણી શકાય. દેવાસાહેબને કોઈ યોગીના સંપર્કથી નાની ઉંમરથી વૈરાગ્યનો રંગ લાગેલો પણ એમણે લગ્ન સ્વીકાર્યા ને તે પછી ૨૦ વર્ષની ઉંમરે સંસારત્યાગ કર્યો. ગુજરાતી તેમ જ હિંદી ભાષામાં રચાયેલાં સંતકવિનાં પદો (૧૦૦ ઉપરાંત મુ.) બ્રહ્મવાદ, અદ્વૈતભાવ, આત્મસ્વરૂપ, વૈરાગ્ય, સંતમહિમા, સંતલક્ષણ વગેરે વિષયોને આવરી લેતાં જ્ઞાનમાર્ગી પરંપરાનાં પદો છે. આ પદો દૃષ્ટાંતાદિકના વિનિયોગ અને સરળ લોકગમ્ય આધ્યાત્મબોધને કારણે ધ્યાન ખેંચે છે. કવિએ હિંદીમાં અનેક શાસ્ત્રોના સાર રૂપ ‘જ્ઞાનકાંડ/રામસાગર’, ‘ઉપાસનાકાંડ/હરિસાગર’ અને ‘કર્મકાંડ/કૃષ્ણસાગર’ની રચના કરેલી છે. કૃતિ : ૧. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. બૃકાદોહન : ૫; ૪. ભસાસિંધુ. સંદર્ભ : ૧. કચ્છના સંતો અને કવિઓ : ૧, દુલેરાય કારાણી, સં. ૨૦૧૫; ૨. ગુસારસ્વતો;  ૩. ગૂહાયાદી [કી.જો.]