ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નલદવદંતીરાસ’-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘નલદવદંતીરાસ’-૨ [ર.ઈ.૧૫૫૬/સં.૧૬૧૨, ભાદરવા સુદ ૯] : દુહા, ચોપાઈ આદિ માત્રામેળ છંદો અને દેશી ઢાળોની ૧૨૫૪ કડીમાં બંધાયેલો મહીરાજકૃત આ રાસ(મુ.) બહુધા હેમચંદ્રના ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર’માંની જૈન પરંપરાની કથાને અનુસરે છે ને કેટલાંક નિરૂપણો અને કલ્પનાઓમાં પુરોગામી કવિ ઋષિવર્ધનનો તથા દેવપ્રભસૂરિકૃત ‘પાંડવચરિત્ર’નો પ્રભાવ બતાવે છે. પૂર્વેના કવિઓ કરતાં મોટું કદ ધરવતા આ રાસમાં નલદવદંતીના પૂર્વભવના પ્રસંગો થોડી વીગતે વર્ણવાયા છે, દૃષ્ટાંતો ને સુભાષિતોની મદદથી વારંવાર ને પરંપરાગત વર્ણનોનો આશ્રય લેવાયો છે. એ વર્ણનોમાં દવદંતીના વિરહને સંદર્ભે થયેલું જનજીવનની વાસ્તવિક રેખાઓને વણી લેતું ઋતુવર્ણન જેવાં કેટલાંક વર્ણનો ધ્યાન ખેંચે છે.[ભો.સાં.]