ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નલદવદંતીરાસ’-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘નલદવદંતીરાસ’-૩ [ર.ઈ.૧૬૧૭] : ખરતરગચ્છના ઉપાધ્યાય સકલચંદ્રના શિષ્ય સમયસુંદરની ૩૮ ઢાળ અને ૬ ખંડમાં વિભક્ત આ કૃતિ(મુ.)માં ‘પાંડવચરિત્ર’ અને ‘નેમિચરિત્ર’ની જૈન નલકથાને કવિ અનુસર્યા હોવાથી નલ-દવદંતીની જૈન પરંપરામાં પ્રચલિત કથા જ મળે છે. નલ અને દવદંતીના ભવથી કથાની શરૂઆત કરી તેમના પૂર્વજન્મની વાત વચ્ચે સંક્ષેપમાં કહી દેવાને લીધે ને છઠ્ઠા ખંડમાં તેમના પછીના ભવની વાત વિસ્તારથી કહેવાને લીધે કવિ પુરોગામીઓથી જુદા ફંટાય છે.એનાથી છઠ્ઠો ખંડ આખી કૃતિમાં મૂળ કથાપ્રવાહથી જુદો પડી જતો લાગે છે. શૃંગાર, કરુણ, અદ્ભુત ને શાંત રસનું નિરૂપણ પ્રસંગોપાત કૃતિમાં થયું છે તોપણ કોઈ એક રસ કૃતિના કેન્દ્રમાં હોય એમ કહી શકય એવું નથી. એટલું જ નહીં કેટલીક ભાવપૂર્ણ પરિસ્થિતિઓને જેટલી ખીલવવી જોઈએ તેટલી કવિએ ખીલવી પણ નથી. વર્ણનોય બહુધા પ્રણાલિકાનુસારી છે. તો પણ નળ અને કુબરના દ્યુતનો પ્રસંગ, નળ અને દવદંતી વચ્ચેનો આનંદપ્રમોદ, દવદંતીનો ત્યાગ કરતી વખતે નળના ડાબા અને જમણા હાથ વચ્ચે થતા સંવાદ દ્વારા વ્યક્ત થયેલો નળનો દ્વિધાભાવ ઇત્યાદિ ઘણી જગ્યાએ કવિનું આલેખન પોતાની આગવી ચમત્કૃતિ ધારણ કરે છે. મારવાડી અને ફારસી શબ્દોની અસર કૃતિની શૈલીમાં અનુભવાય છે.[જ.ગા.]