ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નેમિનાથ-હમચડી’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘નેમિનાથ-હમચડી’ [ર.ઈ.૧૫૦૮] : જૈન સાધુ લાવણ્યસમયની હમચડી અથવા હમચી સ્વરૂપે લખાયેલી, નેમિનાથ-રાજુલના અતિપ્રસિદ્ધ કથાનકને રસિકતાથી નિરૂપતી ૮૪ કડીની આ નાની રચના (મુ.) છે. આ રચના વિષયવસ્તુ અને પ્રસંગ આલેખનની દૃષ્ટિએ, આ જ કવિની ઈ.૧૪૯૦માં રચાયેલી ‘નેમિરંગરત્નાકર-છંદ’ કૃતિની લઘુ આવૃત્તિ જેવી ગણી શકાય. કૃતિમાં હમચીના પ્રકારને અનુરૂપ વેગવાન સમુહનૃત્યમાં ગાઈ શકાય એ રીતે ભાષાને વેગીલી બનાવતા ગીતિકા છંદને કવિએ પ્રયોજ્યો છે. કથાનકનું કેટલુંક પ્રસંગનિરૂપણ આલંકારિક, ચિત્રાત્મક અને ભાવસભર છે. ક્યાંક હિંદીના રણકાવાળી ભાષામાં સાદ્યંત પદમાધુર્યનો અનુભવ થાય છે. [કા.સા.]