ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ જીવણસાહેબ-દાસી જીવણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (જીવણસાહેબ/દાસી જીવણ) : રવિભાણ સંપ્રદાયના આ સંતકવિનાં પદો-ભજનો (ઘણાં મુ.) ગુજરાતી ભજન પરંપરામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ ભજનોમાં મુખ્યપણે નિરૂપાયેલા ૨ વિષયો-અધ્યાત્મઅનુભવની મસ્તી અને દર્દીલો પ્રેમભાવ-ગોપીભાવ. પહેલા પ્રકારનાં ભજનોમાં અતીન્દ્રિય અનુભવનું, એની નાદમયતા, અને પ્રકાશમયતાનું જે રીતે પ્રત્યક્ષીકરણ થયું છે તે ઘણું જ નોંધપાત્ર છે. એમાં યોગમાર્ગની પરંપરામાં જાણીતાં રૂપકોનો વિનિયોગ થયેલો છે તેમ મોરલો, નટવો, હાટડી વગેરે કેટલાંક નૂતન રૂપકચિત્રો પણ નિર્મિત થયેલાં છે. વર્ણધ્વનિનો પણ ચિત્રો ઉપસાવવામાં પ્રચુરપણે લેવાયેલો આશ્રય આ સંતકવિની આગવી લાક્ષણિકતા છે. ગોપીભાવનાં પદો કવચિત્ મિલનનો કેફ વર્ણવે છે ને વધારે તો આરત અને વિરહના ભાવોને તળપદી લઢણોથી ને નિર્વાજ સરલતાથી વર્ણવે છે, અને જીવણસાહેબના દાસીભાવની પ્રતીતિ કરાવે છે. આ ઉપરાંત ઈશ્વરલીલા, પ્રાર્થના, ભક્તિ-વૈરાગ્યબોધ વગેરે વિષયોનાં જીવનસાહેબનાં પદો પણ મળે છે, અને ગુરુમહિમા પણ વારંવાર ઉમળકાથી ગવાયો છે. એમાં દૃષ્ટાંતો, રૂપકોના વિનિયોગ ઉપરાંત પણ શાંત સમજાવટની વાણી છે. સંસારીઓની માયાલુબ્ધતા વગેરે પર પ્રહાર કવચિત જ છે. જીવણસાહેબ બાહ્ય કિયાકાંડોને મહત્ત્વ નથી આપતા અને કાપડીના, અતીતના, ફકીરના વેશે ફરવાની ઇચ્છા રાખે છે તે એમનો જડ સાંપ્રદાયિકતાથી ઉપર જતો ધર્મભાવ વ્યક્ત કરે છે. અધીનતાનો મહિમા કરતી ને મનની ચંચળતાને સચોટ રીતે વર્ણવતી એમની રચનાઓ નિજી રીતે વસ્તુને રજૂ કરવાની એમની ક્ષમતાનાં ઉદાહરણ રૂપ છે. એમની ભાષામાં હિંદીનો વણાટ છે ને ઘણાં પદો તો હિંદી ભાષામાં પણ રચાયેલાં મળે છે. અગમતત્ત્વને આલેખતાં જીવણસાહેબનાં પદો ઘણાં પ્રભાવક છે ને ભજનમંડળીઓમાં એ ખૂબ ગવાય છે. કટારીનું રૂપક પ્રયોજતા ‘કટારી’ને નામે ઓળખાતાં ભજનો તો જીવણસાહેબનાં જ એમ મનાય છે. તેમ છતાં “વાડી વેડીશ મા હો મારા રે વાડીના ભમરલા’ જેવાં પદો એમની તળપદી અભિવ્યક્તિને કારણે લોકજીભે વધુ ચડેલાં છે.[ચ.શે.]