ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ દયારામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ(દયારામ) : દયારામનાં પદો (મુ.)નો વધુ લોકપ્રિય બનેલો ભાગ તો ‘ગરબી’ને નામે ઓળખાયેલી રચનાઓનો છે. દયારામનું વ્યક્તિ-ચિત્ર ઘણી વાર એને આધારે ઊભું કરવામાં આવે છે. પરંતુ પરંપરાગત ભક્તિવૈરાગ્યબોધનાં પણ સેંકડો પદો દયારામ પાસેથી મળે છે, અને એ પદો આપણી સમક્ષ દયારામની એક જુદી છબી રજૂ કરે છે. એમાં મુક્તિને સ્થાને ભક્તિની જ આકાંક્ષા, જ્ઞાનનો તિરસ્કાર અને પ્રેમમાર્ગનો મહિમા, અનન્યનિષ્ઠા, ઈશ્વરના પ્રગટ સ્વરૂપનો આદર-એ પુષ્ટિમાર્ગસંમત ખ્યાલો વ્યક્ત થયા છે તે ઉપરાંત આત્મગ્લાનિ, દીનતા, વિરક્તતા, આતિ, ઇશ્વર-શરણ્યતા, નિશ્ચિતતા, નિર્મળતા આદિ મનોભાવો હૃદયસ્પર્શી રીતે વ્યક્ત થયા છે. સઘળાં પદો દૃષ્ટાંતોના વિનિયોગ, પ્રાસાદિક ભાવવાહી અભિવ્યક્તિ અને કવચિત પ્રાસાનુપ્રાસની લીલાથી ધ્યાન ખેંચે છે. જીવ-બ્રહ્મની એકતાને માનનાર વિશે કવિ કહે છે કે “છતે સ્વામીએ સૌભાગ્યનું સુખ સ્વપ્ને ન દેખ રે” ને પોતાના મનને એક વખત ઢણકતું ઢોર કહી આત્મશિક્ષાની વાત કરે છે. તો બીજી વખત વૈરાગ્યભાવથી મનજી મુસાફરને પોતાના દેશ ભણી જવા ઉદ્બોધે છે. “જે કોઈ પ્રેમ-અંશ અવતરે પ્રેમરસ તેના ઉરમાં ઠરે” ને “વ્રજ વહાલું રે વૈકુંઠ નહીં આવું” જેવાં કેટલાંક પદો તો લોકજીભે પણ ચડેલાં છે.[જ.કો.]