ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/‘પાર્શ્વચંદ્ર-૨ પાસચંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘પાર્શ્વચંદ્ર-૨/પાસચંદ [જ.ઈ.૧૪૮૧/સં. ૧૫૩૭, ચૈત્ર સુદ ૯, શુક્રવાર-અવ. ઈ.૧૫૫૫/સં. ૧૬૧૨, માગસર સુદ ૩, રવિવાર] : બૃહત્નાગોરીગચ્છના જૈન સાધુ. પાયચંદ/પાર્શ્વચંદ્રગચ્છના સ્થાપક. પદ્મપ્રભસૂરિની પરંપરામાં સાધુરત્નના શિષ્ય. જન્મ આબુની તળેટીમાં આવેલા હમીરપુરમાં. જ્ઞાતિએ વિસા પોરવાડ. પિતા વેલગ/વિલ્હગ/વેલા નરોત્તમ શાહ. માતા વિમલાદેવી. બાળપણનું નામ પાસચંદકુમાર. ઈ.૧૪૯૦/સં. ૧૫૪૬, વૈશાખ સુદ ૩ના રોજ સાધુરત્ન દ્વારા દીક્ષા પ્રાપ્ત કરી. દીક્ષા પછી પાર્શ્વચંદ્ર નામ. ષડાવશ્યક પ્રકરણાદિ, વ્યાકરણ, કાવ્ય, કોશ, નાટક, ચંપૂ, સંગીત, છંદ, અલંકાર, ન્યાય, યોગ, જ્યોતિષ, શ્રુતિ, સ્મૃતિ, ષડ્દર્શનો તથા જૈન ધર્મગ્રંથોના ઊંડા અભ્યાસી અને તપસ્વી. તેમને ઉપાધ્યાયપદ ઈ.૧૪૯૮/સં.૧૫૫૪, વૈશાખ સુદ ૩ના રોજ નાગોરમાં અને આચાર્યપદ ઈ.૧૫૦૯/સં. ૧૫૬૫, વૈશાખ સુદ ૩ના રોજ સલક્ષણ (શંખલ) પુરમાં શ્રીમન્નાગપુરીય તપગચ્છાધિરાજ સોમવિમલસૂરિ દ્વારા આપવામાં આવેલું. ઈ.૧૫૪૩માં તેઓ યુગપ્રધાનપદ પામ્યા હતા. તેમણે વ્યાપક રીતે વિહાર કરી જૈન ધર્મનો બહોળો પ્રચાર કર્યો હતો. તેમનો શિષ્યસમુદાય વિશાળ હતો. તેમનું અવસાન જોધપુરમાં થયું હતું. તેમની ઉલ્લેખનીય કૃતિઓ આ મુજબ છે : ૨૯/૩૦ કડીની ‘શીલગુહાસ્થાપનરૂપકમાલા/રૂપકમાલા’ (ર.ઈ.૧૫૨૬/૧૫૩૦), ૪૦૬ કડીની ‘આરાધના મોટી/આરાધના-રાસ’ (ર.ઈ.૧૫૩૬/સં.૧૫૯૩, મહા સુદ ૧૩, ગુરુવાર; મુ.), દુહા-ઢાળમાં ૪૧ કડીની ‘નાની આરાધના, ૩૧ કડીનું વિમલનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૩૮), લક્ષ્મીસાગરસૂરિકૃત ‘વસ્તુપાલ તેજપાલ-રાસ’ની ગાઢ અસર હેઠળ રચાયેલો ૮૬ કડીનો ‘વસ્તુપાળ-તેજપાળ-રાસ’ (ર.ઈ.૧૫૪૧; મુ.),ગદ્યમાં ‘ચઉશરણ પ્રકીર્ણક-બાલાવબોધ/ચઉસરણપયન્ના ઉપર વાર્તિક’ (ર.ઈ.૧૫૪૧/સં.૧૫૯૭, ફાગણ સુદ ૧૩, રવિવાર), ૧૦૨ કડીની ‘ખંધકમુનિચરિત્ર-સઝાય’ (ર.ઈ.૧૫૪૪/સં.૧૬૦૦, વૈશાખ સુદ ૮, શુક્રવાર), ૭૦ કડીનું ‘મહાવીરજિન-સ્તવન-સદૃહણા વિચારગર્ભિત’ (ર.ઈ.૧૫૫૧), ૧૭ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૫૧), ‘ગીતાર્થપદાવબોધકકુલક/ગીતાર્થાવબોધકુલક’ અને ૪૧/૪૨ કડીનું ‘બ્રહ્મચર્યદશમાધિસ્થાન-કુલક’ જેવાં કુલકો; ૩૩ કડીની ‘અગિયારબોલ-બત્રીસી/અગ્યારબોલની સઝાય/એકાદશવચનદ્વાત્રિંશિકા’ (મુ.) અને ૩૨ કડીની ‘સંવેગબત્રીસી’ (મુ.) જેવી બત્રીસીઓ; ૩૬ કડીની ‘આગમ-છત્રીસી’ (મુ.), ૩૭ કડીની ‘ગુરુ-છત્રીસી/ભાષા-છત્રીસી’, ૩૬/૩૭ કડીની ‘પાક્ષિક-છત્રીસી/પાખી-છત્રીસી’, ૩૬ કડીની ‘મુખપોતિકાષટ્ત્રિંશકા મુહપત્તિ-છત્રીસી’ જેવી છત્રીસીઓ; ૧૧ કડીનો ‘પાર્શ્વનાથ-છંદ’ તથા ૧૨ કડીનો ‘સમ્યકત્વદીપકદોહક-છંદ’ જેવા છંદો; ૭૪ કડીની ‘અમરદ્વાસપ્તતિકા/અમસરસત્તરીસુરદીપિકા-પ્રબંધ’, ૭૫ કડીનો ‘કેશી પ્રદેશી-પ્રબંધ/સઝાય’ (મુ.) તથા ૧૨૪/૧૨૮ કડીનો ‘સંગરંગ-પ્રબંધ’ જેવી પ્રબંધાત્મક કૃતિઓ; વસ્તુ અને ઢાળમાં, અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં ૫૫ કડીની ‘આદિજિન-વિનતિ/આદીશ્વર-વિનતિ’ (મુ.) અને ૨૯ કડીની ‘સત્તરભેદપૂજાવિચાર સહિત જિનપ્રતિમા સ્થાપન-વિજ્ઞત્પિકા’/‘સપ્તભેદપૂજવિચાર-સ્તવન’ જેવી વિજ્ઞપ્તિઓ-વિનતિઓ; ‘દીક્ષાવિધિ’, પૂજાવિધિ’ અને ‘યોગવિધિ’ જેવી વિધિવિષયક કૃતિઓ; ૩૬/૪૫ કડીની ‘ચરિત્ર/ચારિત્ર મનોરથમાલા’ (મુ.), ૪૧ કડીની ‘શ્રમણમનોરથ-માલા’ જેવી મનોરથમાલાઓ; ‘અષ્ટકર્મવિચાર’, વિધિવિચાર’ અને ગદ્યમાં ‘ષટ્દ્રવ્ય સ્વભાવનયવિચાર’ (મુ.) જેવી ‘વિચાર’સંજ્ઞક કૃતિઓ; ૧૭ કડીનો ‘ગૌતમસ્વામીલઘુ-રાસ’ (મુ.) અને ‘શત્રુંજય-રાસ’ જેવી રાસકૃતિઓ; ૧૦૧/૧૦૪ કડીનું ‘એષણા-શતક’, ‘વિવેકશતક’ જેવાં શતક; ૨૧ કડીની ‘આઠમદપરિહાર-સઝાય’, ૨૨ કડીની ‘કલ્યાણક-સઝાય/મહાવીરસ્વામીના નિર્વાણકલ્યાણકની સઝાય’(મુ.), ૨૦ કડીની ‘કાઉસગ્ગના ૧૯ દોષની સઝાય’, ૩૯ કડીની ‘જિનપ્રતિમા સ્થાપન-રાસ/સઝાય’ (મુ.), ૨૧ કડીની ‘શીલદીપક-સઝાય/શીલદીપિકા’ તથા ૭ ઢાળની ‘સાધુવંદના’, ૨૩ કડીનું ‘ચોવીસ-દંડકવિચાર-ગર્ભિત-પાર્શ્વનાથ-સ્તવન’, ૫૮ કડીનું ‘નિશ્ચયવ્યવહારવિચાર-ગર્ભિત-ચોવીસજિન-સ્તવન/નિશ્ચયવ્યવહાર ષટ્પંચાશિકા’, ૯૦/૯૧ કડીનું ‘દંડકવિચાર-સ્તવન’, ૯૫ કડીનું ‘ષડવિંશતિદ્વારગર્ભિત વીર-સ્તવન’ તથા આદિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ, મલ્લિનાથ, શાંતિનાથ, મહાવીર વગેરે વિશેનાં શત્રુંજયવિષયક સ્તવનો (કેટલાંક મુ.). આ ઉપરાંત નંદિષેણની મૂળ પ્રાકૃત રચના પર આધારિત ‘અજિતશાંતિસ્તવ-બાલાવબોધ’, સુધર્માસ્વામીની મૂળ પ્રાકૃત રચના પરથી ૪૫૦૦ ગ્રંથાગ્રનો ‘આચારાંગસૂત્ર-બાલાવબોધ/વાર્તિક/સ્તબક’ (*મુ.), ૯૦૦૦ ગ્રંથાગ્રનો ‘ઉત્તરાધ્યાન સૂત્ર-બાલાવબોધ’, ૬૭૦૦ ગ્રંથાગ્રનો ‘ઔપપાતિક સૂત્ર-બાલાવબોધ’, ભદ્રબાહુકૃત પ્રાકૃત ‘કલ્પસૂત્ર’ની વ્યાખ્યા કરતો ૧૨૦૦ ગ્રંથાગ્રનો સ્તબક, પ્રાકૃત ‘તન્દુલવૈચારિકપ્રકીર્ણ’ પર ૧૫૦૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ/વાર્તિક, ભવસૂરિના પ્રાકૃત ‘દશવૈકાલિક્સૂત્રો’ પરનો ૨૩૪૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ, મૂળ ૫૦ કડીના ‘નવતત્ત્વપ્રકરણ’ પરના બાલાવબોધ/સ્તબક, ‘નિયતાનિયતપ્રશ્નોત્તરપ્રદીપિકા /નિયતાનિયતપ્રશ્નોત્તરદીપિકા - સ્તબક’, ‘સાધુપ્રતિક્રમણાસૂત્ર-બાલાવબોધ’, ‘રાયપસેણીસૂત્ર-બાલાવબોધ’, ‘પ્રશ્નવ્યાકરણસૂત્ર-બાલાવબોધ’, ‘ભાષાના ૪૨ ભેદનો બાલાવબોધ’, રત્નશેખરસૂરિકૃત પ્રાકૃત ‘લઘુક્ષેત્રસમાસપ્રકરણ’ પરનો બાલાવબોધ, સુધર્માસ્વામીના પ્રાકૃત ‘સૂત્રકૃતાંગસૂત્ર’ પરનો બાલાવબોધ, ૬૫૫ ગ્રંથાગ્રના ‘લુંપક પ્રશ્નોના ઉત્તર’ વગેરે ગદ્યકૃતિઓ; ૧૫૫/૧૫૬ કડીની ‘અતિચાર/શ્રાવકપાક્ષિકાદિ અતિચાર’, ૨૩ કડીની ‘આત્મશિક્ષા’ (મુ.), ૫૦ કડીની ‘ગચ્છચાર પંચાશિકા’, ‘મતોત્પત્તિ-ચોપાઈ’ વગેરે જેવી નાની-મોટી અનેક ચોપાઈઓ, ગીતો, સ્તવનો તથા સઝાયો તેમનાં રચેલાં મળે છે. તેમણે ગુજરાતી ઉપરાંત પ્રાકૃતમાં સપ્તપદીશાસ્ત્ર અને સંસ્કૃતમાં ‘સંઘઘટ્ટક’ વગેરે ગ્રંથરચનાઓ કરી હોવાનું નોંધાયું છે. કૃતિ : ૧. * આચારાંગસૂત્ર બાલાવબોધ, પ્રકા. રાય ધનપતસિંહ, ઈ.૧૮૮૦; ૨. * આચારાંગસૂત્ર બાલાવબોધ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૮૧; ૩. આઠ પ્રવચન માતાની સઝાય વગેરે અનેક પદ્યોનો સંગ્રહ, પ્રકા. શા. ચતુર્ભુજ તેજપાળ, સં. ૧૯૮૪; ૪. ઐરાસંગ્રહ-૧; ૫. જૈરસંગ્રહ; ૬. પ્રાસ્તસંગ્રહ; ૭. ષટ્દ્રવ્યનયવિચારાદિપ્રકરણસંગ્રહ, પ્ર. મંગલદાસ લ. શ્રાવક, સં. ૧૯૬૯; ૮. સઝાયસંગ્રહ, પ્ર. ગોકળદાસ મં. શા. સં. ૧૯૭૮;  ૯. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૩-‘શ્રીપાસચંદ્રસૂરિકૃત શ્રીવસ્તુપાલ તેજપાલ રાસ’, સં. મુનિશ્રી જયંતવિજયજી (+સં.); ૧૦. જૈનસાહિત્ય સંશોધક, ફાગણ, સં. ૧૯૮૩-‘મહામાત્ય વસ્તુપાળ તેજપાળના બે રાસ’, સં. જિનવિજય. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. નયુકવિઓ; ૪. શ્રીપાર્શ્વચંદ્રગચ્છ ટૂંક રૂપરેખા, સં. શ્રી જૈન હઠીસિંહ સરસ્વતી સભા, સં. ૧૯૯૭; ૫. શ્રીમન્નાગપુરીય તપાગચ્છની પટ્ટાવલી, પ્ર. શ્રી જૈન યુવક મંડળ, ઈ.૧૯૧૬;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. કૅટલૉગપુરા; ૮. જૈગૂકવિઓ : ૧, ૨, ૩(૧,૨); ૯. જૈમગૂકરચનાએં : ૧; ૧૦. જૈહાપ્રોસ્ટા; ૧૧. ડિકૅટલૉગભાઈ : ૧૭(૧,૨), ૧૯; ૧૨. મુપુગૂહસૂચી; ૧૩. રાહસૂચી : ૨; ૧૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ચ.શે.]