ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/‘બોડાણાનું આખ્યાન’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘બોડાણાનું આખ્યાન’ : ‘રણછોડજીનો સલોકો’ એ અપરનામથી પણ ઓળખાતી કાલિકાના ગરબા જેવી શામળની ‘બોડાણાનું આખ્યાન’(મુ.) કથનાત્મક રચના છે. હાથમાં તુલસી ઉગાડી વરસમાં બેત્રણ વાર દ્વારિકા જઈ તે વડે ભગવાનની સિત્તેર વરસ સુધી પૂજા કરનાર રજપૂત બોડાણાની ઉપર પ્રસન્ન થઈ દ્વારિકાધીશ પોતે તેની પાસે વાહન મંગાવી પોતે તેના સારથિ બની ડાકોર આવ્યા એ ‘સંવત વિક્રમ બરોતર બાર’માં બનેલો કહેવાતો લોકખ્યાત ભક્તિવર્ધક પ્રસંગ સાદી ચોપાઈઓમાં તેમાં વર્ણવાયો છે. ભગવાનની ભક્તવત્સલતાનું તથા બોડાણાદંપતીનું ચિત્રણ એમાં સારું થયું છે. ગંગાબાઈની વાળીથી તોળાતા ભગવાનના કપટીપણાની, તેમને પાછા લેવા આવેલા ગુગળીઓએ કરેલી બીજી રીતે ભગવાનની લીલાની સ્તુતિ બનતી, નિંદા લોકરંજક છે. [અ.રા.]