ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિસાગર-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મતિસાગર-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : આગમગચ્છના જૈન સાધુ. સોમરત્નસૂરિની પરંપરામાં પંડિત ગુણમેરુના શિષ્ય. ૬ ઉલ્લાસને ૫૭૮ કડીની તથા દુહા, વસ્તુછંદ, ઢાલ વગેરેનો વિનિયોગ કરતી ‘ક્ષેત્રસમાસવિવરણ-ચોપાઈ/લઘુક્ષેત્રમાસ-ચોપાઈ/ક્ષેત્રસમાસ-રાસ’ (ર.ઈ.૧૫૩૮/સં.૧૫૯૪, આસો-, બુધવાર); ૭ ઉલ્લાસની ‘સંગ્રહિણી-રાસ’ (ર.ઈ.૧૫૪૯/સં.૧૬૦૫, પોષ-); આદીશ્વર, નેમિજિન, પદ્માવતી, મહાવીરજિન, શાંતિજિન, સંભવજિન, સીમંધરજિન વગેરે વિશેનાં લગભગ ચારથી ૧૧ કડીનાં ટૂંકાં ગીતો તથા અંબડ, આર્દ્રમુનિ, વંકચૂલ, સૂલસા વગેરે વિષેનાં લગભગ ચારથી ૧૦ કડીનાં ‘ભાષા’ નામક ટૂંકાં પદો-એ કૃતિઓની તેમણે રચના કરી છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪. મરાસસાહિત્ય;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]