ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુકુન્દ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મુકુન્દ-૨ (ઈ.૧૬૫૨માં હયાત) : દ્વારકાના વતની. જ્ઞાતિએ ગૂગળી બ્રાહ્મણ. કેશવાનંદના શિષ્ય. એમની પાસે હિંદીનો અભ્યાસ કરેલો. ગુરુની પ્રેરણાથી એમણે રચેલી ગણાતી ‘ભક્તમાળા’ના પહેલા મણકારૂપ ૧૫ કડવાંનું, બહુધા હિંદીમાં લખાયેલું ‘કબીરચરિત્ર’ (ર.ઈ.૧૫૬૨) અને આઠમા મણકારૂપ, ૯ કડવાંનું હિંદીની છાંટવાળું ‘ગોરક્ષચરિત્ર’ (ર.ઈ.૧૬૫૨) મુદ્રિત થયેલાં છે. આ કૃતિઓમાં ઝડઝમક અનુપ્રાસ જેવી યુક્તિઓની અતિશયતા ધ્યાન ખેંચે એવી છે. આ કાવ્યોની કોઈ હસ્તપ્રત મળતી ન હોવાથી એમનું કર્તૃત્વ કેટલાકને શંકાસ્પદ લાગ્યું છે. કૃતિ : પ્રાકામાળા : ૧૧. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક અને વધુ માર્ગસૂચક સ્તંભો, કૃષ્ણલાલ મો. ઝવેરી, ઈ.૧૯૫૮ (સંવર્ધિત આ.); ૩. ગુહિવાણી; ૪. પ્રાકકૃતિઓ; ૫. મગુઆખ્યાન;  ૬. ગૂહાયાદી.[ર.સો.]