ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘવિજ્ય-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મેઘવિજ્ય-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં કૃપાવિજ્યના શિષ્ય વિજ્યપ્રભસૂરિને હસ્તે ઉપાધ્યાયપદ. યશોવિજ્યના સમકાલીન. ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, જ્યોતિષ અને આધ્યાત્મિક વિષયોમાં પારંગત. તેમની પાસેથી ગુજરાતી અને સંસ્કૃતમાં ઘણાં રાસાદિ કાવ્યો, ચરિત્રો અને નાટકો મળ્યાં છે. ૫ ઢાલમાં ૧૦૮ ગામના પાર્શ્વનાથના મહિમાને નિરૂપતી ‘પાર્શ્વનાથનામમાલા/તીર્થમાળા’ (ર.ઈ.૧૬૬૫, કવિના સ્વહસ્તાક્ષરમાં પ્રત; મુ.), ‘આહારગવેષણા સઝાય’, દિગંબરોના વિરોધરૂપ ૩૯ કડીનું ‘કુમતિનિરાકરણ હુંડી-સ્તવન’, ‘ચોવીસી’(મુ.), ૪ ઢાળમાં વહેંચાયેલ ‘શ્રીવિજ્યદેવસૂરિનિર્વાણ-સ્વાધ્યાય’(મુ.), ‘પંચાખ્યાન’, ‘વર્ષમહોદય’, ‘શાસનદીપક-સઝાય’, ‘જૈનધર્મદીપક-સઝાય’ અને ‘દશમત-સ્તવન’-એ એમની કૃતિઓ છે. સંસ્કૃતમાં પણ તેમણે અનેક કૃતિઓ રચી છે, જેમાં ‘દેવાનંદાભ્યુદયકાવ્ય’ (ર.ઈ.૧૬૭૧), ‘માતૃકાપ્રસાદ’ (ર.ઈ.૧૬૯૧), ‘ઉદયદીપિકા-જ્યોતિષ’ (ર.ઈ.૧૬૯૬), ‘હેમકૌમુદી-ચંદ્રપ્રભા’ (ર.ઈ.૧૭૦૧), ‘શાંતિનાથ-ચરિત્ર’, ‘લઘુત્રિષષ્ઠિ-ચરિત્ર’, ‘યુક્તિપ્રબોધ-નાટક’ અને અન્ય કૃતિઓનો સમાવેશ થાય છે. કૃતિ : ૧. ઐસમાલા : ૧; ૨. જિસ્તકાસંદોહ : ૨; ૩. જૈઐરાસમાળા : ૧; ૪. જૈગૂસારત્નો : ૧(+સં.); ૫. પ્રાતીસંગ્રહ : ૧;  ૬. જૈન સત્યપ્રકાશ, જુલાઈ, ઑગ. , ડિસે. ૧૯૪૧ અને જાન્યુ. ૧૯૪૨-‘ચોવીશજિનસ્તવનમાલા’, સં. સારાભાઈ મ. નવાબ. સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩ (પ્રસ્તા.); ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ;  ૫. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૬. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]