ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજધર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજધર [ઈ.૧૫૬૫માં હયાત] : ૨૭ કડવાંના ‘ચંદ્રહાસ-આખ્યાન’ (ર.ઈ.૧૫૬૫/સં.૧૬૨૧, ભાદરવા સુદ ૫, શુક્રવાર)ના કર્તા. તેમણે વચ્છરાજ વ્યાસ પુત્ર માધવ પાસેથી સાંભળી આ કથા રચી હોય એમ લાગે છે. એમાં ‘નૃત્યરાસ’ પદ્ધતિનો કાવ્યબંધ વિશેષ રૂપે ધ્યાનાર્હ છે. ‘વિક્રમ પ્રબંધ/પંચદંડની વાર્તા’ (૧૧૭થી ૩૦૮ કડી મુ.) નામની કૃતિ રાજધરને નામે મળે છે. આ કૃતિના કર્તા પણ ઉક્ત રાજધર હોવાની અને તેમાંની ભાષા પર રાજસ્થાનીની અસર વરતાય છે. એટલે તેઓ રાજસ્થાન બાજુના પ્રદેશના હોવાની સંભાવના વ્યક્ત થઈ છે. આ કૃતિ પર નરપતિના ‘પંચદંડ’ની અસર અનુભવાય છે તેમ જ એમાં દેવદમની વિક્રમના દરબારમાં દ્યુત રમવા જાય છે ત્યારે દેવદમનીનું કવિએ કરેલું વર્ણન ધ્યાનાર્હ છે. કૃતિ : બુદ્ધિપ્રકાશ, સપ્ટે. ૧૯૦૯થી ફેબ્રુ. ૧૯૧૦-‘કવિ રાજધર પ્રણિત વિક્રમપ્રબંધ’, સં. રણજિતરામ વાવાભાઈ. સંદર્ભ : ૧. અજ્ઞાત ગુજરાતી ગદ્યકાર વિરચિત પંચદંડની વાર્તા, સં. સોમાભાઈ ધૂ. પારેખ, ઈ.૧૯૭૪; ૨. કવિચરિત : ૧-૨; ૩. ગુસાઇતિહાસ : ૨. [શ્ર.ત્રિ.]