ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિબુધવિમલ સૂરિ-લક્ષ્મીવિમલ વાચક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિબુધવિમલ(સૂરિ)/લક્ષ્મીવિમલ(વાચક) [ઈ.૧૭૨૪માં હયાત-અવ. ઈ.૧૭૫૮/સં. ૧૮૧૪, માગશર વદ ૩] : તપગચ્છની વિમલશાળાના જૈન સાધુ. જ્ઞાનવિમલસૂરિની પરંપરામાં કીર્તિવિમલના શિષ્ય. સીતાપુરના વતની. જ્ઞાતિએ પોરવાડ. પિતા ગોકલ મહેતા. માતા રેઇઆ. પૂર્વાશ્રમનું નામ લખમીચંદ. દીક્ષાનામ લક્ષ્મીવિમલ. સૂરિપદ ઈ.૧૭૪૨માં. અવસાન ઔરંગાબાદમાં. તેમની કેટલીક કૃતિઓ ‘લક્ષ્મીવિમલ’ એવી નામછાપથી પણ પ્રાપ્ત થાય છે. ‘૨૦ વિહરમાન જિનસ્તવન/વીસી’ (ર.ઈ.૧૭૨૪/સં. ૧૭૮૦, આસો સુદ ૧૦, ગુરુવાર; મુ.), સ્વરચિત સંસ્કૃત ‘સમ્યકત્વપરીક્ષા’ નામની દીર્ઘ પદ્યકૃતિ પર બાલાવબોધ (ર.ઈ.૧૭૫૭/સં. ૧૮૧૩, જેઠ-) અને ‘ચોવીસી’ (મુ.)ના કર્તા. ૬ કડીની ગૌતમસ્વામીની, ૫ કડીની જ્ઞાનવિમલસૂરિની, ૧૧ કડીની મહાવીરસ્વામીની, ૫ કડીની મુનિ સુવ્રતસ્વામીની, ૯ કડીની વિજયસેનની, ૭ કડીની મુનિ સુવ્રતસ્વામીની, ૯ કડીની વિજયસેનની, ૭ કડીની સામાન્યની અને ૯ કડીની સ્થૂલભદ્રસૂરિની - આ બધી ગહૂંલીઓ(મુ.) પણ આ જ વિબુધવિમલની હોવાની શક્યતા છે. આ ઉપરાંત ‘વિબુધવિમલ’ના નામે પ્રાપ્ત થતી ‘છપ્પન દિક્કુમારી આદિ સ્વરૂપગર્ભિત મહાવીર જિનજન્મકલ્યાણક-સ્તવન’, ૯ કડીનું ‘તારંગાજીનું સ્તવન’(મુ.), ૮ કડીનું ‘પજુસણનું સ્તવન’ (મુ.), ૧૫ કડીનું ‘પાર્શ્વજિન-સ્તવન’(મુ.) અને ૫ કડીની ‘વિનયની સઝાય’ (મુ.) કૃતિઓ પણ આ વિબુધવિમલની જ હોવાની સંભાવના છે. કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. ઐરાસંગ્રહ : ૩(+સં.); ૩. ગહૂંલીસંગ્રહ, સં. શિવલાલ ઝ. સંઘવી, ૧૯૭૨; ૪. ગહૂંલીસંગ્રહનામ ગ્રંથ : ૧, પ્ર. ભીમસિંહ માણેક, ઇ. ૧૯૦૧; ૫. જૈઐકાસંચય (+સં.); ૬. જૈગૂસારત્નો : ૧ (+સં.); ૭. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨; ૮. શોભનસ્તવનાવલી, પ્ર. શા. ડાહ્યાભાઈ ફત્તેહચંદ તથા શા. મોતીલાલ મહાસુખભાઈ, ઈ.૧૮૯૭; ૯. સસન્મિત્ર(ઝ). સંદર્ભ : ૧. જૈસઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૧, ૨, ૩(૧, ૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]