ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અગ્નિપુરાણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અગ્નિપુરાણ : સાતમીથી નવમી સદી વચ્ચે રચાયેલું ક્રમાનુસાર આ આઠમું પુરાણ છે અને ભારતીય સંસ્કૃતિ, સભ્યતા તેમજ સાહિત્યને આવરી લેતી ૧૮ વિદ્યાઓના નિરૂપણથી એ મહાકોશ કે વિશ્વકોશ ગણાય છે. એમાં ૩૮૩ અધ્યાય અને ૧૧૪૫૭ શ્લોક છે. એના ૩૩૭થી ૩૪૭ અધ્યાયો કાવ્યશાસ્ત્રસંબંધી છે. ૩૩૭મા અધ્યાયમાં કાવ્યલક્ષણ અને કાવ્યભેદ, ૩૩૮મા અધ્યાયમાં રૂપકવિવેચન, ૩૩૯મા અધ્યાયમાં રસવર્ણન, ૩૪૦મા અધ્યાયમાં રીતિનિરૂપણ, ૩૪૧મા અધ્યાયમાં નૃત્યાદિ વિષયનું વિવેચન, ૩૪૨મા અધ્યાયમાં અભિનયવિવરણ, ૩૪૩મા અધ્યાયમાં શબ્દાલંકારોના પ્રકારો, ૩૪૪મા અધ્યાયમાં કાવ્યગુણ અને ૩૪૭મા અધ્યાયમાં કાવ્યદોષ ઉપલબ્ધ છે. અહીં છંદશાસ્ત્ર પર વિચાર થયો છે; અને ‘રામાયણ’ ‘મહાભારત’નો ગ્રંથસાર પણ મળે છે. ‘અગ્નિપુરાણ’ના કેટલાક અંશો ભોજના ‘સરસ્વતીકંઠાભરણ’માં મોજૂદ છે. ચં.ટો.