ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આદર્શીકરણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આદર્શીકરણ(Idealization) : ૧૮૫૩માં પ્રકાશિત કરેલાં પોતાનાં વ્યાખ્યાનોમાં ફ્રેન્ચ ચિંતક વિક્તોર કૂઝેંએ ઇન્દ્રિયો મારફતે પ્રાપ્ત થયેલી કાચી સામગ્રીને કવિચિત્ત કઈ રીતે સ્વરૂપ કે કાવ્યમાં રૂપાંતરિત કરે છે એ આત્મલક્ષી પ્રક્રિયાને પામવાનો પ્રયત્ન કર્યો છે. કૂઝેંનું માનવું છે કે સર્જક તરીકે ઈશ્વરને જે અર્થમાં સ્વીકારીએ છીએ એ અર્થમાં કવિ સર્જતો નથી. તો કવિ માત્ર અનુકરણ પણ કરતો નથી. વાસ્તવજગતમાંથી કવિ પોતાની સામગ્રી લે છે અને તદ્દન નોખા રૂપે એનું પુન :સર્જન કરે છે. વાસ્તવજગતની સામગ્રીનું સ્વરૂપાન્તર એ કૂઝેંને મન આદર્શીકરણની પ્રક્રિયાનું પરિણામ છે. એમાં કવિચિત્તની ચયન અને પરિત્યાગની બેવડી ક્રિયા સંકળાયેલી છે. આ રીતે જોઈએ તો આદર્શીકરણ એ માનવચિત્ત દ્વારા નિસર્ગનું થયેલું અભાન ભાષ્ય છે. ચં.ટો.