ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચોવીસી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચોવીસી : પ્રત્યેક જિન તીર્થંકર માટે એક સ્તવન એમ ચોવીસ તીર્થંકર માટે ચોવીસ સ્તવનની રચનાને ‘ચોવીસી’ તરીકે ઓળખાવાય છે. ભાવ અને ભાષાની સચોટતા, સરળતા, વિવિધ દેશીઓ-લય-ઢાળનું અનોખાપણું તથા સંવેદનની ઉત્કટતા એમાંની કેટલીક રચનાઓમાં કવિત્વના ઉન્મેષનો અનુભવ કરાવે છે. ‘ચોવીસી’ની રચના જૈનસાધુઓને હાથે રચાયેલ હોઈ એ બોધાત્મક-ઉપદેશાત્મક બને તે સ્વભાવિક છે. પરિણામે કેટલીકવાર શુષ્કતા આવી જાય છે. કેટલીકવાર એમાં સાંપ્રદાયિક અને પરંપરાગત નિરૂપણ હોય છે. મધ્યકાલમાં ખાસ કરીને સત્તરમા-અઢારમા શતકમાં ‘ચોવીસી’ની પુષ્કળ રચના થઈ છે. કવિયણ, પાર્શ્વચંદ્ર, સમયસુંદર, કલ્યાણવિજય. ભાવવિજય, ક્ષમાકલ્યાણ, જ્ઞાનવિજય, દીપવિજય, જિનવિજય, યશોવિજયની ‘ચોવીસી’ ઉલ્લેખપાત્ર છે. ક.શે.