ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચૌરપંચાશિકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચૌરપંચાશિકા : અગિયારમી સદીમાં થઈ ગયેલા બિલ્હણની સંસ્કૃત પદ્યરચના. દંતકથા પ્રમાણે બિલ્હણ રાજકુમારી (શશિકલા, ચમ્પાવતી અથવા વિદ્યા – એમ જુદાં જુદાં નામ મળે છે.)ના શિક્ષક હતા. બન્ને વચ્ચે પાંગરેલા ગુપ્તપ્રેમની રાજાને જાણ થતાં, બિલ્હણને દેહાંતદંડની સજા ફરમાવવામાં આવી. છેલ્લી ક્ષણોમાં કવિએ પોતાના ગુપ્ત સ્નેહમિલનને ‘અદ્યાપિ તાં-સ્મરામિ... ચિન્તયામિ’થી પચાસ પદ્યોમાં સ્મર્યું, રાજાએ પદ્યોની ભાવાર્દ્રતાથી પ્રભાવિત થઈ કવિને ક્ષમા બક્ષી અને રાજકુમારી સાથે લગ્ન કરાવી આપ્યું. અતીતઝંખી શૃંગારિક સ્નેહનું ચૌરપંચાશિકા કાવ્ય સંસ્કૃત સાહિત્યની એક અતિલોકપ્રિય કૃતિ છે. વિ.પં.