ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નર્મસચિવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નર્મસચિવ : સંસ્કૃત નાટકમાં રાજાને બે પ્રકારના મંત્રીઓ હોય : એક રાજકાર્યમાં સહાય કરનાર કાર્યસચિવ અને બીજો પ્રેમકાર્યમાં સહાયરૂપ થનાર નર્મસચિવ. નર્મસચિવ ચાર પ્રકારના હોય છે. : પીઠમર્દ, વિટ, ચેટક અને વિદૂષક. કુપિત સ્ત્રીને મનાવી પ્રસન્ન કરનાર મિત્ર પીઠમર્દ કહેવાય છે. પીઠમર્દને પતાકાનાયક એટલેકે ગૌણ કથાવસ્તુનો નાયક પણ કહેવામાં આવે છે. નાયક કરતાં થોડાક ઊતરતા ગુણવાળો આ પીઠમર્દ હોય છે. વિટ કામશાસ્ત્ર, ગીત વગેરે કળામાં નિપુણ હોય છે. વિટ મુખ્ય રૂપે નાયક-નાયિકાના સંદેશાઓ એકબીજાને પહોંચાડવાનું કામ કરે છે. (વિટતિ ઇતિ વિટ :) વિટ નાયકનો સેવક, ભક્ત તેમજ તેને પ્રસન્ન રાખવા માટે ગીત, નૃત્ય તેમજ વાદ્યોનો પ્રયોગ કરવાની ક્ષમતા ધરાવનારો હોય છે. વળી તે ધૂર્ત અને વાચાળ હોય છે. ચેટક નાયકનો સહાયક અને નાયકનાયિકાનું મિલન કરાવવામાં ચતુર હોય છે. ભરતમુનિ પ્રમાણે તે કલહપ્રિય, બડાઈખોર, વિરૂપ અને માન્ય-અમાન્ય-વિશેષજ્ઞ હોય છે. વિકૃત અંગ, વાણી અને વેશથી હસાવવાનું કામ કરનાર વિદૂષક કહેવાય છે. તે બ્રાહ્મણ અને પરિહાસપ્રિય હોય છે; ભરતમુનિ નાયકપ્રકાર પ્રમાણે વિદૂષકના પણ લિંગી, દ્વિજ, રાજજીવી અને શિષ્ય એમ ચાર પ્રકાર પાડે છે. વિ.પં.