ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રાચીન ભારતીય વિવેચન પદ્ધતિઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રાચીન ભારતીય વિવેચન પદ્ધતિઓ : મફત ભાવસારના તારણ પ્રમાણે વર્તમાન સાહિત્યજગતમાં ઐતિહાસિક, મનોવૈજ્ઞાનિક તુલનાત્મક વિવેચનપદ્ધતિઓ જેમ પ્રચલિત છે તેમ સંસ્કૃત વિવેચનક્ષેત્રમાં પણ વિવિધ વિવેચનની પદ્ધતિઓ અખત્યાર થતી હતી; જેમાં કેટલીક મુખ્ય છે : પદ્યમાં લખાયેલા ગ્રન્થની પદો પર ગદ્યમાં સંક્ષેપમાં વિવરણ અને સ્પષ્ટીકરણ આપતી મલ્લીનાથી કે ટીકાપદ્ધતિ; ગ્રન્થોનું વિસ્તારથી અર્થઘટન આપતી ભાષ્યપદ્ધતિ; મૌલિકતાથી નવીન સિદ્ધાન્તનું પ્રતિપાદન કરતી આચાર્યપદ્ધતિ; પૂર્વપક્ષ પર સંશય કરી શાસ્ત્રીય શૈલીમાં સમાધાન શોધતી શાસ્ત્રાર્થ પદ્ધતિ; સૂત્ર કે સૂક્તિના સ્વરૂપે સમગ્રની સમીક્ષા આપી દેતી નિર્ણય પદ્ધતિ; ગ્રન્થ કે સિદ્ધાન્તના સર્વઘટકો અને અવયવોનું નિરીક્ષણ કરતી લોચનપદ્ધતિ. ચં.ટો.