ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સત્યાગ્રહનું સાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સત્યાગ્રહનું સાહિત્ય : ગાંધીજીએ ચીંધેલા સત્યાગ્રહ પૂર્વે સમસ્યાના ઉકેલ માટે, વાદ-પ્રતિવાદ કે લવાદી-સમજાવટના પ્રયત્નો નિષ્ફળ નીવડતા ત્યારે પશુબળ કે યુદ્ધનો આશ્રય લેવો તે અંતિમ ઉપાય તરીકે સહજ સ્વીકાર્ય ગણાતું. હજારો વર્ષોથી ચાલી આવતી આ પરંપરા અનુસાર વિશ્વમાં આજ પર્યન્ત અનેક નાનાં-મોટાં યુદ્ધો થયાં છે. એમાં ધન અને જનનો જ નહીં, માનવીય મૂલ્યોનો પણ કેવો હ્રાસ થાય છે તે, પ્રાચીનકાળે મહાભારતયુદ્ધથી અને આધુનિકયુગે બે વિશ્વયુદ્ધોના કટુ અનુભવથી સ્પષ્ટ થયું છે. આધુનિકયુગમાં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં પ્રવર્તિત રંગ-ભેદની નીતિનો વિરોધ કરતી વેળા શસ્ત્રયુદ્ધના નૈતિક વિકલ્પ તરીકે સત્યાગ્રહનો પ્રયોગ કર્યો અને તેમાં અભૂતપૂર્વ સફળતા મેળવી. સ્વદેશાગમન પછી પરાધીન ભારતને બ્રિટિશ હકૂમતથી મુક્ત કરાવવા ગાંધીજીએ સત્યાગ્રહના એ સફળ સાધનનો વિશાળ ફલક પર પુનઃપ્રયોગ કરીને પ્રમાણિત કર્યું કે સત્યાગ્રહ એ શસ્ત્રયુદ્ધનો આકસ્મિક કે પ્રાસંગિક નહીં પરંતુ નિરંતર નૈતિક વિકલ્પ બની શકે છે. અને તેમ છતાં લોહી રેડ્યા-વહાવ્યા વિના રાજકીય, આર્થિક અને સામાજિક ક્રાંતિ થઈ શકે છે. સત્યાગ્રહસંબંધી પોતાના પ્રયોગો અને અનુભવો દ્વારા ગાંધીજીએ, સમસ્યાની ઓછીવત્તી તીવ્રતા અનુસાર સવિનય કાનૂનભંગ, શાંતિમય હડતાલ, અહિંસક અસહકાર અને પ્રાર્થનામય ઉપવાસ જેવાં, સત્યાગ્રહનાં વિભિન્ન સ્વરૂપો શોધ્યાં અને તેની સુનિશ્ચિત કાર્યપદ્ધતિ તેમજ આચારસંહિતા પણ ઘડી. ગાંધીજીના અવસાન પછી યુરોપ-અમેરિકાના દેશોમાં માર્ટિન લ્યૂથર કિંગ (જૂનિયર), દાનીલો દોલ્ચી, લાન્ઝા ડેલવાસ્તો, સિલર ચાવેજ જેવા અનેક મહાનુભાવોએ ગાંધીપ્રણિત સત્યાગ્રહનાં એ સ્વરૂપો અને કાર્યપદ્ધતિઓનું અવલંબન લઈને પોતપોતાના દેશની પીડિત પ્રજાનાં દુઃખદર્દનો સફળ ઉકેલ કર્યો છે અને સત્યાગ્રહમાં કેવી ગર્ભિત કાર્યક્ષમતા છે તે પુનઃપ્રમાણિત કરી બતાવ્યું છે. એક માનવમૂલ્ય તરીકે સત્યાગ્રહે વિશ્વભરના ચિંતકો-સર્જકોને આકર્ષ્યા છે અને ઉત્તરોત્તર એના વિશે વ્યાપક અને સઘન અધ્યયન-સંશોધન થઈ રહ્યું છે. તેના ફલસ્વરૂપ દેશ અને દુનિયાની વિવિધ ભાષાઓમાં વિપુલ સાહિત્ય પ્રગટ થઈ રહ્યું છે. ગુજરાતમાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ, કસ્તૂરબા તથા વિનોબા જેવા એમના અંતેવાસીઓના નેતૃત્વ નીચે થયેલા સત્યાગ્રહો તથા ગાંધીજીની દોરવણી અનુસાર દેશના વિવિધ પ્રાન્ત-પ્રદેશોમાં થયેલા સત્યાગ્રહો વિશે વિવિધ સાહિત્યસ્વરૂપોમાં પુષ્કળ સાહિત્ય સરજાયું છે. એ પૈકી, અમદાવાદના મિલમજૂરોની મિલમાલિકો સામેની લડતનો ઇતિહાસ આપતું, મહાદેવ દેસાઈકૃત ‘એક ધર્મયુદ્ધ’(૧૯૨૦) ‘બારડોલી સત્યાગ્રહ’(૧૯૨૯) ખેડા જિલ્લાની નાકરની લડત વિશેનું શંકરલાલ પરીખકૃત ‘ખેડાની લડત’ (૧૯૨૩) રાજેન્દ્રબાબુલિખિત ‘ચંપારણમાં મહાત્મા ગાંધીજી’ (૧૯૨૩), આફ્રિકાની રંગભેદનીતિની સામેની સત્યાગ્રહની પ્રથમ લડતનું આલેખન કરતું ગાંધીજીલિખિત ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’(૧૯૩૨), મગનભાઈ દેસાઈએ કરેલી ‘સત્યાગ્રહની મીમાંસા’(૧૯૩૪), પોર્લ જ્હોન લોર્ડકૃત ‘સત્યાગ્રહની મર્યાદા’(૧૯૩૬), મણિબહેન પટેલકૃત ‘બોરસદ સત્યાગ્રહ’(૧૯૭૨), નારાયણ દેસાઈકૃત ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’(૧૯૯૨) તથા ‘દેશદેશના ગાંધી’(૧૯૮૪) જેવાં પુસ્તકો ઉલ્લેખનીય છે. મ.પ.