ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વપ્નવાસવદત્તા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્વપ્નવાસવદત્તા : ભાસનું લોકકથામૂલક છ અંકનું નાટક. એમાં ‘પ્રતિજ્ઞાયૌગન્ધરાયણ’નો ઉત્તરાર્ધ વૃત રૂપે છે. વિરોધીને પરાજિત કરવા મગધનરેશ દર્શકની સહાય લેવી અનિવાર્ય હતી, પરંતુ વાસવદત્તામાં અનુરક્ત રાજા ઉદયન રાજકીય કર્મોથી વિરક્ત રહે છે. આ કારણે મંત્રી યૌગન્ધરાયણ વાસવદત્તા મળી આવ્યાની – વાત ફેલાવીને વાસવદત્તાને અવન્તિકા રૂપે દર્શકની બહેન પદ્માવતી પાસે રાખે છે. પદ્માવતી સાથેના લગ્ન બાદ – પદ્માવતીની શય્યા પર સૂતેલો ઉદયન વાસવદત્તાને સ્વપ્નમાં જુએ છે અને એને માટે ઉત્સુક થાય છે. અંતમાં વાસવદત્તા સહજભાવે ઉદયનની સન્મુખ થાય છે. બંનેનો મેળાપ થાય છે. આમ આ નાટક યૌગન્ધરાયણની રાજકીય ભૂમિકા તથા ઉદયનના વાસવદત્તા પ્રત્યેના મૃત્યુંજય પ્રેમને અનુપમ કલાત્મકતા સાથે ગૂંથી લે છે. નાટકની વિકસતી કથા, અતિશિષ્ટ અને સંસ્કારી જગતનાં પાત્રો, અનુપમ સંવાદકલા -આ નાટકની સિદ્ધિઓ છે. ઉદયન-વાસવદત્તાનો ગરવો અને રોમાંચક પ્રણયભાવ થોડા શબ્દોમાં છતાં સમર્થ રીતે આલેખાયો છે. નાટકમાં કાવ્યકલા અને નાટ્યકલાનો સુભગ સમન્વય સધાયો છે. ભાસનું આ ઉત્તમ નાટક છે. ર.બે.