ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/આદિભક્તિયુગના કવિઓ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૫ આદિભક્તિયુગના કવિઓ

કેશવરામ કા. શાસ્ત્રી

ભીમ [ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ સુધીમાં]

ભીમ એની ‘હરિલીલા-ષોડશકલા’ (ભાગવત-સારાનુવાદ, વિ. સં. ૧૫૪૧–ઈ.સ. ૧૪૮૫) અને સંસ્કૃત ભાષાના[1] ‘પ્રબોધચન્દ્રોદય’ નાટકના ‘ચોપાઈ–પૂર્વછાયુ’માં કરેલા ગુજરાતી પદ્યાનુવાદ (વિ. સં. ૧૫૪૬–ઈ.સ. ૧૪૯૦) થી[2] જાણવામાં આવ્યો છે. આ બંને કૃતિ છપાઈ ગઈ છે. આમાંની ‘હરિલીલાષોડશકલા’ એણે ‘સિદ્ધક્ષેત્ર, માધવ સરસ્વતી, રુદ્રદેવ, શ્રીકર્દમ યતિ’[3] વગેરેથી કહી શકાતા ઉત્તર ગુજરાતના તીર્થધામ ‘સિદ્ધપુર’માં રહીને રચી હોવાનું પકડાય છે, જ્યારે ‘પ્રબોધ–પ્રકાશ’ની તો–

‘ભવભયભંજન શ્રીભારતી, પંચ પ્રવાહ વહિ સરસ્વતી,
શ્રીસોમેશ્વર નિજ આવાસ, ભુવિ માંહિ બીજું કૈલાસ. ૭૩

તીરથતિલક ક્ષેત્ર–પ્રભાસ, ત્યાં વસઇ દ્વિજ નરસિંહ વ્યાસ,
તે ઘરિ સેવક વૈષ્ણવદાસ, કીધું એહિ પ્રબોધપ્રકાશ.૭૪’[4]

– એમ જ્યાં સોમેશ્વરનો પોતાનો આવાસ છે તેવા પ્રભાસક્ષેત્રમાં નરસિંહ વ્યાસ નામના બ્રાહ્મણના ઘેર રહીને રચના કરી સ્પષ્ટ સમજાય છે. એનું વતન આ બેમાંથી કયું એ કહી શકાય નહિ, પણ બંને તીર્થોમાં એ રહેલો છે. નરસિંહ વ્યાસ એનો આશ્રયદાતા હશે, કારણ કે ‘પ્રબોધપ્રકાશ’ના આરંભમાં એણે પોતે રચેલા બે સંસ્કૃત શ્લોકોમાં ગુરુપુરુષોત્તમને નમન કરી શ્રીનૃસિંહના પ્રસાદ (અનુગ્રહ)થી રચના કર્યાની એ પ્રતિજ્ઞા કરે છે.[5] ૬ઠ્ઠા અંકને અંતે ‘શ્રી પુરુષોત્તમ તણા પ્રસાદ’નો પણ ઉલ્લેખ કરી લે છે.[6] ‘વેદાંત-પારગ’ પુરુષોત્તમ અને બીજા આશ્રયદાતા નરસિંહ વ્યાસની કૃપાનું ઋણ એ સ્વીકારે છે.‘હરિલીલા-ષોડશકલા’માં પણ ગુરુનું ઋણ એણે સ્વીકાર્યું છે, પણ ત્યાં ‘મહારિષિ’, ‘દ્વિજ’ એવો મભ્ભમ જ ઉલ્લેખ કરે છે,[7] જેનાં વ્યક્ત નામ એ ‘પ્રબોધપ્રકાશ’માં આપે છે. આ મહારિષિ’ ‘દ્વિજ’–પાછળથી ‘પુરુષોત્તમ’ એ ભાલણ હોવા વિશે સંભાવના કરવામાં આવેલી,[8] પણ હવે એ મતને કોઈ સ્થાન રહ્યું નથી, ભાલણ ભીમનો ઉત્તરકાલીન સિદ્ધ થયો હોવાને કારણે. ‘હરિલીલા-ષોડશકલા’ એ સોળ ખંડોમાં કરેલો ભાગવત પુરાણનો પદ્યાત્મક સંક્ષેપ છે. એની પાછળ એને બળ પં. બોપદેવે કરેલા ભાગવતપુરાણના ‘હરિલીલાવિવેક’ સંજ્ઞાવાળા ૧૦૮ શ્લોકોના સંસ્કૃત ગ્રંથનું છે[9] અને એનો આધાર રાખી લગભગ ૨૦૦૦ કડીઓની રચના સાધી આપી છે. એણે ચંદ્રની કલાની ઉપમા આપીને

‘સોલ કલા સંજીવની, બીજું બિંબ મયંક,
પૂરી પાતકનાશિની, હોસઇ કલા નિકલંક – ૭૦’ (હ. લી., કલા ૧ લી)

–એમ રચના આગળ લંબાવી છે. આમ તો ભાગવતની કથાનો સંક્ષેપ જ છે, પરંતુ એના ઉપર એના સમકાલની અસર છે. દશમસ્કંધની કથા આપતાં ‘રુક્મિણી’ના વિવાહના પ્રસંગમાં વિદર્ભદેશને બદલે દક્ષિણ સૌરાષ્ટ્રમાં આવેલા માધવપુર (ઘેડ. જિ. જૂનાગઢ)માં એ લગ્નની ઉજવણીનો ખ્યાલ આપે છે :

‘દ્વારાવતી ભણી સાંચર્યા કેશવ બલભદ્ર વીર.
પુક્યા તે માધવપુરી, નગરી વસઇ સાગરિ તીર. ૧
તિંહા મહાનદી મધુમતી, અતિ ઉછવ રુપિણીવન માહિ.
હાથ મેલાવુ હરિ તણુ, હુઇ રાણી રુક્મણી-વિવાહ.
સુરનર પન્નગ આવિયા.૨’[10]

અર્થાત્ મધુમતી–મધવંતી નજીક આવેલ માધવપુરમાં દર વર્ષે જે ચૈત્ર સુદિ ૯ થી ૧૩ તિથિના પાંચ દિવસના મેળાના પ્રસંગમાં તિથિ ૧૨ ના દિવસે મોટા સમારંભથી નજીકના રુપેણ વનમાં શ્રીકૃષ્ણનાં રુક્મિણી સાથેનાં લગ્ન ઊજવાય છે તેને ખ્યાલમાં રાખી ભીમે આ વિધાન કર્યું છે એ સ્પષ્ટ છે. ભીમે આ દીર્ઘ કાવ્યમાં મુખ્યત્વે તો ‘ચુપઇ’ અને ‘પૂર્વછાયુ’ (દોહા)-નો ઉપયોગ કર્યો છે. વધારામાં ક્યાંક ‘ચાલતી ચુપૈ’ એટલે સવૈયાની દેશી પણ આપી છે. વધુમાં જેઓને નાનાં કડવાં કહી શકાય તેવા નાના નાના એકમ ‘પ્રબંધ’ મથાળે પણ આપ્યા છે. પ્રસંગવશાત્ અડયલ, પદ્ધડી, અઢૈયા, દોહા, સોરઠા, ગાથા, વસ્તુ, ભુજંગપ્રયાતની ચાલ, છપ્પય વગેરે પણ ઉપયોગમાં લીધા છે. વળી અત્રતત્ર ‘ગીત’, ‘ધૂલ’ વગેરે આપ્યાં છે તે ‘ગેયતા’ તેમજ ‘કાવ્યબંધ’ ની દૃષ્ટિએ ખાસ મહત્ત્વનાં કહી શકાય. શરૂમાં તો સંખ્યાબંધ સંસ્કૃત શ્લોકો ઉતારી એના પદ્યાનુવાદ આપ્યા છે, ઉપોદ્ઘાતના રૂપમાં.[11] એણે પદોને અંતે ‘ભીમ ભણઇ’[12] એવી છાપ ‘નામા મ્હણે’, ‘ભણે નરસિંયો’ જેવા પ્રકારે આપેલ છે. ૬ઠ્ઠી કલામાં ‘વેલાઉલિ વાણી ગીત’. (‘બિલાવલ રાગનું ગીત’) અને આઠમી કલામાં પ્રહ્લાદે કરેલું સ્તવન ‘રાગ દેશાખ ગીત’ એ બંને સવૈયાની દેશીનાં છે.[13] એ જ ઢાળનું બારમી કલામાં રાસક્રીડા-પ્રસંગમાં આપેલું એક ગીત :

રાસ-વસંત-વિરાડી ગીત
‘આનંદ એક અભિનવુ રે વૃંદાવન મઝારિ.
વંશ વજાવઇ વિઠ્ઠલ રે, તેણઇ છંદઇ નાચિ નારિ.
વૃદાંવનિ ગોપી નાચઇ રે, તેણઇ રંગિ રાચિ રામ. વૃંદા.
નાદ મધુર સ્વરિ આલપઇ રે, ગાઈ હરિવિલાસ.
સુંદરી સવિ નવયૌવન્ન રે રંગભરિ ખેલઇ રાસ. વૃંદા.
પાખલિ વૃંદ વનિતા તણું રે, માહિ સામલવંન.
ભીમ ભણઇ : અંતર લય લાગુ, ધિન ધિન ગોપીજન. વૃંદા.’[14]

ભીમે ‘अङ्गनामङ्गनामन्तरे माधव:’ એ લીલા શુકના ‘કૃષ્ણકર્ણામૃત’ના પદ્યનો ભાવ આપતું એક ગીત રાસક્રીડાના પ્રસંગમાં આપ્યું છે, એનો ઢાળ પણ નવીન જણાય છે :

ગીત ધન્યાશ્રી

માધવ અંતરિ નારી, અંગના અંતરિ હરિ,
રાસક્રીડા વૃંદાવનિ રમઇ આનંદ-ભરિ...
પહિરણિ પીત પટુલી, હીર ચીર ચૂનડી ફાલી,
સોવર્ણ માણિક મોતી ભૂષણિ ભૂષિત બાલી. નંદા.
વીણા મૃદંગ તાલ સુસ્વરિ વંશ વાઅંતી.
નાનાવિધ નૃત્ય કરઇ, મધુર ગીત ગાઅંતી. નંદા.
પરમ ભગતિ–લીણી ધન્ય તે ગોલણી નારી,
ભીમઇ-ચઇ સ્વામી શ્રીકૃષ્ણઇ સંસારસાગર તારી. નંદ’[15]

ભીમે ‘કારિકા’ અને ‘ત્રૂટક’ની પદ્ધતિનો ‘ફાગુ’–નો પ્રકાર થોડા ભેદે આપ્યો છે; જેવોકે

રાગ સીધૂઉ

‘કૃષ્ણ કહઇ: મુઝ આપુ એ માગ એ, નાગ ન વાલઇ તેહા, હઠિ ચડ્યુ એ.
ભણઇ પુંતાર: અબુઝ ગોપાલ એ. હાલ પુહુતું હવઇ તમ તણુ એ.
ત્રૌટક
તહ્મતણ પુહુતુ હાલ, છૂટુ નહી થઇ બાલ. કોપિ ચડ્યુ અંબુષ્ઠ, મોડિઉ ગજ અતિદુષ્ટ.
આવતું દેખી એહ, હરિ પૂછિ સાહ્યુ તેહ, તાણિઉં કરતુ ચીસ, પાછું ધનુષ પંચવીસ.’[16]

ભીમે રુક્મિણીહરણના પ્રસંગે પાંચ ‘ધૂલ’ આપ્યાં છે.[17] કર્મણમંત્રીની કૃતિમાં જે પ્રકારનાં ‘ધૂલ’ મળે છે તેવાં આ નથી, પરંતુ નાકરથી લઈ પછીના આખ્યાનકારોમાં ‘ધૂલ-ઢાલ-ઊથલો’ એકમનાં મોટાં કડવાં મળે છે તેવો જ આ નાનો એકમ છે. ‘પ્રબંધ’ કહી પછી એને છેડે ‘વલણ’ આપે છે એ પ્રકાર ‘ફાગુ’ કોટિનો જ કહી શકાય. રુક્મૈયાના માનખંડના પ્રસંગમાં યોજાયેલું નીચેનું ‘ધૂલ’ કાવ્યબંધનો તેમજ ભીમની કવનશક્તિનો પણ ખ્યાલ આપશે :

ધવલ ૪થું રાગ શ્રી-રાગ

‘રુક્મઇઉ રાઉત ભલુ, બલ બોલાઇ દિઇ ગાલિ :
કિમ જાઇસિ રે તૂં જીવતુ મઝ આગલિ રે વનચર ગોવાલ?
ચીતાઈ મારયુ માઉલુ, હવઇ ખૂટુ રે કાન્હડ તુઝ કાલ.
બહિનિ લેઇ પાછું વલૂં, દેખંતાં સવિ ભૂપાલ.
કરી પ્રતિજ્ઞા એ સાંચરયું.

પ્રબંધ
સાંચરઇ વેગઇ ક્રોધભરી અક્ષૌહિણી દલ એક,
સંગ્રામ માંડ્યું કૃષ્ણ-શૂં. મૂકઇ બાણ અનેક.
શિર કૂંચ મૂછિ કાપિયાં લીલયાં શ્રીજગનાથ.
તે પશુની પરિ-બાંધિયું, રથિ ઘાતિ લીધુ સાધિ.
રુક્મણી માગઇ માન : માધવ, બંધ બાલક છોડિ,
અપરાધ ક્ષમિ સાલા તણા, તહ્મનઇ લાગઇ ખોડિ.
બલભદ્ર આવ્યા, કૃષ્ણ વારયા, વેગઇ કાપ્યા બંધ.
કેશવ તણુ મહિમા જાણ્યુ, ચરણિ નામ્યું કંધ.
વલણ
હરિચરણિ નામ્યું કંધ, વેગિ સંધિ કીધી રામિ.
નિજ નૈયર દીધૂં તેહનઇ, ગણનાથ કીધો સ્વામિ.’[18]

આમાં ‘સરસ્વતીધઉલ’ના પ્રકારમાં ‘પ્રબંધ’નો બંધ–‘હરિગીતની દેશી’નો પકડી શકાય છે. આરંભના તો બે દોહરા જ છે, જ્યારે ‘વલણ’માં હરિગીતના ઢાળની જ બે પંક્તિ પરખાય છે. ભીમે કાવ્યાંતે ‘ધન્યાશ્રી’ રાગમાં ‘કલશ’નું એક ગીત આપ્યું છે.[19] જૈન રચનાઓમાં આ પદ્ધતિ જાણીતી છે. આમ ભીમે ‘હરિલીલા-ષોડશકલા’માં પોતાના સમય સુધીમાં જૈન જૈનેતર ઢાળો પ્રચારમાં હતા. તેઓને સમુચિત ઉપયોગ કરી લીધો છે. એની પાસે ભાષાની સારી હથોટી છે, જેના બળે એ રોચકતા લાવી આપી શકે છે. નૃસિંહજન્મ-સમયે –

‘શ્રીનરસિંહ કોષિ ધડહડઈ, મંદિર કોટ કોશીસાં પડઇ.
ગર્જિત કરિ બગાઇ બહૂ, દેવ-અસુર બલ નાઠૂં સહૂ.
ગહવર ગુફા સરીખૂં વયણ, જ્વલિત-પાવક બિહૂ નયણ.
કર નખ સટા ડસણ વિકરાલ, હિરણ્યકશિપુ જાણ્યુ કાલ.
શંકા અસુર તણા મન માહિ, નાઠા હરિણ તણી પરિ ચાહિ
ઝડપીનઇ લીધુ જગનાથિ, ચડ્યુ કપોત શીચાણા હાથિ.’[20]

આ કાવ્યમાં પોતે એક વાર દ્વારકાની યાત્રાએ ગયો હોવાનું અને સાત સંસ્કૃત શ્લોકોથી પ્રભુની સ્તુતિ કર્યાનું તો નોંધે છે, પણ ભગવાને સ્વમુખથી સંસ્કૃતમાં કહ્યું કે ‘મારી કૃપાથી તને મારામાં દૃઢ ભક્તિ થશે’ અને પરિણામે ત્યારથી એની ભક્તિ નિશ્ચલ થયાનું એ સંસ્કૃત શ્લોકમાં નોંધે છે.[21] આ એની ભક્તિની તન્મયતાનું દ્યોતક છે. ‘પ્રબોધચંદ્રોદય’ નાટક વિક્રમની ૧૧મી સદીમાં મગધના રાજા કીર્તિવર્માના રાજ્યકાલમાં મૂળ લેખક કૃષ્ણમિશ્ર નામના કવિએ રચ્યું અને એના જ દરબારમાં ભજવાયું. એવું પ્રસ્તાવનામાં આવે છે.[22] અનુવાદ કરતાં ભીમે તો –

‘અવની કેરુ ભાર ઊતારિ આવ્યા હરિ દ્વારિકા મઝાર. ૩૦
*
સભામાંહિ બઇઠા ધરી ધીર છપન કોટિ યાદવ વીર;
સુભટ મહારથ સમરથ શૂર, નિજ સેવક ઉદ્ધવ અક્રૂર. ૩૨
રાજા ગુણસાગર ગોવ્યંદ શ્રીપતિ પૂરણ પરમાનંદ.
ધર્મશિલા હરિ આગલિ સાર રચિયૂં નાટક કરી વિચાર.૩૩’[23]

આ એના શ્રીદ્વારકાધીશ તરફના ઊંડા ભક્તિભાવનું માત્ર દ્યોતક છે; આ નાટક દ્વારકામાં નથી રચાયું કે નથી ભજવાયું.[24] ‘પ્રબોધપ્રકાશ’માં મુખ્યત્વે ચોપાઈ અને પૂર્વછાયો (દોહા)નો પ્રયોગ જોવા મળે છે; વચ્ચે વચ્ચે વસ્તુ, પદ્ધડી, મડયલ, જડયલ, ભુજંગપ્રયાતની ચાલ, અને છપ્પયનો પણ પ્રયોગ કરી લીધેલ છે.[25] આ નાટક, પ્રમાણમાં, સંક્ષિપ્ત અનુવાદ માત્ર છે એટલે ભીમની પ્રતિભાનો આમાંથી પરિચય ન મળે; આમ છતાં ક્યાંક ક્યાંક એણે શક્તિ બતાવવા પ્રયત્ન કર્યો છે. નીચેનો પાંચમા અંકમાંનો ‘મોહ’ અને ‘વિવેક’નાં દળો વચ્ચેનો યુદ્ધનો પ્રસંગ :

અથ કવિતા
‘ભડઇ કટક રિપુ વિકટ, સભટ ઘટિ આયુધ કૂટઇ
શબ્દ નિઘડ કટકટઈ, કન્ધ – સન્ધાન વછૂટઇ
તૂટઇ કટિતર–બાંહ શકલ સન્નાહ મુગટમણિ,
રુધિર નદી, પલ-પંક, કંક-રંકા સમરાંગણિ.
ગજરથ તુરગ પાઈદલ બહુલા પ્રાણહીન પુહુવિં પડઇ,
રાજા વિવેક એકલ-મલ્લ મહામોહ સરિસુ ભડઇ.૩૧’[26]

એણે ત્રીજા અંકમાં ૩, ૬, ૮, ૧૧ એ કડીની ‘ચાલતી ચુપઇ’ આપી છે તે ‘સવૈયાની ચાલ’ છે.[27] ભીમે પોતાની શક્તિ પ્રમાણે સમકાલીન સાહિત્યકારોની હરોળમાં પણ થોડુંક આગલું સ્થાન મેળવવામાં શક્તિનો ઉપયોગ કર્યો છે. ધ્યાનમાં લેવા જેવું તો એ છે કે ‘વિઠ્ઠલ’ એની રચનાઓમાં આવી ગયો છે.[28]‘વિઠ્ઠલ’ શબ્દનું પ્રદાન વારકરી સંતોનું છે, એ વિશે આજે મતભેદ નથી. ભીમ સંસ્કૃત ભાષાનો જ્ઞાતા હોવાનું ઉપરની એની બંને કૃતિઓ જોતાં કહી શકાય એમ છે. ‘હરિલીલા-ષોડશકલા’માં એણે થોડા શ્લોક સંસ્કૃતમાં રચ્યાનું આપણે જોયું છે. ‘यं युगे जीवनं यदुकुलमंडनं’ થી શરૂ થતું ‘ભીમ’ની છાપનું ઝૂલણાના ઢાળની ૩ કડીઓનું સંસ્કૃત પદ મળી આવ્યું છે[29] તે એની રચના હોય તો એ અસંભવિત નહિ હોય. સ્વતંત્ર રીતે નોંધાયેલું ‘જપિ–ન રસને નામ વિમલ રાઘવ તણૂં સુષકરં સંસાર–શોકહરણં’ એ પ્રકારનું સંસ્કૃત-ગુજરાતી મિશ્ર પદ ‘ભીમ કેશવદાસ કર જોડી વીનવિ, દેવ દેવેસ ઇમ ઇસ બોલિ’ એ રીતની છેલ્લી પંક્તિવાળું ચાર કડીઓનું જાણવામાં આવ્યું છે[30] તે પણ એની રચના હોય. આ પદ જો ભીમનું હોય તો નરસિંહ મહેતાનાં હારસમેનાં પદોને આમેજ કરી લઈ પ્રથમ પચાસ પદોની ‘હારમાળા’ ઊભી કરવામાં આવી અને પછી ચોસઠ–ચોર્યાશી વગેરેના ક્રમ ઊભા થયા તેઓમાં આરંભમાં સંન્યાસીઓ સાથેનો વાદપ્રસંગ ખડો કરવામાં આવ્યો છે, આ પ્રસંગમાં એક રામભક્ત ‘ભીમ’ પણ એક પાત્ર તરીકે આવે છે.[31] આ ‘રામભક્ત’ ભીમના મુખમાં ‘જપિ-ન રસને નામ વિમલ રાઘવતણૂં’ એ ‘જપિ-ન નરસૈં વિમલ નામ રાઘવતણૂં’ એ રીતે મુકાયું છે.[32] આણે એક સંભાવના ઊભી કરી છે કે નરસિંહ મહેતાના ‘હારસમે’નાં પદોને સંકલિત કરી ‘હારમાલા’નો એક ક્રમ ઊભો કરવામાં આવ્યો તે કદાચ આ જ ‘ભીમ’ને હાથે. ભીમ ‘હારમાલા’માં બીજા સંન્યાસીઓ જેવો સંન્યાસી ન હોતાં રામભક્ત તરીકે ભાગ ભજવે છે. ભીમના મુખમાં પ્રથમનાં ૧૩ પદોમાં નરસિંહ અને ભીમની વચ્ચે ટપાટપી યોજાઈ છે, આમાંનું ૧૦મું પદ તે આ ઉપરનું પદ છે. પછી વચ્ચે અન્ય સંન્યાસીઓની સાથેના વાદ પછી ૩૦મા પદમાં ફરી ભીમ આવે છે,[33] બહારનાં અને માંડલિકના દરબારમાંના વાદનાં થઈ ભીમની છાપનાં ૧૧ પદ જોવા મળે છે. ૩૦ મા પદમાં ભીમ ‘વૈરાગ્ય’નું સમર્થન કરે છે, જેનો નરસિંહ મહેતાના મુખમાં પ્રતિકાર જોવા મળે છે. હકીકતે નરસિંહ મહેતાના અવસાન પછી ભીમને હાથે ‘હારમાલા’ની સંકલના થવાની શક્યતાને આનાથી બળ મળે છે. અહીં જૂની પ્રતોમાં ભીમની છાપનાં બીજાં પણ નાનાં ત્રણેક પદ–એક ગણપતિનાં સ્તવનનું, બીજું સરસ્વતીને નમન કરવાનું, અને ત્રીજું ‘રાઘવ–રામ’ના સ્તવનનું.[34] મળે છે એ પણ આ ભીમનાં હોઈ શકે.[35]

કર્મણ મંત્રી [ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ]

કર્મણ મંત્રી એનાં ‘સીતાહરણ’[36] કિંવા ‘રામાયણ’ કે ‘રામકથા’ના અંતભાગના ‘સંવત પનર છવ્વીસઇ સીતાહરણ વિચાર, કર જોડી કર્મણ તવઇ અહ્યહ ગિરાઆધાર’થી[37] લખેલ છે એ પરથી સમજાય છે. કે એ ઈ. ૧૪૭૦ (સં. ૧૫૨૬)માં હયાત હશે. એણે પોતાના એક કાવ્યમાં પોતાને માટે ‘મંત્રી’ વિશેષણ આપ્યું હોઈ એ કોઈક રાજ્યનો કારભારી કોટિનો પુરુષ હોય. એક મહત્ત્વની વસ્તુ એ પણ જાણવા મળે છે કે વિ.સં. ૧૫૧૨ (ઈ.સ. ૧૪૫૬)માં રચાયેલા પદ્મનાભના ‘કાન્હડદે-પ્રબંધ’માંની પંક્તિઓ ‘સીતાહરણ’ની કેટલીક પંક્તિઓ સાથે મળતાપણું ધરાવે છે[38] અને પ્રસંગ પણ એકસરખા વર્ણિત થયા જોવા મળે છે, તેથી એ બંને કવિઓનો નિકટતાનો સંબંધ પણ હોય. આ રીતે પદ્મનાભ વીરસિંહ અને કર્મણ કદાચ એક જ પ્રદેશના પણ હોઈ શકે. ‘કાન્હડદે-પ્રબંધ’ પશ્ચિમ મારવાડમાંના જોધપુર નજીકના જાલોરમાં રચાયેલો છે.[39] વીરસિંહ અને કર્મણ પણ ત્યાંના કે નિકટના પ્રદેશના હોય. નામ ઉપરથી કદાચ એ વણિક મેશ્રી હોઈ શકે. કવિ તરીકે કર્મણમાં કાંઈ વિશેષ મળતું નથી. રામાયણનું વસ્તુ લઈ હકીકતને રામકથા સરળ ભાષામાં પદબદ્ધ કરવાનો એનો માત્ર પ્રયત્ન છે. આ આખ્યાનમાં ‘પવાડુ’ મથાળે ચાલુ સવૈયાની દેશી ઉપરાંત ‘દોહા-ચોપાઈ’ છંદોના ઢાળ, અને એક માત્ર ‘છપ્પય’ પણ પ્રયોજેલ છે. ૪૯૫ કડીઓની આ રચનામાં એક ‘સપનગીત’[40]અને ચાર ‘ધૂલ’[41] પણ આપ્યાં છે. આ ગીત ‘સવૈયાની દેશી’માં છે અને એમાં એણે નરસિંહ મહેતાના પ્રકારની પોતાની છાપ આપી છે. ‘સપનગીત’ :

રાગ ભુપાલી
‘એક અચરજ સહી! આ ભણૂં બોલઇ ત્રિજટા બહિન,
રામ લક્ષ્મણ બિહૂ જાણૂં લંકા આવ્યા વાનર-સેનિ.
મઇ લાધૂં સપનું, સખી! -ધ્રુવપદ
બાંધી પાજ નીરિ તિહાં નિશ્ચલ; સાથિ હનમત ભીંછ:
વિકટરૂપ દીસઇ વાનરા; રૌદ્ર ઘણા માંહિ રીંછ. મંઇ૰

માતા સીતા! જાણૂં વાનર ત્રિકૂટિ ગઢિ ચડિયા,
સવા લાખ સુત, રાવણુ રાણુ, કુંભકર્ણ રણિ પડિયા. મંઇ૰

જાણૂં લંક વિભીષણ દીધી, અમર કોડિ તિહાં મલિયા:
મંત્રી કર્મણ-ચુ સ્વામી અયોધ્યા રામ સીતા લેઈ વલિયા. મંઇ૰[41]

એણે આપેલાં ‘ધૂલ’નો, પરંપરાનો ઢાળ હરિગીતનો ન લેતાં સવૈયાની દેશીનો લીધો છે, એટલો ‘ભરતેશ્વર-બાહુબલિરાસ’માંના ‘સરસ્વતી ધઉલ’ અને નરસિંહ મહેતાની ચાતુરીઓના ઢાળથી જુદો છે. ગુજરાત–સૌરાષ્ટ્રના વિસ્તૃત ભૂભાગની અને પશ્ચિમ મારવાડની તત્કાલીન સાહિત્યિક ભાષાની એકાત્મકતા હતી એ જૈન તેમજ જૈનેતર રચનાઓ આ બેઉ ભૂભાગમાં રચાયા કરી છે એનાથી સમજાય છે.

જનાર્દન ત્રવાડી [ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ]

જેની સાહિત્યની સેવાનો સમય વિ.સં. ૧૫૪૮(ઈ.સ. ૧૪૯૨) નિશ્ચિત છે તે જનાર્દન ત્રવાડીનું પદોના ઝૂમખારૂપે રચાયેલું ‘ઉષાહરણ’ જાણવામાં આવ્યું છે.[42] એણે પોતાનો આછો પરિચય પોતાનાં પદોમાં આપ્યો છે :

‘ખડાયતા વિપ્ર નીંબાસુત બોલિ, ભણઇ ત્રવાડી જનાર્દન.’[43]

અને–

‘અમરાવતીઇ ઉપનુ ગ્રંથ રત્નની ખાણિ.
સંવત પનર અડતાલ વરસ માસ દામોદર સાર,
ભણઇ જનાર્દન કાર્ત્તિકી એકાદશી ગુરુવાર.’[44]

અમરાવતી–ઉમરેઠમાં નીંબાના પુત્ર ત્રવાડી જનાર્દને ‘સં. ૧૫૪૮ના કાર્ત્તિક(સુદ)૧૧ ને ગુરૂવારે [ઈ. ૧૪૯૨] ઉષાહરણની રચના કરી’. ‘અમરાવતી’ એ ‘ઉમરેઠ’નું સંસ્કૃતીકરણ માત્ર છે, કારણ કે ખડાયતા બ્રાહ્મણોની વસ્તી ‘ઉમરેઠ’માં છે, નહિ કે સૌરાષ્ટ્રના અમરેલીમાં.[45] એની મુદ્રિત વાચનામાં જુદા જુદા રાગોના મથાળે ‘કડવું’ શબ્દ મુકાયેલો છે. હકીકતે ૨૨૦ કડીઓનું આ ‘ઉષાહરણ’ કાવ્ય ૩૬ પદોમાં વહેંચાયેલું છે. બંધની દૃષ્ટિએ એ બધાં નથી શુદ્ધ પદ કે હજી નથી બન્યાં ‘કડવાં’. ‘કડવાં’એ દૃષ્ટિએ નથી બન્યાં કે આરંભમાં ધ્રુવાની કડીઓ જોવા નથી મળતી અને ‘ઢાલ’ પણ ‘ઊથલા’ અને ‘વલણ’ને માટે તો પચીસેક વર્ષ પછી નાકરની રચનાઓમાં જવું પડે છે. જનાર્દને ચોખ્ખી ૩ થી લઈ ૯ કડીઓ સુધીમાં ઝૂમખાં આપ્યાં છે, જેનું સામ્ય નરસિંહ મહેતાનાં પદો સાથે લાગે; પરંતુ નરસિંહે ચાર કે પાંચ સાદા જ બંધ પ્રયોજ્યા છે, જ્યારે જનાર્દને આઠ જેટલા બંધોનું વૈવિધ્ય સાધ્યું છે. કાવ્યના વિષય તરીકે એણે ઉષા-અનિરુદ્ધનું જાણીતું વસ્તુ લીધું છે. એણે તે તે પ્રસંગને લાઘવથી, પણ રોચક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ઉષાના જન્મ-સમયની વધામણીનું ચિત્ર :

‘નિજ ગુરુ માગઇ વધામણી એ રા-ઘરિ બેટી પાઉધારિ.
રૂપિ તે ત્રિભુવનમોહની એ, લક્ષણ નઇ ગુણસાર.
નહીં રંભા, નહીં ઉરવસી એ, મેનકા નહીં એહ સમાન.
દ્વિજવરનઇ રાઇ રીઝિઉ એ, બૂઝિઉ જગ-ફલ કોડિ.
દેવ ગંધર્વ ને નાગ માંહી એ, જોસ્યૂં એહની જોડિ.
આકાશ શબ્દ ઇમ ઉચ્ચરઇ એ ઇચ્છાવર વરસિ કુમારિ.
જનાર્દન ભણઇ : પ્રાણિ કાંઈ નુહઇ એ, હુંનિ ન ટલઇ સંસારિ.’[46]

આલંકારિક દૃષ્ટિએ કવિ સિદ્ધિને વરી શકતો નથી. કદાચ તેથી જ બંધની દૃષ્ટિએ વૈવિધ્ય તરફ એણે મીટ માંડી છે. યાદવોનું સૈન્ય ચડી આવે છે ત્યારે એ ‘વસંતવિલાસ’માંના સાંકળી બંધનો આશ્રય લઈ રોચકતા લાવવા આયાસ કરે છે; જેમ કે–

‘ઉદ્ધવ વલિયા ઉતાવલા રે, વાઉલા યાદવ યોધિ,
વાડી વન ઊમેલિયાં રે, મેલિયાં કરી વિરોધ.
ઝાલર ભેરી વાજિયાં રે, ગાજિયાં ગહિરાં નિસાણ.
દૃષ્ટ ચડ્યાં દલદવડ્યાં રે, કાયર પડઇ પરાણ.
બાણઇ બલિયા ચલાવિયા રે, અનંગિ એક ઠામિ.
પોલિઆ પાડિ બૂંબડી રે, ચડવડી ચઢાઉ બહાર.
પ્રથમ પલા તે પાડિયા રે, યાદવિ વિસમિ પ્રહારિ’ વગેરે.[47]

આમાં પણ કોઈ કોઈ પંક્તિમાં સાંકળી આપી શકતો નથી. ક્વચિત્ વેગ સાધવા પ્રયત્ન કરે છે; જેવો કે, સ્વપ્નમાં અનિરુદ્ધને જોયા પછી ચિત્રલેખાને એ લાવી આપવા કહે છે ત્યારનો :

‘ઉષા માઝમ રાયણી જાગી રે, અંગ જવાલા લાગી રે,
મુહનઇ કલંગ જ લાગૂં રે, કન્યાવ્રત માહારું ભાગૂં રે.
સયર ભણિઃ સુણ બાઇ રે, કન્યાવ્રત કેમઇ નહીં જાઇ રે.
ઉષા કહઇ : મુઝ તે વરુ રે, અવર પુરુષ પિતા ગુરુ રે.
વર વરસ્યું એ જોખિ રે, નહિતુ પ્રાણ તજું તન સોખિ રે.
ઉષા, પ્રતિજ્ઞા નવિ લીજઇ રે, સહિયરનૂં તે વાર્યું કીજઇ રે.
સહિયર કહે : મન માણુ રે, એ વર ઘરથી જાણ્યું રે.
સુહણઇ તે લાખ બંધાઈ રે, તે વિહાણઇ મિથ્યા થાઈ રે.
જનાર્દન ભણઇ : ઉષા બોલી રે, તુહનિ રક્ષા કરઇ હિંગોલી રે.
તો મનિ નવિ આણે તાપ રે, ઉમા શંકર શિર માય બાપ રે.’[48]

હકીકતે ૨૨૦ કડીઓના આ કાવ્યમાં કવિપ્રતિભાનો ચમત્કાર તદ્દન સ્વલ્પ છે, જ્યારે બંધવૈવિધ્ય સાધી કળાનો ઓપ સાધવાનો પ્રયત્ન સવિશેષ જોવા મળે છે. એક વસ્તુ દેખાય છે કે આ રચનાને વીરસિંહના ઉષાહરણના કથાનક સાથે સામ્ય છે, પરંતુ બંને વચ્ચેનો ગાળો જોતાં રાજસ્થાનના વીરસિંહનું કાવ્ય જનાર્દનના જોવામાં આવ્યાનું શક્ય નથી. હકીકતે બંનેએ હરિવંશ અને ભાગવતના કથાનકનું અનુસરણ કર્યું છે, જેમાં વીરસિંહ કાવ્યચમત્કૃતિ સાધી આપે છે, જનાર્દન નહિ. આ સમયગાળા દરમ્યાન કવિ વાસુએ (ઈ. ૧૪૮૪-૯૪; સં. ૧૫૪૦-૫૦) સરળ રીતે ‘સગાળશા આખ્યાન’ દુહા અને ચોપાઈમાં લખ્યું છે. એમાંનાં કરુણ રસની જમાવટ કરતાં બે પદ આકર્ષક છે.

વીરસિંહ [૧૬મી સદી આરંભ સુધીમાં]

કડવાબદ્ધ આખ્યાનોની કેડી ભાલણે આપી ‘આખ્યાનયુગ’નું સંસ્થાપન કરી આપ્યું તે પૂર્વે પણ મહાભારત–રામાયણ–અન્ય પુરાણોમાંથી કોઈ કોઈ વસ્તુ લઈ સળંગબંધનાં આખ્યાન-પ્રકારનાં બીજ રોપનાર નરસિંહ મહેતાને બાદ કરતાં એના ઉત્તર કાલમાં થયેલા આખ્યાનો ગાનારા સાહિત્યકારોમાં વીરસિંહ (‘વરસંગ’) કદાચ જાણવામાં આવેલો પહેલો છે.[49] એણે લગભગ એક હજાર અર્ધ-કડીઓ(પંક્તિઓ)માં રચી આપેલું ‘ઉષાહરણ’ પ્રબંધ-કોટિનું કથાકાવ્ય છે, અને સ્વરૂપ ઉપરથી જાણે કે ‘કાન્હડદે-પ્રબંધ’ની અદલોઅદલ ધાટી ઉપર રચાયેલું હોય, કારણ કે જેમ એમાં ‘ગીતો’ આવે છે તે પ્રમાણે ‘કાન્હડદે-પ્રબંધ’ની ભટાઉલીની જેમ ગદ્ય પણ આવે છે.[50] વીરસિંહ વિશે એના ‘ઉષાહરણ’માં પાંચેક સ્થળે ‘વરસંગ’ની છાપ આપી છે.[51] એ સિવાય વિશેષ કશું જાણવામાં આવ્યું નથી. ‘ઉષાહરણ’ની એક માત્ર પાટણમાંથી મળી હોવાથી એ પાટણ કે આસપાસના વતની હોવાનું અનુમાન થઈ શકે. આ હસ્તપ્રતની લે. ઈ. ૧૫૧૩ હોવાથી વીરસિંહ ઈ. ૧૬મી સદીના આરંભ સુધી થયો હોવાનું અનુમાન થાય છે. એણે હરિવંશ અને ભાગવત પુરાણમાંથી વસ્તુ લઈ ‘ઉષાહરણ’ (હકીકતે તો ‘અનિરુદ્ધહરણ’)ની વિશદ રચના કરી આપી છે. કાવ્યતત્ત્વની દૃષ્ટિએ વિચાર કરતાં શૃંગાર અને વીરરસનો એક સારો નમૂનો એની પાસેથી મળે છે. કથાવસ્તુ સુપ્રસિદ્ધ છે, પણ કવિએ ચમત્કૃતિ આપીને એને કાવ્ય કોટિમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. પાર્વતીની ભૂષાનું વર્ણન કરતાં જોવા મળે છે કે –

કેદારુ
‘માથા ઊપરી મણિઝલકંતી કલાવંતઇ તિ કાલ,
હેમરાખડી રતન બઇઠાં એ શામાસિરિ વાલ. નિશિ૰
દીશિ વયણ રાતડી રસના, ઊંપરિ પંડુર નેત્ર૰
સહિથિઇ સીંદૂર ભરીની હંસ મોતી લગ શેત્ર. નિશિ૰
વાંસઇ અહિ દીસતુ દીરઘ સાહાતુ પૂછ સરેહિ,
ખાંતિ કરી ગૂંથુ ક્ષામોદરિ વેણિ-ગોફણુ એહ. નિશિ૰
સાહી વીણિ સકતિ ઇમ બોલઇ, જુ હુઇ વલગતિ નાગ,
તું યોગિની જાણજાલવી નિતિ હરકંઠિ વિલાગ. નિશિ૰
છાંડી વીણી વાલ કિયા મુકતા; અમયા એ પરિ કીધી.
વરસંગ ભણઇ : પ્રીતીતિ ઉપની તુ દીવડી શગ કીધી. નિશિ૰’[52]

પાર્વતી અને દીપકની હોડ મૂકી કવિએ દીવામાં ‘શગ’ કેમ થાય છે એની કવિપ્રતિભોત્થ કલ્પના રજૂ કરી આપી છે. આ કાવ્યમાં કવિએ યથાસ્થાન ગૌરીપૂજન માટે પૌરાણિક કર્મકાંડની પદ્ધતિમાં દેખાતો અને સાથે પોતાના સમયમાં પ્રચલિત એવો ક્રમ સારા સ્વરૂપમાં ચીતર્યો છેઃ કેટલાક સામાજિક વિધિ પણ આપ્યા છે. આપણને ‘કાન્હડદે-પ્રબંધ’માં મળે છે તેવાં નગર ગઢ સેના યુદ્ધ વગેરેનાં પણ આકર્ષક વર્ણન આ કાવ્યમાં જોવા મળે છે. મુખ્યત્વે એણે ‘દુહા’ અને ‘ચુપઈ’નો બંધ પસંદ કર્યો છે, આમ છતાં ભુજંગપ્રયાત વસ્તુ ગાથા પદ્ધડી સારસી એ છંદોનો પણ ઉપયોગ કરી લીધો છેઃ ચોપાઈ દાવટીનો બંધ પણ જોવા મળે છે. ખાસ ધ્યાન ખેંચે છે તે જુદા જુદા ઢાળમાં આપેલી દેશીઓનાં ગીત છે. એવું એક ગીત ઉપરનું ‘કેદારુ’ રાગનું જોયું; એ ચોપાઈ દાવટી–બંધમાં છે. સૌથી પહેલું ૮૨ મી લીટી પછી દોહાબંધનું આવે છે :

ધવલ ધન્યાસી
‘સીસિઇ શંકર તુહ નમિ રે, નમિઅ નહી દિનરાત,
લેખૂં લાગૂં નાલિયરે, પડિ અતિ ફણાગર પત્તિ,
સાંભલિ શિવ દેવા, બાણાસુર બોલિ, દેવ નહિ તહ્ય તોલિ. સાંભલિ.’[53]

ચાલુ દુહા-બંધ ઉપર કેટલેક ઠેકાણે રાગનાં નામ લખવામાં આવ્યાં છે. સંભવ છે કે કવિ તરફથી ભિન્ન ભિન્ન રાગોમાં તે તે પંક્તિઓ ગાવાની હશે એ દૃષ્ટિએ એ મૂકવામાં આવ્યા હોય. વીરસિંહે ‘કાન્હડદે-પ્રબંધ’ જોયો લાગે છે, કારણ કે કેટલાંક વર્ણનોમાં સામ્ય અનુભવાય છે. વીરસિંહ આગળ વધી એમાં વૈવિધ્ય પણ સાધે છે :

ધુલ રાગ દેશાખ

‘ઇમ બોલઇ રષિમિણિ જોડી બે હાથ એ
નાથ ન ચેતું એ અહ્મતણોઈ, દૂરિ દાવાનલ દેખું એ દેવ એ, ૭૬૦
જલતું એ પાઇતલિ પેખું નહિ એ.
પેખું નહિ પર ન્યાતિ સખિ પડ્યા, ઘર અનુધ્યાન,
સુણિ વીનતિ અમ્હ દેવ તું બ્રહ્મમંડણ દેવ એ :
તું સૃષ્ટિ સવિ આધાર, જાનન જન આસાર.
પહિરિયાં પીલાં ચીર, નવિ લાજ આણિ આહીર.
સખિ સમુક યાદવ, પછી સુત સાહું લાસ, ૭૬૫
વર ચાહતાં ખટ માસ, વલી આજ પુહતી આસ.
વલી આજ પુહતી આસ સ્વામી પ્રી પરજાવ્યાં પ્રિથિવીણી.
સાર કરિ–ને સ્વામી શ્રીરંગધરા ઇમ બોલઈ રાણી રુષિમણી.[54]

‘ભરતેશ્વર-બાહુબલિ રાસ’ (ઈ. ૧૧૮૫) માંના ‘સરસ્વતીધઉલ’નો આ ઢાળ છે. અંતે બોલીનો જે પ્રકાર એણે પ્રયોજ્યો છે તે માણિકચંદ્રસૂરિના ‘પૃથ્વીચંદ્રચરિત’-ના પ્રાસવાળા વાક્યખંડોના પ્રકારનો છે. પદ્મનાભના ‘કાન્હડદે-પ્રબંધ’ની ‘ભટાઉલિ’નું ગદ્ય સારું છે તો વીરસિંહનું આ ગદ્ય એની પ્રાસાત્મક વાક્યરચનાથી જુદું પડે છે :[55]

‘આઠમઇ અવતારિ, કંસ માલાખાડિ મારી,
બલિ તણુ બાણ મનાવય હારિ, યાદવવંશ વધારિ, સોલસહસ્ર નારી,
વરસિંગ ભણઇ દ્વાપરયુગ મઝારિ’.

પ્રાપ્ત એવો પહેલો સળંગબંધના આખ્યાનનો રચયિતા વીરસિંહ ઉષા-અનિરુદ્ધનું પૌરાણિક કથાનક, પૂર્વના પ્રચલિત કાવ્યબંધનું ગદ્ય સમેત વૈવિધ્ય સાધી, આપે છે એ રીતે નોંધપાત્ર બની રહે છે. એના નામ ઉપરથી એ રાજપૂત હશે; એણે પોતાના કાવ્યમાં છત્રીસ-કુળી રાજપૂતોની યાદી આપી છે[56] તેથી એવું માનવા મન થાય, પરંતુ સાહિત્યકાર તરીકે તો એ યુગનું એક સારું ગુજરાતી આખ્યાનકાવ્ય એ અર્પી જાય છે, એ રીતે એનું મૂલ્ય છે.

માંડણ બંધારો [ઈ. ૧૬મી સદી આરંભ સુધીમાં]

પદ્મનાભ વીરસિંહ અને કર્મણમંત્રીનો સમકાલીન માત્ર નહિ, એ જ પશ્ચિમ મારવાડનો કહી શકાય તેવો સાહિત્યકાર માંડણ બંધારો માલૂમ પડી આવ્યો છે :

‘શીરોહી સારણ સાનિધિ કરી કથા આવી મનશિધિ.
આવ્યો કુલે બંધારા તણઇ, લીધુ જનમ કૃત આપણઇં. ૧૨

માતા મેધૂ-ઉદરિ નિવાસ, વૈષ્ણવ ભક્ત સવ્હૂંનું દાસ,
...સત્યઇં કૂડઇ મિશિ માંડણ મુખિ હરિનાંમ આવશિ.૧૩.’[57]

આ રીતે પશ્ચિમ મારવાડના, આબુની ઉત્તરે આવેલા શિરોહીનો રહેવાસી અને બંધારા જ્ઞાતિનો સમજાય છે. એની માતાનું નામ ‘મેઘૂ’ અને એના ‘હનુમંતાખ્યાન’માં જણાવ્યા પ્રમાણે એના પિતાનું નામ હરિ હતું.’[58] અંબાલાલ બુ. જાનીએ ‘શિરોહી’ને ‘ઊના–શિહોર’ ગણી[59] કવિ સૌરાષ્ટ્રનો હોવાનો મત આપ્યો છે, પણ એ રીતે ‘શિહોર’ કહેવું હોય તો ગોહિલવાડનું સુપ્રસિદ્ધ ‘શિહોર’ શા માટે ન લેવાય? પરંતુ ‘શિરોહી’ એવો ઉલ્લેખ થયેલો હોઈ જોડણી-દોષ જોવાની જરૂર નથી. પદ્મનાભ વીરસિંહ અને કર્મણ મંત્રી પશ્ચિમ મારવાડમાં રચનાઓ કરતા મળે જ છે. કહેવાની જરૂર નથી કે આજે પણ શિરોહીનો જેમાં સમાવેશ છે તેવા ભિન્નમાળ–શ્રીમાળના પ્રદેશની બોલી ગુજરાતીને મળતી છે. સ્વરાજ્ય મળ્યા પછી રાજ્યોના પુનર્ઘટન સમયે આબુ અને શિરોહીનો પ્રદેશ થોડાં વર્ષ ઉપર રાજસ્થાનને સોંપાયો તે પૂર્વે ગુજરાતનો જ ભાગ હતો. આ કવિની ‘પ્રબોધબત્રીસી’ મુદ્રિત કૃતિ ઉપરાંત ‘રામાયણ’, ‘રુક્માંગદ કથા’ અને ‘પાંડવવિષ્ટિ’ એ ત્રણે અપ્રસિદ્ધ કૃતિ પણ જાણવામાં આવી છે.[60] ‘હનુમંતાખ્યાન’ રામાયણના જ પ્રથમના ૩૦ ખંડોમાં આવી જાય છે. ‘પ્રબોધબત્રીસી’ એ ૨૦-૨૦ ષટ્પદી ચોપાઈની ૩૨ વીશીઓમાં રચાયેલું જ્ઞાનમૂલક કાવ્ય છે. અખાના છપ્પાઓના સંગ્રહમાંનાં ભિન્ન ભિન્ન અંગોમાં સમાજના ચિત્રને ઉપસાવતી સાચી સમજદારીની શિખામણમૂલક જ્ઞાનગોષ્ઠી મળે છે તેવી જ આ જ્ઞાનગોષ્ઠી છે. આ પદ્ધતિની કવિતા માંડણ અને અખા સિવાય બીજા કોઈ સાહિત્યકાર પાસેથી મળી જાણી નથી. અને અખાએ પણ માંડણનું જ અનુકરણ કર્યું છે, કેટલુંક લીધું પણ છે.[61] નરહરિએ આ પ્રકારે વિષય-નિરૂપણ કર્યું છે, પરંતુ એ ‘ગીતા’ઓના રૂપમાં.[62] માંડણનો સમાજનો અભ્યાસ ઉચ્ચ કોટિનો કહી શકાય એણે ‘પ્રબોધબત્રીસી’માં ૪૦૦ થી ૫૦૦ જેટલી કહેવતો વણી લઈ પોતાની વાણીને માર્મિકતાથી સમૃદ્ધ કરી છે. એની પ્રત્યેક વીશી ઊંડા બોધ અને તત્ત્વજ્ઞાનથી ભરેલી છે. અખાને જે જાતનો ગુરુને માટે અનુભવ બંધાયો હતો તેનાં મૂળ માંડણમાં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. એની પાંખડ ઉપરની ટકોર :

પાખંડી ગુરુ માથઇ કર્યા, વાયી વેદ ઉવટિ સાંચર્યા.
ધર્મ તણી હાંણિ નવિ સર્યું : ઉપરિ અતિ ધન વાવર્યું :
મિથ્યાલાપિ હૌઆ સંયમી, ‘ભઇસિ કેડિ પાડી નીગમી.’ ૮૧

પાખંડી પૂજા આદરી, બઇઠા મૂરત પાખલિ ફિરી.
કહિ કલયુગનુ જોઉ પાર, એહવા ભક્ત ગુરુ તેહ વાર.
‘નારિ સતી પુરુષ તિમ સતુ, ગાધિ ગૂણિ કલશીનુ પિતુ. ૮૨.’[63]

આ જ પ્રસંગે એણે માર્મિક કહેવતોનો ખડકલો કરી વચનમાં ચોટ લાવવાનો પ્રયત્ન પણ કર્યો છે :

ઘોડઇ ચડ્યા કોઈ નવિ કલઇ, ચડિ ગાધિ સહુ જોવા મિલઇ.’
જુ બઇઠા નવિ નિરખઈ કોઈ, તું ઉભા દીઠઇ શું હોઇ’? ૮૩
‘મીચઇ આંખ, ન મીચઇ હૈઆ, ન ચલઇ કાછ, ચાલઇ ધોતીઆં’.
‘લાઇ ભૂતી વિભૂતી ન લઇ, તન સાંકલી નઇ મન સાંકલઇ.’
‘દાંમી ઉંટ સહિ નવિ કોઇ, એ ગાહાદિ દામંતાં જોઇ’. ૮૪

‘અંગિ રાખ, મનઇ રાખડી; બાહરિ બાંગ, માંહિ બાંગડી.’
‘ભાલિ ચંદન, મન માંહિ ચાંદલી, માંહિ વન, અંતરિ વલી.’
‘બે ગુડીયા સંયારા દોર, અણ દેખણી તે રાજા ચોર’. ૮૫.’[64]

બેશક કહેવતોનો ખડકલો થતાં રચના કર્કશ થઈ પડે છે. આમ છતાં ‘લોકોક્તિ’ના રૂપમાં એ કહેવતો નવી પણ ઊભી કરેલી હોઈ કવિની શક્તિનો પણ પરિચય આપે છે. એણે કહેવતોનો કોશ જ કરી આપ્યો છે, જે અખાને એના છપ્પાઓમાં કામ લાગ્યો છે. ‘રામાયણ’ ૭૦-૭૦, ૭૫-૭૫ કડીઓના ખંડ પાડતું ૭૦ ખંડોનું આખ્યાનકાવ્ય છે.[65] એણે શુદ્ધ ચોપાઈ–બંધ સ્વીકારી ખંડના અંતભાગે પૂર્વછાયુ આપેલ છે, જે પ્રકાર ભીમના ‘પ્રબોધપ્રકાશ’ (અનુવાદ) માં તેમજ પછીના અન્ય આખ્યાનકારોનાં સળંગ બંધનાં આખ્યાનોમાં પણ મળે છે. રામાયણના જાણીતા કથાનકમાં એણે કોઈ વિશિષ્ટ પ્રદાન નથી કર્યું, આમ છતાં એની પાસે કહેવાની હથોટી છે. રામના વનવાસમાં ભરત મળવા જાય છે એ પ્રસંગે જોઈએ :

‘બિસારી સવિ લોકપ્રધાન, એ તું અહ્મ નઇ દ્યુ સવિ માંન.
જાશૂં યિહાં રામ લક્ષમણા, વાલી લાવિસુ ભ્રાત્રિ આપણા. ૯૬

સહુઇ રાજા લોક સજ થાઇ, સાથંઇ અંતેઉરિ સવિ જાઇ.
સર્વ અયોધ્યાનાં યે લોક, સાથિ ચાલ્યા ટાલણ શોક. ૯૭

લીધૂં શેન સંઘાતઇ ઘણૂં, જાઉં રામ છતા યિહાં સૂણૂં,
લીધી કેડી, ગહન બહુ ગમ્યાં, ત્રણ જણાં યિહાં વીસમ્યાં. ૯૮

યે યે ભૂમિ રામ રહ્યા જાણિ, કરઈ પ્રમાંણ શીસ નવિ કાંણિ.
તેણી ભોમિં લોટઇ શર નમી, તું આઘુ ચાલઇ અવની. ૯૯

ચિત્રકોટિ જાંણ્યાં ત્યાંહા છતાં, મેહેલ્યુ રથ યોજના છતાં,
પાલુ પલઇ ભક્તિ મનિ ષરી, અંતરિ રામચરણ શર ધરી. ૧૦૦

લક્ષ્મણ અવની દ્રમદ્રમકાર, ચાલ્યુ આવ કોઈ દલ ભાર.
સહી એ ભરથ પાણિ વનિ ગણી, ખારી રાજ નિકંટક મણી. ૧૦૧

નવ બાંણ સાધી રુહુ સ્વામિ, ચાલ્યુ આવઇ શત્રુ વિરાંમિ.
વાસ્યુ રામઇ બાંધવ આપણુ, એ હઇ દશરથ રાજા તણુ. ૧૦૨

જાણ્યુ ભરત આવતુ રાંમિ, બિઠા વ્રખ તલઇ વિશ્રાંતિ.
મેહેલી મઢી બાહરિ આવીઆ, લઘુ બાંધવ આવત પેષીઆ. ૧૦૩ [66]

આ પછી ભરતની સરલતા સરળ શબ્દોમાં નિરૂપવામાં આવી છે. કાવ્યગત ચમત્કૃતિ આમાં નથી, પરંતુ લોકચિત્ર આમાં સાહજિક રીતે સુલભ છે. ‘રુક્માંગદકથા’ પણ રામાયણના કાવ્યબંધવાળું જ આખ્યાન છે.[67] એમાં પણ નિરાડંબર કથનપદ્ધતિ જ જોવા મળે છે. ‘પાંડવવિષ્ટિ’ (તૂટક)[68] પણ આ પ્રકારનું સરળ નિરાડંબર આખ્યાન છે અને કોઈ વિશિષ્ટ શક્તિનો પરિચય આપતું નથી.‘પૂર્વછાયુ’ વાળી ચોપાઈના એકમથી રચાયેલાં આખ્યાનોનો, કહેવો હોય તો, માંડણને પુરસ્કારક કહી શકાય. એનું ‘સતભામાનું રૂસણું’ જોવા મળ્યું નથી,[69] પરંતુ માંડણે પદો લખ્યાં હોય એવું પણ જોવા મળે છે.[70] આશ્ચર્ય એ છે કે નરસિંહ મહેતાનાં પદોમાં મરાઠી ભાષાની અસર જોવા મળે છે તેવી અસર ‘માંડણ’ની છાપનાં પદોમાં પણ જોવા મળે છે :

રાગ મહ્લાર

‘સાગર બોલિ, સાંભલિ નામા તૂં ગુણ–પાર ન જાણૂં રે.
આણુ કવણ ઓપમા?
યે ઉપગાર તિ કીઉલા અહ્મચિ,
કેતા કરૂં અવષાંણૂં કે જાણૂં ન પાર તુહ્મ. -ડુઢિ.
જેહચા પાઉ શેવિં સુરપતિ શીતાપતિ શ્રીરાંમો,
તે અહ્મ સાંહાંમા કીઉલા મુરારિ, ધન ધન તુઝા નામો. ૧

નાઇં તિ અહ્મચિં ગુણ કીઉલા નામાં શીપ વિચારુ રે.
કારણિ અવતારો.
માઝિ મુગતાફલ ઉપવલિ રયીયલિ બહુ હારો, ચડાવીલિ ભૂપાલો. ૨

સોઇ દ્વારકાં શશિહર સોહિ મોહિ સૈઅલ સંસારો.
ફેરી દેઉલ અહ્મ સંનિધિ કેઉલા મંડણચા દાતારો. ૩’[71]

માંડણ દ્વારકાની યાત્રાએ ગયો હોય તે સમયે ઉપરનું પદ રચ્યું હશે. એ આ પછીના પદથી કહી શકાય :

* બીજું નામ ‘એકાદશી મહિમા’. આ કૃતિની લે.ઈ. ૧૫૧૮ મળતી હોવાથી માંડણ ઈ. ૧૬મી સદી પૂર્વાર્ધ સુધીમાં થયો હોવાનું અનુમાન થઈ શકે [જુઓઃ ગુજરાતી સાહિત્યકોશ:૧]

‘અહ્મો આઇલા રે હરિ ઉષામંડલ ભણી જૂ ઘણી સાંભળી રૌરચિ વાત.
અહ્મા કીધલિ રે હરિ તીર્થ દ્વારાવતી દુર્મતિ મેલીઆં કર્મ કોટી.
સારીલિ રે હરિ ગોમતી –મજ્જન વ્રજ ન વાધતાં મેર મોટી. અહ્મો૰
અહ્મો પેષી લઇ રે હરિ મૂરતિ તાહરી, સાંભરી ઉદર માત પીડ.
નમીલિ રે હરિ શીસ સાંમલ–વ્રન જ મન તાપીલિ તન ભીડ. અહ્મો૰
અહ્મો વિઠલા રે હરિ ધર્મ-શભાસનિ, વાસ ન વછુંણિ સ્વર્ગ સ્વામી.
લીધલિ મંડણ ચરણ-શરણાધાર, સંસારવેદના વિવિધ વામી. અહ્મો૰’[72]

ઉપરનાં પદોમાંનું બીજું પદ તો સ્પષ્ટ રીતે ‘ઝૂલણા’ના ઢાળનું છે અને નરસિંહ મહેતાના ઝૂલણાનાં પદોમાં જેમ નામદેવના અભંગોના ઢાળનું અનુકરણ સુલભ છે તે પ્રમાણે આ પદમાં પણ સુલભ છે. ‘કીઉલા’ વગેરે રૂપોનો પ્રયોગ અને ‘વિઠ્ઠલ’ શબ્દનો પ્રયોગ પણ એની શાખ પૂરે છે. ‘પેથડરાસ’ જેવી જૈન રાસરચનામાં પણ આ પ્રકારનાં ભૂતકૃદંતોનો પ્રયોગ અજાણ્યો નથી.[73] ‘પ્રબોધબત્રીસી’માં ‘બહુ તીરથ મઇ જોયો હરી’ વગેરેથી માંડણે યાત્રાઓ ઠીક ઠીક કરી હોવાનું સમજાય છે. શ્રીવલ્લભાચાર્ય ગુજરાત-સૌરાષ્ટ્રમાં આવ્યા એ પૂર્વે દક્ષિણી વારકરી સંતોનો અને એમના અભંગ–સાહિત્યનો પરિચય આ રીતે કહી શકાય એમ છે.

શ્રીધર અડાલજો [ઈ. ૧૬મી સદી આરંભે હયાત]

ભાલણનો સમકાલીન કહી શકાય તેવો આખ્યાનપ્રકારને ખેડનારો એક શ્રીધર અડાલજો મોઢ જૂનાગઢ (સૌરાષ્ટ્ર)માં વિ. સં. ૧૫૬૫ (ઈ.સ. ૧૫૦૯)માં હયાત હતો એવું એના ‘રાવણ-મંદોદરી સંવાદ’ નામના સંવાદ–કાવ્યના અંતભાગથી જાણવામાં આવ્યું છે :

‘સંવત પનર પાંસઠઇ જીરણ-દુર્ગ નિવાસ,
પૂરણ ચ્ચારી ચોપઈ બિસઇ બાંધી બુદ્ધિપ્રકાસિ. ૨.
****
સોય મંત્રી સહમા-સુતન કવિતા શીધર નામ,
ઉતપતિ મોઢ અડાલજા, તસ ભૂઠા શ્રીરામ. ૫.’[74]

એના પિતાનું નામ ‘સહમો’ હતું અને એ ‘મંત્રી’ હતો. અર્થાત્ જૂનાગઢમાં માંડલિકનું રાજ્ય વિ. સં. ૧૫૨૯ (ઈ. ૧૪૭૩) માં ખતમ થયું ત્યારે એ રાજ્યમાં મંત્રી–પદે હોય અથવા મુસ્લિમ સૂબો સત્તા ઉપર આવતાં એ અડાલજ કે અમદાવાદથી સૂબાના મંત્રી તરીકે આવ્યો હોય. શ્રીધર અડાલજો મોઢ હોઈ જૂનાગઢનો જૂનો વતની તો નહિ જ હોય. એની પ્રાપ્ત રચનાઓમાં ‘રાવણ-મંદોદરી સંવાદ’ રામચંદ્રજી સાથેના રાવણના વિગ્રહમાંથી રાવણને દૂર રહેવા માટેની મંદોદરીની દલીલોને લગતું સંવાદકાવ્ય છે. એ આ સંવાદકાવ્યમાં પોતાને ‘કવિતા’ (सं. कवयिता) અને ‘કવિ’ કહે છે. આ સંવાદકાવ્ય જોતાં એનું એ વિશેષણ સાર્થક કહી શકાય એમ છે. માંડણે ‘પ્રબોધબત્રીસી’માં જેમ કહેવતો જૂની અને નવી ભરી આપી છે તે પ્રમાણે શ્રીધરે પણ આ સંવાદકાવ્યમાં ભરી આપી છે. એ પોતે પણ ‘ઉખાણાનું’ પ્રયોજન કહે પણ છે :

‘મઇં ઉખાણા અતિઘણા કીધા કવિત મઝારિ.
કાપડિ ભરતાં કાપડી વરઇ નવેણી વારિ.’[75]

અને કાવ્યનો ઉઠાવ કરતાં પણ કહે છે :

‘રઢિ રાવણ, મતિ-મંદોદરી, કરિસી કવિત ઉખાણિ કરી;
રામકથા સોનું નઇ સરહું, સોય કવિ શ્રીધર જડસિ ખરહું’.

માંડણની રચનામાં વાંચતાં કંટાળો ઊપજે છે, પણ શ્રીધર કંટાળામાંથી બચાવી લે છે. સીતાના હરણના વિષયમાં રાવણ પ્રતિ મંદોદરીનું કથન :

‘ખરું વયણ મંદોદરી ભણિ: રાવણ, મતિ મૂંઢિ તહ્ય તણિ.
આગઇ અગણિત અંતેઉરી, વલી તઇ સીતા સ્યાહાનઈ હરી?

કાશ્યપ વંશ તણી કુલ-વહૂ સુર નર પન્નગ જાણી સહૂ.
જો આમિષ અતિ મીઠઉં હોઇ, પીંડી તણું ન પ્રાસિ કોઇ.’[76]

રાવણ એનો જવાબ આપે છે:

‘કોઇ ન (મઝ) કહાવી મઇદાનવી, મિ રાવણ પરિ કીધી નવિ.
એ બેટી રાય જનક ઋષિ તણી, બ્રહ્માદિક જાણી બ્રાહ્મણી.

ખત્રી તણી ખભેડી પડી, અન્ન ઉદક પાખિ રડવડી.
કાદવિ ખુતી કવલી ગાય, પૂંછડ લેવા પરઠઉ પાય.’[77]

બંનેની દલીલો એક એકને વિચારમાં નાખે તેવી કવિએ આપી છે, એમાં કવિની મુત્સદ્દીગીરીનો પણ ખ્યાલ સહજ રીતે આવે છે. આખા સંવાદને અંતે મંદોદરીને ઈશ્વર અને બ્રહ્મા તરફથી રાવણ અને કુંભકરણના અવતારની હકીકત કહેવામાં આવી છે, જેનાથી મંદોદરીને રાવણના વિષયમાં જે ક્રોધ હતો–અણગમો ઊભો થયેલો તેનું નિવારણ થાય છે:

‘રીસ નિવારૂં રાણી ભણઇ, લાગિ પાગિ પિતામહ તણઇ,
પ્રીઅ સરસો કીધો પ્રસંગ, વલ્યા વિધાતા વરતો રંગ.

કંથ કપટ નઇ કામિની કલહિ અજાયુદ્ધ પરિ જાસઇ વિલહિ.
ધરિ ગુલ રાડિ ન પાડિ વિસલ, ચખિ દેતાં કાયા કુશલ.’[78]

શ્રીધર કહેવતો અને રૂઢિપ્રયોગો એવી રીતે વણી લે છે કે એ કર્ણકટુ થઈ પડતાં નથી. આ રચનાને ‘શુદ્ધ આખ્યાન’ ન કહી શકાય. એણે પ્રસંગ ઉપજાવી કાઢેલો છે, બંને પાત્રો માત્ર પૌરાણિક છે. છંદની દૃષ્ટિએ માંડણની જેમ ષટ્પદી ચોપાઈ ન સ્વીકારતાં અષ્ટપદી ચોપાઈ સ્વીકારી છે. આખ્યાન–કોટિનું એનું ‘ગૌરીચરિત્ર’ છે. એ એણે જૂનાગઢમાં બેસી નથી લખ્યું, પરંતુ સોમનાથ પાટણમાં રચ્યું છે :

‘ગાય ઈશ્વરચરિત્ર-ગૌરી, સાંભળે સહજે કરી,
તેના પિંડ પાતક જઈ, પુણ્ય થાય માઘમજ્જંન સરી. ૩

સરસ્વતી–સાયર–નીર નિર્મળ, સોમશિરે ધારા ઢળે,
પુણ્ય તણા પ્રભાવ વાધે, જે કો ગાય સાંભળે. ૪

શ્રીધર–સ્વામી ચરિત્ર શિવનાં ભાવે ગાતાં સાંભળે,
મન–મનોરથ પૂર્ણ હોય, કૈલાસપતિ પ્રેમે મળે. ૫.’[79]

સાગરમાં જ્યાં સરસ્વતી નદીનાં નિર્મળ જળ સોમનાથના શિર ઉપર વહે છે ત્યાં ‘ગૌરી ચરિત્ર’ ગાનારને ફ્ળ મળે છે એમ કહ્યાથી શ્રીધરે સોમનાથમાં બેસી આ ચરિત્ર રચ્યું હોય એમ કહી શકાય. સંભવ છે કે શ્રીધર સોમનાથમાં જઈને રહ્યો હોય. મોઢ વણિકોની વસ્તી આજે પણ સોમનાથ પાટણમાં છે એટલે એનો પ્રભાસ પાટણમાં ક્ષણિક કે કાયમી વાસ થયો હોય તો એ અસંભવિત નથી. સંવાદકાવ્યોનો પ્રવાહ નરસિંહ મહેતાના ‘રાધાકૃષ્ણસંવાદ’ કિંવા ‘દાણલીલા’ અને ભાલણના ‘શિવભીલડીસંવાદ’ કે ‘હરસંવાદ’ એ કાવ્યોમાં જોવા મળે છે, તો એ જ પ્રકાર શ્રીધરના ‘રાવણમંદોદરીસંવાદ’માં પણ અનુભવાય છે. પોતે એની એક વધુ રચના ‘ગૌરીચરિત્ર’થી આપે છે. ૧૬ કડવાંઓમાં રચાયેલું આ કાવ્ય નરસિંહ મહેતાની ‘ચાતુરીઓ’નાં નાનાં નાનાં પદોના પ્રકારના – અંદર ધ્રુવકડી અને ઢાળવાળા પ્રકારના-કાવ્યબંધમાં મળે છે, શ્રીધરે આ બધામાં જે વૈવિધ્ય સાધ્યું છે તે ઢાળની પૂર્વેની ધ્રુવ-કડીના છેલ્લા ચરણના શબ્દોના આવર્તનનું છે, જે આપણને ‘ભરતેશ્વર- બાહુબલિરાસ’નાં ‘સરસ્વતીધઉલો’ અને મોડેના ‘ધઉલ–ધૂલ’નો ખ્યાલ આપે છે. નરસિંહની ‘ચાતુરી’ઓમાં જે પ્રકારની કવિપ્રતિભાનાં દર્શન થાય છે તેવા પ્રકારના ‘ગૌરીચરિત્ર’માં દર્શન થતાં નથી, સાદું આખ્યાન જ બની રહે છે; જેમકે

કડવું ૩ જું – રાગ ચાલતો
‘રૂપ તે લીધેલું રે, ભીલીનું ભવાની રે, નાની તે થઈ રે વરસ નવ સાતની એ.૧
શિવજી જ્યાં બેઠા રે, સમાધિ ધરીને રે, ત્યાં આગળ ભીલડીએ રાગ અલાપિયો રે. ૨
ઢાળ
રાગ અલાપિયો ટોડી ગતનો, મલ્હાર ગાયો મન ધરી.
સાતમી શરતે નૃત્ય માંડ્યું, ભાવ ભૈરવનો કરી. ૩

મન ધરી મેરુ સમાન માયા, પાન પેહેર્યાં વન તણાં,
મોરંગ મસ્તકે વેણ વાંકી, શ્રવણ ટોડર સોહામણાં. ૪

સોહામણી ડિલ તણી ચોળી, ગળે ગુંજા-હાર રે.
ચુનડી ચરણા કુસુમ કેરા, ભીલડી ઓપે અપાર રે. ૫

હર ધરી હૈયે હશી ગાયે, ચક્ષ ચાલ કરે ઘણું :
મન્મથ જમલો આણી રાખી, રૂપ રચ્યું ભીલી તણું. ૬.’[80]

કડવાને અંતે ‘વલણ’ કે ‘ઊથલો’ શબ્દ લખ્યો નથી, પરંતુ એ પ્રકારના આવર્તનવાળી એક–બે કડી આપી કડવાનું સમાપન સાધી લેવામાં આવ્યું છે, જેનો પૂરો વિકાસ તો નાકરનાં આખ્યાનોમાં મળે છે. શ્રીધરે એવા વલણના છેલ્લા ચરણમાં કડવાના આરંભના ચરણનું આવર્તન લીધું છે, એ જુદો પ્રકાર છે. કવિતાની દૃષ્ટિએ આ કાવ્યમાં શ્રીધર કાંઈ વિશેષ અર્પી શકતો નથી, સાદો સંવાદ જ આપે છે. બેશક, એની પાસે શબ્દસમૃદ્ધિ સારી છે, જેના બળ ઉપર એ શ્રવણરમ્ય નાનું આખ્યાન સિદ્ધ કરી આપે છે અને ‘સંવાદકાવ્ય’ લેખે એ ગુજરાતી કાવ્યોમાં સ્થાન સાચવી શકે એવું પ્રદાન તો અવશ્ય કરે છે.

કીકુ વસહી [ઈ. ૧૬મી મધ્યભાગ સુધીમાં]

સળંગ બંધમાં ભગવાન શ્રીકૃષ્ણની બાલલીલા ગાનારો આખ્યાનકાર કીકુ વસહી દક્ષિણ ગુજરાતમાં થયેલો જાણવામાં આવ્યો છે. એના ‘બાલચરિત’ નામના આખ્યાનને અંતે એણે પોતાનો પરિચય ઠીક ઠીક આપ્યો છે :

‘આદિ ઉતપતિ કવિ તણી નયર અનાઉલિ ઠાંમ.
ઋષિ અજાચી સર્જિયા, થિર થાપ્યા શ્રીરામ. ૬૨૩

ઉત્તમ કુલ ઉદીચનૂં, વિશ્વંભર વર દીધ.
કર આપુ, કરસણ કરૂં, દેવિ દાતા કીધ. ૬૫૪

ગણદેવી ગણ નયરનું નરહરિ નામિં નામ.
વાડિવ-વંશિ અવતર્યું, વિશ વાશિ તીણી ઠામિ. ૬૨૫

વસહી ગોદા-સંભઅ, કહિ કીકુ કર જોડિ,
બાલચરિત્ર નરહરિ સુણી ભવભવબંધન છોડી.’ ૬૨૬’ [81]

આનો આશય એ છે કે ઉત્તરમાંથી આવેલા બ્રાહ્મણો ‘અનાવલા’ ગામમાં આવ્યા અને ત્યાં અયાચક વૃત્તિ ધારણ કરી કૃષિનો ધંધો કરતા હતા. એવું એક કુલ ગણદેવીમાં જઈને રહ્યું, તેમાં નરહરિ નામના ‘વસહી’ અવટંકના બ્રાહ્મણને ત્યાં ‘ગોદા’ (સંભવતઃ ‘ગોદાવરી’ માતા)ની કૂખે કીકુનો જન્મ થયો હતો, જેણે ‘બાલચરિત્ર’ બનાવ્યું. ઐતિહાસિક દૃષ્ટિએ વિચારતાં અહીં એને હાથે એક મહત્ત્વનો ખુલાસો મળી જાય છે કે ‘ઉદીચ’નું ઉત્તમ કુલ એટલે કે ઔદીચ્ય બ્રાહ્મણનું કુલ ‘અનાવળા’માં આવી રહ્યું હતું તેઓમાં જે ‘વસહી’ (આજનું ‘વશી’) કુટુંબ હતું તેમાં કીકુ જન્મ્યો હતો, અર્થાત્ ‘અનાવળા’ બ્રાહ્મણો ‘અનાવળા’ (સં. अन्नपद्रक – प्रा.-अन्नउल्लअ-) ગામ પરથી પ્રથિત થયા, જે મૂળમાં ‘ઉદીચી’ દિશામાંથી આવેલા-સંભવતઃ ‘ઔદીચ્ય’ બ્રાહ્મણ હતા. ‘બાલચરિત્ર’ ૬૩૦ કડીઓનું દોહા અને ચોપાઈમાં રચાયેલું સળંગ બંધનું આખ્યાન પ્રકારનું કાવ્ય છે. એ પોતાને ‘કવિ’ કહે છે અને મધ્યકાલીન ગુજરાતી કવિઓની સાથે મુલવણી કરતાં એ થોડેક અંશે કવિતાને રોચક બનાવવા સમર્થ થાય છે ખરો. શ્રી કૃષ્ણના યમુનાના ધરામાં ઝંપાપાત પછીનું :

‘સુણી વાત માતા દડવડી રુદન કરિ, ચાલિ અડવડી,
નંદ ગોપ મનિ વિહવલ થાઈ, નયરલોક–શૂં યમુના જાઇ. ૨૫૫

ગોકુલ સકલ સુણી ખલભલ્યૂં, નંદ કેડિ સવિ આવિ ભિલ્યૂં.
ગોપનારિ સહૂ સાથે જાઇ, હરિવિલાપ યશોદા માય. ૨૫૬

* ‘બાલચરિત’ કે ‘કૃષ્ણચરિત’ નામના એના કાવ્યની નકલ (લે.ઈ.) ૧૫૪૪ આસપાસ થઈ હોવાથી કવિ એ સમય સુધીમાં થયો હોવાનું અનુમાન કરી શકાય છે.

કહિ માતા મહીધરનિ કાજ, કરૂં પ્રાણ સવિ માહરા ત્યાજ્ય.
ઝંપાવાનિ આઘી થાઇ, અવર નારિ સહૂ બાંહિ સાહિ. ૨૫૭

નંદ નિસાસા મૂકિ ઘણા, ઘસિ હાથ હઈઇ આપણા.
દુ:ખ કહિનિ કહ્યૂં ન જાય, પુત્રવિયોગ નહી સહિવાય. ૨૫૮.’ [82]

પરંતુ પ્રેમાનંદની પ્રતિભા એની પાસે નથી, એ કાવ્યચમત્કૃતિ, રસાપેક્ષી લાવી શકતો નથી, સાદાં ચિત્ર ઊભાં કરે છે. ગુણ એક જ છે અને એ એણે નકામું લંબાણ ન કરતાં ભાગવતાનુસાર કથાનક સાચવી આપ્યું છે એ. એનું બીજું કાવ્ય ‘અંગદવિષ્ટિ’ છે.’[83] સાઠ છપ્પાઓમાં સીતાને સોંપી દેવાની વિષ્ટિ કરવા વાલિપુત્ર અંગદ લંકામાં રાવણના દરબારમાં ગયાનું અને ત્યાં રાવણ સાથે સંવાદ કર્યાનું આ કાવ્યમાં વર્ણન થયું છે. કાવ્યમાં પ્રયોજવામાં આવેલો ‘છપ્પય’ બંધ વાણીમાં બળ પૂરતો અનુભવી શકાય છે. આ સંવાદકાવ્યમાંના સંવાદમાં અંગદ રામનાં વખાણ કરે છે અને રાવણ રામની નિંદા કરે છે. આરંભમાં અંગદ રાવણની સભામાં પ્રવેશે છે ત્યાં :

‘અવલોક્યુ અંગદ સભા સહૂ દસશર દીઠા.
ઇચ્છાઇ રૂપને કરી, રૂધિ માયા તવ બિઠા.
તવ વાલિપુત્ર બોલિયુ સબલ પણ સમરથ ધાઇ
જે રાવણની મા કૌસિકી તે ભૂંડ તણી પરિ વ્યાઇ.
ઇણિ દૂધ વિણાસ્યા જન, રાજકાજ કાંઈ ન સરયું.
સુણી વચન વંનરા તણું તવ પ્રગટ રૂપ રાજા ધ૨યું. ૪.’[84]

નીચેનો બે વચ્ચેનો સંવાદ :

(અંગદ) ‘લીધી જાણે લંક, દસિ શિર તાહરાં કાપી,
પાછા વલસી રામ રાજ વિભીષણ આપી.
તવ રંડાસિ રાણીઅર, રાજ લંકાનું જાસિ;
ગજ રથ હય સહૂ સેન સજન-શૂં નિગ્રહ થાસિ,
રાવણ રાઇ સુણી વનતી ઉત્તર એક અંગદ કહ્યું.
જેણિ વાલ હેલાં વધ્યો, જેહની કક્ષા પર માંહિ રહ્યો. ૧૩.

(રાવણ) મનસ્ય માત્ર એ રામ, કપ્ય ગિરિનાં સાવિજડાં,
કુંભકરણ જાગસિ ભક્ષ કરિસિ જ હવડાં,
મુઝ મુષિ કોઇ ન ઉગરિ, સહીસ તૂં સાચૂં જાણહ.
ચાલ્યુ રણ સાહમઉ તવ પડસિ ભંગાણહ.
દ્રુડઇ દિહુ દિશિ વંનરાં, તહ્યે ચપલ જાતિ જાશુ પલી.
વિગોસિ લક્ષમણ રામનિ જિમ લંકા નહીં આવી વલી. ૧૪

(અંગદ) ઐહણિ હણ્યું સખાહ સબલ સંગ્રામિ જીતુ
ફરસરામ અતિશૂર તેજ-બલ-હીણ કીધુ.
સુરપનષ વિગોઈ, ખર દૂસર તે મારયા,
કબંધ નિ વિરાધ અશા તિહાં સંહારયા
સાગર જ બાંધી આવિયા, શૂં રાક્ષસ મછર જ કરિ’?
દશરથ-દ્વારિ તૂં રાવણ યશા દીવટિયા દીવી ધરિ. ૭.’[85]

કવિ આ કાવ્યમાં માત્ર અંગદવિષ્ટિથી ન અટકતાં રામ-રાવણના યુદ્ધને પણ આવરી લે છે. ઈંદ્રીજતે આવી ઘોર સંહાર કર્યો એ કાંઈક તેજીલી બાનીમાં મૂર્ત કરવા કવિ પ્રયત્ન કરે છે :

‘ઉતપતિ આગાશ, રહ્યુ રવિકર્ણ મધ્ય જઇ,
બાણવૃષ્ટિ તે કરિ આપ અદૃષ્ટિ થઈ,
પડ્યૂં વંનર-સૈન, અંગદિ આયુધ ભેદ્યાં.
સુભટ થયા સાહામુઆ તાસ તકે શર છેદ્યાં,
લક્ષ્મણરાય હોઈ મૂરછ અવર સેન પાડયૂં ઘણૂં,
રાવણ-ઘરિ દુંદુભ વાજ્યા તું હરષ્યૂં દલ રાક્ષસ તણૂં. ’[86]

આ કાવ્યમાં કવિએ કુંભકર્ણને યુદ્ધસમયે નિદ્રામાંથી જગાડવાનો પ્રસંગ થોડો વધુ આકર્ષક આપ્યો છે, એક ‘વીરકાવ્ય’ તરીકે રજૂ કરવાનો કવિનો પ્રયત્ન છે, જેમાં ‘છપ્પય’ છંદ એને વધુ સહાયક બની રહે છે. શામળની ‘અંગદવિષ્ટિ’નાં મૂળ આટલાં જૂનાં જોઈ શકાય ખરાં. કોઈ કીકુનું ‘સોઢી અને દેવડાનું ગીત’ ઐતિહાસિક પ્રકારનું જાણવામાં આવ્યું છે[87] તે કીકુ આ જ કીકુ વસહી છે કે નહિ એમ કહી શકાય એમ નથી, ગીતમાં વિશેષ પરિચય સૂચવાયો નથી. કીકુનાં કાવ્યોની નકલ વિ. સં. ૧૬૦૦ (ઈ.સ. ૧૫૪૪) જેટલા જૂના સમયની સુલભ હોઈ, એટલા જૂના સમયમાં દક્ષિણ ગુજરાતમાંથી કવિએ સાહિત્યસર્જન કર્યું છે, એ દૃષ્ટિએ પણ કીકુ નોંધપાત્ર બની રહે છે.

દેહલ [ઈ. ૧૭મી સદી આરંભ સુધીમાં]

મોડેથી જનતાપીએ જેમાંના વસ્તુ પોતાના ‘અભિમન્યુ આખ્યાન’માં ઉપયોગ કરી લીધાં જાણવામાં આવ્યાં છે તે ‘અભિવન-ઊઝણૂં’ (‘અભિમન્યુની વિદાય’) [લે.ઈ. ૧૬૨૪] નામના ગુજરાતી ભાષામાં અભિમન્યુના વધને લગતા પહેલા માલૂમ પડેલા કાવ્યનો કર્તા કોઈ દેહલ ૧૫મી સદીના અંતભાગમાં થયો હોય એવું ધારવામાં આવ્યું છે.[88] હવે તો પ્રસિદ્ધ થયેલા એના ૪૦૬ કડીઓના કહી શકાય તેવા આ કાવ્યમાં ‘દેહલ ભણઇ’ ‘દેઅલ કહિ’[89] જેવા છૂટાછવાયા ઉલ્લેખ સિવાય વધુ માહિતી મળતી નથી. આ નાનું કાવ્ય ચોપાઈ–ચરણાકુળ–દોહરાની દેશીઓમાં રચાયેલું છે, જેમાં દોહરાની દેશીનું પ્રમાણ ઓછું છે, મુખ્ય પ્રવાહ ચોપાઈ–ચરણાકુળનો છે. મહાભારત–રામાયણ–પુરાણોમાંનાં ઉપાખ્યાનો અને નાનાં મોટાં કથાનકોને લોકભાષામાં ઉતારવાનો પ્રયત્ન કરનાર બધા પ્રતિભાવાન કવિઓ નહોતા, આત્મસંતોષ ખાતર અને શ્રોતાઓના મનોરંજન માટે પ્રયત્ન શરૂ થયા હતા તેવો આ પ્રયત્ન છે. જાણે કે કથાના અંતભાગ તરફ પહોંચવાની અધીરાઈ હોય એમ દેહલ ઝડપથી આગળ વધે છે, જેને કારણે જમાવવા જેવાં સ્થાન સાદા કથાનકથી આગળ કાંઈ આપી શકતાં નથી. આમ છતાં પ્રસંગોની વિશિષ્ટતાને કારણે ક્યાંક ચમકારા લાવવામાં કેટલેક અંશે શક્તિ મેળવે છે. કૃષ્ણે અહિલોચનના ગુરુ તરીકે લીધેલું બ્રાહ્મણનું રૂપ અને પેટીમાં પૂરી કરેલો એનો વિનાશઃ

ખભિ જનોઇ, જોસી–કરિ ટીપણૂં, બ્રાહ્મણરૂપ જ લીધૂં ઘણૂં.
આઘાંપાછાં જોસી ડગલાં ભરિ, મૂંહનિ તૂં ભ્રાંતિ જકહેની કરિ? ૧૫

હાથ પગ મૂહ સરિખો વાન, હૂં જાણૂં તૂં માહરુ યજમાન.
જરાસિંધુ, ડાહલ શિશુપાલ, મુરુ દાણવ મારિઉ નિરધાર. ૧૬

નરકાસુર નિરદલુ નિરવાણિ, અહિદાણવનાં કરું વખાણ.’
‘કુહુ, માહારા ગુરુ, હરિ કેવડા?’ ‘તું સરિખા નિ જાણે તૂં જેવડા. ૧૭

તું સરિખુ નિ તૂં જેવડું, જાણૂં કૃષ્ણ તુઝ પ્રમાણિ ઘડ્યું.
તૂં માંહિ રહઇ તું માંઇ સોઇ, બાલા! પિસિ પ્રમાણૂં જોઇ.’ ૧૮

પિસી દાણવ પરમાણૂં લીઇઉં, તવ નારાયણ તાલૂં દીઉં.
‘કાં રે માહરા ગુરુજી! તમ્યો હાંસૂ કરુ? જે જોઈઇં તે મુખિ ઉચરું. ૧૯

કૃષ્ણ મારીને સારિસું કામ, તુમનિ દૂયારિકા સારિખું આપિસું ઠામ.
ગુરુ હુઇ તે હાસૂં નવિ કરિ.’ માંહિથી દાણવ મૂંઝી મરિ. ૨૦.

‘આગિ હાસિ હિરણાખસ હણો, હાસિં દૈત્ય કોઇ નવિ ગણો.
હાસિં મારિઉ વન્નર વાલિ, હાસિ બલિ ચાંપિઉ પઇઆલ. ૨૧

પૈઆલિ પિસી મારિઉ સાંખુઉ, હણિઉ જરાસિંઘ હાંસિ જૂઉ.
હાસિ દંત દલ્યા શિશુપાલ, હાસિ રાવણ રોલિઉ કાલ. ૨૨

હાસિ મારિઉ મિ મામો કંસ, અવર દૈત્યનો ટાલિઉ વંસ.
તે હાંસું હવિ તુઝનિ કરું. કાલા મૂરિખ! તિ કમ મરું?’ ૨૩

માહિ થિક બોલઇ દાણવરાય, મનમાં ચીંતવિ નવો ઉપાય :
‘જો તૂં કૃષ્ણ ત્રિભુવનકીનાથ, એક વાર દિઉનિ ચુરંગ બાથ! ૨૪

‘ગુલિ મરિ તેહનિ વિષ કિમ દીજઇં? જીતૂં ફલૂં કહુ કિમ હરીઇં?
ઘણિ દિવસિ માહરાં સીધાં કાજ, તાહરાં જૂનાં પૂરવિજ ન મેલૂં આજ’. ૨૫

માંહિ થિકુ દાણવ ઊછલિ, ત્રિભુવનપતિ ભાર ઊપરિ ધરિ.
માંહિ થિકુ જીવ થિઉ હવિ મંદ, તિહારિ પાંજરું લીધૂં કંધિ. ૨૬’[90]

એ જ અહિલોચનનો જીવાત્મા એ પેટી દ્વારકાના રાજમહેલમાં મૂકેલી અને પટરાણીઓના આપેલા ઉત્સાહથી સુભદ્રાએ ખોલતાં સુભદ્રાના ગર્ભમાં રહ્યો અને અભિમન્યુરૂપે અવતાર પામ્યો. કવિ પ્રસંગને બહલાવી શકતો નથી. અભિમન્યુ જ્યારે ચક્ર ભેદવાની પ્રતિજ્ઞા કરે છે ત્યારે એ વાત સાંભળી સુભદ્રા કલ્પાંત કરે છે એ પ્રસંગે કવિએ પ્રસંગોચિત ગીત ‘રાગ વિરાડી’માં મૂક્યું છે, જે કેટલેક અંશે કરુણરસનો ચમકારો આપી જાય છે :

‘તૂં કાં વિરાંસીઉં, ધરમરાજન! માહરા ધરમના ધોરી? તૂં કાં વિરાંસીઉં?
વિરાંસીઉં, કૂંતાના કૂયાર! માહરા ધરમના ધોરી! તૂં કાં વિરાસીઉં? ૧૧૧

ધરમનંદન દૂરિ વિમાસુ, મૂઢ મતિ મ લાઈ;
ભીમ નિ નકુલ સહિદે વરાસ્યા, બાલિ રણવટ બાંધિ. ૧૧૨

સારંગધરં રણિ સંગ્રામ જીતા, યાદવ છપ્પન કોડિ,
રણવટિ તેહનિ બાંધીઇં, ‘રાયનિ સુભદ્રા દોઇ કર જોડિ.

‘માહરા ધર્મના ધોરી, તૂં કાં વિરાંસીઉં?’ ૧૧૩’ વગેરે. [91]

કવિએ આ કાવ્યમાં ઠેર ઠેર સંવાદોની યોજના કરી છે, જેને લઈ થોડીક નાટ્યોચિતતા ખડી થાય છે, અને તેથી જ વાંચવા-સાંભળવાનું દિલ થાય છે. ક્વચિત્, એ વાણીના અલંકાર પણ પ્રયોજી લે છે, પણ સ્વાભાવિક રીતે જ આવી ગયેલા. એ પણ ઉપમા રૂપક જેવા જ. કવિ કરતાં એક વાર્તાકાર તરીકે એ વધારે દીપે છે. એ મહાભારતની મૂળ કથામાં નથી તેવા ચમત્કાર પરંપરાથી જાણવામાં આવ્યા છે તે ઉમેરી કથાને મલાવે છે; જેવા કે અહિલોચનનો જીવ સુભદ્રાના ઉદરમાં પ્રવેશે છે, ગર્ભમાંના અભિમન્યુને ઉદ્દેશી શ્રીકૃષ્ણ ચક્રવ્યૂહની કથા કહે ને ગર્ભ હુંકારો આપે, મંછાપૂતળી ઊડીને કૃષ્ણને મારી નાખવાના અહિલોચનના ઈરાદાની જાણ કરે, અભિમન્યુના લગ્નની કંકોત્રી બાણથી સ્વર્ગ અને પાતાળમાં મોકલવામાં આવે, અભિમન્યુની જાન માટેનાં પકવાન ભીમ ખાઈ જતાં કૃષ્ણની કૃપાથી વાસણો ભરાઈ જાય, લગ્ન વખતે ઉત્તર અભિમન્યુની આંખો ઉત્તરાને પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવે, રણક્ષેત્રમાં ઉંદરનું સ્વરૂપ લઈ કૃષ્ણ અભિમન્યુના ધનુષની દોરી કાતરી ખાય, મૃત્યુ પછી અભિમન્યુ સ્વર્ગમાં અર્જુન સાથે વાત કરે, વગેરે ગણાવી શકાય. આમાં મધ્યકાલીન લોકમાનસની છાપ જોઈ શકાય છે.[92] જાનની સજાવટ, વિદાય, લગ્નસમારંભ ને ભોજનસામગ્રીની તૈયારી વગેરે પાછળ તત્કાલીન સમાજચિત્ર વરતાય છે; એટલા પૂરતી કવિની સફળતા છે. દેહલની આ કૃતિ પછીથી વિકસેલાં ‘અભિમન્યુ આખ્યાનો’ને ઠીક ઠીક ઉપયોગમાં આવે છે, એ રીતે પણ એ ધ્યાન ખેંચે છે.

સંદર્ભનોંધ

  1. અં.બુ. જાની, હરિલીલાષોડશકલા (ઈ. ૧૯૨૮)
  2. કે. કા. શાસ્ત્રી, ‘પ્રબોધપ્રકાશ’(ભીમ-કૃત) (૧૯૬૩)
  3. હ.લી.ષો.કલા, પૃ. ૨૧૩
  4. પ્રબોધપ્રકાશ પૃ. ૩૪
  5. એ જ, પૃ. ૧
  6. એ જ, પૃ. ૭૫
  7. હ.લી.ષો.કલા, પૃ. ૧૪
  8. કૌમુદી (માસિક), ૧૯૨૧, પૃ. ૨૨૨-૨૩
  9. હરિલીલાષોડશકલા પૃ. ૨૧૨
  10. એ જ, ૧૭૯
  11. એ જ, ક. ૨-૪લ,૧૨-૨૨લ, ૯૬-૯૭લ, ૧૧૩લ, ૧૨૧ વગેરે
  12. એ જ, ૫ વગેરે
  13. એ જ, ૬૮-૬૯લ, ૧૦૩-૧૦૪
  14. એ જ, ૧૫૩
  15. એ જ, ૧૫૪-૧૫૫
  16. એ જ ૧૬૧
  17. એ જ, ૧૭૪-૧૮૦
  18. એ જ, ૧૭૮-૧૭૯
  19. એ જ, ૨૧૬-૨૧૭
  20. એ જ, ૧૦૨
  21. એ જ, ૧૫-૧૬
  22. કૃષ્ણમિશ્ર, પ્રબોધચન્દ્રોદય (નાટક, સં.), પૃ.૨
  23. પ્રબોધપ્રકાશ પૃ. ૪
  24. આમ લખવાનો એક પ્રઘાત હતો.
  25. આ પૂર્વે આ છંદો જૈન સાહિત્યકારોને હાથે પણ વપરાયા છે.
  26. પ્રબોધપ્રકાશ
  27. એ જ, પૃ. ૨૯-૩૦
  28. હ.લી. ષો. કલા પૃ. ૧૫૩: ‘રાગ-વસંત-વિરાડી ગીત’માંના ધ્રુવ-પદમાં
  29. ગુ. વિ. સભા. હ. લિ. પુસ્તક નં. ૫૫૨ ડઃ ‘કવિચરિત’ માં પૃ. ૯૯-૧૦૦
  30. એ જ, અને ‘કવિચરિત’, પૃ. ૯૯-૧૦૦
  31. કે. કા. શાસ્ત્રી, ‘હારસમેનાં પદ અને હારમાળા’ (૨ જી આવૃત્તિ), પૃ. ૩૬ (પદ, થું) વગેરે
  32. એ જ, પૃ. ૪૦ (જપ્ય-નિં જિહવાં વિમલ નામ.....)
  33. એ જ, પૃ. ૩૬લ ૩૭લ ૪૦ વગેરે
  34. એ જ, પદ ૩૦ મું. પૃ. ૫૬. ૧૧ ૫, તે ૨,૪, ૬, ૮, ૧૦, ૧૨, ૩૦, ૩૨, ૩૪, ૩૮, ૪૨
  35. ગુ. વિ. સ. ભા. હ. લિ. પુસ્તક નં. ૫૫૨ ડ: માં
  36. પંદરમા શતકના પ્રાચીન ગુર્જર કાવ્યમાં પૃ. ૨૪-૭૪
  37. એ જ, પૃ. ૨૪
  38. એ જ, પ્રસ્તાવના, પૃ. ૧૭
  39. ડા. પી. દેરાસરી, ‘કાન્હડદે-પ્રબંધ’ (૧ લી આવૃત્તિ), કડી ૩૩૮, પૃ. ૧૦૩
  40. પં. શ. પ્રા. ગુ. કા. પૃ. ૪૪
  41. 41.0 41.1 એ જ, પૃ. ૪૫-૫૦
  42. ‘વડોદરા મિસેલેની’માં, અને પછી કે. હે. ધ્રુવ, પં. શ. પ્રા. ગુ. કાવ્ય. પૃ. ૭૫-૯૫
  43. પં. શ. પ્રા. ગુ. કાવ્ય પૃ. ૯૫ અને ૯૪
  44. એ જ, પૃ. ૭૫
  45. કે. હ. ધ્રુવ : પાદટીપમાં દક્ષિણની ‘ઉમરાવતી’ નો સંભવ ઓછો કહી ‘અમરેલી’ની સંભાવના કરી છે. જુઓ એ જ પ્રસ્તાવના, પૃ. ૧૯ની પાદટીપ ૨૦મી.
  46. એ જ, પૃ. ૭૮ કડવું ૭ મું
  47. એ જ, પૃ. ૮૯ કડવું ૨૩ મું
  48. એ જ, પૃ. ૮૧- કડવું ૧૨ મું
  49. ભો. જે. સાંડેસરા, ‘ઉષાહરણ,’ (૧૯૩૮) ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’ વર્ષ ૧-૨, પૃ. ૨૪૩-૩૬૨, ૪૧૦-૪૨૦, ૧૦૧-૧૦૯, ૩૧૧-૩૨૬, ૪૩૩-૪૫૨
  50. એ જ, પૃ. ૪૫૨
  51. એ જ, ૩૧૯, ૩૨૬, ૪૩૫, ૪૩૭, ૪૫૨
  52. એ જ, ૩૧૯
  53. એ જ, ૩૧૩
  54. એ જ, ૪૪૪
  55. એ જ, ૪૫૨
  56. એ જ. ૪૪૫
  57. શંકરપ્રસાદ છ. રાવળ, ‘પ્રબોધ-બત્રીસી’ પૃ. ૧
  58. ગુજરાત વિદ્યાસભા હસ્તલિખિત પુસ્તકસંગ્રહ, નં. ૫૫૨ - બ
  59. અં. બુ. જાની, ‘હરિલીલા-ષોડશકલા’ પ્રસ્તાવના, પૃ. ૯૭
  60. કે. કા. શાસ્ત્રી, ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’, પૃ. ૧૫૩
  61. કે. કા. શાસ્ત્રી, ‘કવિચરિત’ (૨ જી આવૃત્તિ,) પૃ. ૫૭૫-૫૮૦
  62. એ જ, પૃ. ૫૪૩-૫૫૨
  63. ‘પ્રબોધબત્રીસી’ પૃ. ૧૧
  64. એ જ, પૃ. ૧૧
  65. ગુવિ હપુસ્તક સંગ્રહ નં. ૫૫૨-બ
  66. એ જ, નં. ૫૫૨-અ
  67. એ જ, નં. ૫૫૨-બ
  68. એ જ, નં. ૩૪૮-બ
  69. ગુ. હા. સં. યાદી પૃ. ૧૫૩
  70. જુઓ ૬૮મી સંદર્ભનોંધ
  71. ‘કવિચરિત’ પૃ. ૮૩
  72. એ જ, પૃ. ૮૩
  73. કે. કા. શાસ્ત્રી, ‘આપણા કવિઓ’, પૃ. ૨૦૬
  74. શંકરપ્રસાદ રાવળ, ‘પ્રબોધબત્રીસી’ (૧૯૩૦) અને ‘રાવણમંદોદરી સંવાદ’, ‘કવિચરિતમાંથી (કે. કા., શાસ્ત્રી), પૃ. ૧૪૪
  75. ‘રાવણમંદોદરી સંવાદ’ પૃ. ૧૧૨
  76. એ જ, પૃ. ૮૧
  77. એ જ, પૃ. ૮૧
  78. એ જ, પૃ. ૧૧૧
  79. બૃહત્કાવ્યદોહન, ગ્રંથ -૬ પૃ. ૪૮૩
  80. એ જ, પૃ. ૪૮૨
  81. ‘કવિચરિત’ પૃ. ૧૩૭ અને ક. મા. મુનશી, ‘નરસિંહયુગના કવિઓ’ (ફા. ગુ. સ. ત્રૈ.) પૃ. ૧૪૪
  82. ફા. ગુ. સ. ત્રૈમાસિક, વર્ષ ૧, પૃ. ૧૪૬
  83. હરિનારાયણ આચાર્ય, ‘અંગદવિષ્ટિ’-બુ. પ્ર. વર્ષ ૭૦ મું ડિસે. ૧૯૨૩
  84. એ જ, પૃ. ૩૫૪
  85. એ જ, પૃ. ૩૫૬
  86. એ જ, પૃ. ૩૫૭
  87. ફાર્બસ ગુજરાતી સભા-હસ્તલિખિત પુસ્તક નં. ૩૯૫
  88. મંજુલાલ ર. મજમૂદાર, ‘અભિમન્યુ-આખ્યાન’ (જનતાપીનું), પ્રસ્તાવના, પૃ. ૫૬
  89. શિવલાલ તુ. જેસલપુરા ‘અભિવન-ઊઝણૂં’ વિ. સં. ૧૬૮૦ (ઈ.સ. ૧૬૨૪) ની વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિરની હસ્તપ્રત ઉપરથી સંપાદન, પૃ. ૧ અને ૨
  90. એ જ, પૃ. ૩૮-૩૯
  91. એ જ, પૃ. ૪૯-૫૦
  92. એ જ, પ્રસ્તાવના, પૃ. ૨૬-૨૭