ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ
એઓ જ્ઞાતિએ ખરેડી સમવાયના ઔદિચ્ય બ્રાહ્મણ-સામવેદ, ત્રણ પ્રવર, કૌથમી શાખાના; મૂળ વતની જુના સાવર, પ્રગણે કુંડલા, સંસ્થાન ભાવનગર; પણ અત્યારે કિશોરસિંહજી તાલુકા સ્કુલ-રાજકોટમાંના હેડમાસ્તરના પદે છે. એમનો જન્મ તા. ૨૨મી મે, સન ૧૮૮૮-સંવત્ ૧૯૪૪ના વૈશાખ સુદ ૧૨-ને સોમવારે કુંડલા પ્રગણાના સેંજળ ગામે થયો હતો. એમના પિતાનું નામ ગૌરીશંકર સુંદરજી વ્યાસ અને માતાનું નામ જયકુંવર હીરાજી છે. એમનું પ્રથમ લગ્ન ૨૧મા વર્ષે વડોદરા રાજ્યના અમરેલી પ્રાંતના વાંકીઆ ગામે થયું હતું અને બીજું લગ્ન ૩૨મા વર્ષે; એમના પત્નીનું નામ સૌ. શાન્તાબહેન નરભેરામ છે. પ્રાથમિક કેળવણી ઘણીખરી જુના સાવરમાં લીધેલી. પણ માસ્તરના મારકણા સ્વભાવથી અકળાઇ કંટાળીને તેઓએ સાતમું ધોરણ, વતન છોડી, મોસાળ પીઠવડીમાં પૂરૂં કર્યું હતું. એઓ સોળ વર્ષની ઉમરે પહોંચ્યા ત્યારે એમના પિતાનું અવસાન થયું; અને કુટુંબનો ભાર એમના પર આવી પડ્યો. એમના પિતા વૈદ્ય હતા પરંતુ એ ધંધાના જોઇતા સંસ્કાર પોતાપર પડેલા નહિ, એટલે તેના પ્રતિ રુચિ છતાં કેળવણી ખાતાને પસંદ કર્યું. ૧૯૦૬થી લગભગ ૪ વર્ષ સુધી ગ્રામ્યશાળામાં કામ કર્યું હતું. એ અરસામાં સાહિત્ય વાચન-લેખનની પ્રવૃત્તિ જારી રાખેલી; પછીથી સને ૧૯૧૧માં વડોદરાની ટ્રેનિંગ કૉલેજમાં જોડાઈ, અભ્યાસમાં સફળતા મેળવી; અને ઉંચા પ્રકારના માનચાંદની સાથે ઉપરીથી પ્રીતિ સંપાદન કરી હતી. એ વખતે ‘નર્મદા પ્રવાસ’ વિષે નિબંધ લખવા બદલ ઇનામ પણ મેળવેલું. તે પછી કેટલાક પ્રતિકૂળ સેજોગમાં મૂકાતાં, તેમને અમદાવાદમાં આવી વસવું પડ્યું; અને તેમને રુચે એવું કાર્ય નવજીવન કાર્યાલયમાં મળી આવ્યું. ત્યાં ચાલુ પ્રવૃત્તિ સાથે ૭-૮ વર્ષ પહેલાં શરૂ કરેલું બાલગીતો લખવાનું ફરી એમણે આરંભ્યું અને તેમનો ‘રતનબા’નો ગરબો પ્રથમ નવજીવનમાં પ્રકટ થતાં, જનતાનું તે પ્રતિ ધ્યાન ખેંચાયું. તે પછી એમના “નવાં બાલગીતો” બહાર પડ્યાં. તેની વર્ણનશૈલી ચિત્તાકર્ષક, ચિત્રાત્મક અને રમ્ય હોવાની સાથે તેના શબ્દોની પસંદગી અને વપરાશ એટલાં સરલ અને સચોટ હતાં કે તે કાવ્યો લોકપ્રિય થતાં વિલંબ થયો નહિ; અને એટલે દરજ્જે તેનાં વખાણ થયાં કે તે લેખકને નોબલ પ્રાઇઝ જેવું એકાદ ઇનામ તે કૃતિઓ માટે અપાવું જોઇએ એવી ભલામણ થઈ હતી. (જુઓ, “સાહિત્ય”.) કવિતા માટે એમને નૈસર્ગિક પ્રીતિ છે અને સૃષ્ટિદર્શનમાંથી તેમને ખૂબ પ્રેરણા મળી આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત-કવિઓની અસર એમના જીવન પર બહોળી થઈ છે. એમના કાવ્યોમાં શબ્દની સરળતા, સ્વાભાવિકતા અને પદ્યલાલિત્ય ઝળકી રહે છે, તે કેટલેક અંશે એ સાધુ-કવિઓના કાવ્યોની અસરનું પરિણામ છે. એમણે “સદ્ગુરૂ ચરિત્ર’ નામનો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વિષે વિસ્તૃત માહિતી આપતો એક ભક્તિપોષક ગ્રંથ રચ્યો છે, તે પણ ઉપરોક્ત કથનનું સમર્થન કરશે. શ્રીયુત મશરૂવાળાના સહજાનંદ સ્વામીના ચરિત્રગ્રંથ સાથે પ્રસ્તુત ગ્રંથને સ્થાન આપી શકાય, એટલું તે ઉચ્ચકોટિનું અને સત્કારયુક્ત હોવાની સાથે હૃદયદ્રાવક છે. હમણાં જે પદ પર પોતે છે, ત્યાં જે કાંઇ સમય મળે છે, તે તેઓ વાચન, તત્ત્વચિન્તન અને કવિતા રચવામાં ગાળે છે.
: : એમની કૃતિઓ : :
| ૧. | નવાં ગીતો (બાલોપયોગી) | સન ૧૯૨૪ |
| ૨. | સદ્ગુરૂ ચરિત્ર | ”” |
| ૩. | નવાં ગીતો ભા. ૨ જો | ” ૧૯૨૫ |
| ૪. | શાળોપયોગી નવાં બાલગીતો (ભા. ૧-૨નો સંગ્રહ-વધારા સહિત) | ” ૧૯૨૬ |
| ૫. | બે દેશગીતો (સૌરાષ્ટ્ર : ભારતી) | ” ૧૯૨૮ |