ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/નરહરિ દ્વારકાંદાસ પરીખ
એઓ જ્ઞાતિએ ખડાયતા વાણિયા અને ખેડા જીલ્લામાં આવેલા, કપડવણજ તાલુકા તાબે, કઠલાલના વતની છે. જન્મ અમદાવાદમાં તા. ૭ મી ઑક્ટોબર ૧૮૯૧ ના રોજ થયો હતો. એમના પિતાનું નામ દ્વારકાદાસ મોતીલાલ પરીખ, જે સ્વર્ગસ્થ કેશવલાલ મોતીલાલ પરીખ, અને હાલમાં ઈંગ્લાંડમાં વસતા મી. જે. એમ. પરીખના ભાઈ થાય. એમનું કુટુંબ જીલ્લામાં તેમ જ્ઞાતિમાં એક સુશિક્ષિત કુટુંબ તરીકે જાણીતું છે. સ્વર્ગસ્થ કેશવલાલભાઈએ અમદાવાદમાં એક વકીલ તરીકે સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. અમદાવાદ મ્યુનિસિપાલેટીમાં તેઓ લાંબી મુદત સુધી સભ્ય હતા; એટલું જ નહિ પણ નાગરિક જીવનમાં આગળ પડતો ભાગ લેતા તેમ એક સુધારક તરીકે જાણીતા હતા. લેખક તરીકે પણ નામના મેળવેલી. એ સંસ્કાર સ્વર્ગસ્થ દ્વારકાદાસ પર પડેલા અને તેમણે ‘બાલબંધુ’ એ નામનું એક ન્હાનું પુસ્તક, જ્યારે બાલસાહિત્ય જેવું કાંઇ નહોતું ત્યારે પ્રથમ લખ્યું હતું. કુટુંબના એ બધા સુસંસ્કારો, લેખન વાચન, સમાજસેવા, સુધારો વગેરે ભાઇ નરહરિમાં વારસામાં ઉતરી આવેલા જણાશે. એમના માતુશ્રીનું નામ કૃષ્ણાબહેન છે. ભાઇ નરહરિનું લગ્ન સન ૧૯૦૭ માં અમદાવાદમાં સૌ. મણિગવરી સાથે થયું હતું. એમણે પ્રાથમિક તેમ કૉલેજશિક્ષણ અમદાવાદમાં મેળવ્યું હતું. કૉલેજના ચાર વર્ષ દરમિયાન તેમને લાગટ જ્ઞાતિસ્કોલરશીપ મળી હતી. સન ૧૯૦૬ માં મેટ્રીક થયલા. સન ૧૯૧૧ માં બી. એ. ની પરીક્ષા ઇતિહાસ ઐચ્છિક વિષય સાથે પાસ કરેલી; અને સન ૧૯૧૩ માં એલ એલ. બી. થયા હતા. એમના પ્રિય વિષયો ગુજરાતી સાહિત્ય, ઇતિહાસ અને સંપત્તિશાસ્ત્ર છે; સાહિત્ય પ્રત્યે અનુરાગ ધરાવતા હોવા છતાં સાહિત્ય તેમની મુખ્ય પ્રવૃત્તિ નથી. મહાત્મા ગાંધીજી અમદાવાદમાં સ્થાયી આવી વસ્યા તે અરસામાં તેમના નિકટ સંસર્ગમાં આવતાં, તેઓ સન ૧૯૧૭ માં સત્યાગ્રહ આશ્રમની રાષ્ટ્રીય શાળામાં જોડાયા હતા. તે પૂર્વે થોડોક વખત તેમના પરમ મિત્ર મહાદેવભાઈ સાથે વકીલાત કરવા માંડેલી અને શરૂઆતમાં કામ થોડું અને સમય બહોળો, તે નકામો જવા ન દેતાં, એઓ બંનેએ સાથે મળી કવિવર ટાગોરનાં “ચિત્રાંગદા” નાટકનો અનુવાદ ગુજરાતીમાં કરેલો, જેની એક ઉત્તમ કૃતિ તરીકે ચોતરફથી પ્રશંસા થઇ હતી અને તે પછી “વિદાય અભિશાપ” નાટકનો અનુવાદ “બુદ્ધિપ્રકાશ” માં આપેલો. એ બન્ને નાટકો એકઠાં પુસ્તકરૂપે છપાયેલાં છે. ત્યારબાદ મહાત્માજી સાથે રાષ્ટ્રીય ચળવળમાં પડતાં, તેમની લેખનપ્રવૃત્તિ પ્રચારકાર્યમાં વિશેષ રોકાયેલી રહે છે; જો કે વિદ્યાપીઠના અંગનાં સાહિત્યપ્રકાશનોમાં એમની પ્રેરણા, દિશાસૂચન અને સક્રિય સહાયતા દૃષ્ટિગોચર થાય છે. ગુજરાતી ભાષામાં ચાલતી જોડણીની અરાજકતા દૂર કરવાના હેતુથી વિદ્યાપીઠ તરફથી એક જોડણીકોશ તૈયાર કરવાનું કામ તેમને સને ૧૯૨૭ માં સોેંપવામાં આવ્યું હતું, અને તે કામની ઠીક ઠીક શરૂઆત તેમણે કરી દીધી હતી, પણ થોડાજ મહિનામાં ગુજરાત ઉપર રેલની મહાન આફત આવી પડી અને કોશનું કામ અધૂરું મૂકી તેમને સંકટનિવારણના કામમાં પડવું પડ્યું. એટલે એ કામ બીજા ભાઇઓ પાસે કરાવી વિદ્યાપીઠે જોડણીકોશ બહાર પાડ્યો છે. પહેલી આવૃત્તિમાં કેવળ જોડણીશુદ્ધ શબ્દોનો સંગ્રહ જ હતો પરંતુ બીજી આવૃત્તિ અર્થ સાથે બહાર પડી છે. આ કોશ માટે જોડણીના નિયમો નક્કી કરવામાં તેમણે સારો ફાળો આપ્યો હતો. સને ૧૯૨૫-૨૬ માં બારડોલી તાલુકાની જમીન મહેસૂલમાં વધારે કરવાનું સરકાર તરફથી સૂચવવામાં આવ્યું હતું અને આ વધારો અન્યાયી છે એ દર્શાવનારા લેખો તેમણે નવજીવનમાં લખ્યા હતા અને તે ‘બારડોલીના ખેડૂતો’ એ નામના ચોપાનિયારૂપે પ્રગટ થયા છે. એ લેખોને આધાર ગણીને સને ૧૯૨૮ ની બારડોલીની સત્યાગ્રહની લડત ઉપાડવામાં આવી હતી. લડતનું સમાધાન થયા પછી સરકાર તરફથી જે કમિટી નીમવામાં આવી તે કમિટી સમક્ષ બારડોલીનો કેસ તેમણે તથા ભાઇ મહાદેવ દેસાઇએ સંપૂર્ણ રીતે પૂરવાર કરી આપ્યો હતો; અને કમિટીએ પોતાના રિપોર્ટમાં બન્નેના કામની મુક્તકંઠે પ્રશંસા કરી છે. પૂર્ણ સ્વરાજની છેલ્લી લડતમાં તેમનો ફાળો ગાંધીજીના નૈષ્ઠિક સૈનિકને શોભે એેવો હેતો. હમણાં જેલમાંથી છૂટી આવ્યા પછી તેઓ વિદ્યાપીઠમાં જ કામ કરે છે.
: : એમની કૃતિઓ : :
| ૧ | ચિત્રાંગદા (શ્રી. મહાદેવભાઈ દેસાઇ સાથે) | સન ૧૯૧૬ |
| ૨ | નામદાર ગોખલેનાં વ્યાખ્યાનો | ” ૧૯૧૮ |
| ૩ | વિદાય અભિશાપ (શ્રી. મહાદેવભાઈ દેસાઈ સાથે) | ” ૧૯૨૦ |
| ૪ | પ્રાચીન સાહિત્ય(””) | ” ૧૯૨૨ |
| ૫ | પૂર્વ રંગ* (કાકા સાહેબ કાલેલકર સાથે) | ” ૧૯૨૩ |
| ૬ | આટલું તો જાણજો ભા. ૧ | ”” |
| ૭ | ””ભા. ૨ | ”” |
| ૮ | જાતે મજુરી કરનારાઓને | ” ૧૯૨૪ |
| ૯ | ત્યારે કરીશું શું? | ” ૧૯૨૫-૨૬ |
| ૧૦ | બારડોલીના ખેડૂતો | ” ૧૯૨૬-૨૭ |
* સ્વતંત્ર કૃતિઓ છે; બાકીના અનુવાદિત ગ્રંથો છે. ૧,૨,૪ શ્રી. રવીન્દ્રનાથ ઠાકુરના બંગાળી નાટકનો અનુવાદ. ૩ ઇંગ્રેજીમાંથી અનુવાદ. ૮ ટૉલ્સ્ટૉયના ‘To the Working People’ નો અનુવાદ, ૯ ટૉલ્સ્ટૉયના ‘What shall we do then’ નું ભાષાંતર