ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/મણિલાલ મોહનલાલ પાદરાકર
એઓ વિશાશ્રીમાળી જૈન જાતિના છે. મૂળ વતની પાદરાના અને જન્મ પણ એજ સ્થળે સં. ૧૯૪૩ ના ચૈત્ર સુદ આઠમના દિવસે થયો હતો. એમના પિતાનું નામ મોહનલાલ હિમચંદભાઈ, જેઓ વકીલ છે; અને માતાનું નામ બાઇ જમનાબાઈ છે. એમનું લગ્ન અમદાવાદમાં સં. ૧૯૬૦ માં સૌ. મેનાબ્હેન સાથે થયું હતું. પ્રાથમિક કેળવણી તેમણે પાદરામાં લીધેલી અને ઇંગ્રેજીનું શિક્ષણ-મેટ્રિક સુધીનું–પાદરા, વડોદરા અને મુંબઈની શાળાઓમાં મેળવેલું; તેમ સંસ્કૃતનો અભ્યાસ ગુરુ પાસે જુદે જુદે સ્થાને–જેમકે, મુંબાઈ, અમદાવાદ અને વિજાપુરમાં કર્યો હતો. એઓ ઝવેરાતનો ધંધો મુંબાઈમાં કરે છે; તેની સાથે એક શ્રીમંત શેઠના એસ્ટેટ મેનેજર પણ છે. એમના પ્રિય વિષયો સાહિત્ય, કાવ્ય, યોગ અને આધ્યાત્મિક ગ્રંથો છે; તેમ ગોવર્ધનરામભાઇ, મણિલાલ નભુભાઇ, કલાપી અને બુદ્ધિસાગર સૂરિએ તેમના જીવન પર અસર કરેલી છે, એમ તેમનું કહેલું છે. એક કવિ અને લેખક તરીકે તેઓ જાણીતા છે અને રાષ્ટ્રીય કવિતાનાં એમનાં પુસ્તકો બહોળા પ્રચાર પામ્યાં છે તેમજ એક વક્તા તરીકે પણ એમણે કીર્તિ મેળવેલી છે, વળી જૈન સાહિત્ય પ્રતિ ગુજરાતી સાહિત્યકારોનું ધ્યાન દોરવા તેઓ હમેશ પ્રયત્ન કરતા રહ્યા છે. તદર્થ સાહિત્ય પરિષદોમાં લખી મોકલેલા એમના નિબંધો ઉપયોગી જણાશે. આ સિવાય બુદ્ધિપ્રભા, ખેતી અને સહકાર અને અંગ બળ અને આરોગ્યના તંત્રી તરીકે એમનું કાર્ય નોંધવા જેવું છે.
: : એમની કૃતિઓ : :
| ૧ | નવજીવન (નિબંધ સંગ્રહ) [બે આવૃત્તિ] | સન ૧૯૧૭ માર્ચ |
| બીજી આવૃત્તિ | ” ૧૯૧૭ જૂન | |
| ૨ | સાઠી (નવલકથા) | ” ૧૯૧૯ |
| ૩ | પ્રણય મંજરી (કાવ્ય) | ” ૧૯૨૦ |
| ૪ | શ્રીમદ્ દેવચંદ્રજી જીવનચરિત્ર | ” ૧૯૨૧ |
| ૫ | શ્રીમદ્ દેવચંદ્રજી, તેમનું જીવન અને ગુર્જર સાહિત્ય | ” ૧૯૨૯ |
| ૬ | શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ, તેમનું જીવન અને ગુર્જર સાહિત્ય | ” ૧૯૨૪ |
| ૭ | લગ્ન ગીત (ગીતો) | ” ૧૯૨૩ |
| ૮ | લગ્ન ગીત મણિમાળા (ગીતો) | ” ૧૯૨૪ |
| ૯ | સૌભાગ્ય સિંધુ અને સૂતિકા શિક્ષણ | ” ૧૯૨૯ |
| ૧૦ | રાષ્ટ્રીય રાસકુંજ (રાસ) | ” ૧૯૩૦ |
| ૧૧ | રાષ્ટ્રીય રાસમંદિર (રાસ) | ” ૧૯૩૧ |
| ૧૨ | રાષ્ટ્રીય નવરાત્ર (રાસ) | ” ૧૯૩૦ |