ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/જહાંગીરશાહ અરદેશર તાલ્યારખાન

From Ekatra Foundation
Jump to navigation Jump to search


(અર્વાચીન વિદેહી)
જહાંગીરશાહ અરદેશર તાલ્યારખાન

૧૮૪૬–૧૯૨૩

સ્વર્ગસ્થનું કુટુંબ પારસીઓની તવારીખમાં બહુ પુરાણું અને નામીચું ગણાયું છે. એ કુટુંબના મુળ વડીલ સોરાબજી કાવસજી એક કુશળ ઘડિયાળી હતા, અને મુગલ શહેનશાહ મુહમ્મદશાહના ખાસ આમંત્રણથી સુરતના નવાબે તેઓને ૧૭૪૪માં ખાસ દિલ્હી રવાના કર્યા હતા. ત્યાં એક અતિ કીમતી ઘડિયાળને દુરસ્ત કરવાની તેમની કારીગરીથી પ્રસન્ન થઈ શહેનશાહે અનેક ઇનામો આપવા ઉપરાંત તેઓને “નેકસાઅતખાન” અથવા શુભ ઘડીનો સાહેબ એવો ઇલ્કાબ આપ્યો હતો; જ્યારે તેઓના પુત્ર બરજોરજીને “બેહરેમંદખાન” અથવા ભાગ્યશાળી સજ્જન અને બીજા પુત્ર પેસતનજીને “તાલ્યારખાન” અથવા ખુશ નસીબનો માલેક એવા ખેતાબોની નવાઝેશ થઈ હતી. પેસતનજી તાલ્યારખાનના સ્વ. જહાંગીરશાહ સીધા વંશજ હતા. સુરતની તવારીખમાં મશહુર અને સ્વામીશ્રી સહાજાનન્દજીની પાઘડીનું પરિધાન કરવાનું માન પામેલા અરદેશર કોટવાલ બહાદુર તે બરજોરજી બેહરેમંદખાનના પૌત્ર થતા હતા.

જહાંગીરશાહના પિતા એક વેપારી હતા. જહાંગીરશાહ સુરત હાઇસ્કુલમાં કેળવણી લઇ સરકારી પોલીસ ખાતામાં ન્હાની ઉમરથી જોડાયા. પોતાની કુશળતા, બહાદુરી અને પ્રમાણિકપણાથી તેઓએ ડિસ્ટ્રિકટ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટનો ઓદ્દો ભોગવ્યો હતો. ૧૮૮૭માં રાજપિપલા રાજ્યમાં પણ એઓ એજ ઉંચી જગ્યા ઉપર નિમાયા હતા. ૧૮૯૬માં શ્રીમન્ત મહારાજા ગાયકવાડે એમની નિમણુક વડોદરામાં કમિશનર ઑફ પોલીસ તરીકે કરી હતી. એમની કારકીર્દિ દરમ્યાન અનેક ધાડપાડુઓ અને લુટારાઓની ટોળીઓ ગિરફતાર કરી એઓ પોતાના ઉપરીઓની પ્રશંસા પામ્યા હતા.

જહાંગીરશાહ હિન્દુ સમાજના બહુ નિકટ સંબંધમાં આવ્યા હતા, અને એમની નવલકથાઓમાં એમણે હિન્દુ સમાજના ગુણ દોષોનું બહુ સૂક્ષ્મ દૃષ્ટિએ અવલોકન કર્યું છે. હિન્દુઓના સામાજિક જિવનનું બહુ ઝીણવટથી દર્શન કરાવતી અને શુદ્ધ ગુજરાતી ભાષામાં લખાયલી નવલકથાઓ પારસીઓમાં લખનાર બહુજ થોડા છે, અને તેઓમાં જહાંગીરશાહનું સ્થાન બહુ ઉચું રહેવું જોઈએ. જુદી જુદી કોમોની બોલીની નકલ એઓ બહુ સારી રીતે કરી શકતા, ખાસ કરીને વ્હોરાભાઈઓની ભાષાનું ઉચિત અનુકરણ કરવામાં એઓ બહુ સફળ થયા છે. એમને વાર્તાઓમાં બોધ દેવાની ટેવ વિશેષ હતી : કેટલીક વેળા કલાને બંધ બેસે તેથી પણ અધિક ઉપદેશાત્મક તત્વ નજરે પડતું. એમની “મુદ્રા અને કુલીન” ટિપુ સુલતાનના સમયની એક ઐતિહાસિક નવલકથા છે. એમાં દેશી રાજ્યમાં ગુજરતો સિતમ અને બ્રિટિશ અમલના ફાયદા ઉપર ખાસ ચર્ચા કરવામાં આવી છે, અને લેખકમાં તે વખતને અનુસરતી કાંઈક વધારે પડતી બ્રિટિશ રાજ્યભક્તિ દેખાઈ આવે છે. એઓ ગૂજરાતીમાં સારી કવિતા પણ લખી શકતા હતા. ટુંકમાં શુદ્ધ ગુજરાતી સાહિત્યમાં એક પારસી તરીકે એમણે આપેલો ફાળો બહુ વિરલ ગણાવો જોઈયે.

-: એમની કૃતિઓ :-

(૧) રણવાસ
(૨) મુદ્રા અને કુલીન
(૩) રત્ન લક્ષ્મી
(૪) મ્હારું સ્વપ્નું
(૫) પોલીસનું કામ

જહાંગીરશાહનાં પત્ની બાઈ બચુબાઈ અમદાવાદવાળા મરહુમ મી. ખરશેદજી નાણાવટીનાં પુત્રી થતાં હતાં. એમના પુત્રોમાં સ્વ. એરચશાહ પહેલાં અમદાવાદમાં સીટી મેજિસ્ટ્રેટ અને પાછળથી લુણાવાડા અને સચીન રાજ્યોના દીવાન નિમાયા હતા. બીજા પુત્ર મી. પીરોજશાહ સુરતના ડિસ્ટ્રિકટ જડજના ઓદ્દા ઉપરથી ફારેગ થઈ લોકોપયોગી જિવન ગાળે છે. ત્રીજા પુત્ર મી. શહેરયાર એકસાઈઝના સુપ્રિન્ટેન્ડન્ટની જગ્યા ઉપરથી નિવૃત્ત થયા છે.

ફી. કા. દાવર