ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/૧૯૩૪ની કવિતા સંપાદક શ્રી. “સુન્દરમ્”


૧૯૩૪ની કવિતા

૧૯૩૪ની કવિતાનો પ્રવાહ સરવાળે ગયા વર્ષ જેવો ચાલૂ રહ્યો છે. કેટલાક જૂના લખનારાઓએ કલમને થોભાવી છે ત્યારે કેટલાયે નવા લેખકોએ કંઈ નહિ તો એકેક કૃતિ લઈને પણ કવિતાને મંદિરે પોતાની પૂજા નોંધાવી છે. આવા લેખકોમાં સ્વપ્નસ્થ, રમણીક અરાલવાળા, ઉપવાસી, પ્ર૦ વગેરે ખાસ ધ્યાન ખેંચે છે. સામાન્ય રીતે એકબે કાવ્યો દ્વારા દેખા દેતા લેખકો તો લખ્યે જ જાય છે. સંખ્યાબંધ કૃતિઓ સાથે દર્શન દેતા સ્નેહરશ્મિ, પૂજાલાલ, ઉમાશંકર, સુન્દરમ્, પતીલ અને થોડુંક પણ નિયમિત રીતે લખતાં જણાતાં બેટાઈ, જ્યોત્સના શુકલ, પ્રહ્લાદ પારેખ, પ્રેમશંકર ભટ્ટ, રમણલાલ સોની, સુરેશ ગાંધી, રમણ ન. વકીલ આદિએ પોતાનો પ્રવાહ સમવેગે વહેવડાવ્યા કીધો છે. ઊર્મિમાં વિશેષતઃ દેખા દેતા જનમેજય, રાજશેખર, નીલકંઠ આદિ લખનારા સાચે જ જુદા જુદા માણસો હોય તો પણ તેમની કૃતિઓ ચમક દાખવે છે. પરંતુ એ ઊર્મિના એક વખતના તંત્રી શ્રી ઇન્દુલાલ ગાંધી વીસેક ઉપનામોથી લખતા એમ જાણ્યા પછી આ નામો ધારણ કરનાર પણ એક જ વ્યક્તિ કેમ ન હોય એમ શંકા પ્રગટે છે. નાગરદાસ અ. પંડ્યા, દુર્ગેશ, જેઠાલાલ ત્રિવેદી, પ્રતાપરાય પંડ્યા, હરિશ્ચંદ્ર ભ. ભટ્ટ, રાજશેખર, શિરીષ શેલત, ભાસ્કર વોરા આદિ નામો પણ પદ્યમાં લખાએલી કૃતિઓની નીચે નજરે પડે છે.

આપણાં અગ્રગણ્ય માસિકો કવિતાને પોતાની મર્યાદા પ્રમાણે સ્થાન આપતાં જાય છે. પ્રસ્થાન, કુમાર, ઊર્મિ અને કૌમુદીનાં કાવ્યો એમની ગુણવત્તાથી આપણું ધ્યાન ખેંચે છે, જો કે આ વર્ષે કૌમુદીનાં કાવ્યોની શ્રેષ્ઠતા સાવ ઘટી ગઈ છે. કુમાર અને ઊર્મિએ ઉછરતી કવિતાને વ્યવસ્થિત રીતે પોષણ મળે એ માટે યોજનાપૂર્વકના પ્રયત્નો પણ કર્યા છે. કુમારમાં કાવ્યોની નીચે આવતી નોંધટિપ્પણો તથા ઊર્મિમાં પ્રયોગદશાનાં કાવ્યોની એક કે બીજી રીતે ચાલુ ચર્ચા એ માસિકોની આ દિશામાં પ્રથમ પગલું ભરવાની ઇંતેજારી બતાવે છે.

ઊર્મિએ બે વરસથી કાવ્યાંક કાઢવાની શરૂઆત કરી છે એ સાહિત્યપ્રકાશનમાં કવિતાના માહાત્મ્યને વધારે છે. એ શુભ આશયવાળી પ્રવૃત્તિમાં હજી જોઈએ તેવો પ્રાણ નથી પુરાતો લાગતો. છતાં આપણી કાવ્ય અને વિવેચનપ્રવૃત્તિની મર્યાદા અને શક્તિ એમાં જોવાનાં મળે છે.

આ વર્ષે સાપ્તાહિકોએ પણ કવિતાઓ પ્રકટ કરવા માંડી છે. ‘ગુજરાતી’ પહેલાં કાવ્યો છાપતું હતું અને પ્રજાબંધુમાં ‘સાહિત્યપ્રિય’ વર્ષોથી ‘સાહિત્યચર્ચા’માં કાવ્યચર્ચાને સ્થાન આપતા આવ્યા છે. કવિતાના વહેતા વહેણ સાથે તેઓ હંમેશ વહેતા આવ્યા છે. તેમની આ ચર્ચાએ કવિતાને અને કવિતાનાં તત્ત્વોને લોકગમ્ય થવામાં સારી મદદ કરી છે. એ ઉપરાંત ‘પ્રજાબંધુ’એ મૌલિક રચનાઓ મેળવવાના પ્રયત્નો પણ આ સાલમાં કર્યા છે. સૂરતના ‘લોકવાણી’એ શરૂઆતથી જ કાવ્યોને પોતાનું અંગ બનાવી લીધું છે. એમાં ઘણીવાર દેખા દેતા સોમાભાઈ ભાવસાર, ચિમનલાલ ભટ્ટ, ચંપકલાલ વ્યાસ, ‘પ્ર૦’ વગેરેમાં ‘પ્ર૦’ની કવિતા પ્રાસંગિક કે રંજનાત્મક કરતાં વિશેષ ગુણ ધરાવતી માલુમ પડી છે. સ્ત્રીલેખકોમાં જ્યોત્સના શુક્લ અને પુષ્પા ર. વકીલ બે જ નામો દેખા દે છે.

લાંબા અર્થપ્રવાહને અનુકૂળ થવા યોજાએલી છંદોની અગેયતા હમણાં હમણાં અત્યંત વ્યાપક થયા છતાં લાંબાં સફળ કાવ્યો થોડાં જ થયાં છે. કેટલાક લેખકો લાંબું લખે છે, પણ તેમાં ભાવનિરૂપણની આવશ્યકતા કરતાં લાંબું લખવાની ટેવ જ કારણરૂપ લાગે છે. લાંબી રચનાઓમાં કેટલાક અનુવાદો થયા છે; પણ કાવ્યમાં ગણતરી કરી શકાય તેવા નથી થયા.

પૃથ્વી છંદની પેઠે શિખરિણી, શાર્દૂલ, મન્દાક્રાન્તા વગેરે છંદો પણ અગેયતા અને પ્રવાહી રચનાઓનું વાહન બન્યા છે. પણ એમાં ખાસ ધ્યાન ખેંચનારો છંદ ઉપજાતિ–મિશ્ર છે, એની લાઘવભરી પ્રવાહિતા અને મુલાયમ દેહબંધને લીધે તે પૃથ્વી છંદ કરતાંયે વધુ પ્રચારમાં આવતો જાય છે. ભિન્નભિન્ન ભાવોને ઝીલવાની તેણે શક્તિ બતાવી છે.

એક કાવ્યમાં અને પછી એક જ શ્લોકમાં છંદોની વિવિધતા મૂકવાની રીત પ્રચારમાંથી હટતી જાય છે. એક જ છંદમાં સળંગ રીતે ઘણી રચનાઓ થાય છે. પણ તેમાંયે પ્રયોગ કરવાની વૃત્તિ વિશેષ ગોચર થતી જાય છે. સંસ્કૃત વૃત્તો રૂઢ થઈ ગએલાં જ વપરાયા કરે છે. માત્રામેળ રચનાઓમાં નવીનતા આણવાના ન જેવા જ પ્રયાસો થાય છે. આ બંને દિશામાં ‘પતીલ’ની રચનાઓ અગ્રેસર થવા જાય છે. તેમણે વળી ઉર્દુમાં વપરાતા છંદો પણ અજમાવ્યા છે. પણ તે છંદો વ્યાપક બને તે પહેલાં તેની ચર્ચા થવાની જરૂર ઊભી છે.

કવિતાના વિષયોની બાબતમાં ઘણી અવ્યવસ્થા દેખાય છે. બોધપ્રધાન કવિતા તો ક્યારની શુભ રીતે વિદાય થઈ ચૂકી છે. પરંતુ ૩૧–૩૨–૩૩માં દેખાતી ભાવનાઓ સિદ્ધ કરવા ઊછળતી આવેશભરી રચનાઓ પણ હવે અદૃશ્ય થઈ છે અને હવેનું કાવ્ય ચિંતનશીલ થતું ગયું છે. તે ઘણીવાર નાનાં મોટાં આત્મસંવેદનો રજુ કરે છે; જીવનને પલટનાર કોઈ ભાવ નિરૂપવાની તેની ઇચ્છા થાય છે તો તે તેવી પરિસ્થિતિ ઊભી કરી તેમાંથી જ ભાવ ધ્વનિત થવા દે છે, અથવા તેને તેની સાથે સાંકળી દે છે. આ વર્ષની ઉત્તમ કવિતા એવી કૃતિઓની બનેલી છે. ફૂલ કવિતાનો અર્ધોએક ભાગ તો એકેકબબ્બે કૃતિવાળા અનેક નવા લેખકોના પરચુરણ વિષયોનો છે. પણ તેઓ જૂના ચીલામાંથી વિષયે કે શૈલીએ જુદા નથી પડતા. તોયે આજના શક્તિશાળી કવિનું માનસ વિષયની કે નિરૂપણની રૂઢિને વળગી રહેતું નથી. છંદોમાં, વિષયોમાં અને તેમના નિરૂપણમાં નાવીન્ય સરજવા પ્રયત્નો થાય છે. ભાવ અને તેના વહનનાં સાધનોની કસોટી કરી તેમાં સંશોધન કે સંવર્ધન કરનાર ઘણા થોડા છે. નવીન લખનારા તો કેવળ આકર્ષણથી જ નવીનતાની પાછળ પડે છે, અને તેમની કાચી કૃતિઓથી જનસમાજને કવિતા અળખામણી પણ થતી જાય છે. આ દિશામાં વિવેચકો ધ્યાન દોરવા પ્રયત્ન કરે છે. તોપણ આ પ્રયોગો અને તેમની દિશાની યોગ્યાયોગ્યતાની ચર્ચા હજી વધુ તલસ્પર્શી થવાની જરૂર છે.

નવીન છંદોવિધાનનાં કે વિષયની નવીનતાનાં લક્ષણો ધરાવતી બધી કૃતિઓ રસ, નિરૂપણપ્રકાર કે અર્થ પ્રસાદની દૃષ્ટિએ સફળ નથી બનતી. આમાં કઈ વસ્તુ દોષપાત્ર છે તેની તરફ થોડાનું જ ધ્યાન ખેંચાય છે. કાવ્યના આવા પ્રકારોની ટીકા કરતાં એક તત્ત્વના દોષ બીજા તત્ત્વને માથે ચડાવવામાં આવે છે. ઉછરતા કવિની કલમની કચાશને માટે તેણે હાથ લીધેલાં અગેયતા, પ્રવાહિતા વગેરેને ટીકવામાં આવે છે. છંદોની અગેયતા કે પ્રવાહિતામાં કાવ્યને હાનિ કરે તેવું કશું નથી એ આપણે હથોટીવાળા કવિઓની કૃતિઓમાં જોઈ શક્યા છીએ. નવીનોની કૃતિઓમાં જે રસનો અભાવ, વિચારોની સંદિગ્ધતા, અર્થની દુર્બોધતા અને લાગણીની શુષ્કતા મળી આવે છે તે તેમના પ્રયોગ તરફના વધારે પડતા ઉત્સાહને લીધે અને કાવ્યનાં સાચાં તત્ત્વોના જ્ઞાનને અભાવે છે.

છન્દ, ભાષા અને કાવ્યનો વિષય એ સૌ ભાવસંવેદનનાં સાધનો છે. એ ત્રણેની સિદ્ધિ ભાવની સિદ્ધિને મુકાબલે ઘણી સરળ છે. થોડા પ્રયત્ને માણસ છંદો, ભાષાભંડોળ કે નવા વિષયો મેળવી શકે છે. પણ ભાવસંવેદનો જગાવવાને તેણે ભાવસમૃદ્ધિ મેળવવાની રહે છે, અને તેને સંવેદિત કરવાને માટે છંદ અને ભાષાને પ્રયોજવાનું અને વિષયને યોગ્ય ઉઠાવ આપવાનું કૌશલ કેળવવાનું રહે છે. ભાવસમૃદ્ધિ, કલ્પનાબળ અને વિશ્વવ્યાપી ઊર્મિઓનાં સ્પન્દનાનુભવની શક્તિ એ કુદરતી બક્ષિશ છે. પણ તેને નિરૂપવા માટે જરૂરનું કૌશલ શીખી શકાય છે. શાસ્ત્ર અહીં મદદ કરે છે. આપણા વિવેચને આ શાસ્ત્ર ઊગતી કવિતાને શીખવવાનું છે. નવાઓમાં આ કૌશલનો અભાવ જ તેમની કૃતિઓના દોષનું કારણ છે.

આજકાલની કવિતા ચિંતનભારથી વધારે દબાતી લાગે છે. મનુષ્યજાતિના પ્રારંભના અદ્ભુત, ભયાનક ભાવો અનુભવવાને તે ઘણી મોટી થઈ ગઈ લાગે છે. હસવાની શક્તિ તેણે તદ્દન ગુમાવી લાગે છે. અને તે કદી હસે છે તો તે બાળકને હસાવવાને માટે જ. જીવનમાં અદ્ભુત, ભયાનક અને હસનીય તત્ત્વો કાંઈ ઓછાં નથી થઈ પડ્યાં, પણ માણસની બુદ્ધિ એ સૌના એક કે અન્ય પ્રકારે ખુલાસા રજૂ કરે છે, એટલે તેને ભાગે આ પરિસ્થિતિ અનિષ્ટ હોય તો તેની કરુણતા ગાવાનું, તેને ઇષ્ટ દશાએ પહોંચાડવાને જીવનમાં સામર્થ્ય પ્રકટાવવાનું અને એ દિશામાં કાંઈ કરી શકાય તો તેનો ઉત્સાહ અનુભવવાનું રહે છે.

શૃંગારનું સેવન બહુ જ મર્યાદાથી ડરીને થતું જાય છે. પ્રેમની ઉન્મત્તતાને બદલે તેની વિષાદઘેરી ચિતનભરી દશા જ ચીતરાય છે. સૌથી વધુ જેની ઉપાસના થાય છે તે વીરની. જીવનની કરુણાભરી સ્થિતિ, અતૃપ્તિ, દૈન્ય, સેવા એ બધાં સ્થાયી ઉત્સાહ જેનો આત્મા છે એવા વીરત્વને જીવનમાં બઢાવવા ઉપાસાય છે. કવિતા સ્વોર્મિકથનથી આત્મસંતુષ્ટ રહેવાને બદલે અસંતોષની જ્વાલાઓ ફેલાવવા મથે છે. તે વિલોપાતા ગૃહજીવન તરફ, રડતી પ્રિયા તરફ, મરેલા બાળક તરફ ઘડીભર નજર નાખી લે છે, પણ એ જે વસ્તુ ઉપર વળીવળીને જાય છે તે તો જીવનનો પુરુષાર્થસંચય કરવાની તમન્ના છે. આખી પ્રજામાં એ ભાવના વ્યાપેલી છે. કવિતાએ તેને ઉચિત ઉચ્ચારણ આપવા પ્રયત્ન કર્યો છે.

પરંતુ આ ઉત્સાહ જન્માવવાની પ્રતિજ્ઞા લઈ જન્મતાં બધાં કાવ્યો ભાગ્યે જ ઉત્સાહ જન્માવવામાં સફળ નીવડે છે. સાચી લાગણી અને તેનું કુશલ નિરૂપણ એ બે આવાં કાવ્યોને સફળ કરવાને જરૂરનાં છે. જીવનનો ઉત્કર્ષ અને ઉત્સાહ ગાવા નીકળતા નવા કવિઓ આ બંને નથી સાધી શકેલા. સાચું ભાવસંવેદન અને તેનું કૌશલભર્યું નિરૂપણ ઘણાં કાવ્યમાં ખૂટતું લાગે છે. આ કૌશલ ભાવનાં આલંબનોને વર્તમાન પરિસ્થિતિમાંથી ઉપજાવવામાં રહેલું છે. હૃદયના સનાતન ભાવો નવાંનવાં પાત્રો દર વેળા મેળવે છે. તે જ પ્રમાણે કવિતાએ આ ભાવો માટે નવાં આલંબનો–નવી સામગ્રી મેળવવાની છે. નવી સામગ્રી, નવાં વાહનો અને નવીન દૃષ્ટિકોણ ઉપજાવવામાં જ આજના કવિની કસોટી રહી છે, અને એ કસોટી આકરી છે એ આપણા અનુભવ પરથી આપણે સમજી શકીએ તેમ છે. એને માટે પૃથ્વી કરતાંયે વ્યાપક સમભાવ, ઊંડી તત્ત્વદૃષ્ટિ, સાચી વિવેકશક્તિ, ઉગ્ર માનવકલ્યાણભાવના અને વર્ચસ્વી કાવ્યકલા તેણે કેળવવાનાં રહેશે.

નવા પ્રાણનું આહ્વાન કરતી આ કવિતા જો સફળ થશે તો મંત્રદૃષ્ટાની શક્તિ ધરાવશે, પ્રજા હૃદયના સૂક્ષ્મતમ ધબકારા ઝીલતું સિસ્મોગ્રાફ બનશે, શોખીનોની અને આશ્રયદાતાઓની કુંજમાં તે લપાઈ નહિ રહે, પણ પ્રાણવાયુ પેઠે સર્વત્ર વ્યાપશે અને સૂર્યકિરણ પેઠે કેટલાંયે મૂર્છિત જીવનબીજોને અંકુરિત કરશે.

આ સામર્થ્ય મેળવવાને તેણે મહાન સાહસો ખેડવાનાં છે. કવિઓએ પ્રયોગવૃત્તિ સાથે પ્રયોગદૃષ્ટિ પણ મેળવવી પડશે. વહાલી લાગતી અનેક વસ્તુઓને તે બંધનરૂપ લાગે તો છોડવી પડશે અને નવીન આવશ્યકતાઓને સંતોષવા જરૂરની જણાતી કોઈ ૫ણ વસ્તુ સ્વીકારવાની તૈયારી રાખવી પડશે. આવું મુક્ત અને સાહસશીલ ચિત્ત કવિતાનાં નવાં સાહસોને પવનવેગે ધપાવશે.

તેવે વખતે જરૂર પડશે માત્ર કુશલ સારથિની. આપણો દૃષ્ટિસંપન્ન વિવેચક વર્ગ એ ખોટ પૂરી પાડશે. નવીન તત્ત્વોની તટસ્થ સમાલોચના અને કાવ્યનાં તત્ત્વોની લોકગમ્ય વ્યાપક પ્રસિદ્ધિ એવી કવિતાને યોગ્ય દિશાદર્શન કરાવશે. ગૂજરાતમાં આવા સાહસશીલ કવિઓ અને સમભાવી વિવેચકોની ખોટ નહિ જ પડે.

ત્રિભુવનદાસ લુહાર


યૌવન

(અનુષ્ટુપ)

રૂઝવે જગના જખ્મો,
આદર્યા ને પુરાં કરે;
ચલાવે સૃષ્ટિનો તન્તુ,
નમું તે નવયૌવન.
(ઊર્મિ)શેષ

નમું

(મિશ્ર)

નમું તને, પથ્થરને? નહીં નહીં
શ્રદ્ધાતણા આસનને નમું નમું :

જ્યાં માનવીનાં શિશુ અંતરોની
શ્રદ્ધાભરી પાવન અર્ચના ઠરી,
કે મુક્ત તલ્લીન પ્રભુપ્રમત્તની
આંખો જહીં પ્રેમળતા ઝરીઝરી.

તું માનવીના મનમાં વસ્યો અને
તનેય આ માનવ માનવે કર્યો;
મનુષ્યની માનવતાની જીત આ
થએલ ભાળી અહીં તેહને નમું.

તું કાષ્ઠમાં પથ્થર વૃક્ષ સર્વમાં,
શ્રદ્ધા ઠરી જ્યાં જઈ ત્યાં બધે જ તું.
તને નમું, પથ્થરને ય હું નમું,
શ્રદ્ધાતણું આસન જ્યાં નમું તહીં.

(કુમાર) સુન્દરમ્

સંસારવ્યોમે ઉડણોત્સુક નવજુવાનને

સોનેટ

પૃથ્વી

વિહંગ, ઉડ! જે લસે અખુટ વ્યોમ આશાભર્યો!
ચડે નયન જે દિશા, નભ નવીન તે દાખવે :
ચહે હૃદય રંગ જે, સુરકમાન તે ખીલવે;
વહંગ, ઉડ ઊડ રે! ઉડણ ધન્ય હો તાહરાં!

થશે ઉડણ છાતિએ જમવ જોમ તે માપનાં :
હશે દૃગ–ઉદારતા મતિવિકાસ, તેવાં બલ;
વિકાસ, દિલનાં રતિઝરણ જેમ ઊંડાં વિમલ :
રતીઝરણ, ઝીલશો કિરણ જેહવાં આત્મનાં.

ભવે ઉડણ માટ આ નિયતિઃ જ્યોતિ એ ભૂલ મા.
–થશે ભુલ, ફરી ફરી શ્રમ વિષાદ તો તાવશેઃ
કુસંગતિ ફરી ફરી રતિસુધા દુણાવશેઃ
જશે કથળિ લોહિમાં કસ બધા ય ઉત્સાહના.
પરંતુ નિયતિ સ્થિર ધ્રુવ પ્રબોધ કે પાત્રને;
વિહંગ નિયતિજ્ઞ, ઊડ! અપનાવ આનન્ત્યને!
બલવન્તરાય ક. ઠાકોર

દીવાળી

પૃથ્વી

અરે વરસ આંતરે અહીં ધરે છ, દીપાવલિ!
અનંત જડ દીપમાળ શીદ આ ભૂંડી ભોમમાં?

અહીં મનુજને ઉરે ભડભડે જુદી કોમમાં
સદા વિષજીભો સમી ભભુકતી મશાલો બળી
બળી જીવન સીઝતી; નયનમાં બળે રે વળી
અખંડ ઇરખા તણી વિષમજ્વાળ; એ હોમમાં

વહે અગનધાર, ને ફગવતી હજી વ્યોમમાં
શિખા તણી ઊંચે વિશાળ વિકરાળ ધૂમ્રાવલિ.
તને પ્રગટવું, ભલે પ્રગટ; મા ધરી દીવડા
સુકોમલ સરૂપના વિહિન શક્તિના જીવડા;

અરે ફક્ત એક વર્ષ પ્રગટી રહે તું બની
પ્રચંડ રૂપની મહાનલ સરૂપનાં આગની
વિરાટ નવશક્તિ, ભસ્મ કર પાપજ્વાલા ભૂંડી :
પછી અહીં પધારજે બનીઠની રૂડી દીવડી.
(કુમાર)ચન્દ્રવદન મહેતા

ઉદ્બોધન

(મિશ્ર)

રે! તું સદા મુક્ત સ્વતંત્ર પ્રાણ!
ઘોરી રહ્યો ત્યાં શિદ કાલઉંબરે?
સંકોચતો તારી વિશાલ કાય
બેસી રહ્યો ત્યાં શિદ ક્ષુદ્ર ઝૂંપડે?

પૃથ્વી તણા ભીતરમાં દબેલો
અધારના ગાઢ નિઃસીમ ભારથી
યુગોતણી નિંદર ફેડી, જો! આ
જાગી ઊઠ્યો ઝાળ રૂપે જ કોલસો!

પૃથ્વી–ઉરે પાય પ્રચંડ ખૂપી
ઊભાં અહીં વૃક્ષ; કદીક હોડલી
બની જશે એ સફરે સમુદ્રે;
લાગે છ જે સુપ્ત પડ્યાં જળાશયો

તે ના સૂતાં; દુર્બલ વારિબિન્દુ
નભે ચડી દંગલ–મસ્તી માંડશે,
અને પસારી શતલક્ષ બાહુ
ઉલ્લોલ હિલ્લોલત ભૂમિ ભેટશે.

તું મૂક ના, મંત્રદ દિવ્ય વાચા
પ્રચ્છન્ન તારે ઉર, ઊઠ ગર્જતો;
કંગાલ તું? કોણ કહે? સમૃદ્ધિ
પ્રસુપ્ત તારે ઉર સપ્તસિંધુની.

ના પંગુ તું, દુર્બલ ના, ન હીન;
પૃથ્વી તણી ધારણશક્તિ, ને વળી
હિમાચલોની અચલા ધૃતિ યે
તારે વિષે; હાં, ઊઠ કાલમર્દન!
(કુમાર)રમણલાલ સોની

હીરો

(પૃથ્વી)

અધીર ઉર! ચોદિશે તિમિર ઘોરને દેખતાં,
અને કડકડાટ સાથ નભને સુણી તૂટતાં
અશાન્ત શીદ તું ભમે? ભયથી શે નમે? રુદ્ર યે
નહીં નહિ શકે ડરાવી તુજ પ્રાણને તાંડવે!

ન વા અખિલ વિશ્વના અતિ કરાલ ઝંઝાનિલો
બુઝાવી શકશે કદી હૃદયદીપ તે તાહરો!
નિહાળ! અતિ ઘોર તે તમપ્રશાન્ત ભૂગર્ભમાં,
ન આજની, ન કાલની, અવર વા ન ચિન્તા વ્યથા

ઉરે ઉડતી જેહને, યુગયુગો તણાં જે પરે
મહાન રથચક્ર ભવ્ય જયનાદ સાથે પળે,
ન ત્યાં–તિમિરમાં–ઝુરી વ્યથિત તે થતો હીરલો.
અરે! તિમિર અન્ધને ય નયનો સ્મિતે અર્પતો!

પડ્યો જગખીણે તું માનવહીરો ભલે આજ હો.
જરૂર તવ તેજથી દિવસ કો થશે ઊજળો
(કુમાર)‘સ્નેહરશ્મિ’

આત્મદીપો ભવ

તું તારા દિલનો દીવો થાને,
ઓરે, ઓરે, ઓ ભાયા!–તું તારા.

રખે કદી તું ઉછીનાં લેતો પારકાં તેજ ને છાયા,
એ રે ઉછીનાં ખૂટી જશે ને ઊડી જશે પડછાયા!–તું તારા.

કોડિયું તારું કાચી માટીનું તેલ, દીવેલ છુપાયાં,
નાની શી સળી, અડી ન અડી પરગટશે રંગ–માયા!–તું તારા.

આભના સૂરજ, ચંદ્ર ને તારા મોટામોટા તેજ–રાયા,
આતમનો તારો દીવો પ્રગટાવી, તું વિણ સર્વ પરાયા!–તું તારા.
(લોકવાણી) उपवासी

દ્વિધા

(પૃથ્વી • સૉનેટ)

પણે ઉભરતા મહા ઉદધિઅશ્વ પીઠે ચડી,
અપાર પૃથિવિ તણું સકળ પાર લેવા લડી :
ઊડી ગગન ફૂંક ફૂંક નભદીપ હોલાવવા :
સરૂં વિતલ નાગપુત્રી વરમાળ ધારી થવા :
અને અહીં ખળંત આ ઝરણ, ને ઊભા ડુંગરા,
વચાળ નવ પલ્લવે લચિત ઝૂંપડી, સુંદરા
પ્રતિક્ષણ પ્રતિક્ષતી–નીતરતી પીળાં પોપચે;
મૂકી સકળ કૂચવું? હૃદય જુદ્ધ ભારી મચે!

અજંપ મુજ અંગમાં : હૃદય રાગભારે ભર્યું :
જવલંત મુજ વાંછના–રૂધિર ક્યાંક થોડું ઠર્યું :
અપ્રાપ્ય સહુ પામવું : નહિ ય મેળવ્યું છોડવું :
વિરાટહૃદયી થવું!–સકળ વિશ્વ જેમાં જડ્યું;
ઊઠીશ પુલકી કદિક જગ મૃત્યુનાં ખોળવા!
વિવાદ પણ વ્યાપશે જીવનવિશ્વ છોડી જવા!
(કુમાર) કૃષ્ણલાલ શ્રીધરાણી

બળતાં પાણી

(શિખરિણી)

નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગર વનો,
પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી;
ઘણું દાઝે દેહે, તપીતપી ઊડે બિંદુ જળનાં,
વરાળો હૈયાની, પણ મદદ કૈં ના દઇ શકે.

જરી થંભી જૈને ઉછળી દઈ છોળો તટ પરે
પહાડોને છાંટી શીતળ કરવાનું નવ બને;
અરે! જે પહાડોએ નિજ સહુ નિચોવી અરપિયું
નવાણોમાં, તેને સમય પર દૈ બુંદ ન શકે!

કિનારાની આંકી જડ કઠણ માઝા ક્યમ કરી
ઉથાપી લોપીને સ્વજનદુઃખને શાંત કરવું?
નદીને પાસેનાં સળગી મરતાંને અવગણી
જવું સિંધુ કેરા અદીઠ વડવાગ્નિ શમવવા!

પછી ત્યાંથી કો દિ’ જળભર ભલે વાદળ બની
વહી આવી આંહી ગિરિદવ શમાવાનું થઈ રહે!
અરે! એ તે ક્યારે? ભસમ સહુ થૈ જાય પછીથી?

દવાગ્નિની ઝાળો ઉર ભરીભરીને અણઠરી
વધુ વેગે દોડે તરસી સરિતા સિન્ધુની ભણી.

(કુમાર) ઉમાશંકર જોષી

યાચના

મોરલા હો! મુને થોડી ઘડી તારો આપ આષાઢીલો કંઠ;
ખોવાએલી વાદળીને હું, છેલ્લી વાર સાદ પાડી લઉં.

ઇન્દ્રધનુ! તારા રંગ–ધોધોમાંથી એક માગું લીલું બુંદ;
સાંભરતાંને આંકવા કાજે, પીછી એક બોળવા દેજે.

મેઘમાલા! તારા લાખ તારોમાંથી ખેંચવા દે એક તાર;
બેસાડીને સૂર બાકીના, પાછી સોંપી દૈશ હું વીણા.

રાતરાણી! તારા ઝાકઝમાળાનું કોઈ નથી મારે કામ;
ગાઢા અંધકાર પછેડા, ઓઢાડી દે! ઊંઘની વેળા.

કાળસિંધુ! તારા વીંઝણાનું નાનું એક તો આપ કલ્લોલ;
હૈડું એક નીંદવિહોણું, ભાલે એને વાયરો ઢોળું.

(જન્મભૂમિ) ઝવેરચંદ મેઘાણી

શિખરો

[ઉપજાતિ]

આકર્ષતાં એ શિખરો અનેરાં;
પાતાળદેશે દૃઢ પાય સ્થાપી,
પૃથ્વીતણાં વજ્રપડો ઉથાપી,
શૃંગે વિંધે આભ અથાગ ઘેરાં.

અને અનામી અકલા અનંતે,
આશ્ચર્યથી મુગ્ધ પ્રશાંત ભાવ
ઊભાં ઊભાં મૌનરુચા ગજાવે;
એના પડે આ પડઘા દિગંતે.

ના કાળની પ્હોંચત ત્યાંહિ ફાળ,
દિગંબરો યે સરકી પડે ત્યાં,
ત્યાં નગ્ન સૌન્દર્ય સ્વરૂપ શોભા—
લસે ધરી કંઠ અનંતમાળા.

ના વાદળાં કાજળરંગ કુડાં,
તોફાનના ગર્જન, મેલ છાયા
સ્વપ્ને ય આવે ન, ન મોહમાયા;
ત્યાં વિસ્તરે મુક્ત પ્રકાશ રૂંડા.

અસહ્ય વેગે શુચિ જ્યોતિ—પાંખે
પ્રદક્ષિણા શાશ્વતની કરંતા,
બાધા નિશાની સહજે હરંતા
તારા, નરી પાવકદીપ્ત આંખે

એકાગ્રતાનાં પ્રખરાસો સાધી
ભેદોતણું અંતર ભેદનારા,
વિશ્રામ લે ત્યાં, શ્રમખેદભારા
ઊતારી પાછા ઉડતા ત્વરાથી.

ત્યાં અંતરંગી બની આત્મમિત્ર
અમેય સદાનો અવિનાશ–ડેરો
વાસો ચહું, નિત્ય નવીન ચીત્ર
નિહાળતો અક્ષય નંદનોનાં.

આનંદની લ્હેર પરે તરંગો,
શાંતિતણા ગર્ભમહીં ગરંતો,
આજન્મ સેવ્યાં લહું સ્વપ્નસોનાં.
પૂજાલાલ

મુજ પ્રદીપ

કરાલ તમ તાંડવે પવન! છો હવે સૂસવો;
ભલે ધસમસી રહો જલધિમોજ! પૂરી રહી
અફાટ નભની ગુહા તમનિનાદ કંકાલથી;
બધું તિમિર, શૂન્યતા જગતકેરી ભૂખાળવી
મથી સહુ રહો ભલે : સહુ મથે ભલે ઠારવા :
છતાં નહિ નહીં શમે મુજ પ્રદીપકેરી પ્રભા,
પ્રફુલ્લ મુજ પ્રાણની નહિ શમે કદી પ્રેરણા!
થનગની, થનકી, ઠમકી, સરી
મલપતે પદ નીર પરે જશે;
અણપૂર્યા ઉરના અભિલાષશો
ઊઘડતી જહીં યૌવન પાંખડી,
લલિત લોચનમાં જવ પ્રેરણા
પ્રબળ કલ્પનનો રસ આંજતી,
ફફડતી પુરુષાર્થની પાંખ જ્યાં.
વિલસતો મુજ પૂર્ણ પ્રદીપ એ
નિરખશે તટનાં તરુવૃન્દ સૌ
ગલિત નેણ ભરી નિજ વિસ્મયે;
સમયના શિશિરે હણી જેમની
પમરતી, પમરી સહુ કલ્પના;
પ્રબળ જીવનનાં જળ થંભિયાં
જરઠ જાડ્ય થકી અવ જેમનાં.
શુચિ અતીવ પ્રભામય દીપ એ
સુભગ કૈં સરતો સરતો જશે,
જહીં સનાતન સાગર સ્હોડમાં
વિવશતા સરિતાની વિરામતી;
નયનો મદ, યૌવન અંગનું,
ઉર તણો અભિરામ વિલસ જ્યાં,
પ્રિયવિલીન રસે પળમાં બને.
મુજ પ્રદીપની સ્વર્ણશિખા તણું
તિલક ત્યાં ધરશે જળસુન્દરી,
લહરીને ઠમકે અવિરામ જે
રમઝટો મચવી રહી રાસની
અમર એ વિમળી વિધુલેખશું.
મુજ પ્રદીપ તહીં શુચિ સોહતાં
સફળ સર્વ થશે મુજ સાધનો.
અને પમરશે તદા સુભગ પુણ્યની મંજરી!
પરંતુ હરિ! આશું? આશું? ક્યમ ઉગ્ર ઉત્પાત આ?
પ્રદીપ સુકુમારનો ક્યમ જ દેહ ડોળી રહ્યો?
પ્રદીપ મુજ ઝંખવાઈ સહસાજ શેણે રહ્યો?
મનોરથ ડુબી જશે અતળ એક નૈરાશ્યમાં?
અને અવ શમી જશે મૃદુ પરાગ એ પ્રાણનો,
પ્રદીપ મુજ – ના, પિતા! તુજ પ્રદીપ? હું માનવી!
મનઃસુખલાલ ઝવેરી

અંતરપટ

-: મંદાક્રાન્ત :-

છાયા ઝાંખી નજર પડતી તત્પલે જાય ઉડી
આશા જેવી તુજ દરસના ભાવ સૌ થાય મિથ્યા;
આંખો આડે વમળ રસળે વાદળોના અચિંત્યા,
વૃત્તિ મારી જગતરણમાં જેમ કૈં હોય બુડી :
જાતું ના કાં હૃદય નબળું દુઃખમાં છેક ત્રુટી,
શાને ઘેરે દિનનિશ મને અંતરે અંધ છાયા;
કેવી આ તે નરકસરણિ–શ્વાસની ઘોર માયા,
જાશે શું ના કદિ વિકળ આ ઉષ્ણ ઉચ્છ્વાસ છૂટી?

ના, ના, મારા પ્રિય હૃદય! મૃત્યુ થશે નેત્ર ફુટી.
તે જે તીણું કિરણ ઝગશે, છોડશે અંધ છાયા;
ફોડી શંકા મન મુંઝવતી ઊગશે દિવ્ય આશા.
ત્યારે રૂપે મધુરવદના નિર્મળી પ્રાણમૂર્તિ,
જોશે તું તે પુનરપિ સદા સંગિની જોગ માયા :
ભાવો ઘેરા અમર સઘળા ચૂમજે અમૃતાના.
દેશળજી પરમાર

ભમરી

-: શિખરિણી :-

પ્રકાશે દીવાના ભમતી ભમરી આ પજવતી,
ઉરાડે ઝપાટે ઝબકી જરી મ્હેં ડંખડરથી;
જવું ત્હેણે ચાહ્યું નવ પ્રણયી સાન્નિધ્ય વિસરી,
ભરાએલી રીતે અસહ ચટકો એક દૈ ગે.
અચિંત્યો ઉઠ્યો હું રગ રગ બઢયો ક્રોધ અદકો,
સીસાપેને દાબી શબવત કરી એક પલમાં.

પીતો હાવાં હું કો કવિવરતણી વ્યોમરમણા,
નિહાળું એને ત્યાં મમ સુકુમ હૈયું દ્રવી જતું.
‘અરે મ્હેં શેં મારી?’ પણ પળ મહીં એ પરિમણી,
અનેરા ઉલ્લાસે પરિશીલન નિષ્કંટક થયું.
ગણી; કાલીદાસે સભર ભરિયો મેઘદૂતનો
મધુરાં મોજાંનો પુલકિત બની સિન્ધુ ભરતું.

ન કો ઇષ્ટાનિષ્ટે જરીય અણજાણ્યું જન જગે
છતાં સાધ્યા સ્વાર્થે સહુય મલકી વિશ્વ વિસરે?
રમણીકલાલ અરાલવાળા

પૂ. નરસિંહરાવને

: પૃથ્વી :

મહા ગિરિસમા ત્હમે નયનસંમુખે છો ઉભા;
કૃતાર્થ તમ દર્શને અમ ઉરો થતાં, વન્દતાં,
અબોલ બનતાં ઢળે ચરણમાં ત્હમારાં, પીતાં
વિશૂદ્ધ ઉરથીવહન્ત જલં ગૂઢ વાત્સલ્યનાં.

પડ્યા જખમ વજ્રના શિરપરે ઘણા કારમા,
છતાં સહુ ગણી પ્રતીક વિભુના જ સંકેતના–
અભંગ ઉર–આશથી સકલ ઘા વધાવી લીધા
નહીં રુધિર–દુઝતા જગતને વ્રણો દાખવ્યા.

દવે અતલ અન્તરે અનલ–જ્વાલા, જે આવરી
ત્હમે શિખર ઉપરે કદી થવા ન દીધી છતી.
બળે ઉદધિ અન્તરે જ વડવાગ્નિથી સર્વદા,
છતાં જગત પામતું અનિલ શીત આનન્દદા.

શિરે વરસતી અગણ્ય જલની ઝડીઓ વતી
કદી દવ ન હોલવ્યા હૃદયનાદ ઉરોલ્લાસથી
જગે અવરનાં દુખો શમવવા વહાવી નદી
સદાશિવ પ્રવાહની પુનિત માત ગંગાસમી.

વિરાટ ઉર આપનું સકલ તાપને આવરે,
તવી ઉર તણા ઝરા ગગન–ચિત્તને છાવરે :
જગે વરસતી ઝડી ઉદક જ્ઞાનનું સીંચતી
અને ઉર–વરાળથી તરસ લોકની છીપતી.

પડી વિપદ એકલા સહન શાન્ત ચિત્તે કરો,
અને હૃદયવાદ્યના કરુણ ભાવમાંથી વણો––
કલા, રસિકતા ભરી, ઉરવિવેક ભાવે ભિનાં,
તમે અવર કાજ–ગીત, રસ, ભાવનાથી ભર્યા.

મથો વિસરવા સદા હૃદયભાર, સંવેદના,
દઈ જગતને ત્હમે મધુર ગીત આનંદનાં.
ઉન્હાં નયનનીરથી પ્રજલતાં ઉરો ઠારતા :
ન શું અમિત આ દિસે જીવનલ્હાણની ભવ્યતા?
ક્ષણે અડગતા ત્હમે નવ કદીય મૂકી છતાં :
ઉભા સ્થિર મહનુભાવ! અણસહ્ય આપત્તમાં.

ધરી પ્રગટ મૂર્તિ શું અહીં ગભીરતા ઉભી?
વસી નીરવતા હૃદે સભર મૌનેથી ગાજતી!

કૃતાર્થ થઈ દર્શને ઉભયનાં ઉરો વન્દતાં,
અબોલ બનતાં ઢળે ચરણમાં ત્હમારા સદા.
રમણ ન. વકીલ

‘બારી બહાર’

વર્ષોની બંધ બારીને આજ જ્યારે ઉઘાડતો
‘આવ’ ‘આવ’ દિશાઓથી સૂર એકર્ણ આવતો.

આવે વાયુ પ્રથમ ભિતરે સિંધુના મોજ ચૂમી
ઘૂમી ઘૂમી વન વન વિષે પુષ્પની ગંધને લે;
માળે માળે જઈ જઈ લઈ પંખીના ગાન સૂર
લાવે હૈયે નિકટ મુજ જે આંખથી હોય દૂર.
આકાશેથી કિરણ ઉતરી સર્વ એ વાત કે’તાં
નાચ્ચાં કેવાં જલ ઉપર ને કેમ પુષ્પો ઉઘાડ્યાં
પેઠા છાનાં ક્યમ કરી સહુ પંખીના વાસમાંહી
વીણ્યા બિન્દુ શબનમ તણા ઘાસ માંહી છુપાઈ.
પુષ્પો અને પર્ણ તણી પિછેથી,
પંખી તણાં ગાન અનેક આવતાં.
સંદેશ એનો સમજું નહિ ને
કાં હર્ષના અંતર ધોધ છૂટતા?
નમાવી ડાળીઓ સર્વ માર્ગમાં પુષ્પ પાથરી
‘આવ’ ‘આવ’ બધા વૃક્ષો સાદ દે છે ઘડી ઘડી.
પાસેથી કો ઝરણ વહતું વાત એ જાય, કે’તું
કેવું આભે ભ્રમણ કરતી વાદળીમાંહી રે’તુ,
કેવું છુપ્યું ગિરિવર તણી ગહવરે થૈ અશબ્દ,
કેવું છૂટ્યું જલધિ જલનો સાંભળી ‘આવ’ શબ્દ.
આલિંગે છે પથ ઉપરની આવીને ધૂળ અંગે
ને લાવે છે અખૂટ કથની માર્ગની સર્વ સંગ :
કેવાકેવા પથિક દઈને પાય એ માર્ગ જાતા
કેવાં ગીતો–અનુભવ તણાં જાય એ સર્વ ગાતા!
ને ખેતરે લાખ ઉભેલ ડુંડાં,
લળી લળીને સહુ સાદ પાડતાં.
અનેકની હાર ખડી રહી ત્યાં,
છતાંય કાંએ મુજ સાથ માગતા?
ઉંચે જોવું અસીમ નભમાં વાદળી એક જાતી
સામ્રાજ્ઞી શી મૃદુલ પગલે માર્ગ એ કાપતી’તી
વાતો કે’તી ઘડીક વીજની, મેઘ કેરા ધનુની,
યાત્રા કેરી વિજનવનની, પર્વતોની રણોની.
નીચે કોઈ ચલિત પગલે જાય છે બાળ ચાલ્યું,
પુષ્પ પર્ણે તૃણ સકલમાં સાંભળે હર્ષગાણું,
એ બે ગાતું કુસુમ તૃણમાં જાગતો હર્ષ કંપ,
જાયે ધીમે ડગફુલ કતે ઝીલવાને પતંગ.
શું એ આંખે મૃદુલ ડગલે શું ભર્યું હાથનાને,
તૂટેલા એ શબદ મહીં શું? સર્વ શું એ ક્રિયામાં,
બારી બંધે કદિય નવ જે ભાવનાને પિછાની,
તેવી ઉરે નયન મહીં કો આર્દ્રતા આજ જાણી.
અંગાંગે છે પરમ ભરતી મસ્ત સિંધુ સમીને,
લજ્જા કેરી નયન ભર છે એક મર્યાદ રેખ,
હર્ષ થાતી પુલકિત ધરા પાયના સ્પર્શથી જે,
જાયે કોઈ યુવતિ નયનો ધન્ય મારાં કરીને.
ઉચ્ચરીને અહાલ્લેક કોઈ સાધુ જતો વહી,
સંદેશો સર્વ સંતોનો બારણે બારણે દઈ,
જાયે લક્ષ્મી પ્રણયી પથમાં જ્ઞાનના કો પિપાસુ,
કોઈ જાતા શ્રમિત જનકો’ દીન કોઈ દરિદ્ર,
જ્યોતિ કોઈ વદન ઝળકે સ્મિત કેરી અખંડ,
અશ્રુધારા નયન થકી કો જાય ચાલી અભંગ.
સર્વને બારીએ ઉભો નેનથી નિરખી રહું,
એક એ સાદ ‘આવ’નો ઉર સાંભળું.
પળે પાછાં અન્તે રવિ કિરણ સૌ અસ્ત નભમાં,
અને આવે પાછા દ્વિજગણ સહુ વૃક્ષ ગૃહમાં,
ઝગી ઊઠે નાની સકલ ઘરમાં એક દીવડી,
શરૂ શાંતિ કેરી પરમ ઘડીઓ થાય જગની.
સુધા ભરી તારક પ્યાલીઓને,
કરે : ધરીને રજની પધારે,
પંખી, વનો, નિર્ઝર, માનવીને,
પાઈ દઈ એ સઘળું ભુલાવે.
મેંયે પીધી રજની કરથી લેઈને એક પ્યાલી,
અંગાંગે એ મદ ચડી ગયો, આંખડી બંધ થાતી,
તોયે સૌનો ઉર મહી સુણું ‘આવ’નો એક સાદ,
ના બારી, ના ६२ મહીં, રહું જાઉં એ સર્વે સાથ.
પ્રહ્લાદ પારેખ

ફલકુને

-: શિખરિણી :-

નથી તારાં તીરે દ્રુમ શીતળ છાયા પ્રસરતાં,
ન વ્હેતાં પાણીયે શ્રવણપુર સંગીત ભરતાં :
ન મોંઘાં સૌન્દર્યા, નગરવધુનું હાસ્ય છુપતું;
ક્રીડન્તી કન્યા કો’ જલલહરી સંગે ન, ફુલકુ.

અરે, તારું હૈયું રણપટસમું શુષ્ક કહીને
જતા શાપો દેતા પથિકજનને હૈયું બળતું :
હુંયે જાણું છું કે નવ તું’ મહીં આકર્ષણ ઉંડાં;
છતાં સ્વપ્ને સ્વપ્ને સુભગ રૂપ તારાં ઉઘડતાં.

રમ્યો આ વેળુમાં શિશુ સમયમાં સંગ શિશુનાં
જહીં તાપે થાકી કર વીરડી ખોદંત પટમાં;
તહીં સુકે હૈયે અમીસરણી ધીમે ઝબકતી
ભૂલી જતાં, માતા, રમતશ્રમ પીતાં જલઅમી.

ન મેં દીઠી માતા જગત મહીં જેના અમી ખૂટ્યાં
શિશુ માને એવું કદીય ગણવી વ્યર્થ ભ્રમણા.
પછી વર્ષો વીત્યાં ઘણું ઘણું ફર્યો દેશ નવલા :
દીઠી સિન્ધુને મેં જયદ્રથભૂમિને રસળતી;

પુનિતા ગંગાયે શિવ જુથજટા વીંધી વહતી
પીધાં પ્રેમેભાવે જનસમક્ષયકારી જલ મીઠાં.
જહીં કાલિ નાથ્યો મરદન કરી કૃષ્ણ ક્રીડતા
યમુનાનાં કાળાં ભમરજલ દીઠાં છલકતાં.

દીઠી બીજી કૈંયે પણ નવ ભૂલ્યો, માત, કદીયે
કૃશાંગી કાયા આ ખરબચડી તાપે સળગતી;
ભર્યું જાણું હૈયે અમૃત શિશુ માટે અખુટ, શે’
જવું બીજે મારે, અવર કદી થાશે શું જનની?
જનમેજય

વસંત

બેઠો હતો જ્યારે મ્હારા સ્વપ્ન તણી મોજમહીં
સાધનામાં પરોવીને કૃશઃપ્રાય પ્રાણ;
કોણ ત્યારે આવી? મારી પગદંડી છટા એવી
કુસમશી જોઈ હતી દિવ્યતણું ગાન!

પાછું ફરી જોયું, અહો! નૂપુરના રમ્ય રવે
દિશદિશ નાચી રહે ભાવનાના સ્પન્દ!
કોમલ એ પગલાંમાં જીવનનો ધ્વનિ વહે
ભૂમિતલે ઉઠે જાણે પ્રેરણા કદંબ!

અને એના કેશુડાનાં રંગભીના છાયલમાં
ઉછળતા યૌવનના દીઠા સ્વૈર હાસ!
પ્રણયની ઊર્મિ જેમ ઉડંત એ છેડલામાં
ઉડતા કો મેઘધનુ તણો થયો ભાસ!

‘કોણ એ?’ કહ્યું અને એ મૃદુ પાય થંભી ગયા
નૂપુરનું નૃત્ય ગયું––ભાવનાનું કાવ્ય!
પ્રફુલ્લ એ મૂખ ફર્યું મધુસ્મિત પાથરતું
‘વસંત હું વિશ્વતણાં યૌવનનું કાવ્ય!’

‘વસંત! વસંત! ઓ!’ કહી હું છેક પાસે ગયો
‘અહો! તું તો રંગે બધા કુસુમના પ્રાણ!
વિહંગની પીચ્છકલા મહીં નવા પીચ્છ પૂરી
મંજુ એના કંઠમહીં ધરે મૃદુ ગાન!’

‘વસંત ઓ! આવ મારું જીવન તું રંગવાને
ઉતરીને ધન્ય કોઈ સ્વપ્ન જેમ આવ!
હસંત કો કુસુમની કલીકાશી ભવ્ય બની
ઉઘડવા પ્રફુલ્લવા ઉર મારે આવ!
સુરેશ ગાંધી

‘આંખ મળે નહિ’

ઝલ્લીના ઝમકાર થયાને
જાગી માઝમ રાત
આંખ મળે નહિ.

બા’રે બારણે કોઈ નથી ને
કોની જોવી વાટ?
આંખ મળે નહિ.

મનનો કાંઈ ઉકેલ ન સુઝે
ઊંડી જાતી રાત
આંખ મળે નહિ.

પળપળના ભણકાર આવતા
ક્યાંથી આવે સાદ?
આંખ મળે નહિ.
પ્રેમશંકર ભટ્ટ

મોહપાશ

હું શું જાણું સરલ શિશુદગે આવડો મોહપાશ?
યંત્રે થાતાં ટનટન દશના એક દા’ડો ટકોર,
ટોપી હાથે, છતરી બગલમાં, કોટને ખાંધ માથે
મૂકીને હું ધમધમ કરતો આવીઓ રાજમાર્ગે;
પ્હોંચું ત્યાં તો, ફટફટ કરતી દોડી ગૈ ટ્રામ મારી,
ક્રોધે થાતાં અરૂણ નયનથી શાપતો ભાવિને હું
વ્હીલે મોઢે, પરિભવ મુજનો કલ્પતો શિષ્ય–સાક્ષ્યે,
રસ્તા વચ્ચે વિકળ થઈ ઉભો ટ્રામની વાટ જોતો

“કાંઈ દેને, પ્રભુ તુજ કરશે, ભાઈ! સારું જરૂર”,
એવા શબ્દે જગતનું કરૂણા, પાસમાં કોઈ યાચે.
“આગે જાઓ, પતિત તમસમાં માટ આંહી ન આશ.”
“નૈં જાયે જા,” મધુર કલરવો, માત નિશ્વાસ ભેગા,
કાનો વાટે સરી જઈ, પડીઆ અંતરોના ઉંડાણે.
પાછું વાળી નજર હું કરું તો અંકમાં બાળ દીઠો,
સાક્ષાત્ જાણે દિવસ દશ પરે રેતીમાં જે સુવાડ્યો,
એને જોતાં કરમ ધરમ સહુ ભૂલીને ટ્રામ જાતી,
વીધી વચ્ચે સ્મરણમય થઈ ભાનને ભૂલી ઉભો.
રાજશેખર

ખોજ

-: સ્ત્રગ્ધરા :-

સૃષ્ટિક્યારે અણુમાં અમીરસ વરસી, સંહરી ઝેર એનાં,
ચૂસી ચૂસી સમૂળું અખિલ ભૂમિતણું જાડ્ય, સ્ફુલ્લિંગ આપી,
ધાન્યો ક્ષેત્રો ઝરા ને ફળફૂલ સહુમાં ચેતનાઓ વહાવી,
આત્માએ ઊજળો તું નભભર વિલસી શોધતો કોક તત્ત્વ
જૂએ છે શું ધરામાં નયન કરી ઝીણાં દીર્ઘ વીત્યા યુગોથી?
તોયે તારી હજુયે પૂરી થઈ નથી એ શોધ : શું એ અનન્ત?
તારી એ શોધમાંહી જીવન વીતી જતું, તો પછી તારું સ્થાન
બીજે આવી લઈ લે : રજનિદિન ઘણાં એમ વીતે અભંગ!
ક્યારે પૂરી થશે એ? પ્રિય મુજ કહી દે તારલા આભ ઊગ્યા!
કે એનો અન્ત સ્હાવા સરરર સરતો ભૂમિપેં તું ઉમંગે, તેજનો ધોધ ઢોળી?
હુંયે છું જો અહીંઆં અટુલ રખડતો માનવી કોક પંથી,
ના જાણું શું મહારૂં જગત ઘર થકી લુપ્ત : તોયે હું શોધું,
ને તેથી આ મહારો જીવનજળઝરો ખૂટતો વ્યોમઝંખી :
હું જાઉં તો પછીથી અવર જન લીએ માહરું સ્થાન : ક્યારે
મારી આ ખોજ પૂરી થઈ જ વિરમશે? અજ્ઞ હું મૂઢ બાલ :
કે એનો અંત સ્હાવા ખગ થઈ ઊડશે વ્યોમમાં પ્રાણ મારો, માટીનો દેહ મૂકી?
(કુમાર)‘મોહિનીચન્દ્ર’

માનવ

નિસર્ગની નિર્મલ તારતંત્રીથી
છૂટો પડી કો રવ ગુંજતો ગયો,
પ્રમાણ એ તાલ તણું તજી દઈ
અહંત્વમાં એકલ માનવી થયો.
(કુમાર) ‘જટિલ’

ન જાને

[પૃથ્વી]

દીઠાં જલધિનાં જલો ઉછળતાં મહાકર્ષણે
પ્રસન્નકર ચન્દ્રના, ગજવતાં મહા ગાન કો.

પ્રસુપ્ત મમ અન્તરે જલ હતાં, ઉગ્યો ચંદ્ર ત્યાં
વહ્યા વિવિધ ગાનના નવતરંગ, એ ચન્દ્રને
મથન્ત ઉર સ્પર્શવા; ત્યહિં વિલીન થાવા ચઢયાં.
પડ્યા કદિ વિશીર્ણ નીર–અવકાશ માંહે શમ્યા.

અચાનક ત્યહિં વધે અનિલવેગને વાદળો
પ્રચંડ ધસતા શશાંક ગ્રસવા; જગે પાથર્યો
પ્રકાશ સહુ લુપ્ત થાય; જલ ધારતાં કાલિમા
તરંગગણ શોક ભગ્ન ઉર ઊછળે ને પડે.

સદાય જગ અન્ધકાર ગ્રસિયું રહેશે, અને
સદાય રડશે તરંગદલ કારમું,–ચંદ્રનાં
ફરી કિરણ વારિનાં ઉર ન સ્પર્શશે કોમળાં?
અગમ્ય ઘટના દિસે વિધિ રચી, न जाने કશું.
{right|બાદરાયણ}}

એ અપ્રકટને

મધ્યાહ્ન તણાં કિરણો તપતાં,
બળતી ધરતીનાં મૃગજળમાં,
આ નિર્જન ઉજ્જડ પાદરમાં,
તુ જ ખંડિત સ્વપ્ન મને દિસતાં.

નભ ઘેરાતાં વાદળદળમાં,
વૃક્ષોનાં મંદ વિકંપનમાં,
નિષ્પંદ ઊભેલાં સરજળમાં,
તુજ અંતર દુઃખ ભર્યા દિસતાં.

ઢળતી સંધ્યાનાં કિરણોમાં,
ગમગીન નિસ્તબ્ધ સમીરનમાં,
આ શ્યામલ અંધ નિશાતલમાં,
તુજ જીવન તેજ હતાં દિસતાં.

મમ અંતરમાં સઘળાં દુઃખમાં,
નભતારકનાં નયને જલ ત્યાં,
ક્ષત ચંદ્ર રેખનાં દર્શનમાં,
તુજ એ નયનો રડતાં દિસતાં.
સ્વપ્નસ્થ

વિરાટની લટો

ખબર મન! પથની શી રીત પડશે?–ધ્રુવ
યોગિનીનો જટા કલની
લટો ઉડન્ત હશે;
સાચી કુંકુમ–સેંથી ક્યાંથી
બાળકને જડશે?
ખબર મન! પથની શી રીતે પડશે?
પન્થો સઘળા ઊડતી લટકો
વિરાટની જ હશે?
એ સઘળી લટ જો ગુંચવાઈ
પંથ ક્યાંથી જડશે?
ખબર મન! પથની શી રીતે પડશે?
નટવર. મ. પટેલ.

એવી તે રાણી રંગે કેમ કાળી?

ચાંદા સૂરજના પૂજન કાજે ન એટલા દીવા બળે રે,
રાત્રિરાણીના પૂજન કાજે કે લાખ લાખ દીવા બળે રે.

ચાંદા જેવા કો તા તા તેજે જગતમાં માતા ફરે રે,
એવા ય રજનીને અંકે પોઢીને મીઠી નિદ્રા કરે રે.

સૂરજ જેવા કો છેડલો સ્હાવા સૃષ્ટિમાં ફેરા ફરે રે,
રજની રાણી ન કિંતુ કોડ કૈં એમના પૂરા કરે રે.

પાસે આવી પવનરાજ કોડેથી ધીમો પંખો કરે રે,
તોય ના રાત્રિરાણીના પાલવનો છેડલો ઝોલે ચડે રે.

રાત્રિ રાણીના બોલે બોલે કે મુખથી ફૂલડાં ઝરે રે,
એવાં તેજે ભરેલ ફૂલ લાખો કે આભમાં આછા ચગે રે.

ટંકાય ધરતી ને આભ બે ફૂલે રાત્રિ જો બોલ્યા કરે રે,
એથી શાણી રે રાત્રિ સમજીને મનથી મૂંગી રહે રે.

રાત્રિરાણીનાં હસવાં મોંઘાં કે કોઈ દિ પલકી પડે રે,
પલકે ત્યારે અંધારા આભે કો નવરંગ રેખા ચગે રે.

‘એવી તે રાણી રંગે કેમ કાળી’ ઘૂવડ મન શોચ્યા કરે રે,
જાગતો ચારે પ્રહર રહી કૂટ એ કોહ્યડો ઉકેલ્યા કરે રે.
(કુમાર) જેઠાલાલ ત્રિવેદી

દશરથનો અંતકાળ

‘તે સમે ય સખી આવી જ રજની, દારુણ તે દિ’ નિદાધ,
દક્ષિણ વહ્નિથી કિંશુકે કિંશુકે લાગી હતી તે દિ’ આગ.

શિરીષ આભલાની નીલિમા ધરી ફૂટી ફૂટી મલકાય,
માધવીકુંજમાં માધવીને એની ફોરમ ના સહેવાય.

તે દિ’ હતી પ્રિયા માધવી પુષ્પ સમી તુંય, પિતાનું વન,
ફોરમે ભરતી; હું યુવરાજ; ને નિર્મળ તે દિ’ ગગન.

તે રજનીમાં હતા આ જ તારલા મુક્ત આકાશને ઉર;
બાલિકા શી તે દિ’ હતી આ સરજુ, ન્હોતાં આ યૌવનપૂર.

તે દિન––જે દિનની કરું વાત હું—હતો જરીક ગરમ,
મેં ધાર્યું કે લાવ સરજુતટનું આપણું મૃગયા—વન

જોઈ આવું જરી; મૃગલાં કેરો મળશે કોઈ શિકાર
કરીશ તો, નહિ તો બેસી સૂણીશ અંતરના ધબકાર

સરજુ કેરા; એમ વિચારીને તીર ધનુષની સાથ,
પગપાળો સરજુતીર પ્હોંચ્યો, વા મહીં વીંઝતો હાથ.

ગભીર સરજુનીરમાં અરધો ડૂબતો રક્ત તપન
દેખાય, અંધારે ઝાંખાં પડી જતાં આમલી પીંપળી વન.

આભલાની સામે મૂકી ઉઘાડાં ગોપન અંતરદ્વાર,
ધીરેધીરે નદીનીર વહી જતાં; દક્ષિણે દૂરનો પ્હાડ

તાલતમાલનું વીંઝે જટાજૂથ, પંખીતણા ટહુકાર
થાતા અચાનક એક પળે; કદિ અન્ય અવાજ લગાર

આવતો ના જરી ભંગ કરાવવા તીણાં તમરાંનાં ગાન;
સરજુનીરમાં રાખી નજર હું ચાલતો’તો; કરી દાન

તિમિરથી અકળાતા આકાશને તારાન, સરજુનીર—
––માંહી લપ્યા રવિદેવ સમસ્ત; ત્યાં સંકોરી શ્વેત શરીર

વનનાં ઝાડ ઝાંખરાંથી આવ્યો શશિ અચાનક બહાર,
નદિના નીરમાં તેજ દોડ્યું એનું કોકીલ દે ટહુકાર.

મુખમહીં જરી પાણી રેડ પ્રિયા, અંધારે ઘેર્યું ગગન,
તે દિ’ હતો મધુ ચંદ્રમા આભમાં, વાયુથી વ્યાકુળ વન.

ધીરેધીરે મેં કર્યો પ્રવેશ એ નીરવ વનની માંય,
કોઈ અતિથિને કારણુ વનડે ઢાળી’તી શીતળ છાંય.

ચંદ્ર વિચિત્ર ત્યાં સાથીઆ દોરતો, તમરાં ધરતાં ગાન,
માધવી ફૂલનાં છાબડાં ઠાલવી કરતી ફોરમદાન.

પાંદડેપાંદડે નાચતાં કિરણ, ફૂલે ફૂલે ઊડે ગંધ,
છાયા–પ્રકાશના સંજોગમાં જાણે વનડું હર્ષથી અંધ.

દોડી આવે કદિ સ્હેજ અચાનક ઉંતલા સમીર લ્હેર,
ખર ખર કરી પાન ખરી પડે નાચતી છાયાની સેર.

શ્રાન્તિ અનુભવી બેઠો ચઢી એક વડલાની ઊંચી ડાળ,
સામી દેખાતી’તી શ્વેતતરંગને ભેટતી સરજુપાળ.

આકાશમાં એકે વાદળી ના જડે, ઝાંખું તારાકેરું તેજ;
એક પછી એક પ્હોર વીતી જતા, લાગતું જાણે ‘સહેજ.’

આભનો અરધો પંથ પૂરો કરી પશ્ચિમે ઢળતો ચંદ,
વનના છાંયડા પૂરવ દિશમાં ધસતા સૂંઘીને ગંધ

ફૂટતાં ફૂલની. એવામાં સરજુતીર પે સ્હેજ અવાજ
‘ભડ ભડ’ કરી થયો અચાનક, ને મેં શિકારને કાજ

ધનુષની પર તીર ચઢાવી કાનપે તાણી કમાન,
મૃગલું ધારીને બાણ ફગાવ્યું, ને—અને––હાયરે! રામ!
(કુમાર) ગણપતલાલ ભાવસાર

અન્તિમ તંતુ

(પૃથ્વી–અનુષ્ટુપ)

અનેક ઉરવાદ્યના સુભગ તાર તૂટી ગયા,
પરંતુ રણકારશેષ નવ શૂન્યમાં ડૂબિયા;
અખંડ અવશિષ્ટ તન્તુ તણું ગાન જે ગૂજતું
સદાય ધ્વનિ મૂક એ કરુણાના રહે ધારતું.
અનેક રજની વિશે પરમ શાન્ત એકાન્તમાં,
ઊંડા હૃદયવાદ્યમાં ધ્વનિ નવા સ્વયં ઊઠતા;
વિરાટ રવશૂન્યતા મહિં સમસ્તયોગે કરી
ધરે હૃદય મૂકતા;—અરવ ગાન વાધે ત્યહિં.

પરંતુ અણચિન્તવ્યું હૃદયવાદ્ય શું થંભિયું?
ગયું કરુણા ગાનના ધ્વનિ વિશે હવે રાચવું?
રહેલ અવશિષ્ટ તન્તુ પણ ગૂઢ હસ્તે તૂટ્યો,
નિગૂઢતર અશ્રુ—સ્રોત્ર પણ નેત્રમાં ઊભર્યો.

સૂક્ષ્મ સંવાદી જે તન્તુ આત્મવાદ્ય તણો ગ્રહે—
વિશ્વવાદ્ય તણું, છિન્ન એ ન થશો અરે!
સુંદરજી ગો. બેટાઈ

ગત બાલકોને

સુકોમળ સુપુષ્પ કૈં ખીલી સવાર સાંજે ખરે,
ઉગી ગગન તારલા ક્ષણ રહી કંઈ આથમે,
દીઠાં સ્વપન દૃશ્ય તે નહિ સવારનાં સાંપડે,
બન્યાં જીવન એ સમાં તમ તણા અહીં ભૂપરે.

ગયાં : સહ ગયાં : પળ્યાં સ્વપથ સૌ : ન એક્કે રહ્યાં
રહ્યાં સ્મરણ પાત્રને સ્મરણ દુઃખ જે જે સહ્યાં;
હસ્યાં, કંઈ રડ્યાં, કવિ જ્યમ હસે રડે કાવ્યમાં,
સ્મરું હું તમ જીવનો સરલ–કાવ્ય–ઝરણાં સમાં.
હરિહર ભટ્ટ

વસિષ્ઠ અરુન્ધતીને

પ્રભાનિકર ઊમટે અમિત વ્યોમ સિન્ધુ તટે,
સહસ્ત્રશત ડૂબતા તરલ તારકો, આથમે
શશિ પ્રખરશ્મિ, શુક્ર વળી ધૂમકેતુ સમા
પ્રચંડ ગ્રહરાજ તેજ કિરણાવલિ વેરતા.

અજોડ ત્યંહિ જોડલું તમ ઉભૂં ત્રણે લોકમાં
પ્રકાશ–કર વેરતું પ્રણય–બ્રહ્મ સિદ્ધિ તણા.

યુવા પ્રણય પૂરમાં ડૂબતી સ્નેહમંત્રો પઢી
તમે ન પલ વિસ્મર્યો પ્રણવમંત્ર કલ્યાણના
વર્ષો દ્વિપથગામિની પ્રણયબ્રહ્મ સિદ્ધિસટે
વિમૂળ કરી ભાવના પ્રણવ પ્રેમ વૈષમ્યની.

અરુન્ધતી સહે વસિષ્ઠ ઝગતો તને તેજના
વિશાલ નભસાગરે નિરખું ને નમે શિર્ષ આ
અને સ્વપનશીલ આત્મ ચઢતો કંઈ કેડીએ
પ્રભો! વિરલ સ્વપ્નની પ્રણવ પ્રેમે અદ્વૈતના.
{{right|પ્રહ્લાદ પાઠક}]

વહદત

ગઝલ

જતો હતો હું મદ્રેસાની મહીં જ્યારે,
બની કિતાબ સાથે આવતી તું ત્યારે.

થયો ખલાસી હું ત્યારે બની તું નૌકા–
ન જાણ્યું ફેંકશે મને કયા કિનારે!

મળ્યાં આપણે એકાંત મહીં પ્હેલાં,
તને યાદ છે, થયું શું તે સવારે?

હજાર આફતાબ શુદ થયા પછી તે,
કરી સદા મેં ચડી પ્રેમના મિનારે.

બની તું સાજ બન્યો જ્યાહરે તું ગાયક,
બની મેહરાબ , મુજાવર હું બન્યો ત્યારે.

નિહાળી ગુલ તેને, બુલબુલ હું બની બેઠો,
દીધું ચિરાવા હોંશથી તે જિગર પ્યારે!

થયો જાહરે હું મયકશોની મહીં ત્યારે,
બનાવી જામ તને ચૂમી વારવારે :

મકરબ ગયો પતીલના ભાગ્ય તણો
નાસી–લગામ! તું જ રહી માત્ર હાથ મારે!
પતીલ

ચિત્રકારની કથા.

[ઉપજાતિ વંશસ્થ]

કો ચિત્રકારે ગ્રહી હાથ પીંછી
ને વિશ્વમૂર્તિ તણું ચિત્ર આદર્યું.

આનંદ ઘેરાં નયનો ઉષાનાં,
ને ઈન્દ્ર કેરાં ધનુ–શી ભૃ–લીલા;

વર્ષા તણા બિન્દુ સમાન મીઠાં
ત્યાં––નેત્રમાં પ્રેમજ અશ્રુ મૂક્યાં.

ને કેશ ગુચ્છા રચી કૃષ્ણ મેધશા
વેણી મહીં તારક સર્વ ગૂંથ્યા;

અગમ્ય રંગો વળી સંધિકાના
મૂક્યા કપોલે મધુમૂર્તિ કેરા,

ને વ્યોમ શા ભવ્ય લલાટ મધ્યે
ચન્દ્રી સમી કુમકુમ ટીલડી યે.

સ્વર્ગગશી શીર્ષ વહન્ત–ઘેરી,
રચી વળી શ્વેત સુગંધી સેંથી,

ને અંગમાં અન્ય અનંત કેરું
લાવી બધું તેજ પૂર્યું ચિતારે.

કટિપરે કેવલ એક આછી.
સિંધુ તણી મંદ–સુમંદ ગુંજી
શૃંગારમાં એકલ મેખલા રચી!

કિન્તુ હજી તૃપ્ત તૃષા થઈ ના,
ને મૂર્તિનું અન્તર મૂકવાના

જાગી ઉઠ્યા કોડ, થતાં જ વાંચ્છા,
ગૂંથી દીધું ચિત્ત સ્વકલ્પનામાં.

એ કલ્પના કિન્તુ થઈ ન પૂરી,
ને ચિત્રણા એ રહી ગૈ અધુરી

થંભી ગઈ લેખીની ચિત્રકારની,
લાગી ગઈ પ્રેમ તણી સમાધિ!
‘નીલકંઠ’

ટાંકની તરડ

ટાંકને તરડ કેમ? એવો પ્રશ્ન હૃદે થતાં
પુરાણી કો ગાથા માટે જોયાં જુના પત્ર;
શિલાલેખો, ભોજપત્રો, જોતાં જોતાં,
પોકળ પત્રમાં જડ્યું લખ્યું છે તે અત્ર.

એકદા કો નવોઢાએ વિયોગથી દુઃખ પામી,
પ્રી’તમને લખ્યાં દુઃખો સંભારી તમામ;
લખાતાં નિહાળીને એ હૈયું ફાટવાને, લાગ્યું,
ટાંક તણું તુરત ત્યાં હારી બેઠી હામ.

“બ્હેની મારી ફાટ મા તું, ફાટશે તું ત્યારે પછી,
કવિઓ ને કોવિદોનાં કાવ્યો થશે કેમ?
ટીકાકારે રૂડી ટીકા લેખકો રસિક લેખો,
વિયોગિની પ્રેમ પત્રો લખી શકે કેમ?

તારા વિના જગતમાં અંધકાર વ્યાપે માટે
હૈયું કરી કઠીન તું રહે મારી બ્હેન,
ટાંક ફાટતી રહી સતીની આશિષથી પણ,
હજીયે તરડ રહી પડી જેમ તેમ.
રસનિધિ.

સત્ સ્વભાવ

રેલાઈ આવતી છો ને બધી ખારાશ પૃથ્વીની,
સિંધુના ઉરમાંથી તો ઊઠશે અમી વાદળી.
(પ્રસ્થાન) પૂજાલાલ.