ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/રેવ. જેસફ વૉન સેમરેન ટેલર
તેમનો જન્મ ઈ. સ. ૧૮૨૦ ના જુલાઈ માસમાં દક્ષિણ મહારાષ્ટ્રમાં આવેલા બેલગામ શહેરમાં થયો હતો. તેમના પોતાનું નામ જોસફ ટેલર હતું. જાતે અંગ્રેજ હતા. જોસેફ ટેલર હિન્દુસ્તાનમાં ખ્રિસ્તિ ધર્મોપદેશક થઈને આવ્યા હતા. સોમરેન ટેલરે ઈંગ્લાન્ડના ઇસેક્સ પ્રગણામાં આવેલા ઓન્ગરની નિશાળમાં થોડાં વર્ષ અભ્યાસ કરી, ગ્લાસગોના શાળામંડળની બી. એ; ની પદવી ઈ. સ. ૧૮૪૩ માં મેળવેલી. ત્યારબાદ તેઓ હિન્દુસ્તાનમાં ખ્રિસ્તિ ધર્મોપદેશક થઈને આવેલા, અને ગુજરાતમાં રહેલા. ઇ. સ. ૧૮૫૮ માં તેઓનાં પહેલીવારનાં લગ્ન ઇલાઈઝા પ્રિચર્ડની સાથે થયેલાં.
ઈ. સ. ૧૮૬૦ ના વર્ષમાં તેમના લેખો ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધિને પામ્યા. ઈ. સ. ૧૮૬૭ માં તેમણે ગુજરાતી ભાષાનું વ્યાકરણ પ્રસિદ્ધ કર્યું હતું. ઈ. સ. ૧૮૬૭માં તેમણે ઈશ્વરસ્તુતિનાં પદો ગુજરાતીમાં લખી પ્રસિદ્ધિમાં મુક્યાં. સ્વ. શાસ્ત્રી વ્રજલાલની સહાયતાથી તેમણે ગુજરાતી ભાષાનો અભ્યાસ વધારેલો, અને ‘ધાતુસંગ્રહ’ નામનું પુસ્તક લખવામાં તેમણે તે શાસ્ત્રીજીની સાથે કામ પણ કરેલું. તેમનું મરણ ઈ. સ. ૧૮૮૧ માં સ્કૉટલેન્ડના એડિન્બરો નગરમાં થયું હતું.
-: એમની કૃતિઓ :-
(૧) ગુજરાતી વ્યાકરણ (૨) કરારને લગતો પ્રવેશબોધ